Get The App

ટોપલીમાં ભરીને અંધકારને ખીણમાં નાખશો નહીં !

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
ટોપલીમાં ભરીને અંધકારને ખીણમાં નાખશો નહીં ! 1 - image

- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ

પ્રા ચીન સમયની આ લોકકથા છે. એ સમયની વાત છે કે જ્યારે માનવી પાસે અગ્નિ નહોતો, પ્રકાશ નહોતો, અંધકારને ભેદવાનો કોઈ ઉપાય નહોતો.

અંધકારનો સમય ખૂબ અકળાવનારો હતો. રાત્રિ અત્યંત પીડાકારક હતી. આવે સમયે અંધકારને દૂર કરવા અનેક ઉપાયો વિચારવામાં આવતા હતા. કોઈએ એને દેવ બનાવી પ્રાર્થના કરી, કોઈએ એને મંત્રથી રીઝવવા પ્રયાસ કર્યો, કોઈએ વળી એવો તુક્કો લગાવ્યો કે અંધકારને ટોપલીઓમાં ભરી ભરીને ખાડાઓમાં નાખી દઈએ, આમ કરવાથી અંધકાર ક્ષીણ થઈ જશે અને એનો નાશ થશે.

લોકો આખી રાત ટોપલીઓ ભરી ભરીને આવી રીતે અંધકારને ઉલેચતા હતા. પછી તો અંધકારને ટોપલામાં ભરીને નાખી આવવાની વાત એક પ્રથા બની ગઈ. દરેક વ્યક્તિને રોજ રાત્રે ઓછામાં ઓછી એક ટોપલી અંધકાર તો જરૂર ફેંકવા જવો પડતો. આવે સમયે કોઈ અપ્સરા આ ધરતીના યુવકની સાથે પ્રેમમાં પડી. એનો વિવાહ થયો. સહુએ એને અંધકાર ઉલેચવાની ધાર્મિક પ્રથા બતાવી. એમ કહેવાનું હતું કે કોઈની શરતચૂક થાય તો આખા ગામનો વિનાશ થઈ જાય.

પહેલી જ રાત્રે ઘરના માણસોએ એને અંધકારની એક ટોપલી ભરીને એને ખીણમાં નાખી આવવા કહ્યું.

સ્વર્ગની અપ્સરાનું તો હસવું માય નહીં. એણે રૂની વાટ બનાવી. માટીના કોડિયામાં ઘી નાખ્યું અને પછી બે પથ્થરો ઘસ્યા. એમાંથી તણખા ઝર્યા. અગ્નિ ઉત્પન્ન થયો. દીવો પ્રગટતાં જ અંધકાર દૂર ચાલ્યો ગયો. આ દિવસ પછી લોકોએ અંધકાર ફેંકવાનું છોડી દીધું.

 કારણ કે હવે તેઓ દીવો પ્રગટાવતાં શીખી ગયા હતા.

આપણે અંધકારને ઉલેચવાની મથામણ મૂકીએ. એને બદલે પ્રકાશના દીપકને સળગાવીએ.

ઘણી વ્યક્તિઓ જીવનભર અંધકાર ઉલેચતી રહે છે. રૂઢ માન્યતાઓ દ્રઢ માન્યતાઓનું દ્રઢપણે પાલન કરે છે અને નિર્જીવ પ્રથાની ઉપાસના કરીને મોક્ષની એષણા રાખે છે. આવી વ્યક્તિ જીવનભર અંધકાર ઉલેચતી રહે છે અને તેનો અંધકાર ક્યારેય ઓછો થતો નથી.

અંધકારને રોજ ટોપલીમાં ભરી ખાડામાં નાખતા માનવીએ જીવનની ઘણી તક ગતાનુગતિકતામાં ગુમાવી છે. જે પ્રસંગને અલૌકિક પ્રકાશમાં ફેરવી શકાય એને અંધકાર ઉલેચવામાં ગુમાવી દે છે.