- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
વિ શાળ સામ્રાજયનો એ સ્વામી હતો, એ વિરાટ મહેલમાં વસતો હતો. આ મહેલની એક ખૂબી હતી. આટલો મોટો મહેલ, પણ એમાંથી બહાર નીકળવાનો એક જ દરવાજો. આનું કારણ એ કે મહેલમાં જે કોઈ પ્રવેશે તેના પર પૂરી નજર રહે. એ દુશ્મનનો જાસૂસ હોય કે પછી સમ્રાટની હત્યા કરી રાજ હડપ કરવા ચાહતો હોય. એ ચોર હોય કે ચતુર હોય પણ મહેલમાં દાખલ થવા માટે તો આ દરવાજામાંથી જ પસાર થવું પડે.
આ સમ્રાટને મળવા બીજા દેશનો રાજવી આવ્યો હતો. સમ્રાટે ફરીને મહેલની રચના સમજાવી છેલ્લે દરવાજા પાસે આવ્યો. આવા મોટા મહેલને એક જ દરવાજો રાખવાનું રહસ્ય પ્રગટ કર્યું.
મહેલને એક જ દ્વાર અને ત્યાં પણ સેંકડો સિપાઈઓ ચોકી કરે પછી ભય આવે ક્યાંથી ?
સમ્રાટે કહ્યું, 'જુઓ કેટલો સુરક્ષિત છું હું ? મને કોઈ દુશ્મન કે હત્યારાનો સહેજે ભય નથી.'
મહેલના દરવાજે બેઠેલો ભિખારી આ સાંભળીને ખડખડાટ હસવા લાગ્યો. એણે કહ્યું,
'સમ્રાટ! જો ખરેખર સુરક્ષિત રહેવું હોય તો મહેલનો આ એક દરવાજો પણ બંધ કરી દ્યો. પછી ચકલુંય નહીં આવી શકે તમારા મહેલની અંદર! તમે કેટલા બધા સુરક્ષિત થઈ જશો ?'
સમ્રાટે કહ્યું, 'આ તે સુરક્ષા કે કેદ? આ એક દરવાજો બંધ કરી દઉં તો તો આ મહેલ જ મારી કબર બની જાય.'
ભિખારીએ કહ્યું, 'સમ્રાટ ! આ એક દરવાજાથી કંઈ ખાસ ફેર પડતો નથી. આ મહેલ એ વધતેઓછે અંશે તમારી કબર જ છે, પણ એની ખબર નથી. સલામતીની શોધમાં તમે તમારા મહેલને જેલ બનાવી દીધો છે.' માનવી એટલો બધો ડરી ગયો છે કે પળે પળે એ સલામતી શોધે છે.


