- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
એ ક સજ્જન પુરુષ એના જીવનનો આખરી શ્વાસ લેતા હતા. એની આજુબાજુ એના પુત્રો બેઠા હતા.
મરણપથારીએ રહેલા પિતાએ પુત્રોને કહ્યું કે, 'હું તમારો માત્ર પિતા જ નથી, બલ્કે ગુરુ પણ છું. આથી શિખામણ આપું છું કે માણસની સાચી માણસાઈ એ છે કે એના દુશ્મન સાથે પણ પ્રેમ કરવો.'
પુત્રોએ પિતાની વાત શબ્દશ: સ્વીકારી લીધી અને કહ્યું કે તમે સહેજે ફીકર ન કરશો. તમારા વચનનું અમે બરાબર પાલન કરીશું.
પિતાના અવસાન બાદ પુત્રો વચ્ચે સાંકડા મનના ઝગડા શરૂ થયા. વખત એવો આવ્યો કે નાની નાની વાતના પણ વિવાદ થવા લાગ્યો. પહેલાં ગાળાગાળી અને પછી મારામારી પર આવી જતા.
ગામના ડાહ્યા માણસોએ એમને કહ્યું પણ ખરું કે એટલું તો વિચારો કે તમારા પિતા કેવા ખાનદાન હતા ?
તરત જ બધા ભાઈઓ કહેતા, 'ખબરદાર ! અમારા બાપનું નામ લીધું છે તો ! તમે વળી એનું નામ લેનારા કોણ ?'
'કેટલાક વળી સમજાવતા પણ ખરા કે તમારા પિતાનો અંતિમ ઉપદેશો તો વિચારો !'
દીકરાઓ કહે કે, 'શું અમે વચનપાલક નથી ?'
લોકો કહે કે, 'વિચારતા હો તો લડો છો કેમ ?'
પેલા છોકરાઓ જવાબ વાળતા કે, 'તમે બધા સલાહ આપનારાઓ મૂર્ખ છો. અમારા પિતા અમને એમના અંતકાળ સમયે કહી ગયા હતા કે દુશ્મનને પ્રેમ કરવો. અમે દુશ્મન સાથે લડતા નથી.
એની સાથે તો સમાધાન કરીએ છીએ, પણ આ તો ભાઈ-ભાઈના હક્ક માટે લડીએ છીએ. પિતાએ એની ના પાડી નથી.'
ધર્મની દુનિયામાં પણ આવું જ ચાલે છે. અહીં સત્ય ભૂલીને આડે માર્ગે ચાલવામાં આવે છે.
ઈશ્વરની ઝંખનાનો ક્યાંય સાચો તલસાટ જોવા મળતો નથી. કોઈ સંપત્તિના પ્રદર્શનમાં અટકી ગયા છે, તો કોઈ વૈભવમાં ફસાઈ ગયા છે. કોઈ ધર્મને નામે કીર્તિના કોટડાં રચે છે, તો કોઈ પોપટિયાં ઉચ્ચારણોથી પ્રજાને લોભાવે છે.
સાચો ઈશ્વર તો ક્યાંક ખોવાઈ ગયો છે. એને શોધવા નીકળેલાઓ છેક ઈશ્વર સુધી પહોંચવાને બદલે પ્રશંસા કે પ્રધર્શનનાં મુકામ પર અટકી ગયા છે.


