ચારમાંથી પહેલું નિમંત્રણ કોને આપશો?
- ઝાકળ બન્યું મોતી-કુમારપાળ દેસાઈ
વિ શાળ ભવનની બહાર આવેલા રમણીય ઉદ્યાનમાં ચાર પ્રતિભાશાળી વ્યક્તિઓ બેઠી હતી.
ભવનમાં વસતા દંપત્તિએ આગંતુકોને જોયા એટલે બહાર આવીને પ્રણામ કર્યા અને પૂછ્યું, 'આપ કોણ છો ? સુંદર અને તેજસ્વી એવા આપનો અમને પરિચય આપશો?' ચારેય વ્યક્તિઓએ એમનો પરિચય આપ્યો. એ હતા પ્રેમ, વૈભવ, સફળતા અને નીતિ.
પરિચય મેળવીને પ્રસન્ન થયેલા એ દંપત્તિએ એમને ભવનમાં પધારવાનું અને એમનું આતિથ્ય સ્વીકારવાની વિનંતી કરી.
આગંતુકોએ કહ્યું, 'અમે બધા એક સાથે શા માટે આવીએ ? અમારાથી માત્ર એક જ વ્યક્તિ આપના ભવનમાં આવશે.'
યુગલ દ્વિધામાં પડી ગયું, કોને નિમંત્રણ આપવું અને કોને ન આપવું ? એમણે વિચારવા માટે થોડો સમય માગ્યો અને કહ્યું કે અમારા પરિવારજનો સાથે ચર્ચા કરીને આપને અમારો નિર્ણય કહીશું.
ભવનમાં સમગ્ર પરિવાર એકત્રિત થયો અને ચર્ચા ચાલવા લાગી. સ્ત્રીએ કહ્યું, 'આપણે વૈભવને આપણા ઘરમાં સાદર નિમંત્રણ આપીએ, વૈભવ આવશે એટલે જીવનમાં બધું જ મળી જશે, બધા અભાવ ટળી જશે.'
આ વાત સાંભળતાં જ પતિએ કહ્યું, 'અરે ! સફળતા આવે તો વૈભવને આવવું જ પડે, માટે આપણે સફળતાને બોલાવીએ, તો એની પાછળ પાછળ સમૃદ્ધિ આવી જ જશે.'
આ સાંભળી પુત્રે કહ્યું, 'પિતાજી, આપની વાત સાચી, પણ ખરેખર તો સફળતા અને વૈભવ ત્યાં જ વસે છે, જ્યાં નીતિ હોય છે એટલે આપણે નીતિને બોલાવીએ.'
સૌએ અનુભવી દાદાજી તરફ નજર કરી. દાદાજીએ કહ્યું, 'મારું માનો તો તમે પ્રેમને પહેલું નિમંત્રણ આપો, બાકી બધા તો બાહ્યજીવનમાં ઉપયોગી છે, પરંતુ પરિવારનો સૌથી મોટો મિત્ર પ્રેમ હોય છે.
જો પ્રેમ જાળવી રાખીશું તો બીજા આગંતુકોનું સહચર્ય તો આપણે બીજા કોઇ ઉદ્યમીથી હાંસલ કરી શકીશું. પ્રેમ પર જ સઘળું આધારિત છે.'
દાદાજીની સલાહ માનીને પ્રેમને નિમંત્રણ આપ્યું. આશ્ચર્ય એ વાતનું થયું કે પ્રેમ અંદર આવ્યો, એની સાથોસાથ બાકીના ત્રણેએ અંદર પ્રવેશ કર્યો.
અંદર આવીને આગંતુકે કહ્યું, 'આપે અમને ત્રણેમાંથી એકને બોલાવ્યા હોય તો અમે એકલા આવ્યા હોત. પણ પ્રેમ જ્યાં જાય છે, ત્યાં અમે અવશ્ય એની સાથે હોઇએ છીએ.'