Get The App

પ્રવાસ વર્ણનો.. પલાંઠી વાળીને પ્રવાસ કરવાની પરંપરા...

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
પ્રવાસ વર્ણનો.. પલાંઠી વાળીને પ્રવાસ કરવાની પરંપરા... 1 - image


- અક્ષરનો અજવાસ - જયેન્દ્રસિંહ જાદવ

- પ્રવાસ વર્ણનએ કોઈ પ્રદેશ, ત્યાંની પ્રકૃતિ, ત્યાંનું લોકજીવન અને સંસ્કૃતિ આ બધા અંગેના લેખકનાં અવલોકન-ચિંતન-સ્મરણ-સંવેદનોને - અનુભૂતિઓને નિજી રસરુચિ સાથે અભિવ્યક્ત કરતું સાહિત્યનું એક સ્વરૂપ છે

અં ગ્રેજી ભાષામાં ટ્રાવેલ લિટરેચર એ બહુ જાણીતો પ્રકાર છે. અગ્રેજી અને વિશ્વના અન્ય દેશોની ભાષામાં ટ્રાવેલ લિટરેચર એટલે કે પ્રવાસ સાહિત્ય ઘણું લખાયું છે અને વખણાયું પણ છે. એરિક ન્યુબી, મોર્ટન, રોબર્ટ લુઇસ અને જેન મોરીસ જેવા સાહિત્યકારોએ પ્રવાસ સાહિત્યમાં માતબર  ખેડાણ કર્યું છે અને પોતે ટ્રાવેલ લિટરેચરના માધ્યમથી ચિરંજીવ પણ બન્યા છે. પશ્ચિમના મોટાભાગના દેશોમાં પ્રવાસ અંગેનું લલિત વર્ણન મોટેભાગે ગદ્ય તો ક્યારેક પદ્યમાં રજૂ કરવાની દીર્ઘ પરંપરા છે. આછી માહિતી આપતા અને હળવા વર્ણનવાળા પ્રવાસના પુસ્તકોનો આદર્શ પશ્ચિમમાં પહેલેથી સ્વીકારાયો છે. પશ્ચિમના લોકો છેલ્લા -સો - બસો વર્ષમાં આખી દુનિયા ફરી વળ્યા છે. દરેક દેશની રગેરગની ઐતિહાસિક, ભૌગોલિક અને જાનપદીય એટલી બધી માહિતી એમણે ભેગી કરી છે કે હવે દરેક દેશના લોકોએ પોતાના દેશ વિશે જાણવા માટે પણ પશ્ચિમના લોકોએ લખેલા પુસ્તકો જોવા પડે છે. આપણા દેશમાં પ્રવાસ વર્ણનોના પુસ્તકો બહુ ઓછા લખાય છે. પરદેશની મુસાફરીના સારા વર્ણનો તો આપણી ભાષામાં બહુ ઓછા છે. આવી સ્થિતિમાં જો નવી પેઢીમાં પ્રવાસ વર્ણનોમાં રસ પેદા કરવો હોય તો પ્રવાસ વર્ણનો જાત-જાતની ઐતિહાસિક અને વૈજ્ઞાાનિક માહિતીથી ભરેલા ન હોવા જોઈએ. દુનિયાભરની માહિતી અને ઈતિહાસ  આજે આંગળીના ટેરવે મળી જાય છે. તેથી માહિતીના ઢગલાને બદલે સામાન્ય માણસ સ્વાભાવિક કુતુહલથી જેટલું જુએ છે અને જે જાતનો આનંદ માણી શકે છે તેટલું જ જો આપી દઈએ તો વાંચનારને પોતે વગર થાકયે મુસાફરી કર્યાનો કાંઇક અને હળવો આનંદ મળી શકે છે. પ્રવાસ વર્ણનએ કોઈ પ્રદેશ, ત્યાંની પ્રકૃતિ, ત્યાંનું લોકજીવન અને સંસ્કૃતિ આ બધા અંગેના લેખકનાં અવલોકન-ચિંતન-સ્મરણ-સંવેદનોને - અનુભૂતિઓને નિજી રસરુચિ સાથે અભિવ્યક્ત કરતું સાહિત્યનું એક સ્વરૂપ છે. ગુજરાતી સાહિત્યમાં પ્રવાસ વર્ણનની વાત કરીએ તો પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યમાં તીર્થયાત્રાના વર્ણનો સિવાય આગવું પ્રવાસ સાહિત્ય મળતું નથી. 

ગુજરાતી પ્રવાસ સાહિત્યની શરૂઆતમાં પારસીઓ લિખિત ડાયરી આધારિત પ્રવાસ કથાઓનું અનન્ય મહત્વ છે. પારસી પ્રજા અત્યંત જિજ્ઞાાસુ અને કુતુહલ ધરાવનારી નમ્ર અને અઠંગ પ્રવાસી પ્રજા છે. પારસી ડોસાભાઈ ફરામજી કરાકા-લિખિત 'ગરેટ બરીટનની મુસાફરી' કે જે ૧૮૬૧માં લખાઈ હતી તે ગુજરાતી સાહિત્યની પ્રથમ પ્રવાસકથા છે. 'એક પારસી ઘરહસથ'-લિખિત 'અમેરિકાની મુસાફરી' ડાયરીના સ્વરૂપે પ્રકાશિત થયેલું પ્રવાસવર્ણન છે. જે ગુજરાતી પ્રવાસ સાહિત્યના અભ્યાસુ અજયસિંહ ચૌહાણે સંપાદિત કર્યું છે અને ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કર્યું છે. મહિપતરામ નીલકંઠે અને કરસનદાસ મૂળજીએ ઇંગ્લેન્ડના પ્રવાસના સચિત્ર પુસ્તકો આપ્યા છે.  આ બંને પુસ્તકોમાં સમાયેલ સાંસ્કૃતિક નિરીક્ષણ અને સૌન્દર્ય માણવા જેવા છે. પદ્યપ્રવાસ વર્ણનની વાત કરીએ તો શિવલાલ ધનેશ્વરે પદ્યમાં 'કચ્છથી મહાબળેશ્વરનું પ્રવાસવર્ણન' કર્યું છે. ઓગણીસમી સદી પુરી થઇ અને વીસમીનું પ્રભાત ઉઘડયું ત્યાં તો વિશ્વ પ્રવાસના બે ઉત્તમ પુસ્તકો મળે છે. સુલેમન શાહ મહમદે 'પૃથ્વીની પ્રદક્ષિણા' નામે દુનિયાના નામી શહેરોનું રોચક અને સુંદર વર્ણન કરતો ગ્રંથ આપ્યો તો ગોંડલના મહારાણી નંદકુંવરબા ભગવતસિંહ જાડેજાએ કરેલ વિશ્વપ્રવાસનું વર્ણન 'ગોમંડલ પરિક્રમ'  અત્યંત વિસ્તૃત અને  રસપ્રદ છે. ધૂમકેતુ તેમના સંગ્રહ 'પગદંડી'માં નૈનિતાલ, દાર્જિલિંગ, ગિરનાર વગેરેનું પ્રકૃતિનિરૂપણ કરે છે. સૌંદર્યના કવિ સુન્દરમનું 'દક્ષિણાયન' ચિત્રાત્મક શૈલીમાં લખાયેલ, સૌંદર્યાભિમુખ સંસ્કૃતિ દર્શનનો ઉત્તમ પ્રવાસ ગ્રંથ છે. કનૈયાલાલ મુનશીએ 'મારી બિનજવાબદાર કહાણી' અને તેમના યુરોપ-પ્રવાસની વાતો અત્યંત રસાળ અને  સચોટ શૈલીમાં કરી છે. ગુજરાતમાં કલાગુરુ તરીકે ઓળખાતા રવિશંકર રાવળ તેમના ભારત, જાપાન અને રશિયાના પ્રવાસોનું વર્ણન 'કળાકારની સંસ્કારયાત્રા', 'દીઠાં મેં માનવી નવાં' અને 'કુલુનો પ્રવાસ'માં કરે છે. પ્રવાસ વર્ણનમાં એક નવી ઉંચાઈ આપણને કાકાસાહેબ કાલેલકરના 'હિમાલયનો પ્રવાસ' પુસ્તકથી પ્રાપ્ત થાય છે. કાકાસાહેબ હિમાલયના કણકણને માણી પછી 'હિમાલયનો પ્રવાસ' લખે છે. સંવેદનની સચ્ચાઈ એક-એક અક્ષરમાં અનુભવાય છે. જીવન સમન્વયના યાત્રી અને અઠંગ પ્રવાસી કાકાસાહેબે એટલો પ્રવાસ કર્યો છે કે એમના બે પગ સામે ચાર ટાયર પણ હારી જાય. હિમાલયના પ્રવાસનું વર્ણન એટલું રોચક છે કે વર્ણનના પ્રભાવમાં કાકાસાહેબની આંગળી પકડીને પ્રવાસે નીકળેલ વાચક ત્યાંનો ત્યાં રહી જાય અને કાકાસાહેબ વર્ણન કરતા-કરતા આગળ નીકળી જાય. 

કાકાસાહેબે હિમાલયનો પ્રવાસ ઉપરાંત 'ઉગમણો દેશ ઃ જાપાન', 'બ્રહ્મદેશનો પ્રવાસ' અને 'પૂર્વ આફ્રિકામાં' જેવા સુંદર પ્રવાસ વર્ણનો આપ્યા છે.  કાકાસાહેબના સહયાત્રી સ્વામી આનંદ હિમાલયના મોટા ગજાના અનુરાગી છે. તેમનું 'બરફ રસ્તે બદરીનાથ' એ 'ઍક્રૉસ ગંગોત્રી ગ્લશિયર્સ'નો ગુજરાતી અવતાર છે. કિશનસિંહ ચાવડાના પ્રવાસના કલાત્મક નિબંધો 'હિમાલયની પત્રયાત્રા'માં છે.કાલેલકર પછી પ્રવાસવર્ણનમાં સૌન્દર્યની અનુભૂતિ ભોળાભાઈ પટેલના વર્ણનોમાં જોવા મળે છે. ભોળાભાઈ પટેલના 'વિદિશા', 'દેવોની ઘાટી', 'દેવતાત્મા હિમાલય', 'કાંચનજંઘા', 'પૂર્વોત્તર', જેવા પ્રવાસવર્ણનના ગ્રંથો અત્યંત આકર્ષક છે. સ્વામી સચ્ચિદાનંદના પ્રવાસ વર્ણન આકર્ષક અને ઐતિહાસિક સંદર્ભોથી રસપ્રદ બન્યા છે. ચંદ્રવદન મહેતાએ જે ગઠરિયા બાંધી છે તેમાં ગઠરી પ્રવાસનિબંધોની પણ છે, જે 'સફર ગઠરિયા' તરીકે ઓળખાય છે. તો વળી આ શ્રેણીમાં અમૃતલાલ વેગડનું સૌન્દર્યની નદી નર્મદા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરિવેશમાં એક ઉચ્ચ કોટિનું પ્રવાસ વર્ણન આપે છે. 

સમકાલીન ગુજરાતી સાહિત્યમાં સ્વામી સચ્ચિદાનંદ, પ્રીતિ સેન ગુપ્તા અને ભારતી રાણેન પ્રવાસે નિબંધો આપણા ગુજરાતી સાહિત્યને અજવાળી રહ્યા છે.

એક સ્વીસ લેખક કહે છે કે જેમ અંધારી રાત્રે, અજાણ્યા પ્રદેશમાં ચઢાઈ કરવા જતી વખતે જાસૂસ, ભોમિયા અને નકશા કામ આવે છે, તેવી જ રીતે પ્રવાસવર્ણનના પુસ્તકો આપણા માર્ગને અજવાળે છે. ગુજરાતીમાં કહેવત છે ફરે એ ચરે એટલે જ  ગુજરાતીઓ નિત્ય પ્રવાસી છે. ઉછીના પૈસે પણ પ્રવાસ કરે એ ગુજરાતી છે. પરંતુ એને ઘરમાં હોટેલ જેવું અને હોટેલમાં ઘર જેવું જમવાનું જોઈએ છે. જ્યાં ગયા છીએ તેને જાણવાની અને માણવા માટેની આપણી ભૂખ ક્યારે ઉઘડશે?. આ પ્રવાસવર્ણનો એ આપણી ભૂખ  ઉઘાડવા માટેના એપેટાઈઝર છે એમ નથી લાગતું? 

અંતે, 

જીવનની યાત્રાના મુકામો કેટલા? આનંદથી પરમાનંદ સુધી... 

- દલાઈ લામા 

Tags :