Get The App

પહેલગામ ટેરરહોરર પછીના 'આફ્ટર થોટ્સ'!

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
પહેલગામ ટેરરહોરર પછીના 'આફ્ટર થોટ્સ'! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- શેરીના હડકાયા કૂતરા જેવા ત્રાસવાદીઓ બધે નડે છે, પણ એના ઉકેલ યુક્તિપૂર્વક લાવવાના હોય. ઈઝરાએલવાળી કરવાનું કહેનારા જોતા નથી કે ઈઝરાએલ પણ થાય એટલું લડે છે તો ય પૂરું સફળ નથી થતું.  કોઈ ન થઈ શકે. સિંહ શક્તિશાળી જ હોય પણ ઉંદરના શિકાર બિલાડી કરી શકે. સિંહ નહિ

મા ખનલાલ બિંદૂ (ફાર્મસીસ્ટ), વીરેન્દ્ર પાસવાન (પાણીપુરીવાળા), સતીન્દર કૌર (પ્રિન્સિપાલ), અરવિનંદકુમાર સાહ (રેંકડીવાળો), રાહુલ ભટ્ટ (રેવન્યુ કર્મચારી), રજનીબાળા (સ્કૂલ ટીચર), વિજય કુમાર (બેન્ક મેનેજર)...

આ બધા નામો પહેલગામમાં જેહાદી ઇસ્લામિક આતંકવાદીઓના હાથે મૃત્યુ પામેલા કમભાગી હિન્દુ પ્રવાસીઓના છે ? ના, આ ૨૦૨૧થી છેલ્લા ત્રણ વર્ષમાં અલગઅલગ ઘટનાઓમાં (નેચરલી, જેહાદી ત્રાસવાદીઓ એ જ) મારી નાખેલા કાશ્મીરી રહેવાસીઓના છે. પાછલા ઓક્ટોબરમાં સુરંગનું કામ કરનાર છ મજૂરો પણ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા. છૂટીછવાઈ 'મૂઠભેડ'માં સેનાના જવાનો/ અફસરો તો વીરગતિને પ્રાપ્ત થતા જ રહે છે. આ યાદી જહેમતથી વિદ્વાન હિન્દી લેખક નીરજ બધવારે એમના એક સ્પષ્ટ વૈચારિક ભૂમિકા મુકતા લેખ માટે બનાવ છે.

મતલબ, છૂટક છૂટક પણ જેમ પંડિતોને ટાર્ગેટ કરીને મારવા અને ભગાડવામાં આવેલા એમ કેવળ મઝહબપરસ્તી અને ધર્મદ્વેષથી કાશ્મીરમાં બિનમુસ્લિમોને મારવાનું ચાલુ જ હતું. અરે, છેક ૨૦૦૦ની સાલમાં અમેરિકાના તત્કાલીન પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન ભારત આવેલા (વાજપેયીના અણુધડાકા બાદ મોટી વાત હતી આ.) ત્યારે પણ કાશ્મીરમાં ત્રાસવાદીઓએ હૂમલો કરી ૩૫ લોકોને મોતને ઘાટ ઉતારી દીધેલા, જેમાંના મોટા ભાગના શીખો હતા એવું સ્મરણમાં છે. મારનારા ત્યારે પણ હથિયાર સહિત પાકિસ્તાનથી જ આવતા હતા, ને હવે તો પાકિસ્તાની પત્રકારોએ પણ સિદ્ધ કરી દીધું છે એમ વર્તમાન પહેલગામ એટેકમાં પણ દોરીસંચાર પાકિસ્તાનનો (વાંચો, પાકિસ્તાની આર્મીનો) જ છે.

પાકિસ્તાનને ટુ નેશન થિયરીની ભાગલા પછી પણ યાદ દેવડાવી, મઝહબ અલગ હોવાના નામે પાનો ચડાવતો વર્તમાન સેના પ્રમુખ આસિફ મુનિરનો વાઇરલ થયેલો વિડિયો જોયો હશે. હમણાં જ પેન્ટાગોન અને અમેરિકાના સુરક્ષા વિભાગમાં કામ કરી ચૂકેલા માકલ રૂબિનના લેટેસ્ટ સ્ટેટમેન્ટસ ન્યુઝમાં ચમકેલા. રૂબિને શબ્દો ચોર્યા વિના કહી દીધેલું કે, 'પાકિસ્તાની આર્મીના અત્યારના વડા આસિફ મુનિર અને કુખ્યાત જેહાદી ત્રાસવાદી ઓસામા બિન લાદેનમાં કોઈ ફરક નથી. હોય તો એટલો જ કે લાદેન ગુફામાં ભટકતો ને મુનિર પોતાના પરિવારને વિદેશ મોકલી, ખુદ મહેલમાં રહે છે. પણ લિપસ્ટિક લગાડવાથી ભૂંડ સુંદર ન થઈ જાય. (હા, રૂબિને જ આ કહ્યું છે.) આસિફનો એ જ હાલ થવો જોઈએ જે અમેરિકાએ લાદેનનો કર્યો !'

વેલ, લાદેન પરથી યાદ આવ્યું કે, ૨૦૦૧ના નાઇન ઇલેવનની ઘટના બાદ એવા મહાન નેતા કે સારા વક્તા ન ગણાતા ત્યારના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશનો એ સાંજે રાષ્ટ્રજોગ સંદેશ આવેલો. જેમાં એમણે કહેલું કે, 'આ (નાઇન ઇલેવન) આતંકવાદી હુમલો અમેરિકાના જ વિશ્વાસ પર હુમલો છે. અમે સુનિશ્ચિત કરીશું કે હવે પછી ક્યારેય આવું કોઈ ન કરી શકે. આવું બીજીવાર નહિ થવા દઈએ અને આના સૂત્રધાર ઓસામા બિન લાદેનને ગમેતેમ કરી પૃથ્વીના પટમાંથી શોધીને ખતમ કરીશું !'

વાતને અઢી દાયકા થવા આવ્યા. ભાષા- સંસ્કૃતિની મર્યાદા હોવા છતાં અમેરિકાએ એશિયામાં પગપેસારો કર્યો. ખુવારી વેઠીને ઓસામાને દફન માટે બે ગજ જમીન પણ ન મળે એવી રીતે પાકિસ્તાનમાંથી (બીજે ક્યાં હોય ?) શોધીને નેસ્તનાબૂદ કર્યો. એ અગાઉ અમેરિકામાં ઇવન એરપોર્ટ પર પણ આપણી ભાષામાં કહીએ તો 'રામરાજ' હતું. જે સીસ્ટમ આખી બદલાવીને આજ દિન સુધી છૂટક ઘટના કે આટકો ગોળીબાર સિવાય નાઇન ઇલેવનના સ્કેલની કોઈ દુર્ઘટના દુનિયા આખીના જેહાદીઓના નિશાન પર હોવા છતાં રિપિટ થવા દીધી નથી !

કબૂલ, અમેરિકા, રશિયા અને ચીન આ ત્રણે દેશોને આર્થિક ક્ષમતા, પ્રચંડ લશ્કરી તાકાત, શિસ્તબદ્ધ પ્રજા અને ખાસ તો વિશિષ્ટ ભૌગોલિક ફાયદો વ્યૂહાત્મક સ્થાને દેશો આવેલા હોઈને મળે છે. જે આપણી પાસે નથી પણ ખૌફ તો રહેવો જ જોઈએ. મોદી સાહેબે એક દસકામાં ઘણા ઇસ્લામિક દેશો સાથે આત્મીય સંબંધો બાંધ્યા છે. યુએઇએ તો પીઓકેને માન્યતા નથી આપી, એટલું આપણી તરફેણમા છે. પેલેસ્ટાઇનના વડાએ પણ ઇઝરાએલની જેમ પાકિસ્તાનની નાપાક હરકતો વખોડી છે. જોર્ડન તો પોતાને ત્યાં કટ્ટરવાદી વિચારો ફેલાવતા મુસ્લિમ બ્રધરહૂડ જેવા ઇસ્લામિક સંગઠનને પ્રતિબંધિત કર્યું છે. વાતાવરણ એટલું તો બદલાયું જ છે કે પહેલગામ બાદ એકી અવાજે ભારતીય મુસ્લિમોએ આ ઘટનાને વખોડી છે. શાહરૂખ, સલમાન, શમી, સિરાજ, જાવેદ અખ્તર, ઓવૈસી બધાએ જેહાદી ઇસ્લામિક સોચ પર લાનત વરસાવી છે. ઇમામોના સંગઠ્ઠને તો આવા કોઈ ત્રાસવાદીને જનાજા નીકળે કે એની વિધિઓ કરાવી એની જ ના ઇમામોને ફરમાવી છે. સામાન્ય મુસ્લિમ ભારતીય નાગરિક પણ એનો વાંક ન હોવા છતાં આ વખતે થોડો ખુલીને વિરૂદ્ધમાં બોલે છે. અમુક પાકિસ્તાની એક્ટર- ક્રિકેટરે પણ આ હુમલો વખોડયો છે.

નામ પૂછી, હિન્દુ હોવાની ખાતરી કરીે માર્યા એ સમાચાર પાકા થતાં ત્યાં સુધીના મેસેજ મુસ્લિમોમાં ફરતા થયા છે કે, કુરાનમાં એવી આજ્ઞાા છે કે યુદ્ધમાં ભાગ ન લેતા હોય એવા શત્રુ પક્ષના ગેરમુસ્લિમોને નુકસાન ન કરવું ને એમની રક્ષા કરવી એટલે આ પાપિયા હરામી આતંકવાદીઓને મુસ્લિમ ના કહેવાય. પણ જગત આખાનો અઢળક હૂમલાઓનો અનુભવ એવું કહે છે કે, આવું કહેનારા માનનારા કોઈ ક્રૂર નફ્ફટ ઘાતકી જેહાદી સંગઠ્ઠન માનતું નથી. સત્યશોધકો ઇસ્લામના ધર્મપુસ્તકોમાંથી જ અમુક વાતો એવી શોધી આવે છે, જે ત્રાસવાદીઓ માટે 'પ્રેરણાત્મક' હોય. અને ઉલટું એ બધા નકટા નાલાયકો અન્ય શાંતિપ્રિય, અમનપસંદ, ભાઈચારાવાળા મુસ્લિમોને જ મુસ્લિમ ન ગણતા હોય ! પાકિસ્તાનમાં જ પેશાવરમાં આર્મી સ્કૂલ પરનો હુમલો કે ઇરાન અફઘાનિસ્તાનમાં શાસકોએ પોતાની જ લિબરલ પ્રજા પર કરેલા દમન નજર સામે છે.

આ ચર્ચા ઓનલાઇન કરવામાં ઘણાને મફતની કિક લાગે છે પણ સાદીસીધી સમજણ એવી છે કે દુનિયામાં બધા લોકો, ભલે ગમે તેટલા આસ્થાવાન હોય પણ શબ્દશઃ જૂના ધર્મ પુસ્તકોના આદેશ મુજબ જીવી શકે નહિ, જીવતા પણ નથી હોતા. ધર્મના નામે અત્યાચાર એક સમયે ચર્ચના પણ ટેરરિઝમ જેવા જ હતા નિર્દોષોને મારી નાખવાના. આપણે ત્યાં જ્યોતિબા ફૂલે, બાબાસાહેબ આંબેડકર, સ્વયં ગાંધીજી જેવા ઘણાએ ભારતના સનાતન શાસ્ત્રો કે જાણીતા ગ્રંથોના અમુક ભાગ કે શ્લોક/ ચોપાઈ પર મુખર વાંધા ઉઠાવેલા જ છે. પણ, આગળ લખ્યું એમ બહુમતી જનતા ધર્મભીરુ, શ્રદ્ધાળુ ને મૌન હોય પણ કટ્ટર કે હિંસક નથી હોતી. એટલે તો આ લખાય છે ને વંચાય છે. બાકી જગતમાં માનવજાતનું ક્યારંનું ય ઉઠમણું થઈ ગયું હોત ! ક્યાંક નેકી ચડી જાય છે, પણ મુસ્લિમોએ સરાજાહેર ચર્ચા તો કરવી જોઈએ સુધારાવાદનો સ્વીકાર કરવા બાબતે.

પણ એ વાત સાચી કે અન્યોની સાપેક્ષે ઈસ્લામ પોતાની જડતાને જડબેસલાક આજે પણ વળગી રહેવાની કોશિશ કરે છે. ભારતમાં તો ઈશ્વરનો જ ઈન્કાર કરનારા બુદ્ધ, મહાવીર કે ચાર્વાક વગેરેને ભગવાન, ઋષિ, મહાત્મા વગેરે ગણાય એવી મોકળાશ સનાતન છે. (જે આપણું અનોખાપણું છે સાચવવા જેવું, ફગાવી દેવા જેવી નબળાઈ બિલકુલ નથી.) પણ ખ્રિસ્તી, યહૂદી, શિન્તો, જરથોસ્તી બધા ધર્મોએ છેલ્લી બે સદીમાં વિજ્ઞાાનના વિકાસ બાદ ઘણી ધાર્મિકતાના નામે વાહિયાત વાતો થતી હોય, એ કોરાણે મુકીને આધુનિક, સ્વતંત્ર, રસિક, શોખીન નવી પેઢી પેદા કરી છે. ત્યારે ઉલટા આઝાદખયાલ ગણાતા તુર્કી, ઈરાન, અફઘાનિસ્તાન જેવા દેશો વધુ કટ્ટર થતા ગયા. ઈસ્લામનો સુવર્ણયુગ જે કાળ ગણાય છે, એ પર્શિયા હોય કે સીરિયા કળા, સંગીત, શોધખોળ, સ્થાપત્ય વગેરેની ઉદારતાનો હતો. જે વહાબી કટ્ટરતાના પાછળથી ફેલાવા બાદ જગત કરતાં ઉંધા કાંટા ફેરવે છે. હમાસે પેલો ૭ ઓક્ટોબરે ઈઝરાએલમાં ટુરિસ્ટસ ઉપર આમ જ હુમલો કરેલો ને ! ભલે હવે સાઉદી ટુરિઝમને પ્રોત્સાહન આપે પણ પાકિસ્તાની મુલ્લા ફેકટરીમાં જે ઝેરીલી કટ્ટર ધાર્મિક સોચ ઘૂસી ગઈ છે, એ નવી નવી પ્રોડક્ટ બનાવ્યા જ કરે છે. કાશ્મીર સમસ્યા ૧૯૪૭થી હતી, પણ ઈસ્લામ એમાં સમસ્યા તરીકે ૧૯૯૦થી ઝિયાના પાપે પ્રવેશી ગયો છે.

પહેલગામ હુમલામાં પણ પહેલી વખત કાશ્મીરીઓ ભડકીને ભારતના સમર્થનમાં આવ્યા એનું કારણ પાકિસ્તાની મુલ્લાશાહીની એલર્જી નથી. પણ ફ્રાન્સ કે ઈઝરાએલ કે લંડન કે બેલ્જીયમ વગેરેની જેમ ટુરિસ્ટસ પર હુમલો થયો, એ છે. ખીણમાં ડાયરેક્ટ ધર્મના નામે પ્રવાસીઓ પર આ સ્કેલનો હુમલો અગાઉ થયો નહોતો. બધા એમ માનતા હતા કે છમકલા થયા કરે પણ પ્રવાસીઓને વાંધો ન આવે. એ ભ્રમ ખુદ કાશ્મીરીઓનો જ તૂટી ગયો, એનો આઘાત છે ! પણ તમે સાપ ઉછેરવા જાવ તો ક્યારેક ડંખ તમારે જ ખાવો પડે !

આમાં દબાતા સાદે સરકાર વતી મંત્રી કિરણ રિજ્જૂએ કબૂલ કર્યું એમ સુરક્ષાની બેદરકારી કે ચૂક તો છે જ. એક નાગરિક સિક્યુરિટીથી સુરક્ષિત નેતાઓની સામે હકથી આટલો સવાલ તો ઉઠાવી શકે. અગાઉના જમાનામાં તો રેલ્વેના મોટા અકસ્માત થાય તો પણ જવાબદારી સ્વીકારી મોટા ગજાના મંત્રીઓએ રાજીનામું આપવું પડતું. આ બે આંખની શરમ એટલી હદે ઘસાઈ ચૂકી છે કે રાજીનામું તો વિપક્ષો ય માંગતા નથી. પણ સાદો ખેદ પણ કોઈ સરાજાહેર પ્રગટ કરતું નથી કે ભૂલ થઈ ગઈ. સરકાર જ મોટે ઉપાડે ૩૭૦ (કલમ ૩૫એ) હટાવ્યા બાદ રાજ્યને એકદમ શાંત સુરક્ષિત જાહેર કરી પ્રવાસીઓને ઉમટી પડવા હાકલો કરે, ને એને 'નોર્મલ' કહી બધે પ્રમોટ કરે તો સરકારના ભરોસે ભોળા ભાવે પરિવાર સહિત બિચારા ભારતીય નાગરિકો અભૂતપૂર્વ રીતે ઠલવાવા લાગ્યા. હવે એમાં એમની સાથે આવું થાય ત્યારે રાજ્યનું સંકલન નહોતું કે એ વિસ્તાર તો ટૂર ઓપરેટરોએ ચાલુ કર્યો બાકી ત્યાં જવાની ઓફિશ્યલ પરમિશન નહોતી, આ બધા લૂલા બચાવ છે.

અરે, આ કાશ્મીર છે. વિશ્વના મોસ્ટ સેન્સેટિવ એરિયામાં આવે છે. વર્ષોથી સળગતી વિવાદી સરહદનો પ્રદેશ છે, જેના નામે ચાર યુદ્ધો લડાયા છે. ત્યાં ભલે ખુફિયા પણ સહેલાણીઓને આમંત્રણ આપો તો સુરક્ષાની બાજનજર તો હોવી જોઈએ ને. ટુર ઓપરેટરો ત્યાં લઈ જાય છે એ લબરમૂછિયા લુખ્યાલબાડ આતંકવાદીઓને ખબર હોય, ને સુરક્ષાદળો સમ ખાવા પૂરતા બે-ચાર જવાન પણ ના રાખે એટલી ખબર પ્રશાસનને ન હોય તો એમાં ખુલાસા ના હોય, દિલથી ખેદ હોય. પણ સિચ્યુએશન મેનેજમેન્ટને બદલે હેડલાઈન મેનેજમેન્ટની બૂરી આદત એટલી હદે ભાજપરાજમાં વકરી ગઈ છે કે સ્વાભાવિક આક્રંદ ને આક્રોશ પ્રગટ કરનાર કોઈ લાચાર વિધવા બહેન બીજે દિવસે ટોનમાં પાન પસંદની પ્રાચીન જાહેરાત જેવો યુ ટર્ન મારે, એ દબાણ જોઈને નેતાઓની આબરૂ વધતી નથી, ઘટે છે. તમામ ફોલ્ડરિયા ફાંકા મારીમારીને સતત નાગરિકહિતમાં કોઈ કશી સાચી વાત કરે પછી કોવિડ હોય કે માર્ગ અકસ્માત ત્યાં એમને દેશદ્રોહી, સનાતનટ્રોડી, પશ્ચિમના એજન્ટ, વામપંથી વગેરે લેબલ આપી કરડવા ને ચૂપ કરવા જ દોડે એમાં એ લોકો દેશભક્તના સ્વાંગમાં લુચ્ચા કે લુખ્ખા કે લપોડશંખ પક્ષભક્ત છે, ને સચ્ચાઈની નાગરિકહિતની ફરિયાદો કે સલાહો અવગણતા અસલી દેશદ્રોહી છે, એ ક્યારનું સાબિત થયું છે. પણ સહનશીલ બહુમતી વર્ગના પેટનું પાણી હલતું નથી. સત્યપાલ મલિક જેવા કાશ્મીરમાં કેન્દ્ર સરકારે જ નિમેલા કાશ્મીરના પૂર્વ ગર્વનરે પણ પુલવામાની સુરક્ષાચૂક બાબતે સવાલો પૂછેલા. એ ખોવાઈ ગયા, પણ જવાબો તો ના જ જડયા !

એટલે જ ક્રિકેટની ભાષામાં કટોકટી હોય ત્યારે જ પ્રશંસામાં જે દિમાગી સંતુલન ગુમાવ્યા વિના ન રમવા જેવા દડા છોડી, રમવા જેવા દડા ફટકારીને ધીરજથી પોતાની નેચરલ ગેમમાં ટકી જાય એ જીતી જાય. આવડી મોટી આતંકવાદી ઘટના બાદ તરત વળતો પ્રહાર ઉધાડેછોગ કોઈ કરે નહિ, કરાય નહિ. દુશ્મન ગાફેલ રહે, એની રાહ જોવી પડે. સંજોગો એવા છે કે બળથી કામ કરવા માટે પણ કળથી કામ લેવું પડે. ફુલફલેજડ બે એટોમિક પાવર વચ્ચેનું યુદ્ધ દુનિયાને અત્યારે ઓલરેડી બધું સળગે છે બીજે, ત્યાં પોસાય નહિ. (આ ઘડી ઘડી શરિયાની તસ્બી જપતા પાકિસ્તાને એના નામે અહમદીયા અણુવિજ્ઞાાની ડો. સલામને પરેશાન કર્યા, પણ શસ્ત્રો પાછા પશ્ચિમના યહૂદી-ખ્રિસ્તી વિજ્ઞાાનીઓએ શોધેલા વાપરવામાં મઝહબી આદેશો નથી નડતા, બોલો !) અમેરિકાના ટેરિફ પોલિસીના ફેરફારે અહીંની શેરબજાર પડી જાય એમાં જનતા બોકાસા પાડતી હોય છે, એ કીપેડ લઈને યુદ્ધ એ જ કલ્યાણના નગારા વગાડવા લાગે પણ યુદ્ધમાં મોંઘવારી વધે તો ખુદ સડક પર આવી જાય. પાકિસ્તાન તો આમે ફડતૂસ મુફલિસ છે, પણ આપણે અત્યારે યુવા વસતિ ધરાવતો હાઈટેક મેન્યુફચરિંગ હબ બનવા તરફ અગ્રેસર છીએ. કોવિડ પછી ચીન પર કોઈને ભરોસો નથી, ને ભારતની ઈકોનોમી વોરમાં જાય તો બહારી રોકાણ પર અસર આવે.

શેરીના હડકાયા કૂતરા જેવા ત્રાસવાદીઓ બધે નડે છે, પણ એના ઉકેલ યુક્તિપૂર્વક લાવવાના હોય. ઈઝરાએલવાળી કરવાનું કહેનારા જોતા નથી કે ઈઝરાએલ પણ થાય એટલું લડે છે તો ય પૂરું સફળ નથી થતું. કોઈ ન થઈ શકે. સિંહ શક્તિશાળી જ હોય પણ ઉંદરના શિકાર બિલાડી કરી શકે. સિંહ નહિ. ઈરાન ઈઝરાએલનો તમારો પણ બેન માપમાં છે ને બે કોરિયાનો પણ. આમે આર્થિક ગઠબંધનમાં અખંડ ભારત સંઘ થાય એ ઈચ્છનીય છે. આખા પાકિસ્તાન, બાંગ્લાદેશને ભારતમાં ભેળવો તો આમે નફરતી બહિષ્કારના મેસેજ ચાલુ છે. ત્યાં ભારતમાં ડબલ મુસ્લિમ વસતિ થઈ જાય ! અને લશ્કરમાં જવાનોની ભરતી પૂરતી નથી. એમ દેશમાં જનસંખ્યા સામે પૂરતી પોલિસ નથી. હિન્દુઓ મુસ્લિમ દેશોમાં જઈને રહે છે, તે આપણો મોટો વેપાર વહેવાર પણ એમની સાથે છે.

પણ પીઓકે કે ખાસ તો પાકિસ્તાનના નાકમાં દમ કરી એની આર્મીનું નાક કાપનારી બલૂચિસ્તાન મૂવમેન્ટને હવા આપી વધુ ટુકડા કરીને એલઓસીનું કાસળ કાઢી શકાય, જે આ મામલે સક્ષમ નેતાગીરીને કારણે ને પરિબળો સહિત ધ્યાનમાં હશે જ. આપણે ઉન્માદમાં આવી અંદરોઅંદર દંગાફસાદની હોળી ન સળગે એટલું જ જોવાનું છે. ત્રાસવાદીઓને એમાં ફાવતું જડે. ત્રાસવાદનું વૈચારિક યુદ્ધ જીતવાનો રસ્તો આધુનિકતા ને માનવતાના મોડલને સમર્થન છે. ભારતના હિન્દુ-મુસ્લિમ અવિશ્વાસની સમસ્યા જૂની છે, ને એમાં મદરેસાછાપ માનસિકતા મુસ્લિમો છોડે તો હિન્દુ સ્વભાવે ઉદારદિલ છે. પણ પ્રવાસીઓને બચાવનારા પેલા મરહૂમ સૈયદ હુસેન કે છત્તીસગઢના ભાજપી નેતાના માસૂમ બાળકોને બચાવનાર નઝાકત જેવા માનવતાના ઉદાહરણો ભલે હાઈલાઇટ થતા નહિ તો એનઆઈએ હમણા માલેગાંવ બ્લાસ્ટમાં ફાંસીની માંગ કરી ચૂકી એવા પૂર્વ સાંસદ પ્રજ્ઞાા કે ટ્રેનમાં આચકે થઈ મુસ્લિમોને ઝડપી મારનાર જવાન ચેતનસિંહ જેવા જ વધવા લાગશે, ને સનાતનનો વારસો છે કે ખલનાયક સામે લડતા લડતા એના જેવા કર્મ ન થાય એનું ધ્યાન રાખવું !

 ઝિંગથિંગ

मजहब बदलते रहते है

मगर मैने पैशा नहीं बदला

पहले दरवाजा बनाता था

अब ताबूत बनाता हूं ।

(कृष्ण कल्पित)

Tags :