Get The App

શરીરનો પોતાનો ધર્મ છે, જેના ભેદભરમનો મર્મ ધર્મગુરૂઓ પણ પામી શક્તા નથી!

Updated: Mar 26th, 2024

GS TEAM


Google News
Google News
શરીરનો પોતાનો ધર્મ છે, જેના ભેદભરમનો મર્મ ધર્મગુરૂઓ પણ પામી શક્તા નથી! 1 - image


- અનાવૃત-જય વસાવડા

-  પોતાની ખામીઓ અને બીજાની ખૂબીઓ બાબતે જેની પાસે સંતુલિત અભિપ્રાય હોય એનું જ મન સ્વસ્થ કહેવાય ને એ સ્વસ્થ તન તરફ લઈ જઈ શકે. 

''સ દ્ગુરૂજીને આઈસીયુમાં જોઇને અચાનક મને એમનું નાશવંત અસ્તિત્વ (મોર્ટલ એક્ઝિસ્ટન્સ) યાદ આવ્યું. જેનો મને કદી અગાઉ અહેસાસ જ થયો નહોતો. કે એ પણ આપણી જેમ જ હાડચામમાંસ રક્તના બનેલા છે. મને તો એવો આઘાત લાગ્યો કે જાણે ભગવાન ધરાશાયી થઇ ગયા, પૃથ્વી એની ધરી પરથી ગબડી પડી, આકાશે મને અટૂલી પડતી મૂકી ! જાણે માથું મારું ચક્કર ભમ્મર ફરવા લાગ્યું. આ વાસ્તવનો સ્વીકાર મારાથી થયો નહિ અને હું અચાનક ભાંગી પડી. મારાથી આ દર્દ સહન ન થયું એટલે લાખો ભક્તો સાથે હું શેર કરું છું. મારાથી આ જીરવાતું નથી. એ ઝટ સાજા થાય તો સારું, નહિ તો સૂર્ય નહિ ઉગે, ધરતી નહિ ફરે અને આ ક્ષણ થીજી જશે...''

સદગુરૂ જગ્ગી વાસુદેવના મગજમાં ક્લોટ હોઇને એમની બ્રેઇન સર્જરી થઇ, ડોક્ટરોએ તો 'હી ઇઝ હીલિંગ હિમસેલ્ફ'ની વાત કરી. પણ એ હીલિંગ ઘરે કે આશ્રમે બેઠાં થયું નહિ. એ માટે હોસ્પિટલમાં જઇને જે કોઈ ગુરૂઓને ઓળખતા નહોતા એવા વિજ્ઞાાનીઓએ શોધેલી પધ્ધતિ મુજબ સારવાર કરવી તો પડી. ત્યારે એ દ્રશ્ય જોઇને અભિનેત્રી કંગના રણૌતે આવી દિલની ભાવનાઓ એની સોશ્યલ મીડિયા સ્ટોરીમાં અંગ્રેજીમાં મૂકી જેનો ભાવાનુવાદ મૂક્યો છે.

વેલ, કંગના ભલે ગમે તે કહે એ જ લાખો મૃત્યુ થાય છે, કરોડો બીમાર થાય છે. સૂર્ય કે પૃથ્વી એમ કંઇ એનું કામ મૂકી દેતા નથી. એના ધર્મનું પાલન એ તો અવિરત કરવાના. રામ, કૃષ્ણ, બુધ્ધ, મહાવીર, જીસસ, મોહમ્મદ, નાનકદેવ કંઇક વિરાટ વ્યક્તિત્વો પગલા પાડીને જતા રહ્યા પણ આ બ્રહ્માંડની ગતિવિધિઓ કે ધરતીના ગુરૂત્વાકર્ષણથી પરિભ્રમણ સુધીના કશાને એનાથી ફરક પડયો નથી. આ ગ્રહ પર સજીવસૃષ્ટિ ખીલી ત્યારે સીધો માણસ આવ્યો નહોતો, એ જાણીતી હકીકત છે. માણસજાત ગાયબ થઇ જાય તો પર્યાવરણ ઊલટું વધુ શુધ્ધ થઇ જાય પણ ધરતીનો ગોળો ગબડી ન પડે !

ઠીક છે. આઘાતમાં વ્યક્તિ સંતાપપ્રલાપ કરી શકે. પણ આ જ અરસામાં બીજા સમાચાર એ આવ્યા કે કોરોના અને અન્ય બીમારીઓને જડમૂળથી મટાડી દેવાના દાવા કરતી અમુક દવાઓ બાબતે સુપ્રિમ કોર્ટે એસબીઆઈની જેમ જ બાબા રામદેવનો કાન આમળ્યો, ત્યારે એમણે કોર્ટમાં બિનશરતી માફી લખી નાખી. ચેલેન્જ ના લઇ લીધી ડાયાબીટિસ, કેન્સર કશું ય જડમૂળથી મટાડવાની. આમે સદગુરૂ પણ બ્રેઇન સર્જરી માટે એઇમ્સમાં જ દાખલ થયા પતંજલિમાં નહિ ! બાબા રામદેવજી પણ ઉપવાસમાં માંદા પડેલા ત્યારે હોસ્પિટલ ભેગા થયેલા ને આચાર્ય બાલકૃષ્ણજી પણ. અને આ યુનિવર્સલ છે.

દલાઈ લામા ધરમશાલા ખાતે બિરાજે છે. ત્યાં તિબેટીયન મેડિસીનની બોલબાલા છે.પણ વર્ષો પહેલા એમને કશીક તકલીફ હતી ત્યારે એ મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયેલા. બ્રિટનના માંડ કિંગ થયેલા ચાર્લ્સ તો આયુર્વેદમાં શ્રધ્ધા એવી રાખે કે એક સમયના આયુષ મંત્રી શ્રીપાદ નાયકે એમનું દ્રષ્ટાંત આપેલું. પણ નાયકજી ખુદ અકસ્માતગ્રસ્ત થયા કે હોસ્પિટલમાં હતા અને કિંગ ચાર્લ્સને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન અને સારવાર બેઉ ડોક્ટરોના હાથમાં છે. અરે, પોપ માંદા પડે તો પણ એમના હેલ્થ બુલેટીન મેડિકલ ડોક્ટરો આપે. ઇરાનના ખૌમેનીઓ હોય કે સાઉદીની સુલતાન, બધા વડેરા ઇસ્લામિક ધર્મગુરૂઓ પછી શિયા હોય કે સુન્ની, વોહરા હોય કે ખોજા કે બીજા કોઈ પણ બીમાર પડે ત્યારે હોસ્પિટલની મુલાકાત લેવી પડે. ભલે, આધુનિક પશ્ચિમી ચિકિત્સા માટે બધા દાન ફાળવે નહિ કે એ બનાવે નહિ ! આપણા બ્રહ્માંડનું સંચાલન કરવાની વાત જેમના માટે આસ્થાળુ ભક્તજનો કરે, એવા કંઇક ગુરૂઓ, સ્વામીઓ, બાબાઓ, બાપુઓ બધા જ બીમાર પડે ત્યારે હોસ્પિટલમાં જ જાય એવું નહિ, પણ બાયપાસ કે સર્જરી કે કિડની, કેન્સર,ની રિપ્લેસમેન્ટ જેવી સર્જરી પણ કરાવી લે. બીજાને જીવન આપી શકે એવા દાવા કરનાર ને ત્રિભુવનને જોવાની વાત કરનાર કંઇ દિગ્ગજો ખુદ પર આવે ત્યારે તબીબી સારવાર લેવા લાગે.

એકવાર પાણીના અને હૃદયની બીમારીના મુદ્દે જબરું સેવાકાર્ય કરી જનારા સત્યસાંઈબાબા હોસ્પિટલના બિછાને હતા ત્યારે ટીખળી ફિલ્મમેકર રામગોપાલ વર્માએ ટ્વીટ કરેલું કે 'અનુયાયીઓ જેમને ભગવાન માને એ માંદગીના બિછાને હોય તો હવે એમના સ્વાસ્થ્ય માટે કયા ભગવાનને પ્રાર્થના થઇ રહી છે ?' આરજીવીએ તો લાદેનના કમોત બાબતે પણ ઉઘાડે છોગ કહેલું કે ઘડીઘડી અલ્લાહનું નામ લઇ, એના સંદેશાના નામે ત્રાસવાદ ફેલાવનારનું અમેરિકન નેવી સીલ્સના કમાન્ડોએ ઢીમ ઢાળી દીધું તો કોઈ ચમત્કાર કેમ ન થયો ?

વેલ, આવી બધી વાતોમાં નાસ્તિકતાની ગંધ જેમને આવતી હોય એમણે ભારતીય તત્ત્વદર્શનનો અધૂરો અભ્યાસ કર્યો છે, કે એમાંથી પોતાનો સગવડિયો અહંકાર પોષ્યો છે, એવું કહી શકાય. વેદ-ઉપનિષદને સરખા સમજો તો એમાં જે પરમાત્મા, પરમેશ્વર છે, એનું મૂળ સ્વરૂપ બ્રહ્મ માત્ર સમજવા પૂરતું કહેવાયું છે. બાકી એ વ્યાખ્યા ન કરી શકાય એવું અનાદિ અનંત અસ્તિત્વ છે. જેને શરીર કે આકાર પણ નથી. એ અસલી પાવર સોર્સ, ધ ફોર્સ છે. પેલા અવતાર ફિલ્મના 'મા ઇવા' પ્રકારે. એને દેહ જ નથી, તો દેહની મર્યાદા ન હોય ને દેહધારી જે હોય એ માટે વિધિનું વિધાન સ્પષ્ટ છે : જાતસ્ય કી ધુ્રવો મૃત્યુ ! શરીર જેને છે, એને ક્યારેક તો નાશ છે જ. બિગિનિંગ છે, ત્યાં એન્ડ હોય. જન્મ છે, ત્યાં અવસાન હોય, હિન્દુ યાને ભારતીય તત્વજ્ઞાાન મુજબ તો દેવતાઈ અંશ સર્વત્ર છે. એકે એક મનુષ્ય શું, સજીવમાત્રમાં છે. પણ ફ્રિજમાં રહેલી ટ્રેમાં બરફ હોવાથી એ હિમાલય બની જતો નથી, એમ જ એને લીધે કોઈ દેહધારી ગમે તેટલા સાત્વિક અને મહાન હોય, સાધક, ઉપાસક કે પરમ વિદ્વાન હોય - ભગવાન બની જતા નથી. ભગવાન માનો તો પણ શરીરની મર્યાદાઓ એમને નડે જ છે. વૃદ્ધત્વ આવે છે, કરચલી પડે છે, ગલિતમ્ પલિતમ્ની માફક અંગો, ગાત્રો શિથિલ થાય છે. રોગ આવે છે, આંખે ચશ્મા કે મોતિયો અને દાંતે ચોકઠાં આવે છે. શરીર શરીરની ગતિમાં રહે છે, ઊર્જા ગુમાવે છે. ભલે ને આધ્યાત્મિક તેજ કે ઊર્જા પ્રચંડ હોવાના દાવા થયા કરે. આમાં ખરેખર જે સર્વશક્તિમાન અદૃશ્ય ઈશ્વર છે, એની સામે કોઈ સમ્રાટ કે કોઈ મહાત્મા કે કોઈ ધનકુબેરનું કશું ચાલતું નથી.

એક સમયે પોતાને ભગવાન કહેવડાવતા મેધાવી ઓશો રજનીશની કાયા પણ અકાળે કૃશ થયેલી. રામકૃષ્ણદેવ હોય કે રમણ મહર્ષિ, નરસિંહ મહેતા હોય કે ચૈતન્ય મહાપ્રભુ કોઈ અમરપટો લખાવી આવ્યું નથી. સ્વામી વિવેકનંદજી હોય કે સ્વામી સહજાનંદજી હોય, નીમકરોલી બાબા હોય કે શિરડીના સાંઈબાબા હોય. આવ્યા છે, એ જવાના છે - એ કુદરતી ધારો કોઈ માટે કદી અપવાદ કરતો નથી. ભલે, વિદાય બાદ પણ બધાની ચેતનાની અનુભૂતિ આસ્થાવાનોને થાય. એ અલગ વાત છે. પણ દેહત્યાગ તો થાય જ છે.

કલ્કિ અવતારના દાવાઓ કરનાર નોકરીની રજા માટે કોર્ટમાં જાય છે. એક વર્ષ પહેલા કેન્યામાં ભારે રમૂજી ઘટના બનેલી. યેસુ નામના એક ખ્રિસ્તી પાદરી હોવાનો ઓનલાઇન દાવો કરતા શખ્સે પાણીમાંથી સ્પર્શ કરી 'ચા' બનાવી દેવાનો ચમત્કાર દેખાડયો. પબ્લિકના ટોળા ભેગા કરવા એણે દાવો કર્યો કે એ સ્વયં જીસસ ક્રાઇસ્ટ છે. મસીહાનું પુનરાગમન છે. શરૂઆતમાં તો ગમ્મત થઈ પણ પછી કેટલાક મસ્તીખોરોના ટોળાએ કહ્યું કે આ સ્વયંઘોષિત પ્રભુ ઈસુને અમે ગુડ ફ્રાઇડેએ ક્રોસ પર ચડાવીશું ને ખીલા ઠોકી વધસ્તંભે મારીશું, પણ ચિંતા ન કરવી. એનાં મર્ડર જેવું કશું નથી. આ તો એના દાવા મુજબ સાક્ષાત મસીહા છે. એને કશું નહિ થાય. એ તો ત્રીજા દિવસે ફરી સજીવન થશે અને બધાને દર્શન આપીને સ્વર્ગારોહણ કરશે !

પેલા યેસુભાઈ તો ગભરાઇને વધુ કોઈ ચમત્કાર બતાવીને વિરોધીઓને ચકલી બનાવવાને બદલે પોલિસ ફરિયાદ કરી પોલિસ શરણે ગયા કે 'મારી જાનને ખતરો છે !' પોલિસે સુરક્ષાની ખાતરી આપી પણ પછી એમણે પ્રભુ હોવાના ગપાટા મારવાના બંધ કરી દીધા ! હજુ સરખા લાગણી દુભાઉ ભક્તો એમણે ભેગા નહિ કર્યા હોય, બાકી જેલમાં સજા કાપતા ધર્મગુરૂઓના પણ ઝનૂની બચાવ કરનારા આપણે ત્યાં છે જ. ઉપરવાળાએ કદાચ મનુષ્યની કસોટી કરવા જગત ઓટોપાયલોટ પર મૂકી દીધું છે. કુરાન કે ગુરૂ ગ્રંથસાહેબ કે ગીતા કે બાઈબલ કે તોરાહ કે અવેસ્તાના અપમાન માટે અનુયાયીઓ ઝગડીને રમખાણ મચાવી દેશે, મારામારી કરશે. પણ ગોડ, અલ્લાહ, ઇશ્વર, વાહે ગુરૂ જે નામે પોકારો તે, એ કદી કોઈને કશું કરતા કહેતા રોકતો નથી. બાકી એ ધારે તો ટીકાખોરોની સ્વરપેટી જ બંધ ન થઇ જાય ? એમના નામે અશ્લીલ નૃત્ય કરનારને ફ્રેકચર ન થઈ જાય ? લાદેન કે હિટલરને હાર્ટએટેક જ ન આવી જાય નિર્દોષોની કત્લેઆમ શરૂ થાય એ પહેલા !

હશે. શ્રદ્ધાળુઓ જ્યારે અંધશ્રદ્ધાળુ થઈ જાય ત્યારે પેટ ભરવા તણા પ્રપંચો નજર સામે દેખાતા હોવા છતાં કોઈ અખેદાસ સોનારાનાં ચાબખા એમને અસર કરતા નથી. પણ નજર સામે દેખાતું અફર, અમીટ, અનન્ય સત્ય એટલું જ છે કે શરીર સામે કોઈનું કશું ચાલતું નથી. ગમે તેવા પુણ્યશાળી સત્યનિષ્ઠ અહિંસાપ્રેમી મહાત્મા ગાંધીને ગોળી લાગે તો લોહી વહે જ છે, ને પ્રાણ ઉડે જ છે. અને વીસમી સદીથી આજ દિન સુધી જોઈ લો, બધા આગળ સારવાર કરાવે કે ન કરાવે, નિદાન પૂરતું તો એમણે મેડિકલ સાયન્સના જ શરણે જવું પડે છે !

ધેટ્સ ધ પોઇન્ટ. ડૉક્ટરો ધંધાદારી વેપારી છે, હોસ્પિટલોના સંચાલકો કસાઈ જેવા છે, ફાર્મા કંપનીઓના તરકટ છે, બધી જ ગોબાચારી છે એ કબૂલ. પણ એ મેડિકલ પ્રેકટિસમાં છે. મેડિકલ સાયન્સ જુદી માયા છે. કહો કે એક શાસ્ત્ર છે, બીજું એના આધારે રચાતું શસ્ત્ર છે. દુનિયામાં ઘણી ચિકિત્સાપધ્ધતિઓ છે. એલોપથી તો સૌથી યુવાન છે. આયુર્વેદ, યુનાની, ચાઈનીઝ, જાપાનીઝ, નેચરોપથી, હોમિયોપથી બધી જ છે. પણ જે કોઈ એવું કહે કે માત્ર અમારી કે આ પથી જ સર્વશ્રેષ્ઠ ને બાકી બધી ખોટી, ત્યારે એનો ભરોસો ન કરવો. આ નર્યું અભિમાન છે. કારણ કે, જેમ હન્ડ્રેડ પર્સન્ટ પરફેક્ટ શરીર ઉપરવાળાએ કોઈનું બનાવ્યંમ નથી, એમ કોઈ પથી સર્વાંગ સંપૂર્ણ ન હોઈ શકે. પરફેક્શન ઇઝ મિથ. પોતાની ખામીઓ અને બીજાની ખૂબીઓ બાબતે જેની પાસે સંતુલિત અભિપ્રાય હોય એનું જ મન સ્વસ્થ કહેવાય ને એ સ્વસ્થ તન તરફ લઈ જઈ શકે. પ્રાચીન ગ્રંથોમાં જે લખ્યું છે એને ઉંધુ ઘાલીને પરમ સત્ય માની, એની સમયના પરિવર્તન મુજબ સમીક્ષા સ્વીકારવાને બદલે આધુનિક તર્ક કે તથ્ય સંભળાવનારને કરડવા દોડે એ જ જેહાદી ત્રાસવાદીની માનસિકતા છે. જે ગ્લોરિફાઇડ પાસ્ટમાં ફિક્સ થઈ ગઈ છે.

એક વાર ભૂતકાળમાં હતું એ બધું શ્રેષ્ઠ તે પછી બધું નકામું એ માન્યતા ઘર કરી જાય એટલે જડતા શરૂ થાય. મૂળ તો અવનવી ચિકિત્સાની શરૂઆત જગત આખામાં આદિવાસીઓએ કરી. જંગલને એમણે ઔષધિ માટેનું જન્મસ્થાન બનાવ્યું. એટલે દરેક પથીમાં ક્યાંક ને ક્યાંક નેચર, હર્બલ એવું તો આવશે. જે સાચું પણ છે. પણ પછી એના મોડિફાઇડ સ્વરૂપ પણ હોય. કાચી હળદર ખાવાનો એક ફાયદો છે, અને એના ઉપયોગી અર્કને તારવી દવા બનાવવાનો બીજો જ ફાયદો છે. કેટલાક ચિત્તભ્રમિતો સતત કાચું એ જ સાચું કહીને રાંધેલા ખોરાકને ગાળો દીધા કરે છે. કેટલાક દૂધને વિલન માને છે. કેટલાકને માંસાહાર સામે સૂગ છે, કેટલાકને શાકાહાર સામે એલર્જી છે. બધા પોતાની પાસે અંતિમ ઉકેલ હોય એવા દાવાઓ કરે છે. પણ શરીર એક અજીબ રહસ્યકથા છે. રાંધેલું શું, તીખુંતળેલું ગળ્યું ખાનારા, વ્યસનો કરનારા પણ તાસીર મુજબ જીન્સ મજબૂત હોય તો લાંબુ સ્વસ્થ જીવે છે, એન્ડ વાઇસાવર્સા. એટલે કોઈ એક ફોર્મ્યુલા શરીરને લાગુ પડતી નથી. હમણા ૪૫ વર્ષે એઇટ પેક બોડી ધરાવતા અને રોજ ૧૦૦ કિમી સાઇકલિંગનો રેકોર્ડ બનાવનાર ભારતીય એથ્લીટ હાર્ટએટેકમાં ગુજરી 

ગયા ! એ અનિલ કડસૂરના ન્યૂઝ 

જૂના થયા ત્યાં ઝીરોધાના નિખિલ કામત બીજાઓને વિડિયોમાં ફિટનેસ- ટિપ્સ આપતા આપતા સ્ટ્રોકમાં પોતે ભેરવાઈ હોસ્પિટલના બિછાને સૂઈ ગયા ! અંતે શરણું તો બધા એલોપથીનું લે છે, કારણ કે એ એવિડન્સ બેઝ્ડ સાયન્સ છે. જેનું ઇવોલ્યુશન થયા કરે છે. નવા સંશોધનો ને સાધનો બે સદીથી એમાં જ આવ્યા છે. ૧૬ કલાક ભૂખ્યા રહેવાના ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગનું ડાયેટ આવે, તો એને તોડી પાડતો ૨૦,૦૦૦ લોકોનો સર્વે પણ ત્યાંથી આવે છે કે એમાં હાર્ટ એટેકનું રિસ્ક વધે છે ! કોઈ ડિટેકટીવ બોડીની મિસ્ટ્રી પૂરી ઉકેલી શકતો નથી ! બધું ખાવ, પણ વિવેકથી માફકસર ને શરીરને શ્રમ કરી એ પચાવો એક જ જનરલ હેલ્થ ટિપ યુનિવર્સલ છે. બાકી માત્ર ખર્ચાળ હોય કે ટેસ્ટસથી માઠા સમાચાર આપે એટલા માત્રથી એલોપથીને વખોડયા કરવાનો અર્થ નથી, જો એના જ ખાટલે સૂવાનું આવતું હોય તો બધી પથીની સારી બાબતો એની સાથે જોડવી એ ઉકેલ સાચો !

ઝિંગ થિંગ

''શરીર તો ગર્લફ્રેન્ડ જેવું છે. જો સરખી રીતે સાચવીને સાંભળશો તો એ પોતે જ તમને એના વિશે કહેશે. (ડૉ. મુકેશ બાવિશી)''

Tags :