પ્રજાસત્તાક ભારતનું સત્વ અને મહત્ત્વ પોણી સદીની આઝાદીએ સમજાય છે ?
- અનાવૃત-જય વસાવડા
- આપણને બંધારણ મુજબની વ્યવસ્થા મળી પણ ગાંધીજીનું એ માટેની માનસિકતા તૈયાર કરવાનું સપનું અધૂરું રહ્યું. દેશ જે રીતે 'એકરસ' થવો જોઈએ, એ થયો નહીં
- પ્રજાસત્તાક ભારતમાં સામાજિક સુધારા માટે યોગ્ય રીતે જ તરત હિન્દુ કોડ બિલ લઈ સંકુચિત પરંપરામાંથી કાનુની મુક્તિ ને અધિકાર આપનાર નેહરુ મુસ્લિમો ને અન્ય ધર્મો માટે એમના પર્સનલ સાયન્ટિફીક ટેમ્પરામેન્ટને અનુરૂપ સોશ્યલ રિફોર્મ્સ બિલ ન લઈ આવ્યા
- એ સમયના પ્રજાસત્તાક ભારતના ગાંધીમય શિલ્પીઓ પાસે કરવા જેવા કામો ને પ્રોફેશનલ કરિઅર- આવક હતી. એ છોડીને ખાદી, જેલવાસ, ગ્રામ સ્વાવલંબન, સ્વાશ્રય વગેરેમાં આવ્યા
ડો. પુરૂષોત્તમ અગ્રવાલ ભારતીય સાંસ્કૃતિક ધારા અને વૈશ્વિક આધુનિક પ્રવાહો બેઉના ખુલ્લા મનના વિદ્વાન એવું એ કોમ્બિનેશન ધરાવતા રિયલ સ્કોલર. એમણે એક સાક્ષાત્કાર (ઇન્ટરવ્યૂનું હિન્દી લ્યા !)માં એ જ્યારે કલેક્ટર, પુલિસ કમિશ્નર જેવા પદો નક્કી કરતી સિવિલ સર્વિસ (યુપીએસસી)માં એ હતા, ત્યારના ફાઇનલ ઇન્ટરવ્યૂનો અનુભવ વર્ણવેલો.
ઓલરેડી પ્રિલિમ્સ, મેઇન્સ પાસ કરેલો યુવા ઉમેદવાર અર્થાત જે સાવ ડબ્બો નથી, જેણે વાંચ્યું વિચાર્યું હોય, ઇતિહાસ ને વિજ્ઞાાનનું જનરલ નોલેજ હોય, પરીક્ષાઓ ઉચ્ચ સ્તરીય પાસ કરી હોય, અંગ્રેજી ફાવતું હોય (એમાં ઇન્ટરવ્યુ દેવા આવેલો) એવો નાગરિક એ એક સવાલના જવાબમાં એક દસકા પહેલા ખિલ્લી ઉડાડતો હોય એવા વ્યંગમાં બોલ્યો, 'ધેર ઇઝ ટુ મચ ડેમોક્રેસી ઇન ઇન્ડિયા' (ભારતમાં લોકશાહીનો અતિરેક છે) એની કોમેન્ટ સાચી ગણો તો ય સવાલના સંદર્ભમાં એનો ટોન આઝાદી સમયના આગેવાનોના ઉપહાસ (ઠેકડી યુ નો ?) નો હતો. એના મતે રાજાશાહી જેવી કઠોર શાસન વ્યવસ્થા આવશ્યક હતી એ સમયે.
આમે ય આઝાદ થયું ત્યારે ૭૫ વર્ષ પહેલા પબ્લિકને તો રજવાડાઓની જ આદત હતી. ગાંધીજીની નામરજી છતાં પ્રજાના સેવક કહેવાતા શાસકો ફરતે વીઆઇપી કલ્ચર એટલે જ એમની નજર સામે લોકોમાં જ સ્વીકૃત હતું. કાયદાના ભયથી નહિ, જૂની ટેવ મુજબ પેઢી દર પેઢી સાહેબ લોકથી ડરવાનું ને ઝૂકવાનું જ પ્રજાના લોહીમાં છે. હીરો વર્શિપ યાને વ્યક્તિની ભક્તિભાવે પૂજા તો આપણા ડીએનએના ન્યુક્લીયસ/ કોષકેન્દ્રમાં હાડોહાડ છે એટલે લોકો માટે તો નવી સ્વતંત્ર ભારતની સરકાર એટલે 'તાજપોશી' જ હતી, નવા રાજાની.
અને ધીરે ધીરે એવું જ થયું. નવા રજવાડા જ્ઞાાતિના, પ્રાંતના, ભાષાના અલગ અલગ સાંસ્કૃતિક- પ્રાદેશિક ઓળખના ને વગદાર પરિવારોના ય રચાયા. નેપોટિઝમ ઉર્ફે વંશવાદ વાળો આખો શબ્દ જ સેક્યુલરની જેમ પરદેશી છે, જેનો કોઈ ભારતીય ભાષામાં ઢંગનો સમાનાર્થી શબ્દ નથી. કુળપરંપરા રાજાશાહીમાં સ્વીકૃત ધોરણ ગણાય. ભારત જ નહિ, દરેક ધર્મ ને દેશના ઇતિહાસમાં એટલે દક્ષિણ હોય કે ઉત્તર, પશ્ચિમ કે પૂર્વ- ભારતભરમાં પોલિટિક્સ, બિઝનેસ એન્ટરટેઇન્મેન્ટ અરે મેડિકલમાં પણ કૌટુંબિક વારસાઈથી પિતા/ માતાના પંથે સંતાનો ગાદીએ ગોઠવાઈ જાય, સંતાનો શું પત્નીઓ ને ઉપપત્નીઓ ય ગોઠવાઈ જાય, ભત્રીજા- ભત્રીજી ય બેસી જાય એ સાહજીક છે. કોઈ પક્ષ કે ગમે તેવા આધુનિક દિમાગો ય એમાંથી બાકાત નથી. એમ તો અમેરિકામાં ય બુશ, કેનેડી, ક્લિન્ટન બધા પરિવારો રાજનીતિમાં આગળના સ્થાને રહ્યા જ છે. રશિયાના પુતીનના વૈભવી ખાનગી મહેલની તસવીરો આવી જ છે. શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા ઉપરઉપરથી લોકશાહીનો દાવો કરનારા પાડોશીઓમાં ય આ જ હાલત છે. યુએઇ, સિંગાપોર જેવા આધુનિક ગણાતા ઘણા દશો વારસાઈ રિમોટ કંટ્રોલ પર ચાલે છે.
આપણે ત્યાં આ હોવા છતાં, રહેવા છતાં સામા પૂરે તરીને આઝાદીના લડવૈયા ને ઘડવૈયાઓએ ભારતને રિપબ્લિક બનાવ્યું યાને પ્રજાસત્તાક. ગ્રીસમાંથી આ શબ્દ આવ્યો પ્લેટોના પુસ્તકો દ્વારા. જે મોડેલ ત્યાં અપનાવાયેલું ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ શાસકને દોરવણી આપે ને રાજકીય કે વહીવટી નિર્ણયોમાં પ્રજાનો, સામાન્ય માણસોનો જેની પાસે નંબર્સ ગેઇમમાં બહુમતી ન હોય પણ સૂચન કે ફરિયાદમાં વજૂદ હોય એવાઓનો અવાજ ટોચ પર પહોંચાડે. એ રીતે શાસન લોકાભિમુખ રહે ને કોઈ અચાનક ગુણિયલ, શાણા, વિદ્વાન, આકર્ષક, દીર્ઘદ્રષ્ટા રાજવી આવે તો ને ત્યારે ઉદ્ધાર થાય એની રાહ ન જુએ.
તક જોરદાર હતી આપણા પૂર્વસૂરિઓ પાસે. લોકો પર જબ્બર પ્રભાવ હતો. સાંસ્કૃતિક વૈવિધ્ય છતાં એક નામ ભારતથી ઓળખાતો દેશ રાજકીય રીતે અગાઉ અખંડ નહોતો. છુટા છુટા વંશો જ પરંપરાથી રાજ કરતા. એક જાય, તો બીજા ગોઠવાતા. ભારતના જ અલગ અલગ ભૂભાગના હિન્દુઓ, બૌદ્ધો, શીખો, આર્યો, દ્રવિડો હોય કે બહારના વિધર્મી- મોડેલ આ જ હતું. આજના જેવો કોઈ નકશો જ નહોતો. પાર્ટિશન શબ્દ અંગ્રેજોના રાજ્યમાં પ્રયોજાયો. બાકી અગાઉ એક બંધારણના સૂત્રે પરોવાયેલો દેશ નહોતો. એ થયો ૨૬ જાન્યુઆરી ૧૯૫૦માં. સંવિધાન, ધ્વજ ને લોકશાહી ચૂંટણી પરંપરા સાથે ન્યાયાલય, સંસદ, વિધાનસભા અને પ્રજાકીય વડા નીચે લશ્કરી તાકાત હોય એ આયોજન સાથે. તમામ નાગરિકને સરખા સમાન અધિકાર હોય એ સાથે. ધર્મ કે સત્તા કે પૈસા કોઈ પણ પાવરના જોરે કોઈ નબળા, ગરીબ, એકલા, અશક્ત, લાચારને દબાવી ન જાય, ને એ વટભેર ન્યાય માંગી શકે ને રાષ્ટ્રમાં કશું ય કોઈની ખાનગી જાગીર ન ગણાય ને સમાન તક- હક મળે એ માટે.
સુભાષબાબુ- ભગતસિંહ- આઝાદ જેવા ક્રાંતિકારીઓ હોય કે ગાંધી- નેહરૂ- સરદાર જેવા જન આંદોલનકારીઓ હોય કે ડો. આંબેડકર, ગુરૂદેવ ટાગોર, વિનોબા ભાવે કે ડો. લોહિયા, અન્સારી સરીખા સ્કોલર્સ/ તજજ્ઞાો હોય- અનેક બાબતે એકબીજાના વિરોધ ને ટીકા છતાં એ સહુ ભારતના આ મોડલ માટે સહમત હતા. જે ફ્યુડલ નહોતું. સામંતી પ્રથાને બદલે નૂતન આદર્શોવાળું હતું. બધાના 'આઇડિયા ઓફ ઇન્ડિયા'માં જનહિત સર્વોપરિ હતું. આધુનિકતાની આશા માત્ર પ્રાચીન ધાર્મિકતાના પ્રભાવના બદલે હતી. કામ નેવર બિફોર હતું એટલે તો પ્રાણ આપીને ય સ્વતંત્રતા મેળવવાની લગની લાગેલી હતી. અઘરું અને અભૂતપૂર્વ હોય એ જ આકર્ષક ને અણમોલ લાગે !
અને બીજા બધા વિકલ્પો મુસ્લિમ લીગ કે હિન્દુ મહાસભા (બીજા વિશ્વયુદ્ધમાં આ એકબીજાની મિરર ઇમેજ જેવા કટ્ટર આ બેઉ અંગ્રેજોની તરફદારીમાં હતા ન હિન્દ છોડો આંદોલનમાં સ્વદેશી આઝાદીની ચળવળમાં જોડાયા જ નહોતા !) જેવા ધાર્મિક ઇગો આગળ કરતા સંગઠ્ઠનો, પ્રાંતિક પ્રાદેશિક અસ્મિતાને ફગાવીને પણ આપણા જ પારિવારિક પૂર્વજોએ આ પ્રજાસત્તાક ભારતની આઝાદીની તરફેણ કરેલી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ય એ માટે જ મત આપેલો. ક્વીટ ઇન્ડિયા મૂવમેન્ટ પણ એ જ રીતે અસહકારથી જોડાઈ સફળ બનાવેલી, ને ભાગલાવાળી રક્તરંજીત આઝાદી પછી ય ઉપરાછાપરી આ જ વિચારને ચૂંટણીમાં મત આપી મૂળિયા મજબૂત બનાવેલા. ઇવન આ રાષ્ટ્રભાવનામાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી કે પાજોદ નવાબ રૂસ્વા મઝલૂમી જેવા અનેક સંવેદનશીલ ને સમજદાર ગાદીધારી શાસકો ય સામેથી જોડાયા હતા એમનો પ્રભાવ ને ખજાનો છોડીને. જે નહોતા જોડાયા એ સરવાળે એકલા પડી ગયેલા કારણ કેબધે જનમત એમની નવાબી/ રાજાશાહીની વિરૂદ્ધમાં હતો ને સરદાર સાહેબનું કામ એટલે આસાન થઈ ગયું.
ને આમ ભારત માત્ર 'ઇન્ડિપેન્ડન્ટ' (સ્વતંત્ર) જ નહિ, પણ 'રિપબ્લિક' (પ્રજાસત્તાક) પણ બન્યું, જે સાવ નવી રોમાંચક શરૂઆત હતી. હજારો વર્ષોના વારસામાં આટલા મોટા સ્કેલ પર ! એટલે તો ગણતંત્ર દિવસ આટલા ઉત્સાહથી મનાવવાનો ધારો પડયો. આઝાદી કરતાં ય સંવૈધાનિક વ્યવસ્થાનું મૂલ્ય અનેરું હતું. કારણ કે એના વિના આઝાદી જ ટકે એમ નહોતી. બહુ બહુ તો ભારત ચાલીસ- પચાસ મોટા રજવાડાઓનું યુનિયન બનત સોવિયેટ સંઘની જેમ પણ એક ટીમ ઇન્ડિયાનો આગવો દેશ નહિ ! ત્યારના માહોલમાં ઉત્સાહ શિક્ષણ ને 'સીસ્ટમ' મુજબ જીવવાની આદતનો હતો. એટલે તો 'ટ્રાન્સફર ઓફ પાવર'માં ૧૯૪૭થી ૧૯૫૦ના ત્રણ વર્ષ વીત્યા. એક ઘર બદલવું હોય તો ય કેટલી વાર લાગે. એક બેન્ક એકાઉન્ટ બીજે ટ્રાન્સફર કરવું હોય તો ય લખાપટ્ટીઓ કરવાની થાય. આ તો નવેસરથી ઘર બનાવવાનું હતું. એટલે તત્કાલીન પ્રજાનો વિશ્વાસ ધરાવતા નેતાઓએ ધીરજ ને કુનેહથી કામ લીધું. તોફાન કરવાને બદલે કાગળ પર પ્રક્રિયાનો એવો જ અભિગમ ધરાવતા અંગ્રેજો સાથે કરી. આફ્ટરઓલ, બધા જ બ્રિટિશ એજ્યુકેશન સિસ્ટમમાં જ ઘડાયેલા હતા એક પણ આઝાદીના એવા લડવૈયા ગાંધીવિચારથી ભિન્ન ટિળક, સાવરકર, ઉધમસિંહ, મદનલાલ ઢીંગરા, ચિત્તરંજન દાસ, રાસબિહારી બોઝ, ગોખલે, ઝીણા, અશફાક પણ અભણ નહોતા. અંગ્રેજ તાલીમ નીચે જ ભણેલા.
એટલે બધું 'ધોરણસર' થયું. અન્ય કોમનવેલ્થ (બ્રિટિશ શાસિત દેશો જે પછી મુક્ત થઈને એક ક્લબ બનાવી તે) દેશો કરતા ભારતની આઝાદીની પ્રક્રિયા ને એ માટે બ્રિટનમાં પસાર થયેલો ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ એક્ટ જુદો હતો. એટલે પેલી નવ્વાણુ વરસના લીઝ કે હજુ ખાનગીમાં વિલાયતી રાણી રાજ કરે છે વાળી ધાપબાજી કોરી ગઈ જ છે પણ એ બધી કથા નિરાંતે. ૨૬ જાન્યુઆરીના રોજ જ ૭૨ વર્ષ પહેલા બ્રિટીશ વાલીપણા (ડોમિનિયન)માંથી શબ્દશઃ કાયદેસર મુક્ત થયું ને વાસ્તવિક અર્થમાં સ્વરાજ માટે પગભેર એવું સ્વતંત્ર થયું એનો આ ઉત્સવ છે.
ને હોવો જ જોઈએ પેલા બટકબોલા ભાવિ અફસર એવા જવાન ઉમેદવારને અગ્રવાલ સાહેબે ટપાર્યો કે, 'તમે ભારત સરકારની જ નોકરી માટેની મુલાકાતમાં ભારતના વર્તમાન કે પૂર્વ વડાપ્રધાનની ટીકા અને સમીક્ષા કરી શકો છો પણ આવું ચીનમાં માઓ વિશે બોલી શકશો આજે ય ? ૧૯૯૧ પહેલાના રશિયામાં લેનિન વિશે બોલી શકાતું ? પાકિસ્તાનમાં કાયદે આઝમ કહેવાતા ત્યાંના કથિત રાષ્ટ્રપિતા ઝીણા બાબતે કહી શકો ? તમને જે લોકશાહીનો અતિરેક લાગે છે, એને લીધે તો મનમર્જીયા મુજબ જીવવા- બોલવા- વર્તવાની છૂટ મળી છે પણ એ માટે કામ કરનારા લોકો એટલા ઉંચેરા હતા કે આ બાબતની ક્રેડિટ એમણે લીધી નહિ, એમાં પેઢીઓ ભૂલી ગઈ !'
આ વાત કરતા કરતા અગ્રવાલ સાહેબે એ મતલબની ચૂટકી લીધી કે અત્યારે તો એટલી આળી લાગણીઓ દુભાવા માટે તૈયાર થઈ ગઈ છે કે વર્તમાન રાજકારણ વિશે વધુ પડતું ખૂલીને બોલવાવાળા કેસના ચક્કરોમાં ફસાય કે ઓનલાઇન ટ્રોલ થઈ જાય. પછી સાચવી સાચવીને જોખતા તોળતા સર્વાઇવલ માટે શીખી જવું પડે પણ પછી અગત્યની એક નોંધ લીધી ખુદ નેહરૂ પર સરસ પુસ્તક (કૌન હૈ ભારત માતા) લખ્યું હોવા છતાં અસલી સત્યશોધક શિક્ષકને છાજે એમ કહ્યું કે, આપણને બંધારણ મુજબની વ્યવસ્થા મળી પણ ગાંધીજીનું એ માટેની માનસિકતા તૈયાર કરવાનું સપનું અધૂરું રહ્યું. દેશ જે રીતે 'એકરસ' થવો જોઈએ, એ થયો નહીં.
પણ એ ભૂમિકા પહેલા યાદ કરવું જોઈએ કે વર્ષોના શોષણ, અરાજકતા, સામાજિક ભેદભાવ, ઉંચનીચ, અસ્પૃશ્યતા, નિરક્ષરતા, ગરીબી, ગુલામીના લીધે શરૂઆતમાં આપણી પાસે જમા સિલક ઓછી હતી. આર્થિક તો ઠીક બધી જ રીતે લાંબી લડત ચાલેલી. થાક ઉપફરાંત એમાં અચાનક વિભાજનની પીડા ભળેલી. ધાર્મિક અને જ્ઞાાતિવાદી વાડાબંધીના વિખવાદ હતા. પુરાતનને નૂતન કરતા શ્રેષ્ઠ માનનારા મિથ્યાભિમાનીઓની કમી નહોતી. આજે અમુક બાબતો આપણને સમજાય, એ ત્યારના વાતાવરણમાં જઈને જોવી પડે. આજ જેટલી ફ્રીડમનો અનુભવ કોઈનો નહોતો. ટેક્નોલોજીની કલ્પના જ નહોતી. રિવાજોને પ્રથાઓનું મહત્ત્વ આજે ય ચુસ્ત છે, તો ત્યારે તો કઈ હદે હશે ? અમુક કડવાશ આજે ભૂતકાળના અનુભવે જે આપણામાં છે, એ ત્યારે એ અનુભવો હતા જ નહિ તો હતી જ નહિ. બીજા વિશ્વયુદ્ધ પછી પ્રભાવશાળી પશ્ચિમી જગતમાં ય વિશ્વશાંતિનો સદ્ભાવી માહોલ હતો. હિટલરે ગૌરવશાળી સનાતન 'બ્લ્યુ બ્લડ'ના રોયલ અહંકારમાં ચોક્કસ ધર્મ (યહૂદી- જે પણ જબરા રૂઢિચુસ્ત હતા ત્યારે અંગત જીવનમાં)ને ટાર્ગેટ કરી ભયાનક હિંસાચાર કર્યો. પછી રાઇટ વિંગ ફિલોસોફી, પોલિટિકલ એન્ડ આર્ટમાં જે હજુ ય ઝળકે છે એટલે ત્યાંના મીડિયાને કાયમ બીજો સરમુખત્યાર પેદા ન થાય, એની આંતરરાષ્ટ્રીય બીક રહે છે ને સૈદ્ધાંતિક રીતે મૂડીવાદી દેશોમાં ય રાઇટ વિંગનો વિરોધ રહે છે.
પણ તો ય ભારતે ઘણું કર્યું. પ્રજા તો કોવિડકાળ પછી ય સુધરી નથી, એવી જ હતી ને એવી જ રહી છે. એની જોડે કામ લેતા, ને લોકશાહીમાં જનતાની જાગૃતિના સમપ્રમાણમાં જ નેતાઓની ગુણવત્તા રહે એ મર્યાદા છતાં ભારત ટટ્ટાર બન્યું ને ટક્યું. બિઝનેસ હાઉસ બન્યા, મોટા પ્રોજેક્ટ થયા. શ્વેતક્રાંતિ ને હરિતક્રાંતિ ઝભ્ભા- લેંઘા પહેરીને ફરતા સ્વપ્નદ્રષ્ટા લોકોએ કરી બતાવી. શિક્ષણ સંસ્થાઓથી મલ્ટીપ્લેક્સ સુધી વિકાસ થયો. ઇન્ટરનેટ, ફેશન, સંગીત, રમતગમત, એરપોર્ટ, રેલવે, સડક બધું વિસ્તર્યું. ભ્રષ્ટાચાર તો આદત છે, ગયો નહિ પણ સવાલો પૂછતું મીડિયા ને ઉપલા લેવલે ન્યાય તોળતી કોર્ટ બની જેમાં સામાન્ય માણસને ભરોસો છે.
હજુ ય ગમે તેટલા કદાવર જોરાવર નેતાઓને ય ચૂંટણી આવે ત્યારે પ્રચાર માટે પ્રેશર આવે છે. રાહતો, યોજનાઓ, લોકલુભાવન સભાઓ, વચનો પ્રવચનો કરવા પડે છે. સાંઠગાંઠ ને ખરીદ વેચાણ પણ ! જે અલ્ટીમેટલી, રિપબ્લિકમાં પબ્લિક પાસે રહી ગયેલી તાકાત છે.
જેનો પાયો મજબૂત છે, મૂલ્યોથી સીંચાયો છે, માનવતાથી ચણાયો છે. એટલે ઊપર આ ઇમારત આટલી ઉંચી થઈ ને નક્કર બની છે. એ સમયના પ્રજાસત્તાક ભારતના ગાંધીમય શિલ્પીઓ પાસે કરવા જેવા કામો ને પ્રોફેશનલ કરિઅર- આવક હતી. એ છોડીને ખાદી, જેલવાસ, ગ્રામ સ્વાવલંબન, સ્વાશ્રય વગેરેમાં આવ્યા. મેળવવાનું નિશ્ચિત ત્યારે નહોતું પણ છોડવાનું ને સહન કરવાનું નિશ્ચિત હતું લડત અહિંસક કોઈને શરમેધરમે અંગ્રેજોએ હિંસક પ્રતિભાવના બદલે જેલમાં ય લેખન- વાચન જેવી સુવિધા આપવી પડે ને કોરડા કરડા વીંઝી ન શકે એ તો સ્ટ્રેટેજી, પણ દરેકને છેવાડાના માણસ માટે કશુંક કરવાની તમન્ના હતી, એમાં વિચારભેદ ઓગળી જતા.
ભારત ભેગા જ સર્જાયેલા પાકિસ્તાન પાસે આ બુનિયાદ નહોતી તો એના જનરલ ઇલેક્શન જ છેક ૧૯૭૦માં થયા ! ને આજે ય અસ્થિરતાથી ડામાડોળ સરકારો હોય છે. અરે, ૧૭૭૬માં આઝાદ થયેલા મોડર્ન હ્યુમન રાઇટસના વકીલ અમેરિકામાં બધાને મતાધિકાર નહોતો. કાળાઓ ગુલામ હતા ને સ્ત્રીઓને મતાધિકાર છેક ૧૯૨૦માં મળ્યો ! તેરમી સદીના આરંભના ડેમોક્રેટ મેગ્ના કાર્ટા પછી બ્રિટનમાં ય એ માટે સદીઓ વીતી, ને છેક વીસમી સદીમાં સ્ત્રીઓને હક મળ્યો. સાઉદીમાં તો સાવ હમણાં સ્ત્રીઓને કાર ડ્રાઇવિંગ માટે શરતી છૂટ મળી. પણ ભારતે ૧૯૫૨માં એકઝટકે બધાને સમાન મતાધિકાર આપ્યો. કેવળ સત્તાલોભી નેતા હોત તો ત્યારે તો એમની પાસે વિરોધ વગરની 'ફ્રી હિટ' હતી. એ આસાનીથી મોડો કરીને બાજી જ કાયમ માટે પોતાની અંગત તરફેણમાં કરી શકત પણ પરિવારવાદ ચાલે તો ય લોકોના મેન્ડેટ લેવા જવું પડે એ આગ્રહથી પ્રજાના હાથમાં સત્તા સોંપી દીધી.
પણ પુરૂષોત્તમજીએ જે આંગળચિંધામણ કર્યું, 'એ તદ્દન સાચું છે. ભાગલાના જખ્મોને લીધે મૃદુ કવિહૃદય સપનાઓ તૂટી ગયેલા ત્યારે તાજા ઘાવ પર મલમ માટે ધમાલ ધીંગાણામાં જૂના દુઝતા જખમ પર તાજા લીધેલા ટાંકા તૂટી જવાનાભયે મલમ લગાડવાનું પસંદ થયું. એમાં ઇતિહાસનો એંગલ થોડો ટ્વીસ્ટેડ કરાયો, એટલે જૂની નેગેટીવિટી નવી પેઢીમાં ફેલાય નહિ અને સોશ્યલ રિફોર્મ્સમાં બંધારણના ભોગે સિલેક્ટિવિઝમ હળવે હળવે આવ્યું. જે અંતે તુષ્ટિકરણના રાજકીય દાવપેચમાં ફેરવાઈ ગયું. પ્રજાસત્તાક ભારતમાં સામાજિક સુધારા માટે યોગ્ય રીતે જ તરત હિન્દુ કોડ બિલ લઈ સંકુચિત પરંપરામાંથી કાનુની મુક્તિ ને અધિકાર આપનાર નેહરુ મુસ્લિમો ને અન્ય ધર્મો માટે એમના પર્સનલ સાયન્ટિફીક ટેમ્પરામેન્ટને અનુરૂપ સોશ્યલ રિફોર્મ્સ બિલ ન લઈ આવ્યા. જે સંવૈધાનિક ભારતમાં અનિવાર્ય હતું. એના અભાવે પર્સનલ લૉની જંજાળમાં મુસ્લિમો તો મુલ્લાઓના જ હવાલે થઈ ગયા. શીખો, જૈનો, બૌદ્ધો, ખ્રિસ્તીઓ વગેરેના ટાળવા જેવા ધાર્મિક હઠાગ્રહો પણ જડબેસલાખ જામી ગયા.
ધીરે ધીરે ભારતમાં શાહબાનો કેસ કે સેતાનિક વર્સીસ પર પ્રતિબંધ કે દા વિન્ચી કોડ પાદરીઓને બતાવવાની હદે અન્યનોી જડતાને પોલિટિકલ પોષણ શરૂ થઈ ગયું. બંધારણમાં આ અનોખા દેશ માટે હિન્દુ રાષ્ટ્ર નહોતું લખાયું તો સેક્યુલર પણ ત્યારે લખાયું નહોતું. શુદ્ધ સેક્યુલારિઝમ તો પશ્ચિમી દેશોમાં ય નથી બધે પ્રજાની આગવી સાંસ્કૃતિક પહેચાનનું ગૌરવ હોય . ભારત ભારત જ હતું, છે ને રહેશે. લેબલથી સમજી ન શકાય એવું, વિરોધાભાસોથી રચાતું, રંગબેરંગી કેલિડોસ્કોપ, એકમેવ, અનન્ય, અતુલ્ય. આસ્થા વિના એ ઘડાય જ નહીં રાજકીય ભારત નહોતું ત્યારે ય શ્રદ્ધાના ચૈતન્યથી એનું નામકરણ હતું. એકને ગોળ તો જ બીજા ખોળની ફરિયાદકરે. ધીમે ધીમે એને લાગ જોઈ હવા દેવાવાળા વેસ્ટેડ ઇન્ટરેસ્ટ આવે પછી સામસામી 'અમે આમ તો તમે તેમ'ની જેમ વોટ એબાઉટની આક્ષેપબાજી થાય ને સુધારા પાછળ ધકેલાઈ જાય. પછી સાંસ્કૃતિક ઓળખ જેવા રામ પણ અમુક વામપંથી ઇન્ટેલેકચ્યુઅલ્સને માટે શરમનો વિષય બને ! સરવાળે અન્યોની નબળાઈઓ કોપી કરીને દેશ ગુણોને બદલે ગલતીઓનો ગુણાકાર કરે - અને એમાં બંધારણથી રચાતા પ્રગતિશીલ સુધારાવાદી કાયદાઓના તો લીરેલીરા ઉડી જાય. લાખ દુઃખો કી એક દવા- સંવિધાન બધાને જાહેર જીવનમાં સરખું લાગું પડે, ન્યાય એકસમાન તટસ્થ ને ઝડપી હોય જેનો મક્કમ દાખલો બેસે, અને ખોંખારો ખાઈ રિગ્રેસીવ સોચની આલોચના સાથે મોડર્ન પ્રોગ્રેસની અનુમોદના હોય - કારણ કે જવાનું ભૂતકાળમાં નથી, ભવિષ્યમાં છે. તો કહી શકીશું. હેપી રિપબ્લિક ડે !
ઝિંગથિંગ
''ભારતમાં દુર્ભાગ્યે લડાઈ અચ્છાઈ ને બૂરાઈ વચ્ચે નથી. તો તો દુવિધા જ ન હોત. તરત સાચને સાથ આપવા લોકો મળી જાત. અત્યારે લડાઈ બુરાઈ અને બુરાઈ વચ્ચે છે.'' (સુશોભિત)