Get The App

જ્યાં લગી લાગણીની લીલોતરી છે ત્યાં લગી કુટુંબજીવનને ઊની આંચ આવવાની નથી !

Updated: Mar 21st, 2023

GS TEAM


Google News
Google News
જ્યાં લગી લાગણીની લીલોતરી છે ત્યાં લગી કુટુંબજીવનને ઊની આંચ આવવાની નથી ! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- ધીરુબહેન બિલકુલ ઉપદેશક નહિ. એ કહેતા જ કે હું સ્ત્રી છું પણ દરેક નારીઓ દેવી છે કે દરેક પુરુષો રાક્ષસ છે એવું નથી માનતી. પણ એથી ઉલટું ય નથી માનતી ! ઇન શોર્ટ, ધીરુબહેન ઘરડા થયેલા પણ જજ-મેન્ટલ નહોતા થયા. 

એ સાચા અર્થમાં વૃક્ષની જેમ વૃદ્ધિ પામતા વૃદ્ધ થયેલા !

સ મયના પ્રવાહને કોણ પાછો વાળશે? શક્ય જ નથી. આપણે જ અનુરૂપ થયે છૂટકો !

તરત બીજો પ્રશ્ન જાગશે જે સંસ્કારોને સહારે આજ લગીનું જીવન વિતાવ્યું તે બધા શું ખોટા? ખોટા ન હોય તો પણ આજે તો મરી પરવાર્યા દુ:ખી મનથી પણ તે ભૂલવા જ રહ્યા. આટલી મોટી બાંધછોડ, પળેપળની બાંધછોડ શક્ય છે? સાધારણ માણસના, અનુભવોને આધારે ઘડાયેલા મનને માટે શક્ય છે?

જો નથી તો ત્રીજો વિકલ્પ એ છે કે આપણે એક કોચલામાં ભરાઈ બેસવું. બહારની દુનિયા છે જ નહીં એમ માની લેવું. મોટા ભાગના પ્રૌઢો અને વૃદ્ધો આમ જ કરે છે. પરિણામે જીવનના જોરદાર પ્રવાહથી વેગળા ધકેલાઈ જાય છે અને કાં તો ભૂતકાળને વાગોળતા નિષ્ક્રિય માણસો બની જાય છે અથવા વર્તમાન કેમ ભૂતકાળ જેવો નથી એની કડવાશ અંતરમાં સંઘરીને દિવસે દિવસે વધારે અતડા ને અળખામણા બનતા જાય છે.

તેમની દશા જોઈને અને તેમની આસપાસનાની દશા જોઈને દયા જાગે છે. શા સારુ ભાઈ, આવી જાતે ઘડેલી જેલમાં બેસી રહેવું પડે છે તમારે? આ સંસાર તો હંમેશ સરતો રહ્યો છે, ફરતો રહ્યો છે, બદલાતો રહ્યો છે. આપણા પહેલાંની પેઢીઓને પણ સંસારનાં આ સરકણાવેડા નહીં નડયા હોય? આપણા વંશજોને નહીં નડે?

શું હાલ ભગવાને ખાસ આપણા પર જ ખાર રાખીને આપણને આવી કસોટીએ ચડાવ્યા છે? આજકાલની છોકરીઓનાં કપડાં કે આજકાલના છોકરાઓનું વર્તન જોઈને ઊકળી પડતી વખતે જો એટલું યાદ કરીએ કે આપણે આપણા બાપદાદા કે મા-દાદી-નાની વગેરેના પહેરવેશ ને વર્તનનું સાંગોપાંગ પુનરાવર્તન કરેલું કે સહેજે છૂટછાટ નહોતી લીધી શું? તો મિજાજ ઠંડો પડે, મન અંતર્ર્મુખ બને. શક્ય છે, આપણા વડીલોએ પણ ઘણો ઉત્તાપ વેઠવો હશે. આપણને જોઈને !

વળી મેં તો જોયું છે કે બાળકોનું વર્તન બદલાયું હશે, લાગણી બદલાઈ નથી. હાથ જોડીને નમતા નહીં હોય, જી હા કહીને જવાબ આપતા નહીં હોય, ચર્ચામાં છૂટબંધ ભાગ લેતા હશે, મનનું ધાર્યું કરતા હશે - તોયે તેમને મા-બાપ પ્રત્યે પ્રેમ તો છે જ. જરાક માંદગી આવતાં દોડાદોડ કરી મૂકે છે. વીલે મોઢે પથારી આગળ ઊભા રહે છે. ખૂબ સારું લાગે છે આવું બધું જોઈને. 

તમને નવરાત્રિ લુખ્ખી લાગે છે? જુદી લાગે છે?મને ય તે શરૂઆતમાં એમ જ લાગ્યું. પછી માનસિક વિરોધ છોડી દીધો તો કીબાર્ડના સ્વરોમાં પણ મધુરતા લાગવા માંડી સિનેમાની લોકપ્રિય તરજો પર જુવાનિયાંને ઝૂમવાનું રાસ રમવાનું મન થાય તે કંઈ બહુ નવાઈભર્યું કે અસ્વાભાવિક ના લાગ્યું. ધીમે ધીમે મઝા આવવા લાગી. ઉજાગરા નથી ફાવતા તે ખરું, પણ ચિડાતાં અકળાતાં નિષ્ફળ રોષ કરતાં જાગવું તેના કરતાં આનંદી કીબોર્ડનું સંગીત માણતાં કેમ ન જાગવું? તબિયતને ઓછું નુકસાન થશે. 

વળી કોને ખબર છે? આપણને વેંત નમતા જોઈને જુવાનો હાથ નમે!

રીડરબિરાદર ૯૭ વર્ષનું લીલુછમ આયુષ્ય ભોગવીને વિદાય થયેલા ગુજરાતી ભાષાના ઉત્તમ લેખિકા ધીરુબહેન પટેલના એક લેખના આ અંશો છે. જે લખતી વખતે પણ એ આયખાના નવમાં દાયકામાં હતા ! જ્યાં મોટા ભાગના બળતરા કરનાર વડીલો તો પહોંચતા જ નથી. ધીરુબહેન બિલકુલ ઉપદેશક નહિ. એ કહેતા જ કે હું સ્ત્રી છું પણ દરેક નારીઓ દેવી છે કે દરેક પુરુષો રાક્ષસ છે એવું નથી માનતી. પણ એથી ઉલટું ય નથી માનતી ! ઇન શોર્ટ, ધીરુબહેન ઘરડા થયેલા પણ જજ-મેન્ટલ નહોતા થયા. એ સાચા અર્થમાં વૃક્ષની જેમ વૃદ્ધિ પામતા વૃદ્ધ થયેલા ! 

ઘણી વાર એમના લેખો વાંચી વ્હાલસોયા કોલ આવતા. છેલ્લા વર્ષોમાં નાદુરસ્ત તબિયતને લીધે એ પ્રમાણ ઘટયું. એમાં એક સરસ સભર જીવેલા સન્નારીનો છાંયડો હોય તડકામાં એવું લાગતું. હતા જ એવા ઉમળકાવાળા. નવી પેઢીના માત્ર વખાણ ના કરે. નવી વાતોમાં રસ લે. પાછા આમ એકદમ મક્કમ. હક માટે લડી પણ લે છેક સુધી. પણ વાતમાં કે મિજાજમાં ડંખ નહીં.

દુખ એ વાતનું કે ફરજીયાત અભ્યાસ સિવાય મહિલાઓ માટેનું મેગેઝીન સુધા શરુ કરનાર અને લેન્ડમાર્ક ગુજરાતી ફિલ્મ ભવની ભવાઈ લખનાર ધીરુબહેન પાછોતરા સમયમાં એટલા વંચાયાસંભળાયા  નહિ. પણ એમણે કોઈ ફરિયાદ વિના કાળની ગતિ સમજી એ વાત સ્વીકારી લીધેલી. 

પણ આજકાલ કીપેડ હાથમાં આવે એટલે કોઈ પણ બાબતે લખવાનું મન થયા કરે એવા લોકો માટે અભ્યાસક્રમ જેવા લેખો અને કથાઓ ધીરુબહેન છોડી ગયા છે. મહાત્મા ગાંધીના કલેકટેડ વર્કસને ગુજરાતીમાં ઉતારતા હતા ત્યારે જ વડવાનલ નવલકથા લખતા હતા. આંધળી ગલી તો એક સમયે કોલેજમાં ભણતા વિધાર્થીઓ. બધા જ સાહિત્યપ્રકાર અજમાવ્યા. કોઈ ચેલેન્જ કરે તો એ લખી બતાવે. વાચન તો સરસ પણ મૂળ તો જીવન રંગબેરંગી. એમણે બહુ આગ્રહ છતાં કદીં આત્મકથા લખી નહિ. પણ સ્મરણો બહુ સુગંધી નિબધો રૂપે લખ્યા. આજે આવો એમના મનમાં ડોકિયું કરીએ આ અંશો વાંચીને. લો લટાર મારો ધીરુબહેનના શબ્દબાગની થોડીક પસંદ કરેલી ક્યારીઓમાં, એ જ એમનો પરિચય અને એ જ એક દિગ્ગજને અંજલિ. એમના જ શબ્દોમાં :

એક રાત્રે એવું થયું કે હું ઊંઘતી હતી. બાએ ઓરડામાં આવીને મને ઉઠાડી. આવીને ને ઉંચી કોઈની તબિયત નરમ હશે કે શું એમ ફાળભરી હું ઉઠી.. પણ બાની આંખોમાંમાં તો તારલિયા ટમટમતા હતા. બીજું કોઈ જાગે નહીં એટલા માટે નાકે આંગળી મુકીને મને ચૂપ રહેવા ઇશારત કરીને બા હાથ પકડીને બહાર લઈ ગયાં અને હળવેકથી બારણું ખોલ્યું. મારું કુતૂહલ મા'તુ નહોતું. અડધી રાતે એવું તે શું થયું હશે? બા ચાવી લઈ જાળીવાળા દરવાજાનું તાળું ખોલી અને વાડી (મુંબઈના ઘરના બગીચા)માં લઈ ગયાં અને બોલ્યા, 'જો, કામિનીને ફૂલો આવ્યા !'

ત્યારે જ મારા અર્ધનિદ્રિત મનને સમજાયું કે ડૂબી જવાય એટલી બધી આ સુવાસ સપનાંની નથી, કામિનીનાં ફૂલની છે. હાથ પકડીને અમે બંને લગભગ અડધો કલાક ઓટલે બેસી રહ્યાં, નિ:શબ્દ આનંદની ભરતી અમારાં બંનેનાં હૈયાંને એકાકાર કરી રહી હતી. આંખો સામે હતું એનું એ કામિનીનું નાનકડું ઝાડ. સિન્ડ્રેલાની માફક એનું રૂપ ફરી ગયું હતું. પાંદડે પાંદડે ફૂલના ગુચ્છા ફૂટી નીકળ્યા હતા. આછી ચાંદનીમાં સ્થિર ઊભેલું એ ઝાડ માત્ર સૌંદર્ય અને સુગંધનું નહીં - માનવહૃદયની આશા અને વિશ્વાસનું પ્રતીક બની ગયું હતું. આજે અડધી રાતે એની આ અનંત કુસુમશ્રી પ્રગટાવીને એણે પુરવાર કરી આપ્યું હતું કે એ એક સારું ઝાડ હતું. ભલે, (એ ગુમનામ છોડને લઇ આવનાર માળી)  શંકર નહોતો પણ અમે હતાં ને! અમે ક્યાંય લગી આ અવસર માણ્યો. પછી મેં ધીરેથી પૂછયું, 'અંદર જવું છે? શરદી થશે!' બાએ હા પાડી. અંદર ગયા પછી થોડી વારે એ બોલ્યાં, 'તારી ઊંઘ બગડી?' આવા અરસિક પ્રશ્ન માટે હું ચિડાઉં એ પહેલાં જ એમણે હસતાં હસતાં કહી નાખ્યું, 'અજાણ્યાં ફૂલનો શો ભરોસો? સવારે વળી રહે કે ખરી જાય. એટલે તને અત્યારે જ ઉઘમાંથી ઉઠાડી.'

હું એમની લાડકી. મોટા ભાઈથી ચૌદ અને નાના ભાઈથી દસ વર્ષ નાની. વળી સ્વભાવે શાંત અને ભણતરખોર અને  મેં તો ક્યારેય એમનો કડક અવાજ સાંભળેલો નહિ ને સાંજે વાતમાં ને વાતમાં એમણે પૂછયું, 'ધીરુ પાસ રિન્યૂ કરાવ્યો?'

મેં રાજી થઈને વટમાં હા પાડી અને વધેલા પૈસા એમની આગળ કર્યા. હાથમાં લેવાને બદલે એ જોઈ રહ્યા અને પૂછયું, 'તેં પૈસા પાછા લીધા ત્યારે ગણ્યા નહોતા ?' એમનો ગંભીર ચહેરો જોઈને હું ગભરાઈ, ઓછા પૈસા મળ્યા હશે તો મારી બેદરકારીને લીધે ઘરમાં કેટલું નુકસાન થશે એના વિચારથી દુ:ખી થઈ, પછી પૈસા ગણ્યા. એક વાર, બે વાર, ત્રણ વાર.ઢીલું મોં કરીને મેં કહ્યું, 'પાંચ રૂપિયા વધારે છે. કાલે સવારે વહેલી નીકળીને રૂપિયા પાછા આપી દઈશ.' પપ્પાજી મારી સામે જોઈ રહ્યા અને પછી મેં કદી સાંભળેલો નહીં એવા કડક અવાજે બોલ્યા, 'બહેન! ચંપલ પહેરો.'

હું સમજી ગઈ કે મારે અત્યારે જ સ્ટેશને જઈને રૂપિયા પાછા આપવાના છે. પપ્પાજીનું કહેલું તો કરવું જ જોઈએ પણ બહાર ઘણું અંધારું થઈ ગયું હતું. તે વખતે સાન્તાક્રુઝના રસ્તાઓ પર બહુ ઝાંખી પીળી લાઇટ અને અવરજવર પણ ઘણી ઓછી. એટલે મને જરા ડર લાગ્યો. વળી સાંજ પડી ગયા પછી બહાર નીકળવાનો અમારા ઘરમાં રિવાજ પણ નહોતો એટલે મેં ઓટલા પર જઈને ચંપલ પહેરતાં પહેરતાં કહ્યું. 'અંધારું છે.'

'મને ખબર છે.' 'અત્યારે જ જાઉં?' 'હા, રૂપિયા પાછા આપી  આવો' પપ્પાજી કોઈ દિવસ મને તમે કહીને ન બોલાવતા. અત્યારે આ આપી આવને બદલે 'આપી આવો' કહ્યું એટલે મારા મોતિયાં મરી ગયાં, પપ્પા ખૂબ જ નારાજ થયા છે એની સમજ પડી ગઈ. ચંપલ પહેરીને ચાલવા તો માંડયું પણ રસ્તામાં હજાર જાતના વિચાર આવે ! તોય જેમતેમ કરતાં સ્ટેશન તો મળ્યું ને ત્યાં જઈને પેલા ક્લાર્કને કહ્યું, 'તમે મને પૈસા આપવામાં ભૂલ કરી છે. આ પાંચ રૂપિયા વધારે આપી દીધા છે. એના ચહેરા પર સૂર્યોદય જેવું સ્મિત છવાઈ ગયું. 'થેંક યુ' કહીને એણે રૂપિયા લઇ લીધા. 

ઘેર પાછા જતાં જતાં થયું. આનું આ કામ શું કાલે સવારે ન થઈ શક્યું હોત ? પપ્પાજીને મારા પર જરાય વહાલ નથી. નહીંતર આટલા અંધારામાં આવી નકામો ફેરો ખવડાવે? અને પાછું કેવી કડક રીતે કહ્યું? પપ્પાજી સાથે બોલવાનું પણ મન નહોતું, છતાં જે ચિંતાગ્રસ્ત ચહેરે એ ઓટલા પર ઊભા ઊભા મારી વાટ જોતા હતા તે જોઈને જરા સારું લાગ્યું. એટલે મેં ટૂંકમાં કહ્યું, 'આપી આવી.'

'ચાલ, બહુ સારું કર્યું. બેસ હીંચકે' અમે બંને હંમેશાં થોડી વાર હીંચકે બેસીને વાતો કરતાં પછી જ હું સૂવા જતી પણ આજનો મામલો જુદો હતો. મેં કહ્યું, 'નથી બેસવું, બહુ થાક લાગ્યો છે.' પપ્પાએ સ્નેહથી હાથ પકડીને મને હીંચકે બેસી પછી પૂછયું : 'ખોટું લાગ્યું છે? ' 'હા.' કહીને હું રડી પડી. 'તમે કેવા છો, પપ્પાજી ? રૂપિયા શું સવારે ન અપાત?'

મારા ઓછાબોલા અને ગંભીર પપ્પાજીએ એક જ વાક્ય કહ્યું, 'રૂપિયા તો સવારે અપાત, પણ એક ગરીબ માણસની એક રાતની ઊંઘ બગડત એનું શું?'

હું ડઘાઈ ગઈ. આંખો લૂછીને પપ્પા સામે જોવા લાગી. એ લગભગ સ્વગત બોલતા હોવ એટલા ધીરેથી કહેતા હતા, 'સિલક ના મળે તો એને રાતે ઊંઘ ન આવે. એ ઉજાગરાની કિંમત તું એને કઈ રીતે ચૂકવત, બહેન ?'

એ રાતે હું મારા પપ્પાજી પાસેથી જે પામી તેથી વધારે કીમતી કશું જ ત્યાર પછીનાં આ તમામ વરસમાં પામી નથી.

હમણા જ નહાઈને આવેલી કિશોરીના ઘાટા વાંકડિયા વાળની યાદ આપે એવા. એવું ઊંચીનીચી લહેરખીની કિનારવાળાં ઘેરા લીલા રંગનાં, મજબૂત, લાંબાં ને અણિયાળા આસોપાલવનાં ચમકદાર પાન મને બહુ ગમે છે. વનથી છલોછલ એ પાંદડાંને પણ જ જાણે વૃક્ષે અવતાર લીધો છે. નાળિયેરી જેવાં વૃક્ષો તેમનાં ફળને લીધે કૃતકૃત્ય બને છે. લેબનર્મ તેનાં ફૂલને કારણે સ્મૃતિમાં ચિરંજીવ રહે છે પણ આસોપાલવને એવી કશી તમા નહીં. જંગલના ભીલ જેવા એના કાળા દેહ પર બે-ચાર આડીઅવળી ડાળીઓ ફૂટ ન ફૂટી ત્યાં તો લાંબાં લાંબાં, પવનમાં ગેલ કરતાં પાનનો તોરો સીધો બંધાઈ જ જવાનો.

આસોપાલવની એક બીજી જાતમાં માત્ર પાંદડાંનું નહીં, વૃક્ષના આકારનુંયે સૌષ્ઠવ સચવાય છે. એની બધી ડાળીઓ એના અંગ સાથે ચીપકીને નીચે ઢળતી હોય છે. સામાન્ય આસોપાલવ ગામાની ઘેરદાર ઘાઘરા પર લહેરદાર ઓઢણું ઓઢીને બેધડક ઘુમતી યૌવના જેવું 

દેખાય છે, ત્યારે આ તો લેટેસ્ટ ફેશનની શહેરી સ્ત્રી! પાતળી, ઊંચો દેહ અને ચુસ્ત વીંટાળીને પહેરેલી લીલી સાડી. 

લગ્ન તો જીવનમાં એક જ વાર આવે છે ને! આપણે ઇચ્છીએ કે આ લગ્ન ચિરસ્થાયી નીવડે. એક અને અનન્ય રહે... આપણે ચાલો ને, એમ પણ ઇચ્છીએ કે નવું જોડું ખૂબ સુખી રહે. પણ શું આજના જમાનામાં એ પણ શક્ય નથી કે આટલી ધામધૂમથી કરવામાં આવેલાં લગ્ન લાંબો સમય ના ટકે અને વળી પાછું લગ્નવિચ્છેદ અને બીજ લગ્નનું ચક્કર ચાલુ થઈ જાય? જવા દો, વરરાજાને આવી વાત કદાચ ન ગમે. પત્ર આપણે શું તેને એટલું યાદ ન કરાવી શકીએ કે ભાઈ, દેવાળું પણ જીવનમાં એક જ વાર નીકળે છે?

એક દિવસ માટે હૈ વરરાજા! ભલે તું રાજા થા, પણ શું તારે આવતી કાલે આ રાજાપદનો ત્યાગ નથી કરવાનો? તારા કુટુંબની આ લગ્નને કારણે કથળેલી આર્થિક સ્થિતિની અસર સીધી યા આડકતરી રીતે તને નથી થવાની? જો તારે ભાઈબહેન હોય તો તેમનાં લગ્ન પણ તેં આંકેલા ચીલા પ્રમાણે જ થશે એનો તને વિચાર નથી આવતો? સાદાઈથી લગ્ન થાય તો તારા રાજાપણામાં શી ખામી આવી જાય એનો તેં વિચાર કર્યો છે? ભવિષ્યમાં તારા લગ્નના ફોટાનાં આલ્બમ કે વિડિયો કસેટ કોઈ જોવા તૈયાર નથી થવાનું એનો તને ખ્યાલ છે? જરા થોભ, અને વિચાર કર!

આપણી ચોતરફ જે કુદરતી સૌંદર્ય પથરાયેલું છે તેને જરા જોઈએ, માણી લઈએ તો પણ આપણા જીવનના આનંદમાં વધારો થાય -ફૂલમાં સુંદરતા છે તો થોર, બાવળ, ખરસાણી, આવળ વગેરેમાં પણ સુંદરતા છે. નાના નાના જીવડાંને બારીક નજરે જુઓ તો તમને અવનવા રંગો અને આકૃતિઓ દેખાશે. દરિયાકિનારે વેરાયેલાં છીપલાં ને નાનાંમોટાં શંખલાં વીણીને ભેગાં કરશો તો તમને તેમાં સુંદરતા પારાવાર છલકાતી દેખાશે. પક્ષીઓનાં ગીત ને પતંગિયાંની પાંખોમાંથી પ્રાપ્ત થતો આનંદ તો શું રાજા કે શું રંક, બધાને માટે સમાન જ છે. આજે આપણું જીવન અતિસંસ્કૃત અને યંત્રમય થઈ ગયું છે તેથી આવી વાતો કરવી કદાચ અસ્થાને લાગે પણ વસ્તુત: તેમ નથી - આપણી રોજિંદી ઘટમાળમાંથી થોડોક સમય મેળવીને આપણે આવાં સરળ કુદરતી દ્રશ્યોનો આનંદ માણી શકીએ છીએ. આપણાં નાનાં બાળકો સાથે સમય ગાળીને તેમની સરળ, કાલીઘેલી બોલીમાંથી આનંદ લઈ શકીએ છીએ. આપણે હાથે કંઈક નાનીમોટી વસ્તુઓ બનાવીને સર્જનનો આનંદ લઈ શકીએ છીએ. કોઈકને માટે કશુંક કરી છૂટવાની ભાવના કેળવીને સૌને પ્રિય થઈ શકીએ છીએ. 

બે જણ વચ્ચે ઝઘડો થયો હતો. જેમની વચ્ચે કદીયે ઝઘડો ના જ થવી જોઈએ તેમની વચ્ચે થયો હતો. બંને જણને એ વાતનું દુ:ખ હતું.બંનેએ એ વાત મારી આગળ કબૂલ કરી હતી, સમાધાનની ઇચ્છા બંનેને હતી - મુશ્કેલી ફક્ત એક જ હતી. પહેલ કોણ કરે?

દરેકના મનમાં એક નાનો સરખો, તંબોળિયા નાગ જેવો અહંકાર સૂતો હોય છે. દંતકથા એવી છે કે એ નાગરવેલના પાનના ડીંટામાં રહે. જાડી નસમાં રહે. એ જો જીભે દંશ મારે તો માણસ પાણી પીવાય ઊભો ન રહે એટલે જ ખાવા માટે પાન બનાવતાં પહેલાં ડીંટા તોડવાનો ને નસો છોલી કાઢવાનો રિવાજ પડેલો. મને ખબર છે કે આ બધી વાતને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. તેમ છતાં આવી બધી દંતકથાઓનું રોમાંચક તત્ત્વ મને આકર્ષે તો છે જ એટલે એનો ઉલ્લેખ કરવામાં હું દોષ જોતી નથી - પણ આપણે વાત તંબોળિયા નાગની નહીં, એના જેવા જ સૂક્ષ્મ અને નજરે ન ચડે એવા, છતાં જીવલેણ અહંકારની કરવાની છે.

કઈ ઘડીએ એ છંછેડાય અને ફેણ માંડે તેની કશી જ ખબર પડે નહીં. પણ એક વાર ઉત્તેજિત થયા પછી બાપ રે બાપ! કથા મહુવરથી એને વશ કરાય તે ભલભલા જાણી શક્યા નથી.એ અહંકાર જ ફુત્કાર કરીને માણસના મનમાં ઝેર રેડે છે. તું શા માટે પહેલ કરે છે? એ કેમ ન કરે?

થઈ રહ્યું. આ વાત મનમાં પેઠી એટલે બધી મંત્રણાઓ પડી ભાંગવાની એક જ પથ્થરો રસ્તો રોકવાનો - એ બધી વાત ખરી પણ હું શા માટે નમતો જાઉં?ધ અરે ભાઈ, નમી તો જુઓ! મેં તો કેટલાયે દાખલા જોયા છે - એક જણ નમતું આવે કે તરત બીજાના દિલમાં પ્રેમનો પારાવાર ઉદધિ ઉભરાય છે. એની છોળોમાં ગમે તેવા કડવા પ્રસંગની કલુષિતતા ધોવાઈ જાય છે. બંને જણ વળી પાછા સ્નેહની નવી અને વધારે મજબૂત ગાંઠે બંધાય છે. કોઈને યાદ પણ નથી રહેતું કે પહેલું કોણ નમ્યું હતું. અને જો યાદ આવે છે તો જેણે પહેલ નહતી કરી એના મનમાં મીઠે પસ્તાવો જગાવવા અને જેણે પહેલ કરી હતી એના મનમાં મીઠું ગૌરવ જગાવવા.

આવતા સપ્તાહે ધીરુબહેનના શબ્દોમાં વધુ તરબોળ થઈશું. 

ઝિંગ થિંગ 

'કોઈકને માટે કંઈ કરવું જેટલું અગત્યનું છે તેટલું જ અગત્યનું એ છે કે કોઈ આપણે માટે કઈ કરે તેનો સ્નેહપૂર્વક સ્વીકાર કરવો. સામા માણસના સ્નેહ અને ઉમળકાનો મોકળે મને સ્વીકાર કરવો એ પણ એક કલા છે. અને તે ખીલવ્યા સિવાય પ્રફુલ્લિત રહેવાની કલા અમુક અંશે અધૂરી જ રહેવાની કેટલાક માણસોને ઘડપણમાં પોતે અપંગ થઈ જાય કે કોઈના આશ્રિત બની જાય તેની એટલી બીક લાગતી હોય છે કે ન પૂછો વાત !' (ધીરુબહેન પટેલ)

Tags :