Get The App

મુસલમાન આતંકવાદીઓ ફાયદો બીજા બધા ધર્મોને કરાવે છે, અને નુકસાન ઇસ્લામનું કરે છે!

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
મુસલમાન આતંકવાદીઓ ફાયદો બીજા બધા ધર્મોને કરાવે છે, અને નુકસાન ઇસ્લામનું કરે છે! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- ચીન અને રશિયાની ધરી સાથે કામ લેવા અમેરિકાએ નવેસરથી પાકિસ્તાનને પડખામાં નાખ્યું છે. જરૂરિયાત રેર અર્થ મિનરલ્સની છે. એમાં નવા આવેલા પૈસે ફરી નાપાકી સેના અને આઈએસઆઈ વગેરેએ ત્રાસવાદી પ્રવૃત્તિઓ શરુ કરી છે

વી સમી સદીના પહેલા દાયકામાં જયારે મોબાઈલ એસએમએસની ધૂમ હતી પણ ફ્રી ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાની ચીડિયા હજુ પાંખો ફફડાવે એને વાર હતી, એ વખતનો એક અનુભવ છે. ત્યારે હજુ કોલમ વાંચીને કાગળો આવતા. એમાં એક ટૂંકો પત્ર મોબાઈલ નંબર માંગતો આવેલો. કોઈ ફિલ્મ પરનો લેખ ગમી જતા વાત કરવા માંગતી એ વાચક કન્યા હતી એ અક્ષરોના વળાંક પરથી કળાઈ જાય, ને અંગ્રેજીમિશ્રિત આધુનિક ભાષા જોતા ટીનએજર છે એટલી ખબર પડી જાય. વળી જે લેખ વાંચીને એને કોન્ટેક્ટ કરવાનું મન થયેલું એક બોલ્ડ ફિલ્મ પરનો એથી પણ વધુ બિન્દાસ મિજાજનો હતો, એટલે મોડર્ન એપ્રોચ ધરાવતી યુવતી હોય એ પણ નક્કી હતું. 

અને એમ જ હતું. એ છોકરી અમદાવાદની મુસ્લિમ હતી. મળવાનું ક્યારેય થયું નહિ પણ એના કહેવા મુજબ સમૃદ્ધ પરિવાર હતો. હાઈ સોસાયટી ગણાય એવી કોલેજમાં ભણતી હતી અને ફિલ્મોની શોખીન હતી. એમાં મોડર્ન માઈન્ડસેટના અખબારી લેખો નજરે ચડયા એટલે ગમ્યા. પછી એવા વેસ્ટર્ન ફેશન કે આધુનિક અભિગમ કે યુવાપેઢીની મુક્તિ અને ક્રાંતિ કે એટ્રેક્શન અને રોમાન્સ અને ફિલ્મો જેવા એને ગમતા ટોપિક પર કંઈ લખ્યું હોય કે તરત સવારમાં છાપું આવે એમ એનો મેસેજ એ બિરદાવતો આવે. કોઈ વાર સાંભળવા માટે કોઈ અંગ્રેજી પોપ સોંગ સજેસ્ટ કરે. ફેન ગર્લ ટાઈપ સ્વીટ ઇનોસન્સ.

પણ ધીરે ધીરે એનો ટોન યાને મેસેજનો સૂર બદલાતો ગયો. જે બાબત એને બહુ ગમતી એની જ ટીકા ક્યારેક કરીને એવું સમજાવવાની કોશિશ કરે કે આ બધું તો પાપ છે, ગુનાહ છે. બદલાવ ધીમો હતો એટલે તરત ખ્યાલ ના આવે પણ પછી પકડાવા લાગ્યું કે ફ્રીડમ અને મોડર્ન લાઈફસ્ટાઈલથી અંજાયેલી આ અંગ્રેજી લખતી બોલતી છોકરી તો ધાર્મિક થતી જાય છે ! એણે પછી તો ઇસ્લામની વાતો મોકલવાનું શરુ કર્યું, જાણે આ બધું સાયન્સ ને સિનેમા, લવ, ફેશન, આર્ટ કોઈ અપરાધ હોય ને પવિત્રતા માટે એ બધું લેખકે પણ છોડીને 'અસલી ઇસ્લામિક' થઇ જવાનું હોય ! ભાવ એનો એક રીતે માસૂમ હતો, પોતાને જડેલું કોઈ નવું રમકડું ગમતા દોસ્તને આગ્રહપૂર્વક બતાવવાનો હોય એવો. પણ વાતો ૧૮૦ ડિગ્રીનો ટર્ન લઈને ચુસ્ત મઝહબી થતી જતી હતી ! એને તો પહેલાની સ્ટાઈલીશ હીરો જેવા યુવકની ફેન્ટેસી છોડીને હવે પતિ પણ ધર્મને જ પૂર્ણ સમર્પિત શોધવો હતો ! આ શિફ્ટ આ લખાય છે એટલો ઝડપી નહોતો, પણ ધીમો હતો. છતાં એની દિશા નક્કી હતી. મનોમન એનું પિક્ચર બનાવો તો ટી શર્ટ શોર્ટસમાં ફરતી ગર્લ બુરખાધારી હોવાનું ગૌરવ અનુભવવા લાગેલી. એની મઝહબી પણ પ્રેક્ટીકલી ખોટી વાતોનું સચ્ચાઈથી કાઉન્ટર કરવાનું શરુ કર્યું એમ એના મેસેજ ને વખાણ ઘટતા ચાલ્યા. એ આમ ઝાહિરા વસીમ જેવી બનીને પછી કદાચ પરણી ગઈ હશે કે ધાર્મિકતા વધી ગઈ હશે તો સંપર્ક છૂટી ગયો. રૂઢિચુસ્ત માનસના દોસ્ત તો શું ફેન કે સગાં પણ અંગત રીતે પસંદ ના હોઈને એ ફરી જોડવાના પ્રયાસો પણ નેચરલી ના કર્યા. આજે ક્યાં છે, ખબર નથી. નંબર તો ક્યારનો ઉડાડી દીધો છે. 

વર્ષો બાદ યુરોપમાં રહેતા એક પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક અભિગમના મુસ્લિમ દોસ્તને આ ઘટનાક્રમ કહ્યો ત્યારે એણે તરત કહ્યું કે 'નક્કી એ છોકરી અમારામાં જ એક્ટીવ એવા કટ્ટરપંથી વિચારધારાના સમૂહમાંથી કોઈના સંપર્કમાં આવી હશે. જે આવા આઝાદખયાલ યુવકયુવતીઓને શેતાનના છાયામાં સમજીને ખાસ 'સુધારવા' યાને કે એ પાળે એ લિબરલ ઈસ્લામને નકલી ગણાવી ચુસ્ત રેડિકલ એવા ઓરિજીનલ 'અસલી ઇસ્લામ' તરફ વાળવાની 'સમાજસેવા' માટે પ્રવૃત્ત હોય છે. પૂર્ણ નિષ્ઠા અને ધીરજથી એ જૂથો ધીમે ધીમે વિચારો ફેરવીને જડબુદ્ધિ કરવા તરફ મચ્યા રહે છે. ભણેલા, ખુલ્લા તન અને મન વાળા એમને દુશ્મન લાગે છે એટલે એ એમને ખાસ મઝહબપરસ્ત કરવાના પ્રયાસો ચાલુ રાખે છે. 

કોઈનું ચિત્ત ડામાડોળ હોય, કે સ્વભાવ ભોળિયો ને ઝટ ભરોસો મુકનારો હોય કે અંગત જીવનમાં બ્રેક અપ કે કરિઅર ફેઇલ્યોર જેવા વાવાઝોડાંથી મન ડિપ્રેશનમાં હોય કે વધુ પડતા તર્ક અને વાચનથી કન્ફ્યુઝ્ડ એન્ડ વલ્નરેબલ હોય તો એમાં મોટે ભાગે એમને ધાર્યા પરિણામો સમય જતા મળે છે. પછી ધાર્મિકતાની જન્ઝીરોને પણ મેન્ટલ કંડીશનિંગને લીધે એ બધા કોઈ મોટો હાર માની લે છે. એમની આસપાસ આવી જ વાત કરનાર દોસ્તોનું ગુ્રપ રચાઈ જાય છે. એમને વિરોધવિપ્લવના બદલામાં આસ્થા ને શાંતિનું ગાજર પકડાવી દેવાય છે. સ્લો પ્રોસેસથી હાર્ડ લાઈનર થોટ્સ રોપવા અને ફેલાવવામાં આવે છે.

આમ તો વત્તે ઓછે અંશે આ પ્રક્રિયા ધર્મમાત્રમાં થાય છે. આધુનિક અને ભોગવાદી લાગતા લોકો અચાનક વૈરાગી સાધુ થઇ જાય એવા દાખલા ઓછા નથી. મોટે ભાગે એમાં પણ આંતરિક ચેતના કરતા બાહ્ય આચરણના સંપર્કનો પ્રભાવ વધુ હોય છે. પણ એ બધા સંકુચિત થઈને પછી નિર્દોષોને મારવાના કાવતરાંખોર ટેરરિસ્ટસ નથી બનતા. મુસ્લિમોનો ટ્રેક રેકોર્ડ આ મામલે અમનના લીલા ને બદલે લોહીનો રંગ લાલ ટપકાવતો કાળોધબ્બ જગતભરમાં બનતો જાય છે. બધા જ એવા હોય છે, એવું હરગીઝ નથી. પણ બધા સાપ ઝેરી ના હોય છતાં કોઈ પણ સાપ જોઇને ઘણાને ફડક પેસી જાય ને ભયના માર્યા પસીનો છૂટે કે સૂગ ચડે એમ દુનિયામાં આ જ કારણથી ઇસ્લામોફોબિયા પણ વધતો જાય છે !

એટલે જેહાદી આતંકવાદની કોઈ પણ મોટી ઘટના ક્યાંય પણ બને એમાં કોને નુકસાન થાય છે ? જમણેરી ગણાતા નેતાઓ કે પક્ષને ? ના, એમની સત્તા તો સામાન્ય નાગરિક ભયભીત થઈને ઓર મજબૂત કરે છે. હિંદુ કે ખ્રિસ્તી એવા ધર્મોને ? ઉલટું એમાંના ચરમપંથીઓને ઈસ્લામને વખોડવાની વધુ જોરશોરથી તક મળતા એમાં શ્રદ્ધા વધુ શક્તિશાળી બને છે. દેશને ? હજુ સુધી જગતમાં ત્રાસવાદથી કોઈ દેશ હારી ગયો હોય એવું દુનિયામાં ક્યાંય બન્યું નથી. ઉલટા વધુ સાવચેત થઇ સુરક્ષાના ઉપાયો કે દળો વધુ સ્ટ્રોંગ કરે છે. મૃત્યુ પામે છે એમને ? એ આંકડો બાર પંદર કે સો બસ્સો પાંચસો હોઈ શકે. પણ લાખો કરોડોનો નહિ ! 

એ નુકસાન સૌથી વધુ તો આમ આસ્થાવાન પણ આમ આધુનિક, ધર્મ માટે આદર રાખે પણ બધું જ એકદમ ચુસ્તીથી પાળે પળાવે નહિ, નિયમોમાં ક્યાંક બાંધછોડ મિત્રો, પરિવાર, કામ કે સહજીવન માટે કરી લે, નવું જાણવા અને માણવામાં રસ લે અને ભણીને કૈંક વિકાસ કરવા માંગતા હોય કે શાંતિથી ધંધોરોજગાર કરવા માંગતા હોય એવા જગતના અને ભારતના કરોડો સીધી લીટીના મુસ્લિમોને વધુ થાય છે. આ દહશતગર્દ દરિન્દાઓ ઇસ્લામના સૌથી મોટા શત્રુઓ છે, એવું દાયકાઓથી ગાઈવગાડીને કહ્યું છે. ગોડસેની નફરતી નાલાયકીને લીધે વર્ષો સુધી દેશભક્ત પણ એના નામે હત્યાને સમર્થન ના આપતા હોવા છતાં કે ડાયરેક્ટ કનેક્શન ના હોવા છતાં સંઘના કાર્યકરો સમાજમાં અને સરકારમાં અલગ રીતે જોવાતા હતા. એમ જેહાદીઓની અવળચંડાઇને લીધે દુનિયાભરમાં મુસલમાનોને શેડો ઓફ ડાઉટ યાને શકના ઘેરામાં જોવાય છે. 

એમને અલગ પ્રકારની માનસિક આભડછેટનો સામનો રાજકીય, આર્થિક ને સામાજિક ક્ષેત્રે વિશ્વમાં વગર વાંકે ઘણી વાર કરવો પડે છે, અને એમના પર લાંછન લાગતું રહે છે. વળી, ત્રાસવાદમાં પડયા વિના પણ ધર્મપાલન કરવામાં વિઝીબલી બીજા કલ્ચરમાં ભળવાને બદલે અલગ તરી આવતા દેખાવ કે પોશાક કે રીતભાતખાનપાન વગેરેથી વધુ જુદા સાબિત થયા કરે છે. જો સમજદાર મુસ્લિમોને પોતાના તરફ ફેલાતી આ ચીડ ના ગમતી હોય (ના જ ગમે !) તો એમણે વધુ જોરથી કેવળ કડી નિંદાને બદલે દુનિયાને દેખાય એવી રીતે નવીનતા, આધુનિકતા, વૈજ્ઞાનિકતા સ્વીકારી પોતાની ઈમેજ બદલવી જોઈએ અને આવ ત્રાસવાદ ઉછેર કેન્દ્રોના મૂળમાં રહેલા કટ્ટરવાદી માનસનો પોતાના મઝહબમાં ખુલીને વિરોધ કે બહિષ્કાર કરવો જોઈએ, જે ઘણા હિંદુઓ કે ખ્રિસ્તીઓ કરે છે. 

એવું નથી કે એમાં કટ્ટરતા કે આતંકવાદી પ્રવૃત્તિ નથી. ચર્ચે એમના ધર્મ વિરુદ્ધ જનારને જીવતા સળગાવ્યા છે અને કબર ખોદીને લાશો બેહાલ કરી છે. એલટીટીઈ કે ઉલ્ફા કે ખાલિસ્તાની મૂવમેન્ટ કે ફૌજીઓને પણ ખતમ કરતા નક્સલવાદ જેવા સંગઠ્ઠનો મુસ્લિમ નથી છતાં હિંસક ત્રાસવાદ કરી ચૂક્યા છે. હિટલર કે સ્ટાલિન કે પોલ પોટ કે માઓ કે કાસ્ત્રો મુસલમાન નહોતા, છતાં ભયાનક હિંસાખોરી નફરતના ઝેરથી કરી છે. કેજીબી કે મોસાદ આપણી સામે નથી, પણ જેમની સામે છે ત્યાં ત્રાસવાદ ફેલાવી ચૂક્યા છે. એટલે આતંકવાદી માત્ર મુસ્લિમ હોય એવા સ્ટેટમેન્ટ વોટ્સએપ વિષ વિદ્યાલયોના અભણો કરે. પણ એ સત્ય છે કે બીજે પોતાના ધર્મની ભૂલો કે કટ્ટરતા સામે જે મોકળાશથી અવાજ ઉઠાવી શકાય છે, એટલું ખુલ્લાપણું અમુક અપવાદો બાદ કરતા કેટલાય મુસલમાનોમાં નથી. તુર્કી કે સ્પેનના ઇસ્લામિક શાસનમાં તો બુરખા આવા નહોતા, કળા અને વિજ્ઞાનને પ્રોત્સાહન મળતું. 

એ સુવર્ણયુગ ઇસ્લામનો રિવર્સ ચાલતો હોય વહાબી તબલીગી વગેરે કટ્ટરતામાં એવું લાગે. પશ્ચિમમાં આજે જઈને માનવ અધિકાર માંગતા કે ધાર્મિક સ્વાતંત્ર્ય માંગતા મુસ્લિમો પોતાના દેશોમાં એવા આધુનિક લોકશાહી મૂલ્યો ખાસ આચરતા નથી! દરેક ધાર્મિક આદેશને જડતા અને ઝનૂનથી વળગી રહેવાની વૃત્તિ એમાં સૌથી વધુ છે. જેના પરથી હક ફિલ્મ આવી એ શાહબાનો જેવા ઘણા કિસ્સામાં ઉદારને બદલે ભારતીય મુસ્લિમોએ અપનાવેલું સંકુચિત વલણ નજર સામે છે. જેહાદી ત્રાસવાદીઓ સાચો ઇસ્લામ સમજ્યા નથી, એવી શાંતિપ્રિય મૌલાનાઓ કહ્યા કરે છે. પણ દુનિયાભરમાં સીરિયા હોય કે અફઘાનિસ્તાન, લેબેનોન હોય કે ઈરાન જેટલા ક્રૂર કટ્ટરપંથીઓ મોડર્ન મુસ્લિમની જ સામે હિંસા કરે છે, એ જોતા ધાર્મિકતા બાબતે કોણ કેટલું સાચું સમજ્યું છે એ સવાલ થાય !જવા દો, આ લાંબી ચર્ચામાં જેને રસ પડે એ ત્રાસવાદી હિંસાના સમર્થક હોય નહિ ને હોય એ આવું કશું નવું વાંચે નહિ. પાણીની જેમ ધર્મમાં પણ પરંપરાથી પરિવર્તનના નવા વહેણનું સ્વાગત ના હોય, ઘરની જેમ ધર્મમાં પણ ખુલ્લા હવા ઉજાસ ના હોય ત્યાં બધું બંધિયાર થઇ જતું હોય છે.

દિલ્હી બ્લાસ્ટમાં સંડોવાયેલા ડોક્ટર નીકળ્યા એમાં ઘણા લોકોને અચાનક પહેલી વાર આવું સાંભળ્યું હોય એવી નવાઈ લાગી. અનેક જગ્યાએ જેહાદી ત્રાસવાદીઓ ઉચ્ચ ભણતરના અગાઉ પણ નીકળ્યા છે. બધા મુફલિસ કે અભણ છે માટે આતંકવાદી છે,એવું પણ નથી. કટ્ટરવાદી વિચારના ડોક્ટરો હિંદુ કે ખ્રિસ્તી પણ નજરે જોયા છે. નાઈન ઈલેવન કરનારા મોટા ભાગના આતંકવાદીઓ શિક્ષિત હતા. અમુક યુરોપમાં ભણેલા. લાદેન પણ હાઈલી એજ્યુકેટેડ હતો. એ બધાના પાડોસીઓના મતે એ લોકો ફિલ્મી ટેરરિસ્ટસ નહોતા લાગતા. સ્વભાવના સાલસ પણ હતા. 

માસાચ્યુએટસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી યાને એમઆઈટીજેવી ટોચની સંસ્થામાં ભણીને અમેરિકામાં જ ન્યુક્લીયર સાયન્સમાં પીએચડી થનાર પાકિસ્તાનની આફિયા સિદ્દીક્કી નાઈન ઈલેવનમાં સહભાગી આતંકવાદી તરીકે ૨૦૦૩થી ૮૬ વર્ષની સજા માટે જેલમાં છે ! એનો પતિ અમજદ પણ અણુવિજ્ઞાની છે. આસ્થાવાન મુસ્લિમ છે. પણ પત્નીના ઘોર કટ્ટરવાદી ઝુકાવથી કંટાળી ગયેલો ને બાળકો હોવા છતાં આફિયાએ એને તલાક આપી, અફઘાનિસ્તાન જઈ એક સર્ટિફાઈડ અલ કાયદાના ત્રાસવાદી જોડે બીજા લગ્ન કરેલા ને અમેરિકન સૈનિકો પર ઇસ્લામના નારા સાથે હુમલા પણ કરેલા !

ભારતમાં જે રીતની મુસ્લિમ વસતિ છે, એ જોતાં ભડકો આઇએસઆઈએસ કે અલ કાયદાનો બેશુમાર થવો જોઈએ. પણ અહીં મોટા ભાગની ત્રાસવાદી ઘટનાઓના છેડા હજુ પાકિસ્તાન કે કાશ્મીર જ નીકળે છે. ૨૦૧૩ની ૨૧ ફેબુ્રઆરીએ હૈદ્રાબાદના બ્લાસ્ટમાં ૧૮ લોકો મરી ગયા એ પછી ભારતમાં એકદંરે મહાનગરોમાં શાંતિ હતી જે દિલ્હી બ્લાસ્ટ બાદ ભંગ થઇ. જાણકારો કહે છે કે ચીન અને રશિયાની ધરી સાથે કામ લેવા અમેરિકાએ નવેસરથી પાકિસ્તાનને પડખામાં નાખ્યું છે. જરૂરિયાત રેર અર્થ મિનરલ્સની છે. એમાં નવા આવેલા પૈસે ફરી નાપાકી સેના અને આઈએસઆઈ વગેરેએ ત્રાસવાદી પ્રવૃત્તિઓ શરુ કરી છે. દેશમાં બધા મુસ્લિમો સ્લીપર સેલ હોય એવી હવા બને છે, પણ કુલ સંખ્યાની સામે આતંકવાદીઓ પાકિસ્તાન કનેક્શનના નીકળે છે એ આંકડો જોતા જે એમાં નથી ભળતા એની નોંધ પણ લેવી જોઈએ. 

ઘણું બધું સમાચારોમાં નવાઈ લાગે એવું છે. હિંદુ ડોક્ટર પ્રિયંકા શર્માની કાશ્મીરમાં પૂછપરછ એનઆઈએ કરે છે. ગુજરાતમાં રાયસીન ઝેર એરંડીના બીજમાંથી બનાવવાની કોશિશ કરનાર મુસ્લિમ આરોપી ઝડપાય છે. સાયન્ટીફિકલી મોટા ભાગના બીમાં ઝેર હોય છે, એટલે તો મોટે ભાગે એ કડવા હોય. નેચરનું પ્રોટેક્શન છે. પણ એની માત્રા અલ્પ હોય. મોટા પાયે એનું ઉત્પાદન ઘરમેળે ના થઇ શકે. તો આખો ખેલ શું હતો એ પૂરું બહાર આવ્યું નથી. પેલી હવે બદનામ એવી અલ ફલાહ યુનિવર્સિટીનો સ્થાપક તો આર્થિક ગોટાળા માટે અગાઉ જેલ કાપી આવ્યો છે. હવે એની માન્યતા રદ થઈ ને હતી નહિ ને એવા અહેવાલો આવે છે. પણ એને આપી કોણે માન્યતા એ પણ ઓલમોસ્ટ આખો દેશ સત્તામાં કેસરિયો છે 

ત્યારે ? ને બનાવટી હતી તો કાર્યવાહી કેમ ના થઇ અગાઉ, ડોકટરો તૈયાર કરવાનું કેમ્પસ હોવા છતાં ? 

રાવણ વિદ્વાન હોવાથી કે હિરણ્યકશ્યપુ પરાક્રમી હોવાથી એમની આસુરી વૃત્તિ રાજા થવા છતાં જતી ના હોય તો ડોક્ટર શું ચીજ છે ? આ વધુ રિમાઈન્ડર છે કે ભણતર ફક્ત માર્ક્સ આપે એ નહિ, માણસાઈનું મૂલ્ય આપે એ સાચું !

ઝિંગ થિંગ

પાકિસ્તાનના આજે સૌથી મોટા મદદગાર હોય તો ચીન અને અમેરિકા છે. એ અમેરિકા જેની ઓથ ઇસ્લામિક ત્રાસવાદના મુખ્ય ટાર્ગેટ ઇઝરાએલને કાયમી છે. જેને જેહાદીઓ શેતાન નંબર વન માની ત્યાં હુમલા કરે છે. એ ચીન કે જ્યાં સામ્યવાદમાં ફેઈથ કે ધર્મને સ્થાન જ નથી ને જ્યાં મુઠ્ઠીભર મુસ્લિમો જ રહે છે ને એમણે એ દબાઈને જીવવું પડે છે ! અને પાકિસ્તાનને મુસ્લિમ અફઘાનિસ્તાન અને બલુચિસ્તાન સાથે જરાય ભળતું નથી, છતાં ભારતમાં વિસ્ફોટ કરનાર આતંકવાદીને પાકિસ્તાન સામે વાંધો નથી પડતો. આને કહેવાય આ-તકવાદી !

Tags :