દરેક દુર્ઘટના પણ કશુંક શીખવી જાય છે, દરેક મૃત્યુ જીવનની કિંમત સમજાવી જાય છે!
- અનાવૃત-જય વસાવડા
- પોતાનું કામ સરખી રીતે કરવું એ હોશ આંખો મીચીને કરતા ધ્યાન કરતા વધુ મૂલ્યવાન છે. કશુંક ખોટું થતું હોય ત્યાં સવાલ પૂછીને કે અવાજ ઉઠાવીને નાગરિક બનવું એ નગરશેઠ બનવા કરતાં વધુ જરૂરી છે.
માણસ જેવો માણસ ક્ષણમાં
ધુમાડો થઈ જાય
એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ
પૂર્વજ થઈ પૂજાય
એ કંઈ જેવી તેવી વાત નથી.
વીતી પળના પડછાયાને
પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ
અટકી જાય
એ કંઈ જેવી તેવી વાત નથી.
હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા
કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી
શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું,
દીવાલો કહેવાય
એ કંઈ જેવી તેવી વાત નથી.
સૂરજનો અજવાસ ગોખમાં
દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં
રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ
ઘટનાઓ તરડાય
એ કંઈ જેવી તેવી વાત નથી.
લા ગે છે કે સંદીપ ભાટિયાની આ રચના વારંવાર યાદ દેવડાવવાની ઠેકેદારી ઈસ્વીસન ૨૦૨૫ની સાલે લીધી છે. કવિતા ફરી ફરીને વાંચવા જેવી છે. જેણે કોઈને કોઈ રીતે પોતાના સ્વજનને ગુમાવ્યા છે, એમને તો રીતસર હોન્ટિંગ ફીલિંગ આપે એવી છે. કેલેન્ડરના કોઈ પાને સૂરજ અટકી જાય માટે હમણાં જ આપણી જોડે બેઠેલા વાતો કરતા અવનવા આયોજનો કરતા કોઈ વ્હાલેરા એવી રીતે આંચકો આપતી આઘાતજનક વિદાય લઇ લે કે એમને માટે તો હવે સાલ, મહિનો, દિવસ બધું જ નકામું ! ગમતી નિકટ વ્યક્તિઓની વિદાય પછી ખાલી લાગતું ઘર ને તૂટેલા અરીસામાં જેમ કરોળિયાના જાળા જેવી ડિઝાઈન બને એમ સુખદ લાગતી સ્મૃતિઓ છિન્નભિન્ન થઈને રડાવી જાય એવું થાય. કોઈ બાળક એને હજુ તો જીવન ને જુવાની ભોગવવાના છે એ ફોટોફ્રેમમાં જડાઈ જાય ને હાર અગરબત્તીથી પૂજાવા લાગે દિવંગત આત્મા / ડિપાર્ટેડ સોલ તારી કે એ બહુ વસમું દ્રશ્ય હોય છે. એટલે તો એર ઇન્ડિયાની તાજેતરની ફ્લાઈટ ક્રેશમાં કેવી કેવી કહાનીઓ સામે આવે છે. ભણવા મોકલેલી દીકરી વેકેશન પૂરું કરી પછી જતી હોય ને દુનિયા જ છોડીને કાયમી રજા લઇ લે ! ઘેર ઉત્સવ મનાવવા આવેલા સંતાનોની ઓળખ ડીએનએ ટેસ્ટથી ઘરડા માતાપિતાએ કરવી પડે.. પેલા લંડન સપરિવાર નવી દુનિયા વસાવવા જઈ રહેલા રાજસ્થાની દંપતીના કિલ્લોલ કરતા ભૂલકાઓની સેલ્ફી જોઇને તો લખાઈ ગયું કે -
ચીઅર્સ પણ ટીઅર્સ જન્માવી શકે?
આ ઉદયપુરના ડોક્ટર દંપતી પ્રતીક અને કોમા અને એમના ઉત્સાહથી છલકાતા ત્રણ માસૂમ ભૂલકાંની સેલ્ફી મગજમાંથી કોઈ રીતે ડિલીટ નથી થતી. શમણાં આંખોમાં આંજી ઉડયા નવી જગ્યાએ વસવા ને વિકસવા અને વિધાતાના કાળપંજાએ સાવ અજાણ કોઈ ગેબમાં એકસાથે મોકલી દીધા !
આનંદ અને આક્રંદ આ બે શબ્દો વચ્ચે જેમ જોડણીમાં મામૂલી ફરક છે, એવું જ જિંદગીનું છે. કૌન જાને કિસ ઘડી વકત કા બદલે મિજાજ ! એક પળમાં બધું ખળભળ ! ધુમાડાના ગોટેગોટામાં સુખ ને સ્નેહ, પરિવાર ને પૈસા બધું સ્વાહા ! કોઈ આયોજન, કોઈ અલવિદા, કોઈ આલિંગન કશાનો કોઈને સમય જ ન મળ્યો ને...
પેલી સેફ્ટી ઇન્સ્ટ્રકશન તો આ ફ્લાઇટ ઊડતા પહેલા અપાઈ હશે ને આપાતકાલીન સ્થિતિયોં મેં... ના સીટ બેલ્ટ કામ લાગ્યા ન ઓક્સિજન માસ્ક, ન હાથમાં આવ્યા લાઇફ જેકેટ ન સમય રહ્યો બોલવાનો ઇવેક્યુએટ... આવી તસવીરોના સ્મિત પછી આવેલું રુદન એર ઈન્ડિયાના એ ઘાતક વિમાનમાં બેઠાં ન હોવા છતાં દઝાડી જાય છે ! આવું જ થતું હોય ત્યારે વળી પ્રાર્થના પણ કોને કરવી, જ્યાં જનમ આપનાર જ વિફરીને જમરાજ બની જાય !
અને અચાનક જ જેમની હયાતીમાં જે ઉભરો નહોતો આવ્યો લોકોને એ સૌમ્ય, સાલસ, સરળ એવા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અણધારી વિદાયથી આવ્યો. અચાનક જ લોકોને રાજકારણમાં રહીને પણ સામાન્ય માણસની જેમ જીવતા વ્યક્તિની કદર થઇ. રાજકારણી નેતાનો દેહાંત થાય ત્યારે જાહેરમાં વિવેક રાખનાર લોકો પણ ખાનગી મિત્રવર્તુળમાં ઘણીવાર એ અવસાનથી આંચકાને બદલે છૂપો અનાનાદ અનુભવે એવું પણ જોયું છે. પણ રૂપાણીસાહેબ અપવાદ રહ્યા. વિજયભાઈ સદાય સરળ રહ્યા, સરળ બોલ્યા, સરળ વર્ત્યા અને સરળ જીવ્યા.... જાહેરજીવનમાં મુખ્યમંત્રીના પદ પર પહોંચ્યા પછી પણ કોઈ આડંબર નહિ. તરત બધાને મળે. ખબર પૂછે. પ્રોટોકોલ ના હોય તો ગાડી પરથી લાઇટ પણ ઉતરાવી લેવાના આગ્રહી એવા ભદ્રજન. મિલનસાર માનવી. સામાન્ય માણસ સાથે તરત ભળી જાય.
અને અસામાન્ય સંજોગોમાં એમની ચિરવિદાય પણ સામાન્ય નાગરિકોની સંગાથે જ થઈ ! વીઆઇપી થવાનું એમને કદી ગમ્યું જ નહોતું. લોએવી ટ્રીટમેન્ટ વિના જ જનતાની સાથે જ અલવિદા કહી ગયા ગુજરાતને ! કોઈ તામઝામ કે રસાલા વિના એકલા નીકળ્યા વિમાનની વાટે ને... દ્રશ્ય વિમાન નીચે તૂટી પડયું અને અદ્રશ્ય વિમાન તેડી ગયું ઉપર દિવંગત પુત્ર પૂજિતની ચેતનાને મળવા ને તેજમાં ભળવા... મુખ્યમંત્રીનું પદ પણ આસાનીથી અચાનક જ પળવારમાં છોડયું ને સ્વજનોનો સાથ પણ એમ જ અણધાર્યો છોડી ગયા ! ભૂતપૂર્વ મુખ્યમંત્રી થવું એ બરાબર, પણ એક ક્ષણમાં આખું આયખું ભૂતકાળ થાય એ કોઈ સંત્રી માટે પણ વસમી ઘડી છે.
કેટકેટલી કહાનીઓ સામે આવે છે. કાળજું કંપાવી દેતી ને કમકમાટી પેદા કરતી. પણ વરસ જ એવું ઉગ્યું છે કે આગલી દુર્ઘટનાની અરેરાટી કે ચર્ચા નવી ભૂલાવી દે ! એકબાજુ ન્યુઝ પણ બધા સનસનાટીવાળા... સૈફના ઘરમાં ઘૂસીને છરી મારી દેવાઈ ત્યાં પાગલ આઇઆઇટી બાબા પર મોનાલિસા છવાઇ ગઈ. મોનાલિસા પર મમતા કુલકર્ણી આવી ગઈ. એના માથે સંભલની ગરમાગરમી આવી ત્યાં તો ઉદિત નારાયણની કિસ જામી ગઈ. એ ચગે સરખી એ પહેલા સમય ને રણબીરનો ફાલતુ જોક નેશનલ ઇસ્યૂ થઈ ગયો. ત્યાં તો ઝેલેન્સ્કી ને ટ્રમ્પ ચોંટી ગયા. જીબલી આર્ટ રાહત આપે એમાં તો વડોદરાનો નશેડી અને રાજકોટની સિટી બસનો અકસ્માત, સાહિલ મુસ્કાન અને રાજા સોનમ જેવા ઝેરીલા નીકળેલા દાંપત્ય... મુંબઈ રેલ્વેના અકસ્માત કે આઈપીએલ પછી પણ કુંભમેળા કે દિલ્હી સ્ટેશન જેવી જીવલેણ ભીડની ભાગદોડ... એમાં પહેલગામનો જેહાદી ત્રાસવાદી હુમલો માંડ ભૂલાવા લાગ્યો હોય ત્યાં બોઇંગ ડ્રીમલાઈનરમાં લાઈનબંધ સળગી ગયેલા ડ્ર્રીમ્સ... દુબઈમાં આગ લાગે તો જાનહાનિ વિના સેંકડોનો બચાવ થાય પણ અહીં તો રોજ માર્ગ અકસ્માતમાં કેટલા મરે છે ! અમેરિકામાં તોફાનો ફાટી નીકળે ને ફ્રાન્સના રાષ્ટ્રપતિને તમાચો પડે... ભૂકંપના આંચકા ઓછા હોય ને યુક્રેન રશિયા પણ શાંત ના થતા હોય ત્યાં ઈરાન ઈઝરાએલ બાખડી પડે !
ડુ યુ નો ? નિકોલસ ઔજુલા બ્રિટનમાં રહેતો એક સાઇકિક યાને ગેબના ગૂઢ રહસ્યો જોવાનો દાવો કરતો આગાહીકાર છે. એના કહેવા મુજબ ૧૭ વર્ષે એને આ સિકસ્થ સેન્સની શક્તિઓનો સાક્ષાત્કાર થયો અને પૂર્વજન્મમાં એ ચીન અને હિમાલયમાં હતો ! એવો જ એક બ્રાઝિલમાં એથોસ સલામ નામનો છે. આ બધાએ અગાઉ કેટલીક સચોટ આગાહીઓ કરી છે. પેલા નોસ્ત્રાદામુ ને બલ્ગેરિયાના અંધ ડોશીમા બાબા વાંગાનો પણ અમુક ભવિષ્યવાણી સાચી પડયાનો ટ્રેક રેકોર્ડ છે. આ બધા એવું ભાખી ચૂક્યા છે કે ૨૦૨૫માં કુદરતી આફતો વધશે, એલિયન્સની ભાળ મળશે. રોગચાળો ફેલાશે અને ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે એવી નોબત આવશે ! ગ્રેટ એશિયન પાવર માથું ઊંચકશે એ આગાહી તોઈ ત્યારે ચીનની તરફેણમાં જતી દેખાય છે !
હજુ તો અડધું જ પસાર થયું છે, પણ અઘરું વર્ષ છે જીરવવા માટેનું. ડિજીટલ દુનિયા આમે તળિયું બતાવી રહી છે છીછરા માણસોનું ! ત્યારે શું કરવું ?
***
૩ સપ્ટેમ્બર ૧૯૯૭ના રોજ વિએતનામ એરલાઈન્સની ફ્લાઈટ ક્રેશ થઇ ત્યારે ૬૫ વ્યક્તિઓ ગુજરી ગયા પણ ૧૪ મહિનાનું એક શિશુ જીવતું રહી ગયું ! તાજતેરના બોઇંગ એર ઇન્ડિયા ક્રેશમાં પણ રમેશ વિશ્વાસકુમાર દરવાજાની નજીક હોઈને ફંગોળાઈ ગયા ને ચમત્કારિક રીતે જીવતા બચી ગયા ! અદ્દલ રામ રાખે એને કોણ ચાખે ? આવા કિસ્સામાં તો કાયદેસર એવું થાય કે ફાનૂસ બન કે જિસકી હિફાઝત હવા કરે, વો શમા ક્યા બૂઝે જિસે રોશન ખુદા કરે ! તો, બધી કટોકટી વચ્ચે , તમામ કસોટી વચ્ચે લાખો નિરાશા મહીં એક આશા છુપાયેલી હોય છે. કશુંક તો બચે છે. બધું જ પડતું નથી, સળગતું નથી !
હા, વિનાશ અને વિકાસ સમાંતર ચાલતી પ્રક્રિયાઓ છે. જીવન અને મૃત્યુ પણ. ભગવદ્ ગીતા કેવળ રાધે રાધે કરવાને બદલે બુદ્ધિયોગ કરીને સરખી સમજો તો ભગવાન એમાં કેવળ કરુણાનિધાન વત્સલ પાલક નથી. યમ: સંયમતામહમ એવું વિભૂતિયોગનો ૨૯મો શ્લોક કહે છે. યાને નિયમ ( કાળનો નિયમ મૃત્યુ ) મુજબનો યમરાજ પણ હું છું. લોકક્ષય માટે પણ પ્રવૃત્ત. આવા અકાળ મૃત્યુ સાવ નિર્દોષ બાળકોના થાય ત્યારે ટિપિકલ ધાર્મિકતાનો છેદ ઉડી જાય. સૂક્ષ્મ રીતે સમજ્યા હો સનાતન તો ખ્યાલ આવે કે નીયતિની ક્રૂરતા, હિંસા, તોફાન, કુદરતી આફત કે અકસ્માત પણ પરમ તત્વનું સર્જન છે. લાઈફ ઈઝ એ ગેઈમ. ગમે ત્યારે ગમે તે થાય. યાત્રીઓના કમનસીબ તો ખરા જ પણ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનો શું વાંક કે જમવા બેઠા હો ને આકાશમાંથી જમદૂત ત્રાટકે ? પાયલોટને તો કશું વિચારવાનો સમય જ મળ્યો નહોતો. પણ એ બિલ્ડિંગ સદનસીબે ભારતના મકાનોની માફક કોન્ક્રીટનું બનેલું હતું. નાઈન ઈલેવન જેવું કાચ ને સ્ટીલનું સ્ટ્રક્ચર હોત તો ભયંકર રીતે સળગી ઉઠત. જે ફ્યુઅલ આકાશમાં ઉડાડી આપણને ક્યાંક પહોંચાડે છે, એ જ અગ્નિ બનીને બાળે છે. દરેક બાબતના બે સ્વભાવ છે. સારપ પણ મળે ને બુરાઈ પણ, એ જીવનનો કર્મક્રમ છે. કામ કરો તો વખાણનાર ને વખોડનાર બંને મળવાના. નકામા લોકોની જ ચર્ચા ના થાય. એમ જીવો ત્યારે પળેપળ મોત બાજુમાં જ ચાલે છે.
તો હવે આપણે શું કરવાનું ? સેન્સેટીવ સોલ એવી બાબુશા કોહલીએ હમણાં જ લખેલું કે રાહુ કેતુ આકાશમાં નહિ, આપણી આસપાસ જ છે ! યસ, કોઈ પણ દુર્ઘટનામાં પત્રકારથી પણ આગળ નીકળવાની હોડમાં બધા જ સનસનાટીનાં સંદેશવાહક બની જાય છે. નવો રોગચાળો એક્સપર્ટ બનીને વિડીયોમાં સાયન્સની સાચી સમજ વિના કાવતરાંના ઘટસ્ફોટ કરી ઘેલાવેવલા અભણોને ઘેનમાં રાખવાનો છે. લાશ પરથી લૂંટ મચાવતા લખોટાઓ પહેલા પણ હતા. પણ આપણે ત્યાં લોકોના જીવની કિંમત નથી. સેફટી સ્ટાન્ડર્ડ ની કોઈ સિરીયસનેસ નથી. એક્સિડન્ટ જગત આખામાં થાય જ છે. પણ ભારતની ઘણી ઘટનાઓ પાછળ કામચોરી, ભ્રષ્ટાચાર, બેદરકારી, લાગવગશાહી, ચૂંટણી જીતી ઘર ભરવા સિવાય કોઈ જ્ઞાન વગરની નેતાગીરી, જૂઠાબોલી ને અહં ઘવાય ત્યારે ટાંટિયાખેંચ કરતી જનતાની અશિસ્તભરી ઘેટાંગીરી, અવ્યવસ્થા, તાલીમશૂન્યતા, નબળી ગુણવત્તા, નફાખોરીના સ્વાર્થ જેવા કારણોસર વધુ અકસ્માતો થાય છે ! વરસાદ વરસે ને સડક પાર પાણી ભરાય એ કુદરતી આફત નથી. કંગાળ સેનિટેશનથી ઉભું થયેલું ટેન્શન છે. આ બધી માનવસર્જિત હત્યાઓ છે. અકસ્માતો નહિ. જેમાં પ્રશાસન અને પ્રજા બંનેની બે-જવાબદારી છે. ને નાગરિહિતમાં સાચું બોલે એના સન્માનને બદલે શિકારી વરુઓના ટોળા એને ફાડી ખાવા, એના અવાજ દબાવવા, બ્લેકમેઈલ કરી કે એના સત્યની ક્રેડીબિલીટી ભૂંસવા જૂઠા પ્રચાર કરી તૂટી પડે છે. આ રાજકીય ઝરખો જ્યારે સત્યનો શિકાર કરે છે, ત્યારે જે લોકહિતમાં માણસ સવાલો પૂછતો હોય એને જ બચાવવા લોકો આગળ નથી આવતા. લુચ્ચાઈ ને નાગાઈ આપણા રાહુ કેતુ છે. અશિસ્ત અને અસત્ય આપણા મંગળ શનિ છે.
ધર્મ આપણે ભીડ બનાવી દીધો છે ને લોકતંત્ર ભીડતંત્ર. એમાં ઘોંઘાટ જડે, સૂર ના મળે. દરેક દુર્ઘટના થાય ત્યારે ધર્મના ઠેકેદારો વધુ ને વધુ ડર પેદા કરે છે, લોકોને પાપના નામે બીવડાવી પોતાની દુકાનો ચલાવવા માટે. પોતાનું કામ સરખી રીતે કરવું એ હોશ આંખો મીચીને કરતા ધ્યાન કરતા વધુ મૂલ્યવાન છે. કશુંક ખોટું થતું હોય ત્યાં સવાલ પૂછીને કે અવાજ ઉઠાવીને નાગરિક બનવું એ નગરશેઠ બનવા કરતાં વધુ જરૂરી છે. કેવળ પૈસા કમાવાને ધ્યેય ના સમજો. મોત દરવાજે ટકોરા મારશે ત્યારે પૈસા કામ નહિ લાગે ! વિદ્યાર્થી ના હો તો પણ થોડું વિજ્ઞાન જાણો. જીવન સુખસુવિધાથી જીવવા માટે કેવળ પોપટપાઠ કરતા એ વધુ આવશ્યક છે. અભ્યાસ અને અધ્યયન વિના અભિપ્રાયો ના આપવા એવો વિવેક રાખો. કેવળ કમાણી જ નહિ જીવનનું સૌંદર્ય સમજવા કવિતા ને કળા સાથેની સંગત રાખો. પ્રેમ કે બ્યુટી કે મોજના વિરોધીઓ હોય એમની સોબત છોડો. ઉપેક્ષા જ નહિ, કડક ટીકા પણ કરો એવા હવનમાં હાડકા નાખતા અસુરોની હિંમતથી.
અને યાદ રાખીએ, તારાઓ તૂટે છે, પાંદડા ખરે છે, માણસો મરે છે. પણ અંતરીક્ષ હજુ વિસ્તરે છે, કૂંપળો હજુ ફૂટે છે, બાળકો હજુ જન્મે છે. સંઘર્ષ વિના, ઉર્જાના ખર્ચ વિના પ્લેન ઉડતું નથી, કાર ચાલતી નથી. શ્વાસ લેવાતો નથી. જીવન છે તો સંઘર્ષ છે. સંઘર્ષ છે તો જીવન છે !
ઝિંગ થિંગ
सब्बे संखारा अनिच्चति यदा पञचया पस्सति ।
अथ निब्बिन्दति दुःखे, एसा मम्मो विशुद्धिया ।।
બધું જ અનિશ્ચિત અને અસ્થાયી છે એવું જે વ્યક્તિ અંતર દ્રષ્ટિથી સમજે એ શુદ્ધિને પામે છે.
( બુદ્ધ , ધમ્મપદ, ૨૭૭)