તુ રામ સુમર, જગ લડવા દે...
- અનાવૃત-જય વસાવડા
- સામસામે ધક્કા દેવાની સિસ્ટમ કોઈકે તો બંધ કરવી પડશે ને ક્યારેક..એમાં કોઈ હારતું કે જીતતું નથી, હાર થાય છે તો અન્યાય ને જડતાની થાય છે, જીત થાય છે તો ભાવી પેઢીની સુખ શાંતિની થાય છે.
'આ પણે ઇતિહાસ બદલાવવા જેટલી માથાકૂટ કરીએ છીએ, એટલી મથામણ ભવિષ્ય બદલાવવા માટે કરીએ તો?'
ગત વર્ષે લિબરહાન સમિતિ રિપોર્ટ નિમિત્તે જે પુરા ત્રણ લેખોની રામજન્મભૂમિ વિવાદ અંગે લમણાતોડ રીસર્ચ પછી જે તવારીખી ટ્રાયોલોજી 'સ્પેકટ્રોમીટર' અને 'અનાવૃત'માં લખેલી, તેનું આ છેલ્લું વાક્ય હતું.
સદનસીબે, જો ખરેખર ભવિષ્ય બદલાવવું જ હોય તો એની શરૂઆતની દિશા ચીંધતું એક કિરણ, હાઈ કોર્ટના ઐતિહાસિક ચુકાદા પછી અંધારાને ચીરતું ફેંકાયું છે ખરું ! સો, લેટ્સ ટેઈક અ ક્વિક રીવાઈન્ડ. (માત્ર ચુકાદાને સ્પષ્ટ કરવામાં મદદરૂપ માહિતી પુરતો જ ફ્લેશબેક. એનું વિશ્લેષણ મૂળ લેખોમાં વાંચવું!)
સતત રામજન્મભૂમિની મુક્તિ માટેની અથડામણો ચાલતી જ રહી છે. મસ્જીદ બંધાતી હતી ત્યારે ય કેટલાક ક્ષત્રિયો - સંતો એ અટકાવવા ખપી ગયા. અકબર સમયે સમાધાનરૂપે ત્યાં ચબૂતરો બન્યો, કામચલાઉ મંદિર બનાવવાની છૂટ મળી. જહાંગીર-શાહજહાંના સમયમાં ત્યાં જુમ્મા (શુક્રવાર)ની નમાઝમાં મુસ્લીમો આવતા અને બાજુમાં આરતીનો ઘંટારવ થતો. પણ ૧૬૬૪માં ઔરંગઝેબે ત્યાં રમખાણ મચાવી પોતાના જ પરદાદાએ કરેલા સમાધાનની ઐસી કી તૈસી કરી નાખી !
ગુરૂ ગોવિંદસિંહ બાબા વૈષ્ણદાસે કરેલો સૈયદ હસન અલીનો મુકાબલો, મહેશ્વરાનંદ, બલરામાચારી, પંડિત દેવીદીન પાંડે, મહેતાબસિંહ...બધાએ આપેલી આહુતિ તવારીખમાં દર્દ છે. અપવાદો અવધના ગાદીપતિ આસફુદદૌલા, અને વાજીદઅલી શાહના આસફુદદૌલાના મંત્રી ટિકૈતરાયે હનુમાનગઢી બનાવડાવેલી તો રામનવમી-જન્માષ્ટમીના તહેવારો ઉજવતા દારા શિકોહ સરીખા ઉદારમતવાદી, હિંદુત્વમાં આસ્થાવાન અને ખરા ધર્મનિરપેક્ષ નવાબ વાજીદઅલીશાહે રામજન્મભૂમિ પર પૂજાપાઠની છૂટ અંગે ખુદ મુસ્લીમ કટ્ટરપંથીઓ સામે બાથ ભીડી હતી. બાબરી મસ્જીદ માટે સમાધાન પર આવેલા અમીર અલી-બાબા રામચરણદાસને ૧૮૫૭ના બળવામાં ફાંસી આપ્યા પછી રાણી વિક્ટોરિયાએ લંડન બેઠે બેઠે રામજન્મભૂમિનો નકશો મંગાવી, તેમાં એક લીટી દોરી મસ્જીદ-ચબૂતરા વચ્ચે દીવાલ બાંધી દીધી હતી. ૧૯૧૨માં ગાયની કુરબાની વખતે થયેલા હુલ્લડોના મામલે અયોઘ્યા દોડેલા લોર્ડ હાર્ડિંગે ગોહત્યા પર પ્રતિબંધ જાહેર કર્યો પણ ૧૯૩૪માં ફરી પાછી આ હરકત થતાં ભારે રમખાણો મચી ગયા. અખાડાના સાઘુઓએ મસ્જીદ પર કબજો જમાવી દીધો. ત્યારથી મસ્જીદમાં નમાજ પઢવાની બંધ થઇ ગઈ.
આ અગાઉ રામજન્મભૂમિ પર મસ્જીદ બંધાઈ હોવાની વાત વારંવાર કહેવાઈ ચૂકી છે. ૧૭૬૭માં ઓસ્ટ્રિયન પાદરી જોસેફ ટાઈફેન્થલરે ફ્રેન્ચમાં આ વાત લખી, ઔરંગઝેબે રામકોટ તોડયાની વાત લખી છે. એમ્સાયક્લોપિડિયા બ્રિટાનિક જેવી પ્રતિષ્ઠિત કિતાબ પણ રામજન્મભૂમિના સ્થળે બાબરી મસ્જીદ હોવાનું લખે છે. બ્રિટિશ રાજ વખતે તેને 'બાબરી' નહિ પણ 'મસ્જીદ એ જન્મસ્થાન' જ કહેવાતી. રઘુવંશથી રામાયણ સુધીના હિન્દુ ગ્રંથોનો તો ઢગલો છે, અયોઘ્યામાં આસ્થા પુરવાર કરતો ! અબુલ ફઝલ (અકબરના નવરત્નોમાંના એક)થી લઇને સેંકડો મુસ્લીમ ઇતિહાસકારોએ આ વાત સ્વીકારી છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ આ જગ્યાએ મંદિર હોવાના પુરાતત્ત્વીય અવશેષો ૨૦૦૩માં સિઘ્ધ કર્યા છે. ૧૮૮૬માં ફૈઝાબાદ હાઈકોર્ટના ગોરા જજે ૩૫૬ વર્ષ પહેલાં 'પવિત્ર ભૂમિ' પર મસ્જીદની વાત લખી છે. ૧૯૪૯માં અહીં આઝાદી પછી રાતોરાત મૂર્તિઓ આવી જતા તોફાનો શરૂ થઇ ગયા હતા. ત્યારે પણ વડાપ્રધાન નેહરૂએ યથાસ્થિતિ જાળવવા કરેલા હૂક્મોનું 'પાલન' જોખમી હોવાનો રિપોર્ટ જીલ્લા કલેકટર કે.કે.નાયરે મુખ્યમંત્રી ગોવિંદવલ્લભ પંતને આપ્યો હતો.
'હિન્દુસ્તાન ઇસ્લામી આહદ મેં' નામના પુસ્તકમાં મૌલાના હકીમ સૈયદ અબ્દુલ હાઈએ લખેલું રામજન્મભૂમિ પરના મંદિર ભાંગવાનું પ્રકરણ અચાનક ગાયબ થઇ ગયું ! આવી જ રીતે મોહમ્મદ અઝમાત અલી નિઝામીના પુસ્તક મુરૂક્કા ઇ ખુસરવીમાં પણ આ વર્ણન નીકળી ગયું ! આ મસ્જીદ કેમ બની, શા માટે બની, ત્યાં કેવું મંદિર હતું, એ જ રામજન્મભૂમિ હતી કે નહિ,... આ તમામ બાબતોના અદાલતમાં ઉભો રહી શકે, અને નીર-ક્ષીરનન્યાય ગણાય એવો પુરાવો એટલે બાબરની આત્મકથા. રોજનીશી ઝીણી ઝીણી વિગતોની સ્પષ્ટ શબ્દોમાં ડાયરી લખવાના શોખીન બાબરે એમાં પોતાની વ્યૂહરચના, શરાબખોરી, માનસિક હાલત, ચિંતા તમામની નિખાલસ નોંધ કરી છે.ઇ.સ. ૧૫૨૮ની ૨૮મી તારીખે બાબર અયોઘ્યા પહોંચ્યો હતો પણ ૨ એપ્રિલ ૧૫૨૮થી ૧૮ સપ્ટેમ્બર ૧૫૨૮ સુધીના પૃષ્ઠો તેમાં ગાયબ છે ! એ પછીની હુમાયુની બીમારીથી પોતાની મૃત્યુશય્યા સુધીની નોંધો અકબંધ છે. એવું મનાય છે કે આ હસ્તલિખિત ડાયરી સાથે હુમાયું સિંધનું રણ ઓળંગી રહ્યો હતો, ત્યારે પ્રચંડ ઝંઝાવાતમાં આ પાનાઓ ઉડી ગયા.
વાત નવાઈભરેલી લાગશે, પણ અન્યોની સાપેક્ષે ત્યારની પરિસ્થિતિના ત્રાજવે તોળીએ તો બાબર પ્રમાણમાં ધર્મનિરપેક્ષ હતો ! એણે ગોવધનિષેધનો કાયદો કરેલો. તબ્લીગના નામે જોરજબરદસ્તીથી ચાલતી વટાળપ્રવૃત્તિ પર લાલ આંખ કરી હતી. અયોઘ્યામાં રામ-સીતાના દાતણની જગ્યા ગણાતા દંતધવનકુંડના મંદિર પાસે રહેલી જમીન પર મોટો કર નખાયેલો, એ માફ કરવાનો આદેશ એમણે ત્યારના આચાર્ય શત્રુધ્નજી મહારાજને તાંબાના પતરે કોતરાવીને આપ્યો હતો !
૨૭ જુલાઇ ૧૯૩૭ના 'નવજીવન'માં રામભકત ગાંધીજીએ પણ રામગોપાલ પાંડે 'શારદ'ના પત્રના જવાબમાં સ્પષ્ટ લખેલું મુસલમાનોના કોઈ ઉપાસના ગૃહ અગર હિંદુઓના અધિકારમાં હોય તો હિંદુઓએ મુસલમાનોને સોંપી દેવા જોઈએ. તે જ રીતે હિંદુઓના જે મંદિરો ઈત્યાદિ ધાર્મિક સ્થળો પર મુસલમાનોએ કબજો જમાવી દીધો છે, એ ખુશી ખુશી હિન્દુઓને સોંપી દે, તેથી આસપાસના ભેદભાવ તથા કલહ નષ્ટ થશે. હિંદુ મુસ્લીમોમાં આપસમાં એકતાની વૃદ્ધિ થશે. જે ભારત જેવા ધર્મપ્રધાન દેશ માટે વરદાનરૂપ સિધ્ધ થશે!'
ગાંધીજીની સ્માર્ટનેસ જુઓ. એ વખતે હિંદુઓએ કબજે કરેલા ઈસ્લામિક ધાર્મિક સ્થળનો કોઈ વિવાદ જ કયાં હતો? એટલે સરવાળે તો હિંદુઓના ધર્મસ્થળો જ સ્વૈચ્છિક રીતે પરત કરવાનો અનુરોધ હતો. પણ ખૂંચે તેવી 'રફ' લેંગ્વેજને બદલે મીઠાશભરી રીતે બાપુએ સત્ય સંભળાવી દીધું હતું! એ આખા લાંબા જવાબમાં એમણે એ ય ચોખ્ખું કબૂલ્યું છે કે, ધર્માંધતાને લીધે હિંદુઓના ઘણા ધાર્મિક સ્થળો નષ્ટભ્રષ્ટ કરવામાં આવ્યા છે. એમાં લૂંટફાટ પણ કરવામાં આવી છે. ઘણામાં મસ્જીદોનું જ રૂપ આપી દેવાયું છે. મંદિર - મસ્જીદ બંનેમાં ભેદ નથી, બંને પવિત્ર ઉપાસનાના જ સ્થળો છે. પણ પરંપરાની રીતે કોઈ કોમ આવું સહન ન કરે!
ગાંધીજીના સ્પષ્ટ અભિપ્રાય પછી આઝાદી બાદ ભારતની સુપ્રિમ કોર્ટે પણ તાળા ખોલી ત્યાંનાં મંદિરમાં પૂજાની છૂટ આપી હતી! પણ નહેરૂ ઢીલીપોચી ફિલસૂફી ડહોળવામાં સ્વયમ્ ગાંધીજીએ આ બાબતે લીધેલું 'સ્ટેન્ડ' ભૂલી ગયા હતા. એટલે મુસ્લીમોના એ વખતનો અસંતોષ ઠારવા અકબરે નહોતું કર્યું, એ કેન્દ્ર સરકારે કર્યું એ વિવાદાસ્પદ સ્થળને રિસિવર મૂકી સીલ કરી દીધું. ઠાકુર ગોપાલસિંહ વિશારદે તરત જ ૧૯૩૪ થી આ સ્થળ હિંદુઓ પાસે છે, અને મસ્જીદ તો વેરાન છે, પછી અમને પ્રવેશબંધી કેમ? એવી અરજી સિવિલ કોર્ટમાં કરી, જે ટેકિનકલ ગ્રાઉન્ડ પર રદ થઈ. એ ટેકિનકલ જરૂરિયાતો પુરી કરીને નવો મુકદમો પરમહંસ રામચંદ્રદાસ તરફથી દાખલ થયો. એ વખતે મુસ્લીમો તરફથી નિવૃત્ત ન્યાયાધીશ (અલ્હાબાદ) ઈકબાલ વકીલ હતા, તો હિન્દુઓ તરફથી કેદારનાથ. કોર્ટ ચુકાદો હિન્દુઓની તરફેણમાં આપ્યો. મુસ્લીમોએ પ્રયાગ હાઈકોર્ટમાં અરજી કરી. જયાં પણ ચૂકાદો બરકરાર રહ્યો . મુસલમાન આગેવાનોએ એવી અરજી કરી કે બધે હિન્દુ ન્યાયાધીશ હોવાથી આ કેસ અલીગઢમાં ટ્રાન્સફર થશે, તો જ અમને ન્યાય મળશે! પણ ફૈઝાબાદ (અયોધ્યા) કોર્ટમાં જ કેસ ચલાવવો એ ફાઈનલ જજમેન્ટમાં આવ્યું!
૧૯૮૬માં ભરણપોષણ માટે અદાલતમાં ગયેલ મુસ્લિમ મહિલા શાહબાનુની તરફેણમાં અપાયેલા ચૂકાદાને વોટબેન્ક ખાતર કોંગ્રેસ સરકારે પાર્લામેન્ટમાં ઉલટાવ્યો. પછી કદાચ અપરાધબોધથી... પણ રાજીવે રામજન્મ ભૂમિ ઉપર પહેલી વખત સામે ચાલીને હિન્દુઓનો દેખીતો પક્ષ લીધો! બંધ પડેલ બાબરી ઢાંચા આસપાસ કબ્રસ્તાન બનીને વિસ્તરવા લાગ્યું, એ મુદે ફરી હિન્દુ મુસ્લીમો વચ્ચે ચણભણ થઈ . અચાનક જ રાજીવ ગાંધીએ રામજન્મભૂમિ પર બનેલા મંદિરના તાળા ખોલવાની જાહેરાત કરી દીધી! (આમ તો બંધબારણે પૂજાપાઠ માટે પાછલા દરવાજેથી પૂજારીઓ તો જતા - આવતા રહેતા જ!) નેચરલી મામલો અદાલતે ચડયો. પણ ફેબુ્રઆરી ૧૯૮૬માં ફૈઝાબાદ કોર્ટના જસ્ટિસ કૃષ્ણમોહન પાંડેએ પૂરતી જુબાનીઓ પછી તાળા ખોલી નાખવાનો સત્તાવાર ચુકાદો આપી દીધો! અગાઉ સુલતાનપુરના ચૂંટાયેલા સાંસદ મોહમ્મદ નાઝિમે તો કહેલું જ કે નિર્દયતાપૂર્વક તોડફોડ કરનાર મુસ્લીમ 'ગાઝી' તરીકે બિરદાવાય છે. તો એવી જ ભાંગફોડ કરનાર હિંદુને ગુંડા કેમ કહી શકાય? પણ પાકિસ્તાનના જમાનાથી વિભાજનવાદી નેતાઓ આ ચૂકાદા સામે રમખાણે ચડયા. કાશ્મીરના હિંદુઓ પર આ મામલે હિંસાખોરી થઈ! બાબરી મસ્જીદ સંઘર્ષ સમિતિએ શોકદિન મનાવવાની જાહેરાત કરી.
૧૯૮૯માં રાજીવ પોતાના શાસનનાં અંતિમ વર્ષમાં વિવાદી પરિસરમાં (જયારે મસ્જીદ અડીખમ ઉભી હતી ત્યારે) રામમંદિરના બાંધકામના શિલાન્યાસની પરવાનગી આપી. ૧૯૯૦માં રાજીવે ચંદ્રશેખર પર દબાણ કરીને અયોધ્યા મામલે એક સ્કોલર્સ ડિબેટનું આયોજન કરાવ્યું, જેમાં આ સ્થળના ઈતિહાસ અંગે ચર્ચા કરવાની હતી. આ ડિબેટમાં ડાબેરી માનસના સેકયુલરિસ્ટ (એન્ટી હિંદુ) ઈતિહાસકારો રીતસર ઉઘાડા પડી ગયા હતા. મંદિર તોડીને મસ્જીદ બની હોવાના તો અઢળક પુરાવાઓ રજુ થયા.
૧૮૫૬માં મિર્ઝા જાન નામના મુસ્લીમે જ લખેલું કે રામના જન્મસ્થળે મંદિર હતું એ પાડીને મસ્જીદ બનાવાઈ, જયાં નાનું મંદિર ત્યાં નાની મસ્જીદ, મોટું મંદિર ત્યાં મોટી મસ્જીદ એવી ત્યારના મુસ્લીમ શાસકોની નીતિરીતિ હતી. જન્મસ્થાનના સ્થળે જ મસ્જીદ કેમ બની એ વર્ણવતું પુસ્તક હદીકા- ઈ- શહાદા લખનૌથી બહાર પડેલું. મિર્ઝા રજબ અલી બેગ સુરૂર (૧૭૮૭-૧૮૬૭) પણ સીતા કી રસોઈના સ્થળે બાબરે મસ્જીદ બનાવડાવી હોવાની વાત લખે છે. ઈ.સ. ૧૬૦૮માં ભારતમાં રહી જનાર બ્રિટિશ ઈતિહાસવિદ વિલિયમ ફિન્ચે અયોધ્યામાં રામકોટનું વર્ણન લખ્યુ હતું. ૧૯૭૫થી ૧૯૮૫ના દસકામાં રામાયણ સાથે સંકળાયેલા ૧૪ સ્થળોનો સર્વે થયેલો, જેમાં બી.બી.લાલ જેવા તજજ્ઞાો બાબરી મસ્જીદમાં મંદિરમાં હોય તેવા સ્તંભોની વાત નોંધી છે (તેની તસવીરો પણ છે!) એ મસ્જીદમાં શિવ-પાર્વતી- ગણેશ - વિષ્ણુ વગેરેની પ્રાચીન મૂર્તિઓ દેખાતી હતી! જુલાઈ ૧૯૯૨માં પણ મધ્યયુગના મંદિરોમાં હોય એવી ફૂલોની ડિઝાઈનવાળી જાળી નોંધાઈ હતી!
૬ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ કારસેવકો (ખરો શબ્દ હાથથી થતી સેવા, માટે 'કરસેવા') અચાનક જ ઉભરાઇ નહોતા પડયા. અકબર જે જગ્યાએ રામ ચબુતરો (કામચલાઉ મંદિર) અને સીતા કી રસોઈની મંજૂરી સમાધાન માટે આપે ત્યાં સ્વતંત્ર ભારતની નેતાગીરી ચૂપ હતી. ૬ ડિસેમ્બરની ઘટના પહેલા મૂળ મીર બાંકીના (બાબરના કહેવાથી અવધમાં મસ્જીદ બનાવનાર સૂબો) વારસદાર જાવેદ હુસને પોતાના ગામ સહાનવામાં (ઇજીપ્તમાં આસ્વાન ડેમ વખતે મંદિર ખસેડાયું હતું તેમ) બાબરી મસ્જીદ ખસેડવાની અને એ સ્થળ હિન્દુઓ માટે ખાલી કરવાની દરખાસ્ત કરી હતી ! હિન્દુઓ આ માટેનો ખર્ચ ઉઠાવવા તૈયાર હતા. પણ એ શિયા હોઇ બાબરી મસ્જીદ એકશન કમિટીના સુન્ની હોદ્દેદારો સમાધાન માટે ટસથી મસ ન થયા. જો વાઇસરોય હાઉસને આઝાદી પછી રાષ્ટ્રપતિભવન કરી ભારતીય ગૌરવના ચિહ્નો ત્યાં લગાડી ગુલામી ભૂંસાઇ શકાય, તો બાબરીના સ્થાને રામમંદિર કેમ નહિ ? (પોલેન્ડે વોર્સોમાં રશિયા પાસેથી આઝાદ થઇ ૧૯૧૫માં ગુલામીના પ્રતીક સમુ તાજું બનેલ કેથડ્રલ તોડયું હતું.)
પાકિસ્તાનના લાહોરના નૌલખા બજારમાં એક ગુરૂદ્વારા છે. શાહીદગંજ ઇ.સ. ૧૭૨૨માં એ ગુરૂદ્વારાના સ્થાને એક મસ્જીદ હતી. ૧૭૬૨માં શીખોએ લાહોર જીતી લીઘું. ૧૮૯૪માં શીખ રાજ્યની બ્રિટિશ સત્તાએ સમાપ્તિ કરી પણ મસ્જીદના ભાગને ગુરૂદ્વારામાં ફેરવી નાખવામાં આવેલો એ વિવાદ ચાલુ રહ્યો. સ્થાનિક મુસ્લિમ આગેવાનોની વાંધાઅરજીઓ થતી રહી.૧૯૨૫માં શીખ ગુરૂદ્વારા એક્ટ અમલમાં આવ્યો, ત્યારે શાહીદગંજ ગુરૂદ્વારા જ ગણાયું. ૭ જુલાઈ ૧૯૩૫ના રોજ શાહીદગંજનો મસ્જીદવાળો ઢાંચો પાડી દેવામાં આવ્યો. લાહોરમાં રમખાણો ફાટી નીકળ્યા. કેસ અદાલતોમાં થતો 'પ્રિવી કાઉન્સીલ' (બ્રિટિશ તાજના સલાહકારોની સર્વોચ્ચ સંસ્થા) સુધી પહોંચ્યો ૧૯૪૦માં મુસ્લીમોના દાવાને એમ ફગાવી દેવામાં આવ્યો કે સ્થળના કબજાના ૧૨ વરસમાં એ અંગે ન્યાય માંગવાનો હોય, હવે આ સત્તાવાર રીતે મસ્જીદ રહી નથી !
૧૯૩૪ પછી બાબરી મસ્જીદમાં પણ કોઈ ઇબાદત થઇ નથી. એ પડી ગઇ ત્યારે ય એને મસ્જીદ કહી ન શકાય. મિડિયાને લીધે આજે ય એને 'બાબરી મસ્જીદ' કહેવાય છે, પણ ૬ ડિસેમ્બર ૧૯૯૨ પછી (કોંગ્રેસ) સરકારે પોતે જ બહાર પાડેલા ૧૨૨ પાનાના શ્વેતપત્રમાં એક પણ વખત બાબરી મસ્જીદ એવો શબ્દ પ્રયોગ કર્યો નથી. 'ડિસ્પ્યુટેડ (વિવાદાસ્પદ) સ્ટ્રકચર' એમ જ લખ્યું છે ! ખુદ ઇસ્લામિક સાહિત્યમાં પણ નાનાભાઈની સંમતિ લીધા વિના મોટાભાઈએ મસ્જીદ બનાવી નાખી, તેની ફરિયાદ નાના ભાઈએ ખલીફા ઉમર બિન અબ્દુલને કરી, ત્યારે પુરાવાની ખરાઈ પછી જગ્યાના માલિકની સંમતિ વિના ચણાયેલી મસ્જીદ પાડી નાખવાનો ખલીફાએ હુક્મ કર્યો, એવી કથા છે.
તુર્કીમાં ઇસ્તંબુલની ભવ્યાતિ ભવ્ય 'હુગિયા સેફિયા મસ્જીદદ પહેલા બાઝેન્ટાઇન સિમ્બોલ જેવું 'સાન્ટા સોફિયા કેથેડ્રલ' હતું. ૧૪૫૩માં ઓટોમન તુર્કોએ કોન્સ્ટિનરિયોનલ જીતી લીઘું, ત્યારે આ ભવ્ય ખ્રિસ્તી કેથેડ્રલને મસ્જીદમાં ફેરવી નાખવામાં આવ્યું. ૧૯૩૫માં આઘુનિકતા સુધારાવાદી એવા તુર્કી શાસક કમાલ આતાતુર્કે સદીઓ પછી એમાં ઢાંકી દેવાયેલા ખ્રિસ્તી સ્થાપત્યોને ઉજાગર કરી, એને મ્યુઝિયમ બનાવી દીઘું.૨૦૦૭માં અમેરિકાના રાજકારણી અને બિઝનેસમેન ક્રિસ સ્પ્રિયુએ 'ફ્રી સોફિયા' મૂવમેન્ટ ચલાવી, જેમની માંગ આ મ્યુઝિયમમાં ફરી પવિત્ર ચર્ચ શરૂ કરવાની હતી. એની દલીલો સાંભળ્યા પછી જગતજમાદાર અમેરિકાના કોંગ્રેસનલ હ્યુમન રાઇટસના ચેરમેન ટોસ લેન્ટોસે કહ્યું 'છેલ્લા ૨૫ વર્ષમાં માનવાધિકાર હનનના અમે જેટલા કિસ્સાઓ તપાસ્યા છે, તેમાં સૌથી મહત્ત્વના ગણાય છે- ધાર્મિક સ્વાતંત્ર્ય પર તરાપના ! અમે બળજબરીથી 'કન્વર્ટ કરેલા' પ્રાચીન પવિત્ર સ્થળો અંગે વિશેષ ઘ્યાન આપીશું, જેમાં હગીઆ સોફિયા છે !' સ્પેનમાં સંખ્યાબંધ મસ્જીદ ઇસ્લામિક શાસનમાંથી આઝાદ થયા પછી તોડવામાં આવી, મલેશિયામાં મંદિરો તૂટયા... અરે, આપણે ત્યાં પણ મંદિરોનું ડિમોલેશન થાય છે.
૧૯૯૪થી ડો. ઇસ્માઇલ ફારૂકી વર્સીસ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ છે. હવે આખો મામલો જમીનનો થઇ ગયો છે. વિવાદી ઢાંચાના ૩૨૦૦ ફૂટની માલિકી વક્ફ બોર્ડની છે. આસપાસની ૬૭ એકર જમીન કેન્દ્ર સરકારે હસ્તગત કરી, એમાં 'રામજન્મભૂમિન્યાસ'નીમાલિકીની ૪૩ એકર જમીન પણ છે.
૨૦૦૩માં જોકે 'આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા'એ એ જગ્યાએ આ સ્થળે ઉત્થાન્ન કરી લાંબો રિપોર્ટ આપ્યો છે. ૧૩૧ સભ્યોની ટીમ (જેમાં ૨૯ મુસ્લીમો હતા) દ્વારા ખોદકામ કરી એએસઆઈએ ત્યાં અગાઉ હિન્દુ મંદિર હોવાના ઢગલાબંધ પુરાવા શોઘ્યા છે. હરિ-વિષ્ણુની મૂર્તિ યક્ષવાળો સ્તંભ, મોર, દેવકન્યા, દ્વારપાલ વગેરે અલગ અલગ કાળની શૈલીનું દેખાયા છે. ગઢવાલના રાજા ગોવિંદચંદ્રનો શિલાલેખ અને હરિ-વિષ્ણુની મૂર્તિ મળી છે. ૫૭૪ પાનાનો રિપોર્ટ છે.એમ તો ૨૦૦૨-૦૩માં કેનેડિયન જીયોલોજીસ્ટ ક્લોડ રોબિલાર્ડે 'યોજો વિક્સ' કંપનીના રડારથી એવું સિઘ્ધ કર્યું છે કે મસ્જીદના સ્થળે અંદર કશુંક બાંધકામ જમીનમાં છે.
અયોઘ્યા મામલે લડતી બંને પાર્ટીઓ સંકુચિતતામાં ભટકાડો તો એકબીજાને ગોબા પાડે તેવી છે!અહીં કોઈ હિન્દુ છે, મુસ્લીમ છે, જૈન-શીખ-દલિત-ખ્રિસ્તી-બૌઘ્ધ છે. ભગવા છે, લીલા છે. પણ કોઈને 'ભારતીય' થઇને વિચારવું-વર્તવું નથી. અહીં વ્યક્તિસ્વાતંત્ર્યના અધિકારને ધાર્મિક સ્વતંત્રતાનું લાયસન્સ માની લેવાય છે.
અયોઘ્યાના વિવાદી સ્થળે ટીખળીઓએ શૌચાલય-વેશ્યાલય જેવા 'સેક્યુલર' સ્થળો બનાવવાની મજાકથી લઇ હોસ્પિટલ, ચિલ્ડ્રન પાર્ક બનાવવાના ઉકેલો અપાયા છે. પણ એ બધા થીંગડાં છે. સમસ્યા કોમવાદી ધુ્રવીકરણના તુષ્ટિકરણ સામે નબળા પડતા તટસ્થ ન્યાયની છે. મુસ્લીમો મંદિર બનાવવા માટે જગ્યા સોંપે, અને હિન્દુઓ એક નવી મસ્જીદ બનાવી દે. ઇસ્લામ 'બૂતપરસ્ત' નથી એટલે ફક્ત મૂર્તિઓ તોડવી એમ નહિ, સર્વવ્યાપી ચૈતન્ય જેવા અદ્રશ્ય અલ્લાહ સામે ઝૂકવું, ઇંટ-પથ્થરનો મોહ ન રાખવો એમ ! અને જે રામ વિખવાદ ન થાય માટે ધનુષ-બાણ છતાં અયોઘ્યા છોડી વનવાસ લઇ શકે, એમના નામે કેટલી જીદ ચલાવી શકાય ?
આ છેલ્લો ફકરો એ લેખોની આર્કાઇવ્ઝમાંથી યથાતથ રજુ કર્યો છે. અને જે જજમેન્ટ હવે આવ્યું, એ પણ શબ્દશ: તેનો જ પડઘો પડે છે. ત્યારે પણ લખેલું કે આશા છે, હવે પેઢીઓ બદલાઈ છે. લોકોને સુખાકારી ને વિકાસમાં રસ છે. ધર્મના નામે વારંવાર રાજકારણ રમનારાઓને અનુભવે ઓળખી ગયેલી પ્રજા હવે એટલી ઉન્માદી રહી નથી. વિજેતા ઉદારતાથી મોટું મન રાખે અને હારેલા સસ્મિત ખેલદિલી રાખે તો હજારો વર્ષો જુનો કોયડો ઉકેલાઈ જાય !
ભલે આખા દેશની સેલીબ્રીટીઓએ થાકી જવાય એટલો શાંતિપાઠ કર્યો, પણ પહેલી વખત ભારતના સામાન્ય હિંદુ-મુસ્લિમોમાં પરિપકવતાના સામુહિક દર્શન થયા છે. કૈંક કાયદાને માન આપી અંગત લાગણીઓમાં જતું કરવાની ભાવના દેખાઈ છે. ગુજરાતના મુખ્યમંત્રીએ સાચું જ કહ્યું છે, તેમ આ અવસર કોઈ પક્ષના જય પરાજયનો નથી, રાષ્ટ્રીય ગૌરવનો છે. પેલી મુંબઈ મેરી જાન ફિલ્મમાં હતું, એમ સામસામે ધક્કા દેવાની સિસ્ટમ કોઈકે તો બંધ કરવી પડશે ને ક્યારેક..એમાં કોઈ હારતું કે જીતતું નથી, હાર થાય છે તો અન્યાય ને જડતાની થાય છે, જીત થાય છે તો ભાવી પેઢીની સુખ શાંતિની થાય છે.
ડર મુસ્લીમો ને એ છે, કે આ બહાને હિન્દુઓ ગામેગામ નવી માંગણીઓ ચાલુ કરશે. અને રોષ એમને એ છે કે ભાગલા વખતે ભારત પર પસંદગી ઉતારી હોવા છતાં, એમને શંકાની નજરે જોવાય છે. ડર હિન્દુઓને એ છે કે ત્રાસવાદી માનસિકતા સાથે ફરી ભારતના ભાગલા થાય એવી પ્રવૃત્તિ થયા કરશે, અને રોષ એમને એ છે કે સેક્યુલારિઝમના નામે એમને પોતાના જ દેશમાં પોતાના જ વારસા બાબતે એમને ખામી ખાવું પડે છે.
ક્યારેક તો ખુલી ને , નારાબાજી ને ભૂતકાળ બાજુએ મૂકી ને આપણે નિખાલસ વાતો ઉકેલ માટે માંડવી પડશે. નવું સાહસ કરવું પડશે. દુનિયા પર રાજ કરવા એકબીજાને તારાજ કરવાની 'એ લોકો'વાળી તિરસ્કારની વાતો બંને પક્ષે ઓગાળવી પડશે. અમેરિકા આ જ કરવાનો પ્રયત્ન કરે છે. પણ સફળતાની શક્યતા આપણે જો શરુ કરીએ તો આપણી ઉજળી છે. ફિલ્મોની અસર ગણો, કે ગ્લોબલાઇઝેશનની બ્રોડ માઇન્ડેડનેસ- જરાક સહિષ્ણુતા વધી છે. આ અસલી ભારત છે, જે હજારો વર્ષોથી વિરોધાભાસોને સમાવી પચાવી લેવાની તાકાત ધરાવે છે.
એક ચિનગારી કહી સે ઢૂંઢ લાઓ દોસ્તો, અભી ઇસ દિયેમેં ભીગી હુઈ બાતી તો હૈ..નાવ જર્જર હી સહી, તુફાનો સે ટકરાતી તો હૈ..