Get The App

કૃષ્ણનું 'અલ્ટીમૅટ' શિક્ષણ : અનાસક્તિ અને સ્થિતપ્રજ્ઞાતા!

Updated: Aug 16th, 2022

GS TEAM


Google News
Google News
કૃષ્ણનું 'અલ્ટીમૅટ' શિક્ષણ : અનાસક્તિ અને સ્થિતપ્રજ્ઞાતા! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- ગમતું પુસ્તક જીવની જેમ સાચવવાનું કર્મ કરવું. પણ ક્યારેક પાણીમાં પલળી ખરાબ થઈ ગયું તો બે ઘડી આંસુ સારી એને ઘરમાં રાખવાને બદલે પસ્તી કરવા જેટલું મનોબળ મજબૂત રાખવું. 

- સેક્સ કે સૌંદર્યને ગળે વળગાડો પણ માનો કે લેખ લખવાનો છે, મેચ રમવાનો છે, ડ્રાઇવ કરવાનું છે તો એનું ફોક્સ ગુમાવો નહિ. ક્યારેક મસ્ત મસાલાવાળું પાન જમાવો, પણ રોજ એ જોઈએ જ એવા આગ્રહ ન રાખો.

તમે ટાઇટેનિક ફિલ્મ જોઈ છે ?

જોવા જેવી જ છે, ન જોઈ હોય તો, સાચુકલી બનેલી ઘટના એ તો ખબર છે ને ! બ્રિટનથી અમેરિકા જવા નીકળેલું અને કદી ડૂબી ન શકે એવું 'અનસિન્કેબલ' ગણાતું તોતિંગ લોખંડી જહાજ દરિયામાં હિમશિલા સાથે અથડાઇને જળસમાધિ પામ્યું હતું. ડાયરેકટર જેમ્સ કેમેરૂને જ્યારે એ બનાવ્યું ત્યારે લખલૂટ ખર્ચે શિપ બનાવવા ને ડૂબાડવામાં ઓથેન્ટિસિટી રાખી હતી. દર્શકને ખબર હોય કે નજર સામે જે ખલાસીઓ, યુગલો, બાળકો, કેપ્ટન, જહાજના ડેક પર બેન્ડ વગાડનારા બધા મરી ગયા છે, એ કાલ્પનિક કથા નથી. હકીકતે એ બધા આમ મૃત્યુ પામેલા. છતાં 'અરરર બિચારા'થી વધારે થડકો જોતી વખતે આપણને થતો નથી.

પણ એના હીરો-હીરોઈન જેક અને રોઝ બચે છે કે નહિ એ જાણવા આપણો જીવ તાળવે ચોંટે છે ! કેટ વિન્સલેટ ને બિયોનાર્દો ડિકેપ્રિયો રાતોરાત એ ભૂમિકા ભજવી આપણા હૈયામાં ઘૂસી જાય છે. છેક છેલ્લે સુધી જેક-રોઝના બચવાની મથામણમાં અંતે જેક પેલી કરૂણ બેગપાઇપરની સુરાવલિઓ સાથે મૃત્યુ પામે છે, ત્યારે સ્વજનના મોત જેવો શોક લાગે છે. એ ઉદાસી ફિલ્મ પૂરી થયા પછી પણ જતી નથી. મજાની વાત તો એ છે કે ફિલ્મમાં બાકી બધું રિયલ છે. હકીકતમાં બનેલું છે. પણ જેક અને રોઝ એ બે પાત્રો અને એમની લવસ્ટોરી સર્જકના ભેજાંની કલ્પના છે. હકીકતમાં ટાઇટેનિક પર આવા કોઈ પેસેન્જર્સ નહોતા. પણ વાસ્તવિક્તાથી દુ:ખ નથી થતું, કારણ કે આપણે એનાથી એટેચ્ડ નથી. પણ આપણું 'ઇમોશનલ કનેકશન' વાર્તા થકી, દ્રશ્યો-અભિનય-સંગીત થકી જેક અને રોઝ સાથે બની ગયું છે. એટલે ત્યાં લાગણીના તારનું અનુસંધાન છે. આ જોડાણ એ જ ભગવદ્ગીતામાં વારંવાર જે શબ્દ બાબતે ચેતવણી છે એ મમત્વ ! બીજા શબ્દોમાં આસક્તિ, એટેચમેન્ટ.

આ મમત્વ સમજવા વધુ નજીકનું ઉદાહરણ જોઈએ. કોરોનાકાળ એની ટોચ પર ફૂંફાડા મારતો હતો, ત્યારે રોજ કોઈ મેચના સ્કોરની જેમ આંકડાઓ આવતા હતા, મોતના, દર્દીઓના. ઓકિસજન સિલિન્ડર કે હોસ્પિટલ બેડ માટેની, ઇન્જેકશન માટેની ધક્કામુક્કીના. પરિચિતોના કોલ પણ આવે. પણ માનવસહજ અરેરાટી બાદ આપણે આપણા કામે વળગીએ. જમવા બેસીએ, મોબાઇલમાં ગેમ રમીએ. અરે, માનો કે દવાખાને કોઇની સાથે ગયા હોઈએ તો પણ સ્વસ્થ હોઈએ. કારણ કે, પ્રોબ્લેમ બીજાનો છે. પણ એ ઘડીએ આપણા ફેમિલીમાં કોઇને થાય તો 'હક્કાબક્કા' / આકુળ વ્યાકુળ થઈ જઈએ ! ટેન્શન વધી જાય. જ્યારે હોસ્પિટલની બહાર લાઇનો હતી, ત્યારે ધારો કે દરેક પોતાના બાપને દાખલ કરવા આવ્યા છે. બાજુમાં બેઠેલી વ્યક્તિનો ય બાપ એ બાપ છે. આપણા પિતા ય પિતા જ છે. પણ એ વખતે ચિંતા તો એને પછી પણ પહેલા આપણા બાપુજીને સારવાર મળી જાય એની રહે છે. બધા કોઈના કોઇના તો મા કે બાપ, પતિ કે પત્ની, ભાઈ કે બહેન, સંતાન છે જ એ અહેસાસ સાચો હોવા છતાં થતો નથી. લાગણીઓ સરખી હોવા છતાં 'મમત્વ'ને લીધે 'આપણા' અને 'પારકા' એવો ભેદ રચાઈ જાય છે. આ છે સંસારની માયા ! ઈલ્યુઝન.

માનવનો સહજ પ્રાકૃતિક સ્વભાવ છે : આસક્તિ. એ ય ઈશ્વરદત્ત છે, ગોડ ગિફટેડ છે. સ્ટુડન્ટ તરીકે કોઇ બસમાં બેસી ક્યાંય જવાનું હોય, ત્યાર પૂરતી એ બસ 'આપણી' થઈ જાય છે. માલિકી વિના. માત્ર કલાક, બે કલાક માટે. બીજી બસો પર ધ્યાન રહેતું નથી. ૩ દિવસ રોકાવાનું હોય તો હોટલ 'આપણી' થઈ જાય છે, દૂરથી દેખાય ત્યારે દસ્તાવેજવાળું ઘર નથી તો ય ! પલ દો પલ કા સાથ હમારા, પલ દો પલ કે યારાને હૈ. પણ ટૂરિસ્ટ તરીકે કોઈ ગુ્રપમાં ફરતા હો, ને ગાઈડ જોડે હોય ત્યારે જે કામચલાઉ ટોળું બને એ 'ગુ્રપ' આપણું થઈ જાય છે ! ભલે ને કોઈના નામ ખબર ન હોય ! આપણું ચિત્ત એ રીતે વિચારવા ટેવાયેલું છે. અખિલાઈમાં વિચારી શકે એ - સરેરાશ મનુષ્ય ન રહે. એટલે માઠું ય લાગી જાય છે. બીજા સાથે કોઈ ગીતો ગાય એમાં જેટલું વાંકુ નથી પડતું એટલું પોતાની સાથે કેમ ન ગાયું, એ બાબતનું પડે છે ! મમત્વ અપેક્ષા લઈ આવે છે, ને એ પૂરી ન થાય ત્યારે ક્રોધ આવે છે ! આમ તો ગુસ્સાની દરેક ઘટના ભીતરના પેઇન, કસ્ટ્રેેશન યાને દુ:ખ, હતાશાને વ્યક્ત કરવાનો જ એક પ્રકાર છે.

ભલે, કાયમ શક્ય ન હોય તો થોડી વાર માટે પણ જો આ ખેલ સમજાય તો આડીઅવળી બીજી શ્લોકોની ગોખણપટ્ટીને બદલે કૃષ્ણ ગીતામાં કોર / સાર રૂપ શું કહેવા માંગે છે એ સમજાય. આ અઘરું નથી, પણ અટપટું બનાવી દેવાયું છે, ને ક્યારેક ચોમેરના ઘોંઘાટ વચ્ચે ઝીણો કોમળ સૂર પકડવો કઠિન થઈ જાય છે. આજે જે થાળીમાં પીરસાતું, મનલુભાવન ભોજન છે, જેનો ફોટો પાડી ઇન્સ્ટાગ્રામ પર મૂકીએ છીએ, એ જ કાલનું ટોયલેટમાં ફલશ થતું મળ છે. પણ એના ફોટા થોડા કોઈ પાડે ? આ રોજનો અનુભવ છે ને આપણો ? સુગંધ ગંધ બની જાય, રૂપ અરૂપ થઈ જાય એનો ? તો ય એની અનુભૂતિ રોજ નથી થતી. એ પણ માયા જ છે. એ માયા એટલે મિથ્યા નહિ, નકામું એમ નહિ. પણ ક્યારેક ભ્રમમાં જીવવું આશીર્વાદરૂપ છે. નહિ તો વાનગીઓમાં છીછી દેખાવા લાગે, રૂપસુંદરીઓમાં સ્મશાન / કબ્રસ્તાનનું અસ્થિકંકાલ દેખાવા લાગે. બાળકમાં વૃદ્ધ દેખાવા લાગે ! જીવતર ઝેર થઈ જાય.

તો ટ્રેનમાં બીજા ઉભા હોય એની ફિકર ન હોય, પણ આપણી વ્હાલી કોઈ ઊભી હોય તો એને માટે જગ્યા કરી દઈએ, એ પ્રેમ છે અને એટેચમેન્ટ પણ છે. પછી એ જ વ્હાલી મોં ફેરવી લે ત્યારે સુખને બદલે આ એટેચમેન્ટ દુ:ખ આપે છે. એટેચમેન્ટ બેધારી તલવાર છે. તમારા માટે કાપે પણ છે, ને તમને ય ક્યારેક પીડામાં ગરકાવ કરીને કાપે છે. પણ માયાનો 'મેટ્રિક્સ' એટલો સ્ટ્રોંગ છે કે એમાંથી આ લખાય છે, એટલી આસાનીથી છટકી નથી શકાતું. અને વળી વેદના, અંધકાર, પરાજય, નાશ કોઈને ગમતા નથી. ઝંખના, અપેક્ષા, સપનું તો શાશ્વત સુખનું છે.

આ તો પ્રોબ્લેમ થયો યુનિવર્સલ. તો એનું સોલ્યુશન શું ? વેલ, અમસ્તા જ કૃષ્ણને જગદ્ગુરુ કહેવાયા છે ?

* * *

દુનિયાભરમાં ધર્મો બે કારણથી સ્થપાયા, વિરાટ બન્યા. એક તો મૃત્યુ પછી શું થશે એનો ભય અને બીજું જીવનમાં કંઈક ટેકો, કંઈક નિયમ જોઈએ એની લાલચ. એ સાથે જોડાયેલ ત્રીજું મહત્વનું પરિબળ એ આ સૃષ્ટિ શું છે, કોણે બનાવી, કોણ ચલાવે છે, આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા, ક્યાં જઈશું એની મથામણ. એમાં ય અદ્રશ્યની અણસમજ છૂપો ડર તો પેદા કરે જ છે. ખરેખર આ બધું કંઈ અલગ-અલગ સર્જનહારોએ તો રચેલું હોય નહિ. પૃથ્વીના ઉદ્ભવ માટે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્રથી ઝિયુસ, ગોડ, અલ્લાહ વગેરે અનેક કથા છે. આ બધા છુટા છુટા હોત તો એક પૃથ્વી હોત નહિ, સરખા માણસોના દેહબંધારણ (લોહી લાલ, હૃદય એક, આંખ બે વગેરે) હોય નહિ છે એક તો એને જોવા જાણવાના નજરિયા / પર્સ્પેકટિવ મુજબ બધા એની કહાની બતાવી આસ્થા નક્કી કરે છે ને લડેઝગડે છે. એના નામે લાગણી દુભવીને.

તો જીવન વિશે બે ક્લાસિકલ રિસ્પોન્સ આપ્યા. એક આધુનિક વૈજ્ઞાાનિક લાગે એવો. કે પાપપુણ્ય, સ્વર્ગનરક બધું છોડો. જો ભી હૈ, બસ યહી એક પલ હૈ. યાને ડોન્ટ વરી, બી હેપી. જલસા કરો. ભોગ ભોગવો. વધુ કમાવ. વધુ વિલાસ માણો. ભગવાન જેવા ટેન્શન ન લો. મજા કોઈ પણ ભોગે કરી લો. કૌન કહે ઇસ ઓર તૂ ફિર આયે ન આયે. રાસરચાવીને પોતાના સુખોને વળગી જ પડે. બાકી બધું જાય ભાડમાં !

બીજો, હાય હાય આ જીવન આ સંસાર તો દુ:ખ છે. માયા છે, છલ છે. ઝટ એમાંથી ભાગો. કઠોર તપ કરો. વ્રત કરો. આનંદને તો દુષ્ટતા માની લો. સુખસગવડોને બંધન માની તિરસ્કાર કરો. સ્વાદથી સુગંધ, સૌંદર્યથી સ્પર્શ કશામાં મન ન પરોવો. ઝટ છુટકારો મેળવી લો માણસ થવામાંથી ને મોક્ષ, નિર્વાણ વોટએવર પ્રાપ્ત કરી લો. ભોગ ને તો અય્યાશી માનો. પાપ માનો.

આ બે સામસામેના અંતિમવાદી અભિગમ વચ્ચે સંતુલન આપતા કૃષ્ણ અલગ પડે છે. જે માત્ર 'ઠાકોરજી' કહીને સેવા કરવાથી નહિ, એમના ગીતાબોધ મુજબ ધ્યાન દઈ, જાગૃત થઈ આત્મનિરીક્ષણ અને આત્મચિંતન કરવાથી સમજાય છે. કૃષ્ણએ સંસારને અમરત્ય મેળવી રોકાઈ જવા જેવું પરમ સુખ પણ નથી ગણ્યો અને ઝટ બધા સહજ પ્રાકૃતિક સંવેદનો છોડીને નાસી છુટવા જેવું પરમ દુ:ખ પણ નથી માન્યો. કૃષ્ણ વિરાટ દર્શન કરી જ્ઞાાનરૂપી દિવ્યચક્ષુ આપી એટલું જ સમજાવે છે કે, આ લીલા છે. લીલારાસ છે. એમાં એકદમ ભાન ભૂલીને ડૂબી જવાનું નથી, ને સાવ તરછોડી ભાગી જવાનું નથી. એમાંથી પસાર થઈ જવાનું છે બસ ! જસ્ટ યુ હેવ ટુ પાસ. બુદ્ધના મધ્યમમાર્ગ જેવા 'સમ્યકત્વ'થી કૃષ્ણનો અભિગમ જુદો પડે છે. એમાં બધું માપમાં, થોડું, એકંદરે વચ્ચેનું એવી વાત છે. કૃષ્ણ એમ નથી કહેતા. એમનું જીવન સાક્ષી પૂરે છે કે બાળકની મસ્તી કે યૂથ રોમાન્સ, સામાજીક નેતૃત્વ કે યુદ્ધમાં પરાક્રમ - જે કરો એ દિલ દઈને કરો. ભરપૂર હન્ડ્રેડ પર્સેન્ટ કરો. સહજ અંતરના ઈશારે કરો. કોઈની સાથે અન્યાય, અનીતિ કર્યા વિના અલબત્ત. જરૂર પડે નિર્દોષ જૂઠ કે યુક્તિ કરવી પડે તો એ ય કરી લો. લડતા પહેલા વિવેકથી ચેતવણી આપો, પ્રામાણિક પ્રયત્ન નુકસાન રોકવાનું કરો પણ અનિવાર્ય હોય તો ઝૂકાવી દીધા પછી પૂરા ફોર્સથી જીતવા માટે કર્મ કરો. જોકે, એ જીત સાધુતા યાને સત્યની હોવી જોઈએ.

પણ આ બધામાં સતત રોકાયેલા ન રહો. ગમે તેટલું સારું લાગે કે નઠારું લાગે - એમાંથી પસાર થઈ જાવ. કારણ કે કાળ યાને સમયનું કામ જ પસાર થઈ જવાનું છે. કશું કાયમી નથી. આપણે ય પરમેનન્ટ નથી. દરેક જાણે આપણા શરીરમાં સેંકડો કોષો નાશ પામે છે, ને નવા બનવાની ક્રિયા તબક્કાવાર ધીમી પડે છે. જન્મની સાથે જ મોટા થવાની જેમ મૃત્યુની, અંતની નજીક સરકવાની શરૂઆત થઈ જ ચૂકી છે. આ સાયન્ટિફિક ટ્રુથ છે. પણ એથી ડરપોક ભાગેડુ ન બનો. ઉલટું સમય ઓછો છે, એમ માની બધા રંગો બેશુમાર માણીને મલ્ટીકલર મોરપીંછ બનાવો જીવનનું !

પણ લીલા સમજી પોતાની જાત સિવાય બીજે ક્યાંય સ્થિર ન રહો, તો દુ:ખી ઓછા થશો. ડિસ્ટર્બ ઓછા થશો. આસપાસ જે ચાલે છે, એને ફિલ્મ તરીકે, ગેઈમ તરીકે લો. દીવાર કે અગ્નિપથ કે શોલે કે શક્તિમાં અમિતાભને મરતો જોઈને અભિષેક કંઈ દોણી ન પકડે. આપણે વાર્તામાં, ટીવી સિનેમામાં, ગેઈમમાં ઈન્વોલ્વ્ડ હોઈએ છીએ. પણ અમુક માનસિક બીમારો સિવાય દરેક નોર્મલ માણસ સમજે છે કે આ તો રમત છે. મજા લો, પણ ઈન્વેસ્ટ થઈ વેસ્ટ ન થાવ. આ છે 'સાક્ષીભાવ.'

એ આવે એટલે પેલી ધોનીના ચહેરા પર દેખાય છે એ 'સ્થિતપ્રજ્ઞાતા' આવે. સ્થિતપ્રજ્ઞા એટલે ઘણા વિદ્વાનો અર્થ કાઢે છે, એમ લાગણીશૂન્ય થઈ જવું એમ નહિ. કૃષ્ણ તો તો અર્જુન-દ્રૌપદીને મદદ ન કરતા હોત. રૂકિમણી-સત્યભામા સાથે કે ગોપીઓ સાથે શૃંગાર ન રચતા હોત, કુરૂક્ષેત્રમાં કપટ ન કરતા હોત. પણ એ કશું ય કાયમી નથી, એ હોશ સાથે એમાં ઈન્વોલ્વ થવું એ. એટલે જુઓ, સમય પૂરો થયા પછી કૃષ્ણ ગોકુળ-વૃંદાવન ફરી ગયા નથી. મહાભારતના સંગ્રામ પછી ત્યાં ય 'જીતાડી દીધા ને' વાળો ક્લેઈમ કરવા રોકાયા નથી.

કૃષ્ણ પ્રેમનો, દીવાનગીનો, અરે આલિંગનચુંબનરતિરસનો, છપ્પનભોગ કે સોળ શણગારનો જરાય વિરોધ કરતા નથી. એ ગમે છતાં સારું દેખાડવા મોઢા ચડાવે એવા દંભીઓનો ઉલટો વિરોધ કરે છે. પણ એટલું જ કહે છે કે ક્યારેક આ છોડવું પડે તો બહુ આસક્તિ ન રાખવી. ગમતું પુસ્તક જીવની જેમ સાચવવાનું કર્મ કરવું. પણ ક્યારેક પાણીમાં પલળી ખરાબ થઈ ગયું તો બે ઘડી આંસુ સારી એને ઘરમાં રાખવાને બદલે પસ્તી કરવા જેટલું મનોબળ મજબૂત રાખવું. કર્મમાં ફુલ ફોર્સથી ઝૂકાવવું કોઈ ગુનો નથી. ઈશ્ક કરો તો કરો રગેરગથી, ફના થઈ જઈને. પણ એમાં નિષ્ફળતા પછી આપઘાતના વિચાર આવે તો ફળ આપણા અધિકારમાં નથી, કરીને ખંખેરી નાખો. આ જરાય સહેલું નથી. એટલે કૃષ્ણ દ્વારકા મુકી હિમાલય જવાનું નથી કહેતા.

પ્રેકટિકલી, આજના સમયમાં કૃષ્ણ જેટલા સ્થિતપ્રજ્ઞા કે અનાસક્ત ન થઈ શકો તો થોડો સાક્ષીભાવ કેળવવો એટલો અઘરો નથી. માનો કે પડી ગયા તો રાડ નીકળી ગઈ જખમથી. જોરથી પેશાબ લાગી તો ભાગવું પડયું વોશરૂમ તરફ. ઉંઘના ઝોકાં આવે તો સોફામાં આંખ મળી ગઈ. તો એમાં સ્થિતપ્રજ્ઞા થવાનું. કરવા જાવ તો એ પ્રકૃતિનો જ વિરોધ છે. ને અપ્રાકૃતિક બહુ ટકે નહિ. ગમતી મીઠાઈ જોઈ મોંમાં પાણી છૂટે એ સ્વાભાવિક છે, પણ ત્યારે માનો કે પેટમાં ગરબડ છે અને કામ કોઈ પુરું કરવાનું છે તો મક્કમતાથી એ પ્રલોભનને નકારતા શીખો. કે અત્યારે નહિ. સેક્સ કે સૌંદર્યને ગળે વળગાડો પણ માનો કે લેખ લખવાનો છે, મેચ રમવાનો છે, ડ્રાઇવ કરવાનું છે તો એનું ફોક્સ ગુમાવો નહિ. ક્યારેક મસ્ત મસાલાવાળું પાન જમાવો, પણ રોજ એ જોઈએ જ એવા આગ્રહ ન રાખો. કોઈ વાર ઉઠીને કોફી પીવો, પણ ચા-કોફી હોય તો જ સવાર પડે એમ ગુલામ ન બનો.

આટલું કરવું અઘરું નથી, એટલો જાત અનુભવ છે. એ માટે જીવન બાબતની પાક્કી સમજ અંદરથી આવી જાય. તો વધુ આસાન છે કે જગતમાં બધું બદલાય છે. 

જૂનું જાય છે, નવું આવે છે. જૂના કે નવા, દેશી કે પરદેશી એવા લેબલ કરતા સારા અને ખરાબનો વિવેક રાખો. પૈસો કમાવ પણ હરામનો નહિ, પ્રેમ કરો, ચીટિંગ નહિ. સમજવા માટે વધુ એક દ્રષ્ટાંત જોઈએ, મૌલિક છે હોં, ઉધાર નથી.

તમને કોઈ ધનાઢ્ય સ્વજને લગ્નમાં બોલાવ્યા. ત્યાં ફાઇવસ્ટાર હોટલમાં સ્વીટ રૂમ આપ્યો. તમે ખુશખુશ થઈ એની રીલ બનાવી નેટ પર મૂકી બધાની લાઇક્સ મેળવી, ઈમ્પ્રેસ કરી દીધા. પણ વરસાદ આવ્યો. ફલાઈટ કેન્સલ થતા યજમાને ટ્રેનનું બૂકિંગ કરાવ્યું. પ્રસંદ બાદ સ્ટેશને ગયા તો ટ્રેન મોડી પડી. સ્ટેશનના બાંકડે સૂવાનો વારો આવ્યો. મચ્છર કરડતાં હોય એમ છાપું પાથરીને. એના ફોટો તો કોઈ ભાગ્યે જ અપલોડ કરે ! સવારે ફાઈવસ્ટાર ને રાત્રે સ્ટેશનનો જૂનો બાંકડો.

તો આ જ લાઈફ છે. આવી જ રહેશે. કૃષ્ણ આ સમજાવવાની કોશિશ કરી ગયા. એ હોટલ પણ કાયમી નથી, આપણું ઘર નથી. એ ય છોડવાની હતી. સ્ટેશન પણ કાયમી નથી. એ ય ટ્રેન આવે તો છોડી દેવાનું જ છે. યાત્રા કાયમી છે. જે સ્થિતિમાં હો, એમાં એડજસ્ટ થઈ આનંદ લેતા શીખો એ સ્વભાવ કાયમી છે. મુસીબત કે તકલીફ હોય તો દર્દથી ખુલીને રડી લો, પણ એમાં શ્વાસ છે ત્યાં સુધી આશા અને પડકાર જોડે જોડે છે એમ માની આગળ યાત્રા ચાલુ રાખવાની છે, એ માટે પોઝિટિવ બાબતો યાદ કરીને કર્મયોગ કરો એ કાયમી છે. તો ફાઇવસ્ટારથી છકી ન જવું ને બાંકડાથી 'ડૂકી' ન જવું એ છે કૃષ્ણનું ગીતાજ્ઞાાન. બધું નહિ તો થાય એટલું તો કરો.

ઝિંક થિંગ

તુર્કીમાં સૂફી ઓલિયા જલાલુદ્દીન રૂમીને મળવા એક પ્રવાસી ગયો. રૂમીના ઓરડામાં ખાસ વસ્તુઓ ન જોતાં, નવાઈથી પૂછ્યું 'તમારું ઘર છે તો સામાન ક્યાં ?' રૂમીએ કહ્યું : 'તમારી પાસે કેમ એક થેલો છે ?! પ્રવાસી કહે : 'હું તો થોડા સમય પૂરતો આવ્યો છું, ક્યાં કાયમી રોકાવાનું છે !'' રૂમી કહે 'મારું ય એવું જ છે આ ધરતી પર !'

Tags :