Get The App

શાણા સજ્જનોને યુદ્ધ ગમતું નથી, પણ છતાં એક હદ બાદ ક્યારેક લડવું તો પડે જ છે!

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
શાણા સજ્જનોને યુદ્ધ ગમતું નથી, પણ છતાં એક હદ બાદ ક્યારેક લડવું તો પડે જ છે! 1 - image


- અનાવૃત-જય વસાવડા

- જે ઢીલા પડીને શાંતિને ખાતર સાચા હોવા છતાં જતું કરે એ ખરેખર તો એ ટાળવા માંગે છે એવા યુદ્ધને પ્રોત્સાહન આપે છે, કારણ કે સામેવાળા એની ભલમનસાઈને નબળાઈ માની લે છે !

૩૦ સપ્ટેમ્બર ૧૯૩૮. 

ઇતિહાસમાં આ દિવસ નોંધપાત્ર છે. બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિને ૮૦ વર્ષ પુરા આ વર્ષમાં થાય છે, ત્યારે ખાસ યાદ કરવા જેવો. પહેલા વિશ્વયુદ્ધ બાદ જર્મનીમાં લોકશાહી ઢબે ચૂંટણીમાં રાષ્ટ્રગૌરવના પુનરુત્થાનનાં નામે ચૂંટાઈ લશ્કરી રીતે મજબૂત થયેલા એડોલ્ફ હિટલરે સમાન સંસ્કૃતિનો દાવો કરીને પાડોશી ને એક સમયે મહાન સામ્રાજ્ય એવી ઓસ્ટ્રિયા ઓલમોસ્ટ જર્મન કરી નાખ્યું હતું. અને પછી એનો દાવો ચેકોસ્લોવેકિયાના એક પ્રદેશ સુડેટેનલેન્ડ પર હતો જ્યાં ખાસ્સી જર્મન વસતિ હતી, અને સંસ્કૃતિના નામે એમને જર્મનીમાં ભળવું હતું. (કૈંક અંશે યુક્રેનના વિવાદ જેવું ). હિટલરને એવી સલાહ મળેલી કે ઉતાવળ કરવા જવામાં ચેકોસ્લોવેકિયાની આર્મી સાથે અથડામણ થશે ને એ પણ મજબૂત છે. 

દરમિયાન હિટલરની ભવિષ્યની યુદ્ધખોરી રોકવાની નેક ખ્વાહિશ ત્યારના બ્રિટીશ વડાપ્રધાન નેવિલ ચેમ્બરલીનની હતી. ત્યારે એમ તો બ્રિટન પણ મહાસત્તા જેવું પણ છતાં ચેમ્બરલીન રક્તપાત રોકવાને ખાત્ર હિટલરને પોતે મળવા ગયા. કેટલીક મુલાકાતો ને શરતોના ડિપ્લોમેટિક રાઉન્ડ બાદ અંતે જર્મનીના મ્યુનિક (સ્થાનિક ઉચ્ચાર મ્યુનિખ)માં શરૂઆતમાં લખી એ તારીખે ફાઈનલ મીટિંગ થઇ એમાં હિટલર જોડે ઇટાલીનો એનો સાથી સરમુખત્યાર મિત્ર મુસોલિની પણ હાજર હતો. ચેમ્બરલીને ફ્રાન્સના વડાપ્રધાન ડાલ્ડીયેરને પણ જોડે રાખેલા. ચેકોસ્લોવેકિયાનો કોઈ પ્રતિનિધિ નહોતો પણ બ્રિટનની શાખ જોતાં એનું માં એણે રાખવાનું થાય એ માની લેવાયું હતું. એ વખતે હિટલરને એની માંગ માનીને ચેકોસ્લોવેકિયાનો એક ભાગ એમાં જનમત કરાવી જનતા જર્મનીમાં ભળવા માંગે તો લેવાની છૂટ આપવામાં આવી, એ શરતે કે એ બ્રિટન કે ફ્રાન્સ પર વિસ્તારવાદી હુમલો નહિ કરે ! એક પારકા પ્રદેશનો જાણે બલિ ચડાવી એવી અપેક્ષા રાખવામાં આવી કે હવે યુરોપ માથે ઘેરાયેલા યુદ્ધના વાદળો વિખેરાઈ ગયા અને શાંતિ સ્થપાઈ ગઈ.

આ કરાર નામે મ્યુનિક એગ્રીમેન્ટ કરી સ્વદેશ બ્રિટન પાછા ફરેલા ચેમ્બરલીને દેશવાસીઓને કહ્યું કે 'પીસ ફોર અવર ટાઈમ' યાને આપણા માટે શાંતિનો સમય હું લઈને આવ્યો છું. પણ એ વખતે વિરોધ પક્ષના ને પછી વર્લ્ડ વોર ટુના વીરનાયક નીવડેલા વિન્સ્ટન ચર્ચિલે ક્લાસિક કટાક્ષ કરેલો કે 'જે યુદ્ધ અને માનહાનિ ( ડિસઓનર )માંથી આત્મસન્માન ગિરવે મુકતી માનહાનિ પસંદ કરે છે, એ યુદ્ધ પણ પસંદ કરે છે !' મતલબ, જે ઢીલા પડીને શાંતિને ખાતર સાચા હોવા છતાં જતું કરે એ ખરેખર તો એ ટાળવા માંગે છે એવા યુદ્ધને પ્રોત્સાહન આપે છે, કારણ કે સામેવાળા એની ભલમનસાઈને નબળાઈ માની લે છે !

આ ભવિષ્યવાણી બીજા જ વર્ષે સાચી પડી. હિટલરે ચેકોસ્લોવેકિયા પર કબજો કરીને પછી સપ્ટેમ્બરમાં પોલેન્ડ જીતી લીધું. છતાં એ સમયે પણ શક્તિશાળી રશિયાના આમ તો સિતમગર સ્વભાવના સર્વેસર્વા જોસેફ સ્તાલિનને એમ થયું કે આપણે ક્યાં આ માથાકૂટમાં પડવું. યુરોપ જાણે, એમનો પ્રોબ્લેમ છે. એમણે હિટલર સાથે એક પેક્ટ ૧૯૩૯માં કર્યો. પોલેન્ડ ભલે એ લઇ લે પડોશનું પણ ફિનલેન્ડ. ઇસ્ટોનિયા, લાત્વિયા વગેરે પ્રદેશો ત્યારના રશિયા એટલે સોવિયેત યુનિયન જોડે રહેવા દે. સ્તાલીનને થયું કે ટાઢે પાણીએ ખસ ગઈ. પણ હિટલરે આ પેક્ટ થયાના બીજા અઠવાડિયે પોલેન્ડ લીધું પણ પછી યુરોપમાં એકધારા વિજય મેળવતા ૧૯૪૧માં ઓપરેશન બાર્બારોસા નામથી રશિયા પર પણ જંગી આક્રમણ શરુ કર્યું (જે એની વ્યુહાત્મક ભૂલ હતી જેમાં એની યુરોપમાં અશ્વમેધ જેવી જીતની બાજી હારમાં પલટાઈ જવાની હતી). શાંતિ કરારનું અલબત્ત હાથ લુછી ફેંકાતા ટિસ્યુની જેમ હિટલરના કટ્ટરવાદી સ્વભાવ સામે પડીકું વળી ગયું હતું. 

આટલું બધું યુરોપમાં થતું હતું તો પણ ત્યારે ખાસ્સા જોરાવર એવા અમેરિકાને એ યુદ્ધ સાથે કોઈ લેવાદેવા નહોતા. અમેરિકાનું લોકેશન એવું કે એ બધાથી અલગ સલામત રહી શકે. સીધો સરહદી હુમલો ભાગ્યે જ મોટો એના પર થાય. પણ આજે શાંત હોઈને નવી લાગે એવું જાપાન વર્ષોથી યુદ્ધખોર અને હિટલરના જર્મનીનું સાથી બનેલું, યુરોપમાં તમે આગળ વધો ને એશિયાથી પેસિફિક સમુદ્રના વિસ્તારોથી શરુ કરીને અમે, એવા ભાવથી !

આજના જાપાનને જ જોતા બાળાભોળાઓને એ ખબર નથી કે ભારત જયારે ગુલામ હતું, ત્યારે છેલ્લી ત્રણ -ચાર સદીથી જાપાન એશિયન સુપરપાવર હતું. ફરક એટલો કે વૈજ્ઞાાનિક સંશોધનોમાં ભેજુ લડાવવાને બદલે જાપાનીઓને હાથથી રીતસરની લડાઈ લડવામાં વઘુ રસ પડતો. દાદાગીરી પણ કેવી? હજુ માંડ સવા સદી પહેલા એણે કોરિયા પર આક્રમણ કરેલું. પછી ચીન પર ચડાઈ કરી તેને હરાવી તાઈવાન કબજે કરેલું. પછી રશિયાના નૌકાકાફલાનો વારો કાઢી નાખ્યો. પછી મંચુરિયા અને વચ્ચે અમેરિકાના જહાજો પણ ઉડાડી દીધા. માત્ર માથાભારેપણાને લીધે દૂર સૂતેલા અમેરિકાની એ સળી કરતું (સાવ એમ જ એટમ બોમ્બ ઝીંકાયો નહોતા). એ વખતે જાપાનના ક્ષેત્રફળ કરતાં એણે જીતેલા પ્રદેશોનું ક્ષેત્રફળ ૯૩ ગણું હતું, અને ટચૂકડા- એશિયન દેશોને વિસ્તારવાદી જાપાનના નામથી ભયનુ લખલખું આવતું! એને ચસ્કો હતો અમેરિકન નેવીને લાફો મારવાનો !

અમેરિકાના સાગરકાંઠે પર્લ હાર્બરના બેઝ પર ૭ ડિસેમ્બર, ૧૯૪૧ના રોજ આજે જગજાહેર એવો ઘાતક હુમલો ઈમ્પિરિયલ વોરશિપ સબમરીન થકી જાપાને કર્યો અમેરિકા રીતસર ૯/૧૧ની જેમ ઊંઘતું ઝડપાયું. પહેલવાનને પણ અચાનક ધક્કો મારો તો ગબડી પડે. ૨૦૪૩ અમેરિકનોના જીવ ગયા. ખીજાયેલા અમેરિકાએ જાપાન સામે યુદ્ધનું એલાન કરતા જ એ બીજા દિવસથી વિશ્વયુદ્ધમાં પક્ષકાર બની ગયું ને અંતે હિટલરને હરાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી ને બદનામ થઈને પણ બદલો લેવા એટમ બોમ્બ ફેંકીને જાપાનની હિંસાખોરી પર કાયમનું એવું સીલ માર્યું કે આજે પણ જાપાન હવે શાંતિપૂર્વક સુખેથી જીવવાની ઇકેગાઈ દુનિયા સામે મુકે છે અને સુરક્ષા અમેરિકાને સોંપીને ટેકનોલોજીના રસ્તે પોતાની ઊર્જા વાળી બેસી ગયું છે. 

બરાબર વિચાર કરજો, આમાં બધાએ યુદ્ધ બાબતે ઉદાસીનતા કેળવી હતી. પણ ગાળિયો એમના ગળામાં કોઈની યુદ્ધખોરીનો એવીં રીતે ભેરવાઈ ગયો કે બધાએ સજ્જનતા ને શાણપણ મુકીને પણ યુદ્ધ કરવું પડયું, જેમાં કોલોટરલ ડેમેજ (ઈરાદો ના હોય પણ એક અનિષ્ટ દૂર કરવા જતા નિર્દોષોના જાનમાલને પણ ભેગું નુકસાન થાય એ કરુણ વાસ્તવિકતા) તરીકે બધા પક્ષે ઘણા ઘર બરબાદ થયા, આર્થિક ફટકા પડયા અને સેંકડો નિર્દોષોએ લેવાદેવા વિના જીવ ગુમાવ્યા. હા, વિશ્વયુદ્ધ લડી લેવાનો 'ફાયદો' એ થયો કે આજે યુરોપ પ્રગતિશીલ અને શાંત છે. માહોંમાંહ બાખડતા રાષ્ટ્રોની સરહદો એવી એકબીજા માટે ખૂલી છે કે વિઝાની પણ જરૂર ન રહે! એક જ ચલણ અપનાવ્યા પછી એક જ રાજકીય - આર્થિક ધરી સુધી બધા સુમેળ અને ચર્ચાથી લોહીનું ટીપું રેડયા વિના પહોંચ્યા છે. એકાદ કરોડ માનવજીવો અને ૬૦,૦૦૦ કરોડ ડોલર જેટલા નાણા હોમી દીધા પછી બીજા વિશ્વયુઘ્ધમાં જીતેલા અને હારેલા દરેક દેશોની કેડ ભાંગી ગઈ હતી. 'યુઘ્ધસ્વ' માંથી 'બુઘ્ધત્વ' એવું પ્રગટયું કે આંતરિક ઝગડાખોરી બંધ કરી બધા ડાહ્યા નિશાળિયાની જેમ સુખશાંતિનું લેસન ગણવા બેસી ગયા અને ફૂટબોલના મેદાન સિવાય એકબીજાની સામે ધૂરકિયાં કરવાનું સદંતર છોડી દીઘું!

પણ ૨૦૦૬માં જર્મનીમાં જર્મનો વચ્ચે રહેવાનું થયું ત્યારે એક ફાર્મસીસ્ટ વડીલે ત્યારની એમની યુવાની યાદ કરીને એવું પણ કહેલું કે 'અમે ખૂબ સહન કર્યું, પણ કદાચ એટલે કે મોન્સ્ટર યાને રાક્ષસ (કહો કે હિટલર જે પણ સેનાપતિ ને લીડરમાંથી ધર્મ પૂછીને યહુદીઓને મારતો ત્રાસવાદી બની ગયેલો) ને અમે સ્વીકારીને મૂક રહી, એની સામે અવાજ ના ઉઠાવીને સાથ આપતા ગયા, એનું ફળ હતું !'

યસ, તમે ઘરના આંગણે બાવળ વાવો તો કાંટા તમને રોજ નડવાના જ છે. પાકિસ્તાને ભારતને હજાર જગ્યાએ ઘાયલ કરીને લોહીલુહાણ કરવાનો મનસૂબો કેળવ્યો એમાં એ પોતે જ ત્રાસવાદીઓ અને ઝનૂની ફૌજી અફસરોનો અડ્ડો બનતું ગયું. આજે એ એક એવો વિચિત્ર વિશિષ્ટ દેશ છે જગતમાં જેમાં દેશ આર્મી નથી રાખતો, પણ આર્મી દેશ રાખે છે. દેશના બધા મોટા બિઝનેસ લશ્કરના હાથમાં જ રહે છે. અણુસત્તા હોવાની ચિંતા અને લાભ ખાતર ગમે ત્યારે પલટી મારી કોઈના ગલુડિયાં બની જવાની લુચ્ચાઈને લીધે એ ડાઘિયાને ગળે પટ્ટો નાખવાના ભ્રમમાં એની આળપંપાળ પણ બધા સહાય કરીને કર્યા કરે છે. એક જ દેશ વિચારધારામાં મૂડીવાદ કે સામ્યવાદ ને બદલે કેવળ મઝહબી સંકુચિતતા અને તકવાદમાં માનતો હોવા છતાં  અમરિકા ને ચીન બેઉનો ગોઠિયો બની શકે એ કેવા ગઠિયાઓના હાથમાં હોય ! 

***

ભારતનો આખો વારસો જેનાથી ઘડાયો એ બે સનાતન મહાકાવ્યો: રામાયણ અને મહાભારત. બંનેના અંતમાં ભીષણ યુદ્ધ છે. વર્ણનથી પણ થથરી જવાય એવું. પણ એના આદર્શ યુદ્ધના નથી, શાંત સુખી જીવનના છે. બેઉ કાવ્યમાં એક રીતે જુઓ તો એના વીર ઉદાત્ત સંવેદનશીલ નાયકોની કરુણતા પણ એમાં છે. વિખવાદ ટાળવા રામ પોતાના હકનું સિંહાસન છોડી વનવાસ સ્વીકારે છે. પણ સીતાહરણ પછી રાવણ સામે ન્યાય માટે પણ સંઘર્ષ નિશ્ચિત છે. રામદૂત તરીકે હનુમાન ડેમો સાથે વોર્નિંગ આપીને રાવણને ચેતવે છે, પણ રાવણ એના ભાઈઓ કે મંત્રીઓનું પણ માનતો નથી અહંકારી જીદમાં. આમ છતાં દૂત અંગદને મોકલવામાં આવે છે, અરે, ચાલુ યુદ્ધે પણ એ અટકાવવાની ઓફર થાય છે. પણ રાવણને લડવું છે, મરવું છે તો યુદ્ધ રામથી અટકતું નથી.

મહાભારતમાં પણ યુદ્ધ ટાળવાના સંભવ પ્રયાસો યુધિષ્ઠિર જ નહિ કૃષ્ણ પણ કરે છે. ઇન્દ્રપ્રસ્થ બનાવી હસ્તિનાપુરનું કમને વિભાજન સુદ્ધાં સ્વીકારે છે કે અકારણ સંગ્રામમાં નિર્દોષો હોમાઈ ના જાય. અરે વસ્ત્રાહરણ પછીનો વનવાસ સ્વીકારે છે. છેલ્લે પણ સ્વયં કૃષ્ણ દૂત તરીકે જઈને હિંસાહોળી ટાળવા આજની ભાષામાં કહીએ તો બેર મિનિમમ આપીને વાત પૂરી કરવાનું કહે છે. પણ સમસ્યાના ઉકેલ હોય, જીદના ના હોય. અંતે યુદ્ધથી અર્જુનને તો વિષાદ થાય છે છેલ્લી ઘડીએ જે વિનાશ પોતાના હાથે પોતાનાઓનો થવાનો છે, એનો. પણ યુદ્ધ ફિલ્મના ગીતમાં એ જ તો લખાયેલું: કિશન ને કહા, અર્જુન સે... તુ ના પ્યાર જતા દુશ્મન સે...યુદ્ધ કર !

આ બંને સંસ્કારગ્રંથો માત્ર યુદ્ધ પર પુરા નથી નથી થતા. ભાગ્યે જ કોઈની નજરમાં આવે એવી ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે બેઉ કાવ્યના મૂળ ઋષિકવિઓ એમાં પોતે એક પાત્ર છે ! એમાં યુદ્ધ પછીની વિભીષિકા પણ છે. આફ્ટરશોકસ છે. યુદ્ધથી પણ વાત સાવ પૂરી તો નથી થતી. રામ સીતાનો રાવણનો વિયોગ પૂરો થાય તો અયોધ્યામાં વિચ્છેદ થાય છે જેને લીધે સીતા વાલ્મીકિ પાસે રહે છે. યુદ્ધ એના ઘા અદ્રશ્ય રૂપે પણ મૂકતું જાય છે. રાવણ નથી રહ્યો પણ એણે જે કર્યું એના પડઘા સીતાને સતાવે છે, ચારિત્ર્યની આશંકારૂપે ! મહાભારતમાં તો યુદ્ધ પછી વિજેતા પાંડવોને કાયમના હરીફ કૌરવોના અભાવે બધું ખાલી ખાલી લાગે છે. 

આપણે નિયમ મુજબ વાહન ચલાવતા હોઈએ પણ કોઈ નિયમ તોડનાર આપણી જોડે સામેથી ભટકાય તો ઈજા આપણને થાય ! એમાં પણ જો આપણી ગાડી મોટી ને 

મોંઘી હોય તો એની જોડે ભટકાઈ જનાર કોઈ છકડાવાળાને તો ખાલી ક્લરકામનો ખર્ચો આવે પણ લેવાદેવા વગર આપણે ખાલી અરીસા કે કાચના ખર્ચા લાખોમાં પડે ને ઉલટું મોટી ગાડીવાળા તરીકે પાંચ પંચાતિયાની ચોવટ સાંભળવી પડે ! ભલે ને આપણી મોટી ગાડી પણ હપ્તેથી લીધી હોય ને હજુ એના ખરચા ખમી શકીએ એમ ના હોય ! આપણે અકસ્માત કરતા નથી, ઈચ્છતા નથી છતાં અકસ્માત લલાટે લખાયેલો હોય એમ સામેથી આપણા જીવનમાં ઘૂસીને આપણી ગાડીને બ્રેક મારવી આપણને પૈદલ કરી શકે છે !

મહાભારતમાં શરૂઆતમાં કુરુક્ષેત્ર અટકાવવાના પ્રયાસ  બાદ નીયતિ પર બધું છોડી ચાલ્યા ગયેલા વેદવ્યાસ છેલ્લે અશ્વત્થામાને લીધે સામસામા બ્રહ્માસ્ત્ર ફેંકાવાની ઘડી આવે કે વચ્ચે પડે છે. કૃષ્ણ પણ. ભારત પાકિસ્તાન ન્યુક્લીયર તાકાત હોઈને એક તબક્કે પડદા પાછળથી બધા યુદ્ધ અટકાવવા કામે લાગશે. આ કારણથી તો ઈરાન કે નોર્થ કોરિયા પર સીધા હુમલા નથી થતા. બીજું કારણ છે, ઈકોનોમી. પોતાની આર્થિક પ્રગતિ જાળવી રાખવા ચીને ચોમેર એની નજરમાં સીમા વિવાદો હોવા છતાં સામેથી પોતે મોટું યુદ્ધ છેડયું નથી. યુદ્ધ હવેના યુગમાં લડવું સહેલું એટલે નથી કે સામે ગમે તેવો નાનો હરીફ હોય એ ઝટ પૂરું નથી થતું ! 

અમેરિકા વિએતનામ કે અફઘાનિસ્તાનને પૂરી તાકાત છતાં કાયમ માટે હંફાવી ના શક્યું. હા, લાદેન સહિત જેહાદી ત્રાસવાદની એણે કેડ ભાંગી નાખી પણ એમાં યુદ્ધ કરતા ઈન્ટેલીજન્સના દાવપેચ વધુ હતા અને છેક આઈએસ સુધી લંબાયેલી લડાઈ પુરા બે દસકા ચાલી ! અરે, હમાસ તો કોઈ પાકિસ્તાન જેવી નેશનલ આર્મી પણ નથી. પણ જેના ઉદાહરણ વારતહેવારે દેવાય છે, એ ઈઝરાએલ હજુ એને પૂરી તાકાતના યુદ્ધ છતાં સાવ નેસ્તનાબૂદ નથી કરી શક્યું !

નાપાકિસ્તાનની નાગાઈ એવી છે કે ત્યાં પૂર્વ વડાપ્રધાન પણ ક્યારે જેલમાં કે ફાંસી પર હોય એ નક્કી નથી રહેતું ત્યાં એના શાણા અવાજોનું કેટલું ગજું ? મામલો પેચીદો છે. હજુ પૂર્ણ યુદ્ધ થયું નથી ને મોટા ભાગે ડ્રોન હુમલા આ લખાય ત્યાં સુધી થાય છે. બેઉ પક્ષે ફોલ્સ નેરેટિવ મીડિયામાં એટલા ચાલે છે કે ટોચના નેતાઓને જ ક્લિયર પિક્ચર દેખાય ! 

આપણે તો ગમે તેટલા મેચ્યોર કે કલારસિક કે શાંતિપ્રિય આધ્યાત્મિક હોઈએ, કોઈને કોઈ યુદ્ધ સામેના અડબંગ ગાંડિયાઓને લીધે ફરજીયાત લડવું જ પડે છે, એ સત્ય છે. પૂર્ણ સત્ય એ છે કે પાકિસ્તાનનો મઝહબના મોર્ફીનમાં રચાયેલો ત્રાસવાદ એક વિચારધારા છે, જેને એક યુદ્ધથી રાતોરાત નાબૂદ ના કરી શકાય. ખાસ કરીને એમાં બધી બાજુના વેપારીઓ રાજકીય ને આર્થિક રીતે રોકડી કરતા હોય ત્યારે. અત્યારે તો થાય એટલી પીઓકેની સરહદ ભારતની ફેવરમાં સરખી કરીએ ને ઓલરેડી ૭૮ વર્ષથી અલગ દેશ બનવા મથતા બલુચિસ્તાનને ઇન્દિરા ગાંધીએ મુક્તિવાહિની મારફતે બાંગ્લાદેશ કરી પાકિસ્તાનને કાયમી નાલેશી અપાવી, એમ છુટું પાડીએ. અને હાફિઝો મસૂદોના માથા માંગીએ શસ્ત્રવિરામ પણ થાય તો એના બદલામાં.  

આશા રાખીએ આખો દેશ એકમત છે તો આ વખતે ઓપરેશન સિંદૂર માત્ર એક રાતની સર્જિકલ સ્ટ્રાઈક ના બને. યુદ્ધ ગમતું નથી, પોસાતું નથી, પણ જો કરવું જ પડયું છે સલામતી ને સ્વમાન ખાતર તો આ ઓપરેશન કાયમી ઈલાજ તરફ લઇ જવું જોઈએ.

ઝિંગ થિંગ 

જ્વલિત ન હિરણ્ય રેતસં માસ્કન્દતિ ભસ્મનાં જનઃ

અર્થ: રાખના ઢગલાને બધા લોકો રગદોળે છે, પણ પ્રજ્વલિત અગ્નિને અડકવાની પણ કોઈ હિંમત કરતું નથી ! 

(ભારવિકૃત 'કિરાતાર્જુનીયમ્'માંથી)

Tags :