ચીસમાં ભાગીદાર બનવાની હશે સંવેદના, તો ઉકેલાશે વ્યથાની વેદના!
- અનાવૃત-જય વસાવડા
- લોકશાહીમાં નેતાઓ શાસક પણ પ્રતિનિધિ સેવક તરીકે છે, એવું તો લોકો જ ક્યારના ભૂલી ગયા છે.
સ ડક પરથી એક પછી એક કાર પૂરપાટ પસાર થતી હતી. સવારનો સમય હતો, બધાને કામ પર જવાની ઉતાવળ હોય. એક યુવા બિઝનેસ સીઈઓ ચકચકિત મોંઘીદાટ લક્ઝુરિયસ કાર સેલ્ફ ડ્રાઈવ કરી જતો હતો. કારમાં એને મનગમતું મ્યુઝિક ચાલુ હતું. ત્યાં સણસણતો એક પથ્થર એની કારના કાચ પર અથડાયો ! કીમતી કાચ ખણણ કરતો તૂટી પડયો. ઝીણીઝીણી કરચો સીટ પર પથરાઈ. ગાડીને એણે બ્રેક મારીને ઉભી રાખી દીધી. ગુસ્સાથી ધૂંઆફૂંઆ થતો નીચે ઉતર્યો. એને હતું કોઈ તોફાની તત્ત્વો હશે, કે લૂટારા હશે. પણ જોયું તો એક નાનકડા ગરીબ છોકરો રડમસ ચહેરો બનાવીને ઊભો હતો !
પેલા 'શેઠ' ગણાતા વીઆઈપીસાહેબને અચરજ થયું. છોકરો દેખાવે શરારતી પણ લાગતો નહોતો. તો પથ્થર શું ફેંક્યો ? ત્યાં તો એ છોકરાએ પાસે આવી કહ્યું 'મારી મા બહુ બીમાર છે એને ઝટ હોસ્પિટલે લઇ જવી પડે એમ છે. ઘરમાં બીજું કોઈ નથી. પાડોશીઓ બહાર છે. તમે મદદ કરશો ? પાસે જ ઘર છે.' સાહેબને ઓર નવાઈ લાગી. એમણે કડકાઈથી પૂછ્યું કે 'તો એમાં પથરો મારવાની શી જરૂર ? આ ગુનો કહેવાય એટલી પણ ખબર નથી પડતી ?' છોકરો થોડી ઉતાવળમાં બોલી ગયો 'પણ સાહેબ, હું ક્યારનો જોરજોરથી બૂમો પાડું છું કોઈ ગાડીવાળા રોકાતા જ નથી. સાંભળતા કે જોતા જ નથી. આ પથરો માર્યો તો તમે ગાડી થોભાવી નીચે ઉતર્યા ને ! હવે મદદ કરો તો મહેરબાની !'
અને એ ધનપતિએ નુકસાન તો ઇન્સ્યોરન્સ કવર કરશે, અત્યારે ઇન્સાનીયતની ફરજ બીમારનો જીવ બચાવવાની છે, એમ માનીને તરત એ ગરીબ બાળક અને એની બીમાર માની મદદ કરી. આ બોધકથાનું શીર્ષક હતું :
'કાં મદદનો પોકાર સાંભળો, અથવા પથરાનો પ્રહાર ઝીલવા તૈયાર રહો !'
***
ગુજરાતમાં મોટે ભાગે તંત્રની બેદરકારી ભ્રષ્ટાચાર અને એને લીધે પ્રજામાં આવી ગયેલી હોતી હૈ, ચલતી હેં ટાઈપની અશિસ્ત અને આળસ ભરેલી એટિટયુડને લીધે વારંવાર નિર્દોષોનો અકાળે ભોગ લેવાય એવી જાનહાનિવાળી 'માનવસર્જીત' હોનારત જેવા અકસ્માત બન્યા કરે છે. લોકો પણ થોડો સમય હોબાળો કરે, પણ ખાલી પોતાનો ઘૂંઘવાટ વ્યક્ત કરવા પૂરતો. હૈયાવરાળ ઠલવાઈ જાય કે બધું ભૂલી જાય અને હિન્દુ મુસ્લિમ જેવા કે પાશ્ચાત્ય સંસ્કૃતિની અશ્લીલતાના મોરલ પોલિસિંગ કે સનાતન ગુરૂઓની કદમબોસી જેવા ઇમોશનલ ઘૂઘરે રમવા લાગે. જેને મનોમન ડર ન રહે એની કામગીરીમાં 'ગર' (ફળોનો મીઠો રસદાર ગર્ભ) ન રહે ! ગમે તે હોય આપણે તો જીતેલા જ પડયા છીએ વાળા અહમ્માં નેતાઓ માની લે કે થોડી હો -હા સિવાય મીડિયા મેનેજ થઇ જાય. પબ્લિકમાં કોઈ જનફરિયાદ કરવા જાય તો નવા ભારતની નવી તરાહ એ છે કે ઠાલા મફતના પાલતુ ડાઘિયાઓ મફતિયા સોશ્યલ નેટવર્ક પર વિચારોમાં વાઇરસ નાખીને સાયકોઝોમ્બી બનાવેલા રાખ્યા જ છે. અષ્ટમ્પષ્ટમ્ તર્ક સાથે લેવાદેવા વગર પહેલા આમ હતું ત્યારે તમે ક્યાં હતા જેવા કે પર્સનલ એટેક જેવા કબાડા કરીને, લોકહિતમાં બોલનારને વ્યક્તિગત દુશ્મન માની એને પાડી દેવા માટે ધર્મદ્રોહી કે દેશદ્રોહી કે વામપંથી ટાઈપના લેબલ ફટકારી દેવાના. પણ પ્રજાહિતનો મૂળ મુદ્દો ચાતરી જવાતો. બસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) એ કે કોઈ પણ મામલે કોઈ જેન્યુઇન કન્સર્નથી અન્યાય સામે અવાજ ઉઠાવે કે ભોંઠા પડી જાવ એવું સાચું, નવું જ્ઞાાન આપે કે ફ્રેમમાં ફિટ ન થાય એવો બિન્દાસ અભિગમ રાખે એને ડીપ સ્ટેટથી લઇને અર્બન નકસલ સુધીના એજન્ડામાં ફિટ કરીને સ્થિતિમાં સુધારો કરવાને બદલે ઉઠતા અવાજમાં અશાંત ધારો લાગુ કર્યો હોય એમ સન્નાટો સ્થાપી દેવાનો !
આ બધું એવું સેટ થઇને કોઠે પડી ગયું છે કે સામાન્ય રીતે સરળ રીતે વર્તતા આગેવાનો પણ ન્યાયની ગુહાર સાંભળીને જરા ગુસ્સે થઇ જાય તો પબ્લિકને કલાપીનું 'ગ્રામમાતા' યાદ આવી જાય ! 'રસહીન થઇ છે ધરા, દયાહીન થયો છે નૃપ' એવી પંક્તિ આબાદ ફિટ થાય છે. કેટલાય ન્યુઝને ! નેચરલી મામલો સેન્સેટિવ બની જાય. ડેમેજ કંટ્રોલ કરવું પડે અને પોલિટિકલ દાવ લેવા માંગતા લોકો ફરિયાદીની પડખે ચડી વધુ ચગાવે એવું ય બને. મૂળ મુદ્દો તો ધીમો ન્યાય અને લોકોને વીઆઈપી નેતાઓ સાથેના સંપર્કમાં અવ્યવસ્થા અને ગુમાનતો સામનો કરવો પડે છે એ છે. અનુભવી ને ઘડાયેલા નેતા જાહેરમાં વ્યક્ત થતા આક્રોશ સામે પોતે ક્રોધ ન કરે, પણ મૌન રહી સાંભળે, માણસો અળખામણા થઇને બેસીને 'ડિસ્ટર્બ' કરતા લોકો હટાવે ત્યાં સુધી રાહ જુએ કે પછી સંવેદનશીલતાનું નાટક કરીને, ઘટતું કરવાની સૂચનાઓ આપીને ઉલટી લોકોની વાહવાહી લૂંટી લે !
આપણે ત્યાં આમ પણ નેતાઓ જ નહિ, કોઈ પણ સેલિબ્રિટીનો એક્સેસ અઘરો થતો જાય છે. આમ બધા મોબાઈલમાં હાજર જોવા મળે. પણ વ્યક્તિગત સંપર્કમાં પ્રોટોકોલ અને ફરતે વ્યવસ્થાના નામે ગોઠવાઈ ગયેલું વફાદારો કે સુરક્ષાકર્મીઓ કે સેવકોનું મંડળ નડે. ક્રિએટીવ ઓલને એકાંત જરૂરી, પણ પબ્લિક લાઇફમાં જનસંપર્ક પણ મોકળો જોઇએ. હવે એ સહજ અંદરથી આવે તો આવડે.
પણ આજકાલ તમામ કાર્યક્રમોમાં અવનવા લોકાર્પણ માટે નેતાઓની ઉપસ્થિતિ ફરજીયાત હોય ને વળી બધા કંઇ લોકરંજક પ્રવચન કરી શક્તા ન હોય. વળી, ગુજરાતમાં કે ભારતમાં દુર્ઘટનાઓ તો વારંવાર બન્યા જ કરે છે. પોતાના સંતાનોને ગુમાવી ચૂકેલા મા-બાપ રોવા કકળવા કે ન્યાય માંગવા માટે બધાનું ધ્યાન ખેંચાય એવી બૂમાબૂમ કરવા સિવાય બીજું શું કરી શકે ? ફિલ્મો થોડી છે કે ઘાયલ કે મદારી થઇને ધબધબાટી બોલાવી શકે ? વારંવાર બધું ભીનું સંકેલી લેવાની ટેવ હોય તો એ સંકેલીને જ્યાં મૂકો એ જગ્યા કચકચી જાય !
લોકશાહીમાં નેતાઓ શાસક પણ પ્રતિનિધિ સેવક તરીકે છે, એવું તો લોકો જ ક્યારના ભૂલી ગયા છે. સમાચારો ચમકે થોડી વાર અને પછી ભૂલાઈ જાય. રાજકોટના સીટી બસના અકસ્માતને લીધે કાગારોળ થઈ, પણ પછી શું ? એને લીધે રાજકોટના રસ્તા પરનો આડેધડ ટ્રાફિક નિયંત્રિત ને શિસ્તબદ્ધ થઈ ગયો ? કોન્ટ્રાક્ટરને ક્યાંથી કોણે કેવી રીતે કોન્ટ્રાક્ટ આપ્યો એની કોઈ તપાસ થઈ ? એવા બીજા કોન્ટ્રાક્ટ બાબતે કંઈ જાહેર વિગતો આવી ? ઈનફેક્ટ, આવી રીતે જ વડોદરાના માસૂમ ભૂલકાંઓનો જીવ લેતા હરણી બોટકાંડમાં બારોબાર કોન્ટ્રાક્ટ અપાયો હતો. પછી શું થયું ? આવી રીતે જીવ ગુમાવે ત્યારે જે સરકારી સહાય મોરબીથી સુરત ક્યાંય પણ કરવામાં આવે, એ તો જયકારા બોલાવતી જનતાએ ચૂકવેલા ટેક્સને પૈસે જ ચૂકવાય છે. કદી એવા કોઈ કોન્ટ્રાક્ટરને સજા તો ખરી, પણ આવી મૃતકોને સહાય ચૂકવવા માટે મજબૂર કરતી શરતો મૂકાઈ ? આવા કોન્ટ્રાક્ટ અપાય છે. એની ફોટા સાથે વિગતો કેમ ન મુકાય જાહેરમાં ?
એજેન્ડા તો આ હોવો જોઈએ સક્ષમ સરકારનો. ભ્રષ્ટાચાર જીવલેણ નીકળે, ત્યારે બીજાઓ તો તમાશો જુએ પણ જેમણે પોતાના કાળજા કટકા ગુમાવ્યા છે, એવા મા-બાપની તો આંતરડી કકળે જ ને ! સ્ટંટબાજી લાગે તો પણ પેટના જણ્યા ખોયાના દુ:ખ પછી કોઈ એ માટે જાગૃત કરવા કંઈક કરે, તો એ માતાની જય બોલાવવાની હોય કે એમને ચૂપ કરવા માટે ભારત માતા કી જય બોલાવવાની હોય ? ઘણી વખત આવા અપલૂસ કાર્યકરો પણ મુખ્યમંત્રી કે ટોચના મંત્રી કે અન્ય શીર્ષસ્થ પ્રશાસન સુધી સત્ય ને ન્યાયનો અવાજ પહોંચવા દેતા નથી.
ઠીક છે, આ બધું તો પબ્લિકે જ સ્વીકારી લીધું હોય, ત્યાં એમના વતી પણ કોણ અવાજ ઉઠાવવા નીકળે. એ એકલા પડે ને એની સાથે દમકટક ઉતરે ત્યારે થોડા લોકો આડે હાથ દેવા આવે છે. બધાને બીજાને 'ચડજા બેટા શૂલી પર' કહીને આગળ કરી, 'પંચ મારતો' માજો ચડાવવો છે, પણ પોતે પોતાના જ જીવનધોરણની ગુણવત્તા કે સુરક્ષા માટે સવાલ પૂછવા એક નથી થવું તે ગપ્પા ચાટી ચાટી ફોરવર્ડ કર્યા કરવા છે. પણ અપેક્ષા એવી રાખવી છે કે એમના વતી કોઈ અવતાર આવી લડી દે, બધું સરખું કરી દે ! રિયલ ઈસ્યૂઝ પર લોકોની લાગણીઓ દુભાતી જ નથી. એ તો લવ મેરેજ કે મોહકમાદક વસ્ત્રોનૃત્યો કે કળાસાહિત્ય કે કોઈ ઉદારઅમડાદ અવાજ પૂરતી જ અનામત છે ! કોઈ એ માટે સંગઠ્ઠિત થયા કે અમારે ત્યાં તંત્ર-પ્રશાસન-સરકાર- નેતા -અધિકારી-કોન્ટ્રાક્ટરની લાપરવાહીને લીધે જે પ્રાથમિક સુવિધા-સુરક્ષા મળવાના મૂળ સરકારી એજેન્ડામાં લાચારી આવી, એનો સરખો ઝડપી ન્યાય ન તોળાય ત્યાં સુધી એમના અભિવાદનો મોકૂફ રાખવા ? સન્માન કાર્યસિધ્ધિ પછી જ સ્વીકારવા ને ભવ્ય ભાષણો બાબતે થોડો સમય સંવેદનશીલ થઈ ઉપવાસ કરવા ? આંગળા ઠરડાઈ ગયા જનજાગૃતિ માટે ત્રણ દાયકાથી કલમ ચલાવીને પણ પ્રજા કે પ્રજાના પ્રતિનિધિઓ કોઈને સુધરવું નથી. જેમને કોઈ વાંચતુ બોલાવતું ના હોય એવા કેટલાક ચર્ચાચોવટિયા પૂછી શકે કે નામજોગ લખીને તડફડ કરો ને ?!
તો જવાબ એ છે કે એ તો કેવળ માનસિક ખંજવાળ વલૂરવાની વાત છે. તરત બધા બધું ભૂલી જાય છે. સંકુચિતતા એટલી છે કે પતિના મૃતદેહ પાસે આંસુ સારતી બેઠેલી પહેલગામની પીડિતા હિમાંશી નરવાલ (જેનો પતિ પણ નેવીમાં ઓફિસર !) હિન્દુ મુસ્લિમ એકતાની વાસ્તવિક વાત કરે તો એનો જ ફોટો ફેરવનારા એને કરડવા દોડે ! લોકો વતી લડનારાને દર્દ આવે ત્યારે હમદર્દ બનવા લોકો ઉભા નથી રહેતા. ઉભી પૂંછડીએ ધોકાની બીકે કે ધનના લોભે ધોખો આપી નાસી જાય છે, ને કાનૂની ગૂંચવાડામાં વગર ગોળીએ ક્રાંતિકારી આદર્શવાદી શહીદ થયા વિના પિસાતો રહે છે ! બરાબર જુઓ, એક પછી એક સરખી જ ઘટનાઓ બન્યા કરતી હોય ત્યારે કાયમ કોઈ વ્યક્તિ કે સમાચારને જ ટાર્ગેટ કરી શું વળે ? એ સ્થિતિ જ હંમેશ માટે બદલાય ત્યારે કુછ બાત બને !
કેમ બદલાય આ માનસિકતા ?
***
લંડન ભણીને સૂટેડબૂટેડ બેરિસ્ટર થઈને, સાઉથ આફ્રિકાથી સત્યાગ્રહના સુપરહીરો પુરવાર થઈને મોહનદાસ કરમચંદ ગાંધી ભારત આવ્યા પછી સીધા વીરનાયક તરીકે સભાઓ કરવા નહોતા બેઠા. ભારતના સામાન્ય માણસની પરીસ્થિતિ, માનસ ને દુ:ખદર્દ જાણવા આખા દેશમાં ગુમનામ બનીને ફર્યા. અને પછી જ્યારે આઝાદીની લડત માટે તત્કાલીન કોંગ્રેસી આગેવાનો - મહાનગરોમાં આરામદાયક મીટિંગો કરતા હતા ત્યારે એક અજાણ્યા ખેડૂત રાજકુમાર શુકલના એક પત્ર પરથી ગાંધી એમને માટે અજાણ્યા ચંપારણ પહોંચ્યા કે ભલે જીતી ન શકાય, પણ પીડામાં ભાગીદાર બનતો સથવારો તો આપી શકાય ને !
અને ત્યાં જ્યારે એક દરિદ્ર સ્ત્રી પાસે બદલવા માટે કોઈ વસ્ત્ર નહોતું ને એક જ મેલીફાટેલી સાડી પહેરી હતી. એ જોઈ દ્રવી ઉઠેલા ગાંધીએ ભીષ્મ પ્રતિજ્ઞાા લીધી કે આજીવન હાથે કાંતેલી ખાદીની પોતડી પહેરીશ પણ સારા કપડાં નહિ પહેરું, કારણ કે મારા દેશમાં એવા શોષિત પીડિત વંચિત છે જેમને અંગ ઢાંકવા વસ્ત્ર નથી ! ને છેલ્લા શ્વાસ સુધી એ પાળી બતાવી જેને પોતડીદાસ કહીને આજે બે કલાક નેટવર્ક ના આવે તો અકળાઈ જતી પેઢી મજાકનું પાત્ર સમજે છે.
આમ બનાય મહાત્મા ! આમ છપાય રિઝર્વ બેન્કની નોટો પર ફોટો ! આ દ્રશ્ય એટનબરોની ગાંધી ફિલ્મમાં સિનેમાને ધ્યાનમાં લઈ અલગ રીતે રજૂ કરાયું છે એ જોજો. મીડિયોકર માનનીયોના ફુગાવામાં જડે છે આવો કોઈ અલગારી ઓલિયો ? ધાર્મિકતાથી ભક્તિ વધે છે, પણ માનવતાથી શક્તિ વધે છે ! કારણ કે, તો લોકોના હૃદયમાં ખુશી મળે છે, ખુરશીથી ઉપરવટ ! ક્યાં છે આવા લોકનેતા ? ક્યાં છે આવા લોક ? ન વિકર્ણ, ન જટાયુ - બસ, આવતીકાલની આશામાં આજે ઘૂંટાતો આપણો પ્રાણવાયું !
ઝિંગ થિંગ
''તાકાત વિનાની સચ્ચાઈ માત્ર એક અભિપ્રાય છે !''
(થન્ડરબોલ્ટસ ફિલ્મનો સંવાદ)