Get The App

ગલવાનઘાટીની શોધ 1899માં ગુલામ રસૂલ ગલવાને કરી હતી

- હસમુખ ગજજર .

Updated: Jun 30th, 2020

GS TEAM

Google News
Google News

- 1899માં હિમાલય ક્ષેત્રમાં બ્રિટીશરોના એક શોધ અભિયાનની ટુકડીમાં ગુલામ રસૂલ ગલવાન પણ જોડાયો હતો. ભારતના ગુલામ રસૂલે કાશ્મીરના ઉત્તરભાગમાં 80 કિમી લાંબી નદી અને તેની સાથે જોડાયેલી સર્પાકાર ઘાટી શોધી જેને ગલવાન નામ આપવામાં આવ્યું હતું આથી ગલવાનઘાટી પર ચીનનો દાવો તદ્ન જુઠે છે

ગલવાનઘાટીની શોધ 1899માં  ગુલામ રસૂલ ગલવાને કરી હતી 1 - image

ભા રતના કેન્દ્રશાસિત પ્રદેશ લડાખની ગલવાનઘાટીનું નામ કારગિલ અને ડોકલામની જેમ જાણીતું બન્યું છે. ૧૫ જુનના રોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાનઘાટીમાં હાથોહાથના લોહિયાળ ઘર્ષણમાં ભારતના ૨૦ જવાનો શહિદ થયા અને ચીને પણ ૪૦ થી વધુ સૈનિકો ગુમાવ્યા હતા.

ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ ખરા પરંતુ એકંદરે શાંતિ રહેતી આવી છે. એ રીતે ભારત અને ચીનની વાસ્તવિક નિયંત્રણ રેખા પાકિસ્તાન સાથેની એલઓસી કરતા જુદી પડે છે. ૧૯૯૬માં થયેલી એક સમજૂતી હેઠળ ચીન અને ભારતના સૈનિકો સરહદ પર બંદુકની અણીઓ અને તોપના નાળચા સામ સામે તાકતા નથી. ભારત અને ચીન વચ્ચે સરહદ પર આ હિંસક લડાઇ ૫૦ વર્ષમાં પ્રથમવાર થઇ છે.

કોરાના મહામારીને અટકાવવા ભારતમાં લોકડાઉન ચાલતું હતું ત્યારે ૫૦૦૦ ચીની સૈનિકોએ ગલવાનઘાટી નજીકની ભારતીય હદ પાસે તંબુ તાણ્યા હતા. ચીની સૈનિકોની હિલચાલનો ભારતે વિરોધ નોંધાવતા ચીને શાંતિ અને મંત્રણાનું મહોરુ પહેરીને છેવટે રાક્ષસી ચહેરો દેખાડયો છે. ગલવાનઘાટી લડાખ અને અકસાઇ ચીન (૧૯૬૨માં ભારતનો ચીને પચાવી પાડેલો વિસ્તાર) વચ્ચે આવેલી છે. ઇસ ૧૮૪૨માં અંગ્રજોએ અકસાઇ ચીન વિસ્તારને જ્મ્મુ કાશ્મીરનો ભાગ ગણાવ્યો હતો આથી ગલવાનઘાટી પર ચીનનો દાવો તદ્ન જુઠે છે.

એક ઐતિહાસિક માહિતી મુજબ ગલવાનઘાટીનું નામ લડાખના ગુલામ રસૂલખાન ગલવાનના નામ પરથી પડયું છે. બ્રિટિશરોએ ૧૮૯૯માં ચાંગ છન્મો ઉત્તરઘાટની ઉત્તરમાં આવેલા વિસ્તારોમાં શોધ અભિયાન શરુ કર્યુ એમાંની એક શોધ ટુકડીનો તે સભ્ય હતો. ગુલામ રસૂલ ગલવાને કાશ્મીરના ઉત્તરભાગમાં ૮૦ કિમી લાંબી નદી અને તેની સાથે જોડાયેલી સર્પાકાર ઘાટી શોધી જેને ગલવાન નામ આપવામાં આવ્યું હતું.

ગુલામ રસૂલ ગલવાનનો જન્મ ઇસ ૧૮૭૮ આસપાસ થયો હતો તેના પિતા કાશ્મીરી જયારે માતા બાલ્ટિસ્તાનની હતી. ગુલામ રસૂલે ૧૪ વર્ષની નાની ઉંમરે ઘર છોડી દીધું હતું. ડુંગરા અને કંદરામાં રખડવાના શોખ અને નવા પ્રાકૃતિક વિસ્તારો શોધવાની જીજ્ઞાાસાને અંગ્રેજોએ પારખી લીધી હતી. ૧૮૮૫માં ૧૫ મહિના સુધી મધ્ય એશિયા અને તિબેટની  દુર્ગમયાત્રા કરીને  પ્રથમ વાર લેહ પહોંચ્યો હતો.

અંગ્રેજ સંશોધકો અને સાહસિકોના સંગથી તેને ભાંગી તૂટી અંગ્રેજી લખતા અને વાંચતા આવડતી હતી. ગુલામ રસૂલે સર્વેન્ટ ઓફ સાહિબ્સ નામનું પુસ્તક લખ્યું હતું જેની પ્રસ્તાવના બ્રિટનના પ્રખ્યાત સંશોધક સર ફ્રાંસિસ યંગ હસબેંડે લખી આપી હતી. હસબેંડે લખ્યું કે હિમાલય ક્ષેત્રના લોકો કુદરતી આફતો અને હાડમારીઓનો મજબૂતાઇથી સામનો કરે છે. બહારથી આવતા લોકોની આગતા સ્વાગતા અને સેવા પણ સારી કરે છે. રસૂલના પૂર્વજ કાળા ગલવાન અથવા કાળા લૂટારા તરીકે ઓળખાતા હતા તેઓ ખૂબજ ચાલાક અને બહાદૂર હતા. તેઓ કોઇ પણ મકાનની દિવાલ પર બિલાડીની જેમ સરળતાથી ચડી જતા હતા.

ગલવાન સમુદાયના લોકો કોઇ એક સ્થળે સ્થાઇ ઘર બનાવીને રહેતા નહી. તેના પૂર્વજો અમીરોને લૂંટીને ગરીબોની મદદ કરતા હતા. ખુદ ગુલામ રસૂલે પુસ્તકમાં લખ્યું છે કે એક વાર મહારાજાએ તેમના પિતાના દાદાને પકડવાની યોજના બનાવી હતી. તેઓ એક કુવામાં પડયા પણ છેવટે પકડાઇ જવાથી ફાંસી થઇ હતી. આથી ગલવાન સમૂદાયના ઘણા લોકો જીવ બચાવવા નાસી છુટયા હતા. 

ઘણા વિદ્વાનોનો મત છે કે અકસાઇ ચીનથી નિકળતી નદીનો સ્ત્રોત ગુલામ રસૂલ ગલવાને શોધ્યો હતો જે સિંધુ નદીની સહાયક ગણાતી શ્યોક નદીમાં જઇને મળે છે. કાશ્મીરમાં ઘોડાનો વેપાર કરનારા એક સમૂદાયને ગલવાન કહેવામાં આવે છે. કાશ્મીરના સ્થાનિક સમાજશાસ્ત્રીઓનું માનવું છે કે ગલવાન ઇતિહાસમાં ઘોડાની ચોરી કરવાવાળા અને વેપારીઓના કાફલાને લૂટવાવાળાને કહેવામાં આવે છે પરંતુ જમ્મુ કાશ્મીરના પ્રથમ બ્રિટીશ કમિશ્નર સર વોલ્ટર એસ લોરેન્સે પોતાના પુસ્તક ધ વેલી ઓફ કાશ્મીરમાં ગલવાન સમૂદાય માટે લખ્યું છે કે ગલવાન લોકો ઘોડાની સંભાળ રાખનારા છે. 

તેઓ દેખાવે શ્યામવર્ણના અને કાશ્મીરના કોઇ વંશજો સાથે પણ સંબંધ ધરાવે છે. ૧૯૧૪માં ઇટલીના એક વૈજ્ઞાાનિક અને સંશોધક ફિલિપ ડીએ રીમો ગ્લેશિયર શોધ્યું હતું તેની ટીમનો લિડર પણ ગલવાન હતો. ૧૯૨૫માં ગુલામ રસુલનું મોત થયું હતું. આજે પણ ગલવાનની ચોથી પેઢીના વંશજો લેહમાં રહે છે. ગલવાનનું જુનું ઘર પણ છે જે  મ્યૂઝિયમમાં ફેરવાઇ ગયું છે.

ગલવાનઘાટીનો ભારત સાથે જોડાયેલો મજબૂત ઇતિહાસ છતાં ચીનની આ ઘાટી પર મેલી મુરાદ આજકાલની નથી. ગલવાનઘાટી ૧૯૫૬માં ભારત અને ચીન વચ્ચે બનાવવામાં આવેલી કલેઇમલાઇનની પશ્ચિમમાં છે. ૧૯૬૦માં ભારતનો વિરોધ છતાં ચીને શ્યોક નદીના કાંઠા અને પર્વતોની બાજુમાં નદીની પશ્ચિમ દિશા તરફ ઘૂસણખોરી શરુ કરી હતી.

ચીન હંમેશા ઉંચાઇનો લાભ મળે તેવા વિસ્તારો પર પ્રભુત્વ જમાવવાની વ્યૂહાત્મક ચાલ રમતું આવ્યું છે. ૧૯૬૧માં ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ કોંગકા લા માં ભારતના જવાનો પેટ્રોલિંગ કરી રહયા હતા ત્યારે હુમલો કર્યો હતો. ભારતે પણ વળતી પ્રતિક્રિયા આપીને ગલવાન, પેેંગોગ લેક અને સ્પૈગગુરની વચ્ચેના વિસ્તારો પર કબ્જો લીધો હતો. 

હિંદી ચીની ભાઇ ભાઇના નારા વચ્ચે ચીને ૨૦ ઓકટોબર ૧૯૬૨ના રોજ ભારત પર હુમલો કર્યો તેની શરુઆત પણ ગલવાનઘાટીથી થઇ હતી. એ સમયે ૩૩ જવાનો શહિદ થતા ભારતને ખૂબ મોટું નુકસાન થયું હતું એટલું જ નહી ચીને વધુ એક બટાલિયન મોકલતા ભારતે આ વિસ્તારનો કબ્જો ગુમાવી દીધો હતો. દાયકાઓ પછી ફરી ગલવાન મુદ્વે જ ચીનમાં આક્રમક વલણ જોવા મળી રહયું છે.

ચીને ગલવાન ઘાટીના મધ્ય સુધી રોડ બનાવી લીધો હોવાનું મનાય છે. ભારતે પણ તેના નિયંત્રણ ધરાવતા વિસ્તારમાં બોર્ડર ઇન્ફાસ્ટ્રકચર મજબૂત બનાવતા ચીનના પેટમાં ઉકળતું તેલ રેડાયું છે. ચીન એલએસી પર ભારતની ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની કામગીરીને રોકવા માટે જ ગલવાનમાં વિવાદ ઉભા કરી રહયું છે. ચીનના અતિક્રમણને રોકવા ભારતીય જવાનો ગલવાન નદીમાં હોડીઓ ઉતારીને નિયમિત પેટ્રોલિંગ કરતા રહે છે. 

ભારતનું બોર્ડર પર વર્ચસ્વ વધે તેનાથી ચીન પોતાના ઝિંજિયાગ અને તિબેટ હાઇવે માટે ખતરો સમજે છે. ભારત માટે ગલવાનઘાટી પાકિસ્તાન અને ચીનની દુષ્ટધરી પર બાજ નજર માટેનું વ્યૂહાત્મક સ્થાન છે. લેહ -લડાખ રાજમાર્ગની પણ સલામતી માટે પણ જરુરી છે. ગલવાનઘાટી અને ગલવાન નદીના વિસ્તારોમાં ભારતના સૈનિકો ચોંકી કરે છે તે ચીનને ખટકે છે. ગલવાનઘાટી પર ચીન દાવો કરે છે પરંતુ ગલવાનઘાટી અને ગલવાન નદીની શોધના ૨૦૦ વર્ષના ઇતિહાસમાંં ચીનનું કયાંય નામ નિશાન આવતું નથી.

Tags :