Get The App

લાગણીઓ સંતુલિત છે તો જે છે એમાં આનંદ છે, નહીં તો -

Updated: Jan 28th, 2025

GS TEAM


Google News
Google News
લાગણીઓ સંતુલિત છે તો જે છે એમાં આનંદ છે, નહીં તો - 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- દરેક વ્યક્તિ જરૂરિયાત મુજબ કમાઈ નથી શકતી, જે કમાય છે વાપરે છે, માણે પણ છે એ સરવાળે એનું લાંબાગાળા માટે આયોજન નથી કરી શકતી!

પૈ સો, બહોળા અર્થમાં સંપત્તિ-મિલકત, ઈમોશનલ બાબત છે. વ્યક્તિ પૈસાને લઈને ગમે ત્યારે ઈમોશનલ થઈ શકે છે અને જે તે ઈમોશનને તેની પરાકાાએ અનુભવી શકે છે. પૈસો વ્યક્તિમાં આનંદ, ઉન્માદ, ઉશ્કેરાટ, ઉદાસી, આશ્ચર્ય, અદેખાઈ, અસલામતી, લાલચ, શંકા વગરે લગભગ તમામ પ્રકારની લાગણીઓ પેદા કરી શકે. આ લાગણીઓ વ્યક્તિનો પૈસા સાથેનો વ્યવહાર નક્કી કરતી હોય છે. આ વ્યવહારમાં પૈસાના મહત્વ અંગેની યોગ્ય સમજ, પૈસો કમાવો, પૈસો વાપરવો, પૈસાને માણવો, પૈસાનું યોગ્ય આયોજન કરવું વગેરેનો સમાવેશ કરી શકાય. પૈસા સાથે સંકળાયેલી બધી જ લાગણીઓને પૈસા સાથે એક અજબ-ગજબનો સંબંધ હોય છે. દરેક લાગણીનું પૈસા સાથે એક આગવું સંતુલન હોય છે, વ્યક્તિપાસેની સંપત્તિ અને સ્વભાવ મુજબ આ સંતુલન આગળ-પાછળ ખસતું રહે છે. જ્યાં સુધી આ હલનચલન મધ્યથી નજીક હોય છે ત્યાં સુધી બધું ઠીક છે પરંતુ જેમ એક છેડા તરફ ઢળતું જાય એમ જીવનમાં લાગણી-વર્તનના પ્રશ્નો ઉભા થતાં જાય છે. એક મનોચિકિત્સક તરીકે મને મારી લાંબી કારકિર્દી દરમ્યાન વ્યક્તિની લાગણીઓ, સ્વભાવ અને તેના સંપત્તિ સાથેના સંતુલનને ખુબ નજદીકથી ચકાસવાની તક મળતી રહી છે. મારા આ અનુભવથી હું એટલા તારણ પર આવ્યો છું કે દરેક વ્યક્તિ જરૂરિયાત મુજબ કમાઈ નથી શકતી, જે કમાય છે તે એને યોગ્ય રીતે વાપરી નથી શકતી, જે વાપરે છે તે એને વાપર્યા મુજબ માણી નથી શકતી અને જે કમાય છે, વાપરે છે, માણે પણ છે એ સરવાળે એનું લાંબાગાળા માટે આયોજન નથી કરી શકતી! પૈસો કમાવો, વાપરવો, માણવો અને મેનેજ કરવો, આ બધી બાબતો એકબીજા સાથે સંકળાયેલી છે અને મારું સ્પષ્ટપણે માનવું છે કે, પૈસા સાથેનો તમારો તંદુરસ્ત સંબંધ જ આ બધી બાબતોમાં સંતોષ અને સુખનો અનુભવ કરાવી શકે. અને, તેથી'ય મહત્વની વાત, લાગણીઓની સ્વસ્થતા હોય ત્યારે જ આ સંબંધ તંદુરસ્ત હોય છે. 

ચાલો મારી વાતમાં થોડો ઊંડો ઊતરું. વ્યક્તિ જરૂરિયાત મુજબ કમાઈ કેમ ના શકે?! સ્વાભાવિક રીતે જ આપણને આવડત, તક, આધાર વગેરે બાબતો વિચારમાં આવે પરંતુ તેના કરતાં પણ વધુ અગત્યની આ બધાની પાછળ બેક સ્ટેજમાં રહેલી બાબતો છે. જેવી કે, કામ કરવાની દાનત, મહેનત કરવાની માનસિક તૈયારી, જવાબદારીનું ભાન વગેરે અને આ બધી જ બાબતો વ્યક્તિની ઈમોશનલ હેલ્થ સાથે સંકળાયેલી છે. અજંપા કે ઉદાસીનતામાં રહેનારને કામ કરવાની ઈચ્છા નથી થતી. ઉન્માદમાં રહેનાર દિવાસ્વપ્નમાં મસ્ત છે, તેને કામ કરવાની જરૂર નથી લાગતી અને તે પૈસા ઊડાવવાની તાલાવેલીમાં રહે છે! ઉશ્કેરાટ કે ટેશનમાં રહેતી વ્યક્તિઓ ગમે ત્યારે નોકરીને લાત મારી દે કે ધંધામાં ઉઠમણું કરી નાખે છે. દેશમાં દસ રૂપિયા કમાવાની જવાબદારી ના લીધી હોય એ પરદેશમાં ડોલર કમાવા બાથરૂમ સાફ કરવાની જવાબદારી સ્વીકારી લે છે! પૈસા કમાવાની ઉતાવળમાં રહેનાર સટ્ટો, જુગાર, કોમોડિટી, ક્રિપ્ટો વગેરેમાં વ્યસનના સ્તરે પહોંચી જાય છે. વ્યક્તિના આ બધા જ વર્તન, વ્યવહાર કે અભિગમ લાગણીઓ સાથે એટલી હદે વણાયેલા રહે છે કે વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે કમાવાની ક્ષમતાનો ઘણો મોટો આધાર આ લાગણીઓની સ્વસ્થતા ઉપર રહે એ સમજી શકાય એવી વાત છે. 

જરૂરિયાત મુજબ કમાઈ લેનાર એને યોગ્ય રીતે વાપરી કેમ ના શકે?! મૂળભૂત જરૂરિયાતો સિવાયના આપણા મોટાભાગના ખર્ચાઓ લાગણીઓથી પ્રભાવિત હોય છે અને માટે જ લગભગ બધા એડવર્ટાઈઝર્સતેમની જાહેરાતોમાં ઈમોશનલ બાબતોનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. ઘણા ખર્ચાઓ આપણે જરૂરિયાત મુજબના નહીં પરંતુ દેખાડાના ઉદ્દેશથી, અન્ય વ્યક્તિથી પ્રભાવિત થઈને કે એમને પ્રભાવિત કરવાના ચક્કરમાં કરતા હોઈએ છીએ. સ્વાભાવિક છે આ વાતાવરણમાં લોકોના ખર્ચા જરૂરિયાત કરતા ઘણા વધારે લાગણીઓથી પ્રભાવિત હોય છે. સરવાળે લોકો બિનજરૂરી ચીજ-વસ્તુઓ, વધુ પડતી મોંઘી વસ્તુઓ(નોટ વેલ્યૂ ફોર મની), ક્ષમતા બહારની વસ્તુઓ વગેરે ખરીદીને શરૂઆતમાં પોરસાય છે અને પાછળથી પસ્તાય છે અથવા તેને જાળવવા વધુ ઢસરડા કરે છે. જે વ્યક્તિઓ લાગણીઓથી સંતુલિત વિચારશક્તિ ધરાવે છે તે આવા ઈમોશનલ બાયિંગથી દૂર રહે છે અને પોતાની કમાણી યોગ્ય રીતે, પૂરી સમજથી વાપરી શકે છે. 

બાથરૂમમાં માર્બલટબ નાખવા બે લાખ વાપરનારને ખાત્રી નથી કે તે વાપર્યા મુજબનું માણી શકશે કે નહીં?! મોટાભાગના લોકો પૈસા જ્યાં અને જેટલા વાપરે છે, ત્યાં અને તેટલા ખુશ ભાગ્યે રહે છે. નવું કે મોંઘું થોડા દિવસ આનંદ આપે, પછી પાછી 

આપણી રાબેતા મુજબની લાગણીઓ ચાલુ થઈ જાય. લાગણીઓ સંતુલિત છે તો જે અને જેટલું છે એમાં આનંદ છે, બાકી તો સુખ-સગવડો વચ્ચે'ય લોહી ઉકાળા છે. 

પૈસાનું રોકાણ દરેકને કરવું છે પરંતુ તે યોગ્ય હશે કે નહીં તે એમની લાગણીઓ નક્કી કરશે! આવેગ કે લાલચમાં કરાયેલા રોકાણની સંખ્યા સ્થિર મન અને યોગ્ય આયોજનથી થયેલા રોકાણ કરતા વધુ જોવા મળે છે. યુવાનીમાં ચિક્કાર કમાઈ હોય એવી સેલિબ્રિટીઓ, ગરીબીમાં મરી હોય અથવા આત્મહત્યા કરી હોય એવા અનેક દાખલાઓ આપણી સામે છે. એક જમાનામાં ડંકો વાગતો હોય અને આજે 'કાંરવા ગુજર ગયા' જેવો ઘાટ હોય તેવા તમામની આ વાત છે. આ કિસ્સાઓમાં જરાક બારીક ખોતરો તો ખબર પડે કે પૈસા સાથે લાગણીઓનું સંતુલન સાધવામાં નિષ્ફળ ગયેલી આ વ્યક્તિઓ છે. કમાયા, વાપર્યા અને માણ્યા પછી આયોજનમાં નિષ્ફળ ગયાના આ ઉદાહરણો છે. 

તમને એવું થતું હોય કે મેં આ પૈસા પુરાણ કેમ માંડયું છે તો કહી દઉ કે વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે તેની માનસિકતા અને માનસિક સ્વાસ્થ્ય સંકળાયેલું રહે છે. પૈસા સાથે સંકળાયેલા તમારા ભાવનાત્મક પ્રતિભાવોને તમે નહીં સમજી શકો તો તમારા જીવનમાં ના ઇચ્છવા છતાં કે ચોકસાઈ રાખવા છતાં નાણાકીય મૂર્ખામી કે ગોટાળા ઉભા થઈ શકે છે અને તેને કારણે માનસિક અશાંતિ, અજંપો, હતાશા કે વ્યસનનું ચક્કર શરુ થઈ શકે છે. 

આ બધી વાતનો નિષ્કર્ષ એટલો જ કે પૈસા સાથે વ્યવહાર કરતી વખતે લાગણીઓની શ્રેણી અનુભવવી સામાન્ય છે. આપણી વાતનો ધ્યેય આ લાગણીઓને દૂર કરવાનો નથી 

પરંતુ તમારા લાંબા ગાળાની નાણાકીય સુખાકારીને ટેકો આપતા ભાવનાત્મક પ્રતિભાવોને સમજીને અને તેનું સંચાલન કરીને પૈસા સાથે તંદુરસ્ત સંબંધ વિકસાવવાનો છે. જીવનમાં નાણાકીય સુખાકારી પ્રાપ્ત કરવા અને સારા નાણાકીય નિર્ણયો લેવા માટે પૈસા અને લાગણીઓ વચ્ચેના સંબંધને મજબૂત બનાવવો જરૂરી છે. આ બાબતની શરૂઆત પૈસા સંબંધિત તમારી લાગણીઓ વિશે વધુ જાગૃત બનીને કરવી જોઈએ. જ્યારે તમે કમાણી, ખર્ચ, બચત અથવા રોકાણ સમયે થતી લાગણીઓને બરાબર સમજતાં થાવ છો ત્યારે એ બાબતોને અસરકારક રીતે આયોજિત કરી શકો છો. 

પૂર્ણવિરામ 

જીવનમાં સંતોષ અને સાર્થકતા અનુભવવા ખુબ સંપત્તિ હોવી જરૂરી નથી પરંતુ જેટલી પણ છે તેની સાથે સંકળાયેલી તમારી લાગણીઓ તંદુરસ્ત હોવી જરૂરી છે. 

Tags :