Get The App

સાજા થવા તબીબી સારવાર સાથે સ્વપ્રયત્ન પણ અનિવાર્ય

Updated: Apr 15th, 2025

GS TEAM

Google News
Google News
સાજા થવા તબીબી સારવાર સાથે સ્વપ્રયત્ન પણ અનિવાર્ય 1 - image


- તારી અને મારી વાત-હંસલ ભચેચ

- આત્મચિંતન સિવાય તમને કોઈ બીમારી કેમ થઈ એ સાચા અર્થમાં સમજવાનો બીજો કોઈ ઉપાય નથી

'સ ર આ વજનનું કંઈ કરો, વધતું જ જાય છે' વજન કાંટા ઉપર ઊભા રહેતા એક બેને મને ફરિયાદ કરી. 'એના માટે તમારે સૌ પ્રથમ તો તમારી ખોરાક લેવાની દિનચર્યા મને કહેવી પડે' સમસ્યાને મૂળમાંથી પકડવાના ઈરાદે મેં એમને કહ્યું.

મારું વાક્ય પૂરું થવાની રાહ જોયા વગર જ એમણે કહ્યું 'હું કંઈ ખાસ ખાતી જ નથી, મારો ખોરાક નાના બાળક કરતા પણ ઓછો છે.'

'ખાવામાં હાઈ કેલરી ફૂડ કે ગળપણનો અતિરેક થતો હશે.' મેં બીજી રીતે તેમને ખોરાક અંગે સભાનતાપૂર્વક વિચારવા માટે કહ્યું.

વિચારવા માટે રોકાયા વગર જ તેમણે કહ્યું 'ગળપણમાં તો સવાર-સાંજ એક કપ ચા પીવું એ જ.'

'દિવસમાં કસરત જેવું કંઈ કરો છો ?!' મેં ખોરાકમાંથી વિષય બદલ્યો.

'આ આખો દિવસ કામ-કાજ અને ઉઠ-બેસ કરીએ એ કસરત જ છે ને !' પાછો એવો જ વળતો જવાબ આપ્યો.

'એક કામ કરીએ, તમે એક ડાયરી બનાવો જેમાં આખો દિવસ જે ખાઓ અને જે કામ કરો એની નોંધ કરો પછી આપણે જોઈએ કે ક્યાં બદલાવ લાવવાની જરૂર છે' વજન વધવાના કારણો બાબતે એ થોડું સભાનતાપુર્વક વિચારે એ માટે મેં સૂચન કર્યું.

'શું લખું ?! જે છે એ તો મેં તમને કહી દીધું' બેનના અવાજમાં નારાજગી હતી.

તમે આ વાતચીતનું શું તારણ કાઢશો ?! મારી દ્રષ્ટીએ બેન પોતાના વજનની કોઈ જવાબદારી પોતાના શિરે લેવા નહતા માંગતા, જ્યાં પોતાના માથે જવાબદારી આવે ત્યાં પહેલેથી જ નન્નો ભણે રાખ્યો ! સ્વાસ્થ્ય કે તબિયતની બાબતમાં મોટાભાગના લોકોનો આવો જ અભિગમ છે. થોડું ચાલતા શ્વાસ ચડવાની ફરિયાદ કરતી વ્યક્તિને સ્મોકિંગ બંધ કે ઓછું કરવાની સલાહ આપો તો દિવસની દસ સિગરેટ્સ પીનારો પણ તમને એમ કહેશે કે હું કંઈ ખાસ પીતો નથી તો'ય શ્વાસ ચડે છે ! બરાબર એ જ પ્રમાણે 'મને જ આ રોગ કેમ થયો ?' એવું પૂછતી વ્યક્તિને આ પ્રશ્ન અન્યને પૂછતાં પહેલા પોતાની જાતને પૂછવો, એ દિશામાં આત્મ-ચિંતન અને આત્મ-વિશ્લેષણ કરવાનું કહીએ ત્યારે અણગમો થાય કે રોષ આવે. ગઈ વખતે આ જ વાત તમને વિચારવા આપીને હું અટક્યો હતો. આપણે રોગ સાથે સંકળાયેલા પ્રકૃતિના પરિબળોની વાત કરતા હતા, હવે આગળ વધીએ.

તમારું જનીની બંધારણ (જિનેટિક મેકઅપ) પણ તમારી પ્રકૃતિનો જ ભાગ છે. આપણા મા-બાપ જનીન સ્વરૂપે આપણામાં જીવતા રહે છે, એમણે ભોગવેલી દરેક લાંબાગાળાની બીમારીઓ આપણામાં વ્યક્ત થાય તેની શક્યતાઓ હંમેશા હોય છે. એક જમાનામાં એવું માનવામાં આવતું હતું કે જીન્સની અભિવ્યક્તિ માટે કશું ના કરી શકાય, પરંતુ આજે જિનેટિક સાયન્સ એ સાબિત કરી ચૂક્યું છે કે તમે જીન્સને સ્વિચ ઓન થતાં અટકાવી પણ શકો. આ માટે પણ પૂર્વશરત તો સ્વીકૃતિની જ છે. 'તમારા માતા-પિતા, ભાઈ-બેન કે અન્ય કુટુંબીઓમાં ડિપ્રેશનની હિસ્ટ્રી ખરી ?' આ પ્રશ્નના જવાબમાં લોકો વારસાગત પરિબળો પ્રત્યે સ્વીકૃતિ કેળવવાને બદલે એમની બીમારીઓને એ રીતે જસ્ટિફાય કરવામાં લાગી પડતા હોય છે કે એમના સંજોગો-કારણો અલગ હતા એટલે એને અને પોતાની બીમારીને કંઈ લેવા-દેવા નથી ! સો વાતની એક વાત, આપણા વડીલો ભૌતિક વારસો આપે કે ના આપે, જૈવિક વારસો તો આપીને જ જવાના. તેમની ટેવો-કુટેવો, પ્રકૃતિ, સ્વભાવ, વ્યક્તિત્વ, આયુષ્ય, રોગો વગેરે બધી જ સંભાવનાઓ તમારામાં છોડતાં જવાના. હા, એ વ્યક્ત થતી અટકાવવા બીજા કોઈએ નહીં પણ પોતે જ જવાબદારી લઈને પોતાની ઉપર કામ કરવું પડશે.

ગયા બુધવારે આપણે વાત કરી હતી કે રોગ તમને થયો છે તો તેની પાછળ જવાબદાર તમે, તમારી પ્રકૃતિ અને તમારી રોગપ્રતિકારક શક્તિ જ હશે તેવી જવાબદારી સ્વીકારવી એ અસલી સ્વીકૃતિની શરૂઆત છે. એક મચ્છર ગાર્ડનમાં એક સાથે બેઠેલા દસ વ્યક્તિને કરડે તો બધાને કંઈ મેલેરિયા કે ડેન્ગ્યુ નથી થવાનો. એનો મતલબ એ થયો કે મચ્છર મેલેરિયા-ડેન્ગ્યુનું દેખીતું કારણ છે પરંતુ અસલમાં તો વ્યક્તિની પોતાની પ્રકૃતિ-રોગપ્રતિકારક શક્તિ જ કામ કરે છે. મોટાભાગની વ્યક્તિઓ બીમારીની જવાબદારી પોતાની ઉપર લેવાને બદલે અન્ય લોકો-પરિસ્થિતિઓ ઉપર ઢોળવાનું વલણ ધરાવે છે. આવી વ્યક્તિઓ પોતાની બીમારીનું ફ્રસ્ટ્રેશન અન્ય કુટુંબીઓ, પરિસ્થિતિઓ, દવાઓ, ડૉક્ટરો, હોસ્પિટલો વગેરે પર કાઢતા ફરે છે પરંતુ એકવાર પણ પોતાની અંદર જોઈને પોતાની બીમારીને સમજવાનો પ્રયત્ન કરતા નથી હોતા. 

આત્મચિંતન સિવાય તમને કોઈ બીમારી કેમ થઈ એ સાચા અર્થમાં સમજવાનો બીજો ઉપાય નથી. શક્ય છે ઘણીવાર ખૂબ આત્મ-મંથન પછી પણ તમને જ આ બીમારી કેમ થઈ એ ના સમજાય પરંતુ પોતાની બીમારીને સમજવાના આ પ્રયત્નમાં તમે સારવાર માટે જરૂરી એવું આત્મબળ તો જરૂર મેળવશો. તમે ઝડપથી સાજા થશો, દવાઓ ઉપરની તમારી નિર્ભરતા ઓછી થશે. મારી આ વાત જો સમજાતી હશે તો એ પણ સમજાશે કે ડૉક્ટર સારવાર કરશે પરંતુ સાજા તો સ્વપ્રયત્ને થવાય. આનો અર્થ એવો ના કાઢતા કે સારવાર ના કરવી જોઈએ. રોગમાંથી સંપૂર્ણપણે સાજા થવું કે રોગને નિયંત્રણમાં રાખવો એ એક જટિલ પ્રક્રિયા છે અને તેમાં સારવાર-ચિકિત્સક તમારા મદદકર્તા છે. તમને સાજા કરવાની જવાબદારી ડૉક્ટર ઉપર ઢોળવાને બદલે પોતાના શિરે લેવાથી બીમારી ઝડપથી કાબૂમાં આવે છે અને રોગ ક્રોનિક બનતો અટકે છે એ મારી કારકિર્દીમાં મેં અનેકવાર જોયું છે. ફરિયાદોના ટોપલા લઈને ફરનારા હજી ફરતા જ રહ્યા છે અને અન્ય કોઈએ જ નહીં પણ પોતે જ કંઈ કરવું પડશે એવું સ્વીકારી લેનારા જીવનમાં આગળ વધી ગયા છે !

પૂર્ણવિરામ :

બીમારીમાં સારવાર બહારથી થાય છે પરંતુ સ્વસ્થતા ભીતરથી પ્રાપ્ત થાય છે. તમારા સભાન પ્રયાસ વિના, સંપૂર્ણ સ્વસ્થતા શક્ય નથી.

Tags :