વેદના-સંવેદના - મૃગેશ વૈષ્ણવ
મારા હાથ ગંદા તો નથી રહી ગયા ને ?
ડોનાલ્ડ ટ્રમ્પ, ડેવીડ બેકહેમ, દિપિકા પાદુકોણ, વિદ્યા બાલન, ફરહાન અખ્તર, સની લીયોન.. વગેરે સંખ્યાબંધ લોકોને પરેશાન કરતા રોગ ઓબ્સેસીવ કમ્પલ્સીવ ડીસઓર્ડર વિષે રસપ્રદ વાતો.
સંતોકબા આખા ગામમાં સન્માનનીય વ્યક્તિ હતાં. લોકો તેમને એક પવિત્ર અને ધર્મનિષ્ઠ વ્યક્તિ ગણાવતાં. પરંતુ તેમના ઘરના લોકો તેમનાથી ત્રાસી ગયાં હતાં.
જેનું કારણ હતું સંતોકબાની અસહ્ય આદતો... હરકતો.
સંતોકબાનો રોજનો ક્રમ હતો. સવારના પહોરમાં ગામના તળાવે નહાવા જવાનો. તેઓ રોજ તળાવમાં ડૂબકી મારી સ્નાન કરતાં. આ રીતે સ્નાન કરતાં તેમને ઓછામાં ઓછો બે કલાકનો સમય લાગતો.
સ્નાન કરવાની તેમની પધ્ધતિ પણ ઘણી આગવી અને અનોખી હતી. સ્નાન કરવા દરમ્યાન તેઓ આખા શરીર પર ત્રણ વખત સાબુ લગાડતાં.
પ્રત્યેક વખતે સાબુ લગાડયા પછી તેઓ ગણીને તેંત્રીસ ડૂબકી પાણીમાં મારતાં. ત્રણ વખત સાબુ લગાડયા પછી નવ્વાણું ડૂબકી મારી લીધા પછીની તેમની એક સોમી ડૂબકી સ્પેશીયલ રહેતી.
આ સ્પેશીયલ ડૂબકી માર્યા પહેલાં તળાવના પગથિયાં ચડી ંકિનારે આવતાં કિનારાની પાળીએ મૂકેલા માટલાને લઇ તેઓ પગથિયાં ઉતરી પાછાં પાણીમાં જતાં માટલાને કમર પર મૂકી તેઓ એક સોમી ડૂબકી
મારતાં. અને છેલ્લી ડૂબકી લગાવી બહાર આવતાં.
ત્યારબાદ તળાવના કિનારાથી ઘેર જતાં સુધી રસ્તામાં માટીના ઘડામાંથી પાળીની ધાર રેડતાં રેડતાં ઘર સુધી આવતાં જેથી રસ્તાની ધૂળ તેમના પગ પર લાગી ન જાય.
એક દિવસ નાહીને ઘેર આવતાં તેમના હાથમાંનું માટલું નીચે પડી ગયું.
એટલે સંતોકબા પાછા તળાવમાં ગયાં. ફરીથી ત્રણવાર સાબુથી નાહી નવ્વાણું ડૂબકી મારી અને એક સોમી સ્પેશિયલ ડૂબકી માર્યા પછી જ તેઓ તળાવથી રસ્તામાં માટલામાંથી પાણીની ધાર પાડતાં ઘેર પહોંચ્યા. તે દિવસે તેમનું સવારનું ભોજન બપોરે ત્રણ વાગ્યે પત્યું.
એક દિવસ પાછા વળતાં માટલું રસ્તામાં ત્રણ વખત નીચે પડી ગયું અને તેમને સવારનું ભોજન સાંજે સાત વાગ્યે લીધું. બોલો પછી ઘરનાં લોકો ત્રાસી જ જાય ને ?
ચંદનબેનની વાત પણ કંઇક નિરાળી હતી.
મૂળભૂત રીતે તેઓ ચોખ્ખાઇના બહુ આગ્રહી હતા. પરંતુ છેલ્લા કેટલાક વખતથી તેમનો સ્વચ્છતાનો આગ્રહ ઘણો વધી ગયો હતો. તેઓ વારે ઘડીએ હાથ ધોવા લાગ્યાં છે.
કોઇપણ વસ્તુને અડે તો તેમને હાથ ધોવાના વિચારો આવે છે. એટલું જ નહીં વિચારોને અનુરૃપ વર્તન કરવું જ પડે છે, એટલે કે હાથ ધોવા જ પડે છે. વારંવાર હાથ ધોવા છતાં તેમને એવું લાગે છે કે તેમના હાથ હજુ ચોખ્ખા થયા નથી.
ચંદનબેન જાણે છે કે તેમના વિચારો અને ક્રિયા ખોટાં છે પરંતુ આગ્રહપૂર્વક તેમના મનમાં આવતા વિચાર દબાણ અને ક્રિયા દબાણને તેઓ રોકી શકતાં નથી.
જો તેઓ હાથ ન ધુએ તો તેમનું મન હાથ ગંદા છે માં જ ચોંટેલું રહે છે. જેથી તેમને ખૂબ ચિંતા થાય છે. આ ચિંતા દૂર કરવા તેમને વારંવાર હાથ ધોવા જ પડે છે. જેમાં ઘણો સમય જાય છે.
ચંદનબેન પોતે તો ચોખ્ખાઇનો આગ્રહ રાખી પોતાના હાથ ધોતા હતા ત્યાં સુધી કોઇને તકલીફ ન હતી.
પરંતુ ધીરે ધીરે તેમને પોતાના પતિ તેમજ બાળકોને પણ તેમના હાથ ગંદા છે તેવું વિચારી તેમને પણ હાથ ધોવડાવવા ફરજ પાડવા માંડી.
આ કારણે તેમના ઘરમાં ઘણા ઝઘડા થવા લાગ્યા. આમ છતાં પણ ચંદનબેન તમનું અનિવાર્ય વિચાર દબાણ અને ક્રિયા દબાણ, અર્થાત્ ગંદકીના વિચારો અને હાથ ધોવા/ધોવડાવવાનું દબાણ રોકી શકતા ન હતા.
ધીરે ધીરે તેઓ ઘરની મુલાકાતે આવતા મહેમાનોને પણ તેમના હાથ પગ ધોવડાવવા દબાણ કરવા લાગ્યાં એટલે લોકોએ તેમના ઘેર આવવાનું જ બંધ કરી દીધું.
આટલું ઓછું હોય તેમ છેલ્લા કેટલાક સમયથી તેમના વિચારો અને ક્રિયાઓમાં ઉમેરો થયો છે. જેમકે વારંવાર ઘરની સફાઇ કરવી, વાસણો ઘસી ઘસીને માંજવા, ઘરનું તાળું કે ગેસ બંધ કર્યો છે કે કેમ તે વારંવાર તપાસવું વગેરે અનિવાર્ય ક્રિયાઓ કરવાનું દબાણ વધી ગયું.
સંતોકબા ઓબ્સેસીવ પર્સનાલીટી ધરાવે છે જેને ઓ.સી.પી.ડી. કહેવાય. તેમનું વ્યક્તિત્વ આ વિકૃતિ ઓબ્સેસીવ કમ્પલ્સીવ ડીસઓર્ડરમાં પરિણમી છે જ્યારે ચંદનબેન પણ ઓ.સી.ડી. અર્થાત્ ઓબ્સેસીવ
કમ્પલ્સીવ ડીસઓૃર્ડર - અનિવાર્ય ક્રિયા દબાણ અને અનિવાર્ય વિચાર દબાણ ધરાવે છે.
સમગ્ર વસ્તીના લગભગ બે ટકા લોકો ઓ.સી.ડી.થી પીડાય છે એટલે આપણા દેશમાં ઓ.સી.ડી. રોગ બે કરોડ પચાસ લાખ લોકોને છે તેમ કહી શકાય.
પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ બીમારી વધારે પ્રમાણમાં જોવા મળે છે. બાળકોમાં પણ ઓ.સી.ડી. બીમારી જોવા મળે છે. ૩ થી ચાર વર્ષની ઉંમરના બાળકમાં પણ ઓ.સી.ડી. જોવા મળે છે.
કેટલીક ખ્યાતનામ વ્યક્તિઓએ ઓ.સી.ડી. હોવાનું કબુલ્યું છે.
દિપીકા પાદુકોણેએ ડીપ્રેશન હોવાનું જાહેરમાં કબુલ્યું છે અને તેની સભાનતા ફેલાવવાનું કાર્ય પણ શરૃ કર્યું છે. ડીપ્રેશન ઉપરાંત દિપીકાને તેની બધી વસ્તુ સુવ્યવસ્થિત રીતે ગોઠવવાની ચિંતા સતાવતી રહે છે.
તેનો બેડરૃમ, ડ્રોઇંગરૃમ, મેઇક અપનો સામાન, ફિલ્મના સેટ પરની વસ્તુઓ વગેરે તમામ સુવ્યવસ્થિત રીતે ગોઠવેલું હોવું જ જોઇએ. તેની તે આગ્રહી છે. જો તેના વાતાવરણમાં કંઇક પણ અસ્તવ્યસ્ત પડેલું હોય તો તેની ગભરામણ વધી જાય છે.
વિદ્યા બાલન ચોખ્ખાઇની અતિ આગ્રહી છે.
કરીના કપુરને તેનું ફીગર ઝીરો રહે અને તેના શરીર પર ચરબી સહેજ પણ ન ચડે તેની ઘણી ચિંતા છે. આ અનિવાર્ય વિચાર દબાણ દૂર કરવા તે સતતત કસરત અને ડાયેટીંગ કરતી રહે છે.
ફરહાન અખ્તરે કોફી વીથ કરણના શોમાં કબુલ્યું હતું કે તેની આસપાસ કંઇપણ અસ્ત-વ્યસ્ત પડેલું જોવા મળે તો તે ઘણો બેચેન બની જાય છે.
એક ચેટ શો દરમિયાન સોફા પર તકીયો બરાબર પડયો ન હતો એ વાતથી પણ તે બેચેન બની ગયો હતો.
આયુષ્યમાન ખુરાના અને સની લીયોન તેમના દાંત અને પગ સ્વચ્છ રાખવાના દૂરાગ્રહી છે.
જ્યારે અજય દેવગણને તેના હાથ કોઇપણ વસ્તુ ખાવાથી ચીકણા થાય તે પસંદ નથી તેથી તે હાથ બગડે તેવી વસ્તુ ખાતો નથી અને કાંટા-ચમચીથી જ ખાવાનું પસંદ કરે છે.
ફુટબોલનો સુપરસ્ટાર ડેવીડ બેકહેમ મી. પરફેક્ટ હતો. બધું જ પરફેક્ટ હોવું જ જોઇએ તેવા તેના આ દૂરાગ્રહે તેને ઓ.સી.ડી. મનોરોગનો શિક્ષક બનાવ્યો હતો.
આ સિવાય લીઓનાર્ડો ડીકેપ્રીઓ, જસ્ટીન ટીમ્બરલેક, મેગાન ફેકસ, ફીઓના એપલ, જેસીકા આલ્બા, મારીયા બેમફોર્ડ જેવી વિશ્વકક્ષાની સેલીબ્રીટી વિચારો અને ક્રિયાઓના આવા વળગણના શિકાર છે.
ડોનાલ્ડ ટ્રમ્પને પણ તેના હાથમાં ક્યાંયથી જંતુ ન આવી જાય તેનો ડર સતાવતો હતો જેથી ટ્રમ્પ લીફ્ટનું બટન ક્યારેય ન દબાવતા.
ઓ.સી.ડી.ની શરૃઆત સામાન્ય રીતે ૧૭થી ૨૦ વર્ષે થાય છે. ઘણાખરા દરદીઓમાં શરૃઆતમાં માત્ર અનિવાર્યપણે નિરર્થક વિચાર આવ્યા કરે છે.
વ્યક્તિના મનમાં એકના એક વિચાર, કલ્પના, આવેગ કે દ્રશ્ય મનમાં આવ્યા કરે છે. આ વિચાર કંઇક નીચે મુજબ હોય છે.
- મારા હાથ ગંદા રહી ગયા છે.
- નક્કી કંઇક ખરાબ થઇ જશે.
- તાળું બરાબર બંધ કર્યું કે નહીં ?
- મારાથી કોઇને ઈજા તો નહીં થઇ જાય ?
- દેવી-દેવતા માટે કે એમની સમક્ષ સેક્સ કરતા હોય તેવા ખરાબ વિચાર.
આવા વિચારો વ્યક્તિની ઈચ્છા વિરૃધ્ધ તેના મનમાં ઘૂસી જાય છે. આવા વિચારો તેના મનમાં જ ઉદ્ભવેલા છે તેવું દરદી જાણે છે એટલું જ નહીં પણ આવા વિચારો વાહિયાત છે અને ખરેખર આવું કંઇ જ થવાનું નથી તેવું પણ દરદી સમજે છે.
છતાં પણ આવા વિચારોને કારણે દરદીને અતિશય ચિંતા, તનાવ કે માનસિક સંતાપ રહે છે. વિચારો દૂર કરવા દરદી ખૂબ પ્રયત્નો કરે છે પરંતુ તેમાં તેને કોઇ પ્રકારની સફળતા મળતી નથી.
ઉલટાનું વિચારોને દબાવવાની તે જેટલી કોશિશ કરે છે તેટલા તેના વિચાર વધતા જાય છે.
આને ઓબ્સેશન કે અનિવાર્ય વિચાર દબાણ કહે છે. આવું દબાણ ઊભું થવાનું કારણ ઉદાહરણ સાથે આવતા સપ્તાહમાં ચર્ચીશું.
ન્યુરોગ્રાફ
તમે કોઇના વિચારોના ઓબ્સેસનનું પાત્ર બની જશો તો તમારા માટે એ ખતરનાક પુરવાર થઇ શકે છે.