અનાવૃત - જય વસાવડા
યૂં જરા સી બાત હૈ ખ્વાબ કા તૂટના મગર, આદમી કે તૂટ જાને કા બસ યહી આગાઝ હૈ !
કોઈપણ માહિતી માત્ર સનસનીખેજ છે એટલે શેર કરવાની દાનત ટાળવી જોઇએ. જો એ માહિતી વિશે તમને કંઇપણ ખબર ના હોય તો એ વિશે તમને સાચી જાણકારી મળે એની રાહ જૂઓ. શોકિંગ વિગતો શેર કરવાની ઉતાવળથી ગણ્યા ગાંઠયા લોકો ભલે તમને વિદ્વાન સમજીને માથે ચડાવે, પણ એ માહિતી ખોટી સાબિત થશે ત્યારે એથી અનેક ગણા વધારે લોકોનો વિશ્વાસ તમે ખોઈ બેસશો.
''આપણે ત્યાં પોતાના પગ પર ઉભા રહેવું એટલે બસ, કમાવું. કોઈ અજાણી જગ્યાએ જવાનો જેમ ભય લાગે છે, એમ કોઈ સંતાન અજાણી કારકિર્દીમાં જવાની વાત કરે ત્યારે મા-બાપ કંપી ઉઠે છે ! મારા દીકરાએ મને કહ્યું કે મારે ફિઝીક્સને બદલે એન્વાર્યમેન્ટલ સાયન્સ ભણવું છે.
તો મારાથી પિતા તરીકે પૂછાઈ ગયું કે, એમાં આગળ શું કરીશ ? તો એણે નિખાલસ જવાબ આપ્યો કે, 'નથી ખબર' ! બીજા એના મિત્રોને જે કરિઅર પસંદ કરે એમાં આગળ શું કરશે એ ખબર હતી.પણ એને નહોતી ખબર ! અને હું વિચારે ચડી ગયો. મારી માએ મને આવું પૂછેલું ત્યારે જયપુરમાં રહેનારા મેં કાચી ઉંમરે કહેલું કે થિએટર યાને રંગમંચ કરીશ. ત્યારે મને ય નહોતી ખબર કે આગળ શું થશે !''
આ દોલત, શોહરત, આ ગ્લેમર, આ જલસા બધું બાયપ્રોડક્ટ છે. હોય ને જોઇએ એથી વધુ મળી ગયું.પણ એ માટે આ યાત્રા નહોતી કરી. આ કોઈ મંઝિલ થોડી છે કે નામ થયું એટલે મળી ગઈ ? સફર તો હજુ ચાલુ છે. મૂળ તો તલાશ હતી કે કોઈ રીતે કશુંક કહું. આ જીવન અંગે, આસપાસની દુનિયા અને માણસ અંગે. મિનીંગકૂલ સ્ટોરીઝ શોધું. જે માત્ર એના દર્શકોને નહિ, એમાં કામ કરતા મારા જેવા કલાકારને પણ સરપ્રાઇઝ કરે. નવીન ચેલેન્જ આપી જાતમાં ઊંડે કશુંક પડેલું ખોળીને ખોલવા માટે મજબૂર કરે.''
એક ઇન્ટરવ્યૂમાં ઇરફાન ખાને આ વાત કરેલી. આ કરિશ્માઈ બંદો મોજની ખોજમાં નથી ભટક્યો, ખોજમાં એને મોજ જડી આવતી રહી છે !
* * *
ખાનો મેં ખાન ઇરફાન ખાન !
આવું લેખમાં લખેલું. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા ખાન દાયકાઓથી રાજ કરે છે. પણ એમાં બેસ્ટ ને પર્સનલી મોસ્ટ ફેવરિટ હોય તો ઇરફાનખાન. ઇન ફેક્ટ, અભિનય બાબતમાં એ અમિતાભના આદર્શ એવા યુસુફ ખાન (દિલીપકુમાર)થી પણ ચડિયાતો. એકદમ નેચરલ ને કોઈ પણ પાત્ર આત્મસાત કરે અને આંખોથી વાત કરે એવો. અલ્ટીમેટ એક્ટર ફ્રોમ ઇન્ડિયા. ઇરફાન ભારતના ઇતિહાસમાં સૌથી વધુ મોટી ઇન્ટરનેશનલ પ્રેઝન્સ એટલે જ ધરાવે છે. ફોરેન ફિલ્મો તો ઘણા કરે. પણ લાઈફ ઓફ પાઈ, જ્યુરાસિક વર્લ્ડ, ઇંફરનો, વૉરિયર, સ્પાઇડરમેન જેવી ફિલ્મોમાં એની હાજરીની નોંધ લેવાય એવા મજબૂત પાત્રો. સો કરોડ શું, હજારો કરોડનો કારોબાર કરતી આ ફિલ્મ.
તો ય દાદા સ્પીલબર્ગની ફિલ્મ છોડી વધુ રસપ્રદ લાગી એવી લોકલ 'પીકૂ' કરે એવો. એક મુલાકાતમાં એણે કહેલું જ કે એને માત્ર મોટી ફિલ્મો કરી પૈસા નથી કમાવા. જરૃર જેટલું મળી ગયું છે. હવે નવી કહાનીઓ કહેવામાં એને રસ છે. એનું સિલેકશન પણ એવું જ. પર્સનલી પત્ની સુતપા સિકંદર સાથેના લવ મેરેજના સંતાનોને ય એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં ભણાવે.
પણ આવા ઇરફાને થોડા સમય પહેલા ચુસ્ત ચાહકોને આઘાતનો આંચકો આપતી એક ટવીટ કરી. એની ટ્વીટસમાં ય સાહિત્યિક સ્પર્શ હોય. રેશનલ મોડર્ન થોટ્સ પણ હોય ધાર્મિકતા સામેના. આમાં કહેલું કે દુર્લભ વાર્તાઓ શોધતા શોધતા દુર્લભ બીમારી મળી ગઈ !
રાબેતા મુજબ, સત્ય કરતા સ્પાઇસી ગોસિપની કાનાકૂસીમાં વધુ રસ લેતા માણસને આ પર્સનલ વાતમાં ય ગોળનું ગાડું મળી ગયું. બણબણતી માખીઓએ કૂથલી ચાલુ કરી. કેન્સરગ્રસ્ત રાજકુમાર જેવા ઘણા કિસ્સા છે જેમાં છેવટ સુધી પોતાને શું થયું એની કોઈ ખબર જ મીડિયાકે પબ્લીકને સેલિબ્રિટી પાડવા ન દે. માણસની પસર્નલ લાઇફનું એક રિસ્પેક્ટ પણ પાપારાઝીઓ અને સ્ટારડસ્ટના દેવયાની ચૌબલ જેવા ફિકશનને ફેક્ટ સ્વરૃપે વેંચતા પત્રકારો સિવાય મોટે ભાગે સમજુ મીડિયાકર્મીઓ યરાખે. અધિકાર છે એ મૂળભૂત દરેકનો. અહીં તો સ્વયં ઇરફાન છૂપાવવા કે ટાળવાને બદલે લાંબી ટ્વીટ કરી કહે છે કે, મને એક રેર ડીઝીઝ છે. ધીરજ રાખો, હું સત્ય તમને જણાવીશ.
પણ તો ય ખાટસવાદિયાઓ બ્રેકિંગ ન્યુઝના નામે ઉપાડી લાવ્યા ગપ્પાંઓ ! કોઈ માણસની પર્સનલ લાઇફ જેમ કે, બીમારી સાથે મજાક કે અફવા એ જ મોટી અસાધ્ય વિકૃત બીમારી ગણાય. પણ તો ય ઝટપટ ચટપટ ખબરના ટીઆરપીની લાહ્યમાં અમુક પત્રકારો શોધી લાવ્યા તરત કે ઇરફાનને બ્રેઇન કેન્સર છે. કોઇએ વળી શોધી કાઢ્યું કે, આ તો ડેથ બાય ડાયગ્નોસિસ જેં અતિગંભીર બ્રેઇન કેન્સર છે, એજમાં માણસ માંડ ત્રણ-ચાર મહિના જીવે તો જીવે. બાકી ૧% દર્દી બહુ બહુ તો વરસ કાઢી શકે. વગેરે વગેરે. પુરતી ખરાઈ વિના સ્પાઇસી ખબરો તરત ફોરવર્ડ કરી વાઇરલ કરવા લાગતી પબ્લિકે તરત જ માની પણ લીધું. કહેતા ભી દીવાના, સુનતા ભી દીવાના.
અંતે ઇરફાનની પત્નીએ એમ કહેવું પડયું કે મારા પતિ યોદ્ધા છે, દરેક મોરચે લડયા છે ને જીત્યા છે એમ અમને શ્રદ્ધા છે કે આમાં ય જીતશે. પણ આમ પાગલની જેમ આડેધડ ક્યાસ ન લગાવો. બધું ટેસ્ટ પુરા થયા ફાઈનલ એ જ જણાવશે. અધીરા ન બનો. હેવ સમ ગ્રેસ. અફવાઓ ન માનો. ન ફેલાવો. મનોજ બાજપેયી કે સૂજીત સરકાર જેવા ઇરફાનના જેન્યુઇન મિત્રોએ ય એની ફેવરમાં અપીલ કરી કે, એ જરૃર પડે ખુદ કહેશે પણ આ બાજારુ બની ગયેલા અનુમાનો સાવ ખોટા છે. એમાં સત્ય નથી ને એને એમ જ માની લેવામાં ડિગ્નીટી ય નથી.
અને ઇરફાને પ્રોમિસ મુજબ ટ્વીટ કરી. આરંભ જ બીમારી સામે ઝઝુમતા પણ પોએટિક કર્યો. માર્ગારેટ મિશેલ (ગોન વિથ ધ વિન્ડ)ના ક્વોટથી. ''લાઇફ ઇઝ અંડર નો ઓબ્લિગેશન ટુ ગિવ અસવોટ વી એક્સ્પેક્ટ.'' યસ, જિંદગી કંઇ આપણે ધારીએ એમ જ આપવા બંધાયેલી નથી. અણધારી આફતો કે જ્યાફતો બધા માટે તૈયાર રહેવું. એનીથિંગ અનબિલીવેબલ કેન હેપન એનીટાઈમ. અચાનક કશુંક તૂટે, અચનક જ કશુંક નવું ફૂટે ! ધેટ્સ લાઇફ. ગમે કે ન ગમે આસ્વીકારીને જ ચાલવું પડે. સંઘર્ષ કરતા રહેવો પડે.
ઇરફાને ચોખવટ કરી કે એને ન્યુરોએન્ડ્રોક્રાઇન ટયુમર છે. અને લખ્યું જ કે દરેક વાતમાં ન્યુરો શબ્દ આવી જાય એટલે એ દિમાગી જ હોય એમ ન માણવું. આ આંતરડામાં અચાનક થતી કોષોની વૃદ્ધિ છે. મોટે ભાગે જીનેટિક કારણોથી થાય. ખરેખર ઇરફાને લખેલું પ્રમાણિકતાથી એમ જ હતું. બધા ફાઈનર ટેસ્ટસ સિવાય ઝટ એનું જજમેન્ટ ન આવે.
મુમ્બઈની કેન્સર માટે આખા દક્ષિણ એશિયામાં પ્રસિદ્ધ તાતા મેમોરિયલ હોસ્પિટલમાં કેન્સરના કેસીઝ વર્ષે ૬૫,૦૦૦ આવે છે એમાં ય આ ટયુમરના માંડ ૧૦૦ ય નથી હોતા. એટલે એની પૂરી જાણકારી કે જાગૃતિ નથી. બહુ વહેલી ખબર પડે તો એ ટયુમરની તરત સર્જરી થાય. પણ આવા રોગોમાં મોટી ખોડ જ હોય છે કે સમયસર ખબર નથી પડતી. ઇરફાને ઇનફેક્ટ, એ ચોખવટ નથી કરી કે આ ટયુમર સાદું છે કે કેન્સરગ્રસ્ત. પણ એ વિદેશ (સંભવતઃ લંડન) સારવાર માટે જવાનો છે એ જોતાં મામલો થોડો ગંભીર હોવાની શક્યતા તો છે જ.
ન્યુરોએન્ડ્રોકાઇન ટયુમર કોઈ પણ અંગમાં થઇ શકે. સ્ટીવ જોબ્સને પેન્ક્રિઆસનું હતું. એની સર્જરી પછી ય એ ઉથલો મારી શકે ને મેલીગનન્ટ યાને કેન્સરકારક હોય તો ય ધીમે ફેલાય. (જોબ્સ એના નિદાન બાદ આઠ વર્ષ જીવેલો). પણ ઇરફાનની બાબતમાં જરાય મર્યાદા રાખ્યા વિના જે રીતે મોતનો હોબાળો મીડિયાએ મચાવ્યો એ તમાશાભૂખ્યા કળિયુગી સમાજનું અપલક્ષણ છે, જેના માટે કોઇનું જીવન-મરણ એક સનસનાટીના સમાચાર જ છે. ખુદ ઇરફાને 'તલવાર' ફિલ્મના પ્રમોશન વખતે કહેલું કે 'મોટેભાગે લોકો જે જુએ વાંચે એને સાચું માની લે છે. ૮૫% પ્રજા જાગૃત નથી એટલે જ આપણા મતદાતાઓ કાયમ ઉત્તમ નેતાઓ મેળવી શક્તા નથી.'
સાયન્સ મેગેઝીન 'ધ વર્જ'ના હવાલાથી રીડરબિરાદર પર્યંક કંસારા ઇરફાનને મરણતોલ બ્રેઇન કેન્સરની અફવાના ફેલાવા બાબતે લાગુ પડે એવી મહત્ત્વની વાત છે ડે છે ઃ ઇન્ટરનેટ ઉપર સાચા અને ખોટા ન્યુઝ કઇ રીતે ફેલાય છે ? એક રિસર્ચ પેપરનો રીપોર્ટ કહે છે કે ટ્વીટર ઉપર સાચા ન્યુઝ જેટલા શેયર થાય છે એનાથી ૧૦૦ ગણા જેટલા વધુ ખોટા ન્યુઝ શેયર થાય છે.
એ વાત સાચી કે ટ્વીટર પર ઘણાં એકાઉન્ટ એવા છે જે માણસો દ્વારા નહિં, પણ બોટ્સ (સોફ્ટવેર રોબોટ - ઓટોમેટેડકોમ્પ્યુટર પ્રોગ્રામ) દ્વારા ચલાવવામાં આવે છે. અને એ બોટ્સનો ઉપયોગ આવી અફવાઓ ફેલાવવા થતો હોઈ શકે. પણ આ રીસર્ચમાં એ પણ ચકાસણી કરવામાં આવી છે કે કઇ ટ્વીટ બોટ્સ દ્વારા કરવામાં આવી છે અને કઇ માણસ દ્વારા.
અને એમાંથી જાણવા મળ્યું કે બોટ્સ દ્વારા જેટલાં ફેક ન્યુઝ ફેલાવવામાં આવેલા, સાચા ન્યુઝ પણ લગભગ એટલી જ સંખ્યામાં ફેલાવવામાં આવેલા. અને આ બધે બધી કંઇ પોલિટીકલ સ્ટોરીઝ નહોતી કે જેને ચોક્કસ પ્રોપેગાન્ડા હેઠળ જ વાયરલ કરવામાં આવે. એનો મતલબ કે આટલી મોટી સંખ્યામાં અફવા ફેલાવવાનો દોષ મશીન કે પોલિટિક્સનો જ નહિં, પણ સામાન્ય માણસોનો પણ છે.
આપણે ભલે રોજેરોજ ન્યુઝ ચેનલ જોતા હોઈએ, કે અખબારો વાંચતા હોઈએ, પણ એમાંથી આપણને એવા કેટલા સમાચાર મળે છે જે આપણાં માટે ખરેખર નવા હોય ? ક્યારેક કોઈ સેલીબ્રિટીનું અકાળે અવસાન થાય કે સરકાર રાતોરાત કોઇ મોટો નિર્ણય લઇ લે એવા આશ્ચર્યજનક સમાચારો રોજ નથી બનતા હોતા. રોજ તો સંસદમાંથી વિરોધપક્ષ વોકઆઉટ કરે, અથવા કોઈ બીલ પાસ થાય. કોઈ મુવી રીલીઝ થાય, હિટ થાય, ફ્લોપ જાય. ક્રિકેટમાં હાર-જીત થાય. આ બધા સમાચાર જાણવા ગમે એવા હોવા છતાંય, આપણાં માટે નવા નથી હોતાં.
એકાદ નેતાનું વિવાદાસ્પદ નિવેદન આવે તો ન્યુઝ ચેનલવાળા એને ખેંચી ખેંચીને એટલું રીપીટ કરતા હોય છે કે એ સમાચાર થોડા કલાકમાં જ બોરિંગ થઇ જતાં હોય છે.
લોકોને કંઇક નવું જોઇએ છે. અને સાચા સમાચારમાં રોજેરોજ નવીનતા ના હોય, પણ અફવાઓ તો હંમેશા સનસનીખેજ રહેવાની જ. એટલે બોરિંગ ન્યુઝની વચ્ચે જ્યારે કોઈ સનસનાટીવાળી સ્ટોરી દેખાય એટલે લોકોનું ધ્યાનતરત ખેંચાય. એટલે જ સાચા ન્યુઝ કરતાં અફવાઓને એટેન્શન વધારે મળે અને શેયર પણ જલ્દી થાય.
બીજું એક કારણ છે પૂર્વગ્રહ. કોઈ ચોક્કસ વ્યક્તિ કે સમૂહ પ્રત્યે પૂર્વગ્રહ કે બાયસ બંધાયેલો હોય એટલે પોતાનાં પૂર્વાગ્રહ કે બાયસને પોષે એવી દરેક વાત લોકોને આકર્ષિત કરશે. કોઈ ચોક્કસ નેતા, અભિનેતા. વ્યક્તિ પ્રત્યે અંગત અણગમો બંધાઈ ગયો હોય અને સર્કલમાંથી કોઇક એ નેતા વિરુદ્ધ કોન્સ્પીરસી થિયરી બનાવીને મૂકી દે, તો એ સાચું છે કે ખોટું એ તપાસવાની દરકાર લેવાતી નથી અને સીધું શેર થઇ જાય છે.
આપણી પોતાની પણ જવાબદારી છે. પહેલાં તો કોઈપણ માહિતી માત્ર સનસનીખેજ છે એટલે શેર કરવાની દાનત ટાળવી જોઇએ. જો એ માહિતી વિશે તમને કંઇપણ ખબર ના હોય તો એ વિશે તમને સાચી જાણકારી મળે એની રાહ જૂઓ. શોકિંગ વિગતો શેર કરવાની ઉતાવળથી ગણ્યા ગાંઠયા લોકો ભલે તમને વિદ્વાન સમજીને માથે ચડાવે, પણ એ માહિતી ખોટી સાબિત થશે ત્યારે એથી અનેક ગણા વધારે લોકોનો વિશ્વાસ તમે ખોઈ બેસશો.
પૂર્વગ્રહ છોડવો ઘણો અઘરો છે. પણ પૂર્વગ્રહ છે એસ્વીકારવું એનાથી પણ વધારે અઘરું છે. ઇન્ટરનેટ એ માહિતીનો મહાસાગર છે, અને સોશ્યલ મિડીયામાં એમાં ફરતી ક્રુઝ છે. ક્રુઝ-રાઇડની મજા લઇએ પણ એમાં અફવાઓનો કચરો નાંખીને પ્રદુષિત ના કરીએ.
રાઇટ. ઇરફાન કરી શકે એવી વેગળી ફિલ્મનો પ્લોટ રચી શકાય આમાંથી. આ આપણો સ્વાર્થ. ઇરફાન સ્વસ્થ રહી આપણને હજુ વધુ નવા પરિમાણો અને વૈવિધ્ય બતાવતો રહે એવી લાલચ.
ઇરફાન ખાન જેવા આર્ટીસ્ટ દેશની એસેટ્સ હોય છે. નીરવ મોદીઓ ચોરી જાય એ કંઇ જ સંપત્તિ નથી હોતી. પેઢીઓ પર પ્રભાવ પડે અને એમને ઘડે એ અણમોલ સર્જકતા પણ માણસ બનાવે છે. પૈસા ખર્ચતા ય એ મળતી નથી ને હેલોજન લાઇટ લઇ શોધવા નીકળો તો ય જડતી નથી. શ્રીદેવી અકાળે ગઇ ત્યારે એની અંજલિથી અકળાયેલાઓને એટલી ય ખબર નહોતી કે આખા જગતમાં શ્રીદેવી જ સૌથી વધુ ડબલ રોલ કરનારી અભિનેત્રી હતી.
એ સહેલું લાગે તો અરીસા સામે જોઇને એનો એક સીન તો કરો ! હોય એ દુનિયાને જુદા એંગલથી જોવાની અને બદલાવવાની તાકાત આવા ક્રિએટીવ માણસો પાસે હોય છે, એટલે જગત એને માનથી જુએ છે. આપણે અત્યારે વારસો ભૂલીને એપલના સ્ટીવ વોઝનિઆકે ફરી યાદ દેવડાવ્યું એમ માણસ પાસે મોટી કાર આવી એને જ સફળતા ગણતા થઇ ગયા છે.
ફિલ્મી પાત્રોમાં પણ ઓછું બોલતા ઇરફાનની આંખો ખૂબ સતેજ છે. ઊંડી અને ધારદાર. રજનીશ જેવી. એટલે અભિનયમાં એ બારીક કાંતે છે. બોડી લેન્ગવેજ મિક્સ કરે છે. બ્લેકમેઇલનું ટ્રેલર જુઓ કે હિન્દી મિડીયમ અને એના પછીની છેલ્લી મસ્ટ સી કરીબ કરીબ સિંગલ.
ઇરફાનનો અવાજ પણ અભિનય કરે. તિગ્માંશુ ધુલિયા કે જેણે 'હાસિલ'થી એને ટીવીના પડદા પછી મેઇનસ્ટ્રીમ સિનેમામાં મોટો બ્રેક આપ્યો (અને પાનસિંહ તોમર પણ) એ પર્સનલી એવું કહેલું કે, 'ઇરફાન જાણે છે કે ક્યાં એક્ટિંગ નથી કરવાની. બહુ બધા હાવભાવ બતાવી ઓવર નથી થવાનું. એટલે ગ્લોબલ લેવલ એકટર છે.' ઇરફાને પણ શાહરુખની જેમ જ બનેગી અપની બાત કે યે શાદી નહીં હો સક્તી જેવી ટીવી સિરિયલ્સથી સ્ટારડમની યાત્રા કરી છે.
ઇરફાનની ડેપ્થ એનું વ્યક્તિત્વ છે. માત્ર કેમેરા નથી. એ જેસલમેરમાં શૂટિંગ કરતી વખતે ઊંટ જોઇને એમ વિચારે કે આ પ્રાણી એકાકી છે, તો ય કેવું અલગારી છે. એને પડી જ નથી આસપાસના વિશ્વની. સિવાય કે ચીંધ્યુંકામ. એ માને છે કે માણસ નેચર સાથે કનેક્ટ ના થાય તો ખાલી ગેજેટ્સથી એ માણસ જ ન બની રહે. એણે એક વાર કહેલું કે 'મારું કામ એ નથી કે માત્ર તમને કશુંક કહેવું. મારું કામ એ પણ છે કે તમારી અંદર શું પડયું છે એ તમને મહેસૂસ કરાવવું ! અલગ અલગ કહાનીઓની તલાશમાં હું એટલે ભટકું છું કે અલગ અલગ ઇન્સાની રંગ સાથે સંબંધ બને ! ફિલ્મો એ હોય કે જે પૂરી થયા પછી પણ તમારી અંદર થોડો સમય ચાલે. તમને ઢંઢોળે.
તમારા મનમાં ચર્ચા પેદા કરે. તમને એની ન વ્યક્ત કરી શકાય એવી અસરમાં નાખી દે ! હીરોઇઝમ આપણે ક્રિકેટ ને ફિલ્મની સફળતા પર કેન્દ્રિત રાખ્યું છે. બાકી કેટલાય લોકો કે જે અદ્ભુત કામ સાયન્સથી રાઇટિંગ સુધી કરી જ રહ્યા છે. મારે એવા રોલ કરવા છે. એન્ટરટેઇનમેન્ટ સાથે નોલનની જેમ ફિલસૂફી મિક્સ કરવી છે જે બ્રેઇનન ચેલેન્જ કરે. મારી જ ઇમેજ બ્રેક કરતી રહેવી છે.'
વેલ, સેડલી અત્યારે તો કુદરતે બ્રેક મારી છે આ યાત્રામાં. પણ આપણે ઇચ્છીએ કે એ ઝટ સાજો સારો થાય જ. ઇરફાને કહેલું કે, આપણે બધું જ એક સાથે ભોગવી લેવાની દોટમાં ઘોંઘાટના પ્રેમીઓ થતા જઇએ છીએ. જ્યાં નકામો ય ઘોંઘાટ થયો ત્યાં ચોંટી જઇએ બસ. કેટલાક મુદ્દાઓ પર એવા ચોંટીએ કે બાકી અગત્યની બાબતો પર ધ્યાન જ ન રહે.'
માટે, ઇરફાન અભિનય કરે કે ન કરે, આવા અદ્ભુત ઇન્સાનની આપણને જરૃર છે. જે સાચી દિશામાં વિચારે. જે આપણી ધાર્મિક ખોખલી માન્યતાઓ અને પરંપરાઓની જડસુ કેદમાંથી આપણને છોડાવે. માટે આપણી પ્રાર્થના કે શુભકામના એ જ કે એ લાંબુ તંદુરસ્ત જીવે. યુવરાજની જેમ ક્રિકેટ ન રમે તો ય લાઇફ એન્જોય કરે. 'માય લવ ઇઝ રેર' એવું જેકેટ પહેરી એણે એક વરસ પહેલા એક ઇન્ટરવ્યુમાં કહેલું કે જીવન કાયમી નથી, એને મર્યાદા છે. માટે જ એ બેશ કીમતી છે. આપણે બધા અનુભવ લેવા માટે પૃથ્વી પર છીએ.પણ બધા પાસે નિશ્ચિત સમય જ છે.'
હા, પણ એ આવરદા ય વહેલી ઝંઝાવાતમાં ઝોલા ખાય એ ન જ ગમે. ઇરફાને એની લેટેસ્ટ ટ્વીટના અંતમાં કહ્યું છે કે રોગ સામે મુકાબલો કરી હું પાછો વધુ રસપ્રદ કહાનીઓ કહેવા આવીશ. વી શેલ વેઇટ, સર ઇરફાન. આમીન. (શીર્ષક પંક્તિ : રમેશ પારેખ)
ઝિંગ થિંગ
''ઉપરવાળો જેમને બધાથી અલગ કોઈ વિશેષ સ્કિલ આપે છે એને પીડા પણ એવી જ અનોખી આપે છે.... ઇરફાન, સ્ટીવ જોબ્સ, સ્ટીફન હોકિંગ વગેરે...
આપણને ખબર નથી પડતી. બાકી નીયતિ પાસે બેલેન્સિંગની અદ્ભુત આવડત છે !'' (રિધ્ધિશ વોરા)
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar