સૂર્યની પૂજા : ભલે ઉગ્યા ભાણ...
ભારતમાં સવારે ઉઠીને 'ભલે ઉગ્યા ભાણ..' કહીને સૂર્યદેવતાને અર્ધ્ય અર્પણ કરવાની પ્રથા આજે પણ છે અને પૌરાણિક કાળમાં પણ હતી. અનેક રાજા રજવાડાંઓએ પોતાના રાજ્ય ધ્વજમાં સૂર્યદેવતાને સ્થાન આપ્યું હતું. આજે પણ જાપાન, ચીન, થાઈલેન્ડ.. વગેરે અનેક દેશો સૂર્યપૂજા કરે છે. ઈજિપ્તના પ્રાચીન પિરામિડોમાંથી સૂર્યની પૂજાના ચિત્રો મળી આવ્યા છે.
ભારતના સૂર્યમંદિરો જગવિખ્યાત છે. એક સૂર્યમંદિર ઓડિશાના કોર્ણાકમાં આવેલું છે. જે સૌથી વધુ પ્રચિલત છે અને તેના રહસ્યમય બાંધકામને કારણે સ્થાપત્ય નિષ્ણાતો તથા ઈતિહાસ શોખીનોને દુનિયાભરમાંથી આકર્ષે છે. ગુજરાતનું મોઢેરા સૂર્યમંદિર હજારેક વર્ષ જૂનું છે. એ મંદિરમાં જોકે મૂર્તિ નથી. પરંતુ બીજી તરફ મોઢેરાથી થોડે દૂર આવેલા વડનગરમાંથી એક સૂર્યની મૂર્તિ મળી આવી છે. એ મૂર્તિ કદાચ મોઢેરાના મંદિરની જ હોવી જોઈએ.
પરંતુ પ્રવાસન વિકસાવવાની વાતો કરતી સરકારે મૂર્તિ અને સૂર્યમંદિરના કનેક્શનની તપાસ કરી નથી. ભારતમાં કોર્ણાક, મોઢેરા ઉપરાંત નાના-મોટા ડઝનેક સૂર્યમંદિર છે. તો વળી ચીન સહિતના બીજા દેશોમાં પણ આજેય સૂર્યની પૂજા થતી હોય એવા મંદિર હાજરાહજૂર છે.