Get The App

ગુફાયુગનું ગુજરાત કેવું હશે?

સાંબલપાણી (અંબાજી)

Updated: Apr 18th, 2018

GS TEAM


Google News
Google News
ગુફાયુગનું ગુજરાત કેવું હશે? 1 - image

દુનિયાની કોઈ પણ ગુફામાંથી આદિમાનવકાળના ચિત્રો મળી આવે તો પુરાતત્વવિદોને લાપસીના આંધણ મુકવા જેવો આનંદ થાય. કેમ કે ગુફાચિત્રો એ હકીકતે આદિમાનવકાળના દસ્તાવેજો છે. જ્યારે લેખનકળા વિકસી ન હતી, ત્યારનો માનવી નોંધ કરવા માટે, પોતાની વાત વ્યક્ત કરવા માટે દીવાલ પર ચિત્રો દોરતો હતો.

એ વખતની બધી દીવાલ ગુફામાં હતી. કેમ કે આદિમાનવનો વસવાટ પણ ત્યાં જ હતો. વળી ચિત્રો પણ એવા કે હજારો વર્ષ પસાર થયા પછી પણ ઝાંખપ લાગે નહીં, ભૂંસ્યા ભૂંસાય નહીં.
દુનિયાની ઘણી ગુફાઓની સાથે ગુજરાતમાંથી પણ ગુફાચિત્રો મળી આવ્યાં છે. અંબાજી પાસે આવેલી સાંબલપાણીની ગુફાઓમાં ચિત્રો મોજુદ છે અને કેમ્પિંગ માટે જતા સાહસિકો સિવાય ત્યાં કોઈ ફરકતું નથી. માટે આ ચિત્રો વિશે જોઈએ એવું સંશોધન થયું નથી.

આ ચિત્રો અમુક હજાર વર્ષ જૂના છે કે અમુક લાખ વર્ષ પહેલાંના - તેનો જવાબ હજુ સુધી શોધવાનો બાકી છે. એ ચિત્રોનો અભ્યાસ ગુફાયુગનું ગુજરાત કેવું હતું તેનો જવાબ આપી શકે એમ છે. મધ્યપ્રદેેશમાં આવેલી ભીમબેટકાની ગુફામાં ચિત્રો મળ્યા પછી તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી છે. પરંતુ અહીં સાંબલપાણીના ચિત્રો વિશે ખુદ સરકારને જ ખાસ જાણકારી નથી.
 

Tags :