Get The App

કાન્તનો યુગ અને જીવનસંદર્ભ- પ્રફુલ્લ રાવલ

Updated: Nov 22nd, 2017

GS TEAM

Google News
Google News

કાન્તના જન્મને ૧૫૦ વર્ષ થયા. એમની દોઢસોમી જન્મજયંતીએ એમની સર્જનસૃષ્ટિનો પરિચય...

કાન્તનો યુગ અને જીવનસંદર્ભ- પ્રફુલ્લ રાવલ 1 - imageકાન્તનો યુગ એ દેશનો પરતંત્રકાળ હતો. કાન્ત ઓગણીસમી સદીના તેત્રીસ વર્ષ અને વીસમી સદીના તેવીસ વર્ષ જીવ્યા. કિશોરવય સુધીનાં દસ વર્ષો બાદ કરીએ તો બન્ને સદીનાં તેવીસ તેવીસ વર્ષ એમનો જીવનકાળ રહ્યો.

રાજકીય દૃષ્ટિએ કાન્તનો મોટા ભાગનો જીવનકાળ ગાંધીના સ્વદેશ આગમન પૂર્વેના સ્વાતંત્ર્ય લડતનો કાળ હતો. અહિંસક આંદોલનના આઠ વર્ષ કાન્તે જોયા. ૨૦ નવેમ્બર ૧૮૬૭ એમનો જન્મદિવસ. અમરેલી જિલ્લાના દામનગર મહાલનું ચાવડ એમનું જન્મ સ્થળ.

કાન્તનું નામ મણિશંકર. એમના પિતાનું નામ રત્નજી. માતાનું નામ મોતીબાઈ. રત્નજીના પિતા મુકુન્દ ભટ્ટ કવિ હતા. એમનાં પદો કાવ્યદોહનમાં છપાયાં છે. મણિશંકરને ત્રણ મોટાભાઈ હતા. ગૌરીશંકર માધવજી અને હરજીવન. બે બહેનો દયાબેન અને પ્રાણકુંવરબહેન. દયાબહેનના લગ્નટાણે મણિશંકરને જનોઈ આપવામાં આવી હતી. પરિવાર આર્થિક દ્રષ્ટિએ સામાન્ય.

મણિશંકર અગિયાર વર્ષના થયા ત્યારે પિતા રત્નજીનું અવસાન થયું.
મણિશંકર-કાન્ત ૧૮૮૮માં મૅટ્રિક પાસ થયેલા અને તે પૂર્વે ૧૮૮૩માં એમના લગ્ન નર્મદા સાથે થયેલા. એ કુંડલાના વૈદ્ય જટાશંકર કેવળરાય ભટ્ટની પુત્રી હતી. નર્મદાને કાન્ત 'નદી' એવા નામે બોલાવતા. ૧૮૮૩માં જ કાન્તે દલપતશૈલીમાં દલપતરામ વલ્લભરામ પાઠક સાથે મળીને 'ખરી મહોબત અથવા ગુલબાસનું ફૂલ' નામક અગિયાર સર્ગની આખ્યાયિકા રચી હતી.

ત્યાં એમણે 'ચામુંડકર' એવી અટક રાખી હતી. એ કૃતિમાં 'કમલા' નામનું પાત્ર હતું. એ પાત્ર સાથે મોરબીના મિત્રોનાં કેટલાંક સ્નેહ પરાક્રમો ગૂંથાયેલાં હતાં. જોકે પાછળથી કાન્ત એ કૃતિનો ઉલ્લેખ સરખો ન કરતા અને આજે એ કૃતિ ક્યાંય ઉપલબ્ધ પણ નથી. વિશ્વનાથ પ્રભુરામ ભટ્ટનો નાની વયના મણિશંકર સાથે જે સંવાદ થયો તે કાન્તની સર્જક થવાની પ્રારંભિક અવસ્થાને બરાબર પ્રત્યક્ષ કરે છે. એ બાળક કાળક્રમે ગુજરાતી કવિતાને કળાત્મક રૃપ આપનાર ઊર્મિકવિ તરીકે સિદ્ધ થયો.

૧૮૮૪માં મૅટ્રિકની પરીક્ષામાં મણિશંકર-કાન્ત પાસ થયા અને ત્રણેય મોટા ભાઈઓએ એમને ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈની જાણીતી શિક્ષણ સંસ્થા એલ્ફિન્સ્ટન કૉલેજમાં મોકલ્યા. ત્યાં પણ પ્રભાશંકર પટ્ટણી અને ઠાકોર એમના સહાધ્યાયી હતા. અંગ્રેજી શિક્ષણ અને સાહિત્યનો ભરપૂર યોગ કાન્તને મળ્યો. મૅક્મિલન જેવા અધ્યાપક મળ્યા અને કાન્ત એમની વિદ્યાલગને મૅકમિલનના પ્રિય વિદ્યાર્થી બની રહ્યા.

મણિશંકર-કાન્તને ૧૯૮૯માં સૂરતમાં નોકરી મળી. એ પછી કાન્ત ટી.કે. ગજ્જર દ્વારા ગાયકવાડ મહારાજાના રાજમાં એમના સંપૂર્ણ સહયોગથી 'કલાભવન' નિર્માણ પામ્યું તેમાં જોડાયા અને આઠ વર્ષ કાન્ત વડોદરામાં રહ્યા.

વડોદરામાં કાન્તે ખૂબ નિષ્ઠાથી કામ કર્યું. કલાભવનની પ્રતિષ્ઠા સ્થપાઈ તેમાં ગજ્જર સાથે કાન્તનો પણ એટલો જ સહયોગ અને શ્રમ હતા. એ દરમિયાન જ કાન્ત 'શિક્ષણનો ઇતિહાસ'નું લેખન કર્યું. 'ઇજિપ્ત' નામના પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કર્યો અને પ્રેસિડંટ લિંકનનું ચરિત્ર લખ્યું.

વડોદરાના નિવાસ દરમિયાન જ સ્વીડનબોર્ગનો પરિચય થયો અને એણે સ્થાપેલ 'ધ ન્યૂ ચર્ચ' પંથ - જે સ્વીડનબૉર્ગ સોસાયટી નામે જાણીતી થઈ છે, તેનાથી સુપરિચિત થઈને, પ્રભાવિત થઈને ખ્રિસ્તી ધર્મ પ્રત્યે આકર્ષાયા અને ૧૮૯૮માં એમણે જાહેર કર્યું છે તેમ 'પરમ સત્ય'ને પામ્યા.

એ વર્ષોમાં વડોદરામાં રાજખટપટ શરૃ થઈ. બાપટપ્રકરણે વાતાવરણ ડહોળી નાંખ્યું. કાન્ત શૈક્ષણિક કામોમાં વ્યસ્ત રહ્યા છતાં એનો ભોગ બન્યા. એમનું ઇંગ્લેન્ડ જવાનું પણ અભરાઈ ચડી ગયું. ખુદ તિલક બાપટનો કેસ લડયા વડોદરા આવેલા. મુંબઈમાં તિલક સામે થયેલા કેસ માટે કાન્તે ફાળો ઉઘરાવેલો. બાપટ નિર્દોષ સાબિત થયો પણ 'કલાભવન'ને ગ્રહણ લાગ્યું અને છેવટે એ બંધ થયું.

ભાવનગર રાજમાં જોડાયા. ત્યાં પગાર ધારવા કરતા ઓછો મળ્યો છતાં એ સ્વીકારવું એ માનસિક મજબૂરી બની રહી. કાન્ત છેક નિવૃત્તિકાળ સુધી ભાવનગર જ રહ્યા.

'રોમનસ્વરાજ્ય' કે 'ગુરૃ ગોવિંદસિંહ' જેવાં નાટકો નિસબતથી લખાયાં તો હિન્દુ-મુસ્લિમની એકતાને ઉજાગર કરતું 'સલીમશાહ' નાટક કાન્તે લખ્યું. 'સ્વર્ગ અને નરક' જેવું ભાષાન્તર સ્વીડનબૉર્ગ તરફના અહોભાવનું પરિણામ હતું. ધર્માન્તર પછી કાન્તનું જીવન છિન્નભિન્ન થઈ ગયું. ચારે બાજુથી પરિતાપ ઘેરી વળ્યો. કોઈ પોતાનું ન રહ્યું એ ભાવ તારસ્વરે સ્પર્શી રહ્યો. એ કાળે ન્હાનાલાલનો સાથ અને સધિયારો હતો.

કલાપી કાન્ત પ્રત્યે આદર ધરાવતા હતા અને કાન્તને કલાપી પ્રત્યે અહોભાવ હતો. ઉભય અન્યોન્યની કાવ્યકૃતિઓની ચર્ચા-વિચારણા કરતા. આવી જ વિચારણા ઠાકોર સાથે કાન્તે કરેલી તો રમણભાઈ નીલકંઠ સાથે પણ સર્જન સંદર્ભે પત્રવ્યવહાર-વાર્તાલાપ થતો રહેતો. કલાપીના નિધન પછી એમનાં કાવ્યોનું સંપાદન કાન્તે કરેલું તે અહોભાવ ને ઋણભાવ અર્થે જ. ઠાકોર કાન્તના પરમ મિત્ર હતા. એમની વચ્ચે થયેલો પત્રવ્યવહાર કાન્તના વ્યક્તિત્વને સમજવાનો શુદ્ધ સ્ત્રોત છે.

કાન્તે બળવંતરાય ઠાકોરને પોતાના સર્જન-લેખન ઉપરાંત જીવનની પ્રત્યેક ઘટના વિષે લખ્યું છે. એમનો પ્રતિભાવ માંગ્યો છે. ખંડકાવ્યોના સર્જન પછી અંગત ઊર્મિનાં કાવ્યો કાન્તની કવિસિદ્ધિનું પ્રમાણ આપે છે. 'સાગર અને શશી,' 'આપણી રાત', 'મનોહરમૂર્તિ', 'વત્સલનાં નયનો' જેવી રચનાઓમાં કાન્તની ભાવનાનો વેગ છે તો કળાત્મક ઊર્મિકાવ્ય સિદ્ધ થાય છે.

અંતિમ વર્ષોમાં હૃષીકેશમાં કાન્ત ભગવદ્ગીતાનાં પ્રવચનો કરતા હતા. હૃષીકેશથી કાન્ત કાશ્મીર ગયા અને પાછા ફરતાં લાહોરના સ્ટેશન પર ૧૬ જૂન, ૧૯૨૩ના રોજ મૃત્યુ પામ્યા ત્યારે એ એકલા હતા. માણસો વચ્ચે, પરિવાર વચ્ચે, સ્વજનો વચ્ચે કાન્ત કાયમ એકલા હતા ને રહ્યાં.

 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Tags :