કોલેસ્ટેરોલ વિશે આટલું જાણો .
- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર
- બેઠાડુ જીવન, વ્યાયામનો અભાવ અને માનસિક તનાવ કોલેસ્ટેરોલ વધારી શકે છે
અ ઢારમી સદીના શરૂઆતના તબક્કામાં માઇકલ શેવરીઅલ નામનાં ફ્રેંચ વૈજ્ઞાનિકે પિત્તાશયમાં બનતી પથરી (ગોલબ્લેડર સ્ટોન) પરના એમના સંશોધન દરમ્યાન એક વિશિષ્ટ પદાર્થની શોધ કરી. જે ગ્રીક શબ્દ 'કોલે' એટલે પિત્ત જેવું પીળું અને 'સ્ટીરીઓસ' એટલે સખ્ત કે કઠણ એમ બે શબ્દોની સંધિ દ્વારા 'કોલેસ્ટેરોલ' નામ આવિષ્કૃત કર્યું. ત્યારબાદ અઢારસો પાંત્રીસમાં અન્ય સંશોધકોએ શરીરમાં કોલેસ્ટેરોલના વધુ પડતા સંગ્રહથી થતી સમસ્યાઓ વિશે વિસ્તૃત અહેવાલ આપ્યો. ઓગણીસો ત્રીસમાં એડોલ્ફ વિન્ડાઉસ નામના વૈજ્ઞાનિકે એની રાસાયણિક ફોર્મ્યુલા C27H450H શોધી નાખી. સમય જતાં કોલેસ્ટેરોલ વિશેના જ્ઞાનમાં અભિવૃદ્ધિ તો થઈ, સાથે-સાથે કોલેસ્ટેરોલનું ઊંચુ સ્તર ધરાવતી વ્યક્તિઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.
કોલેસ્ટેરોલ વાસ્તવમાં શું છે ? એ મીણ જેવો ચીકણો પદાર્થ છે. શરીરના લગભગ બધાં જ કોષોમાં એનું ઓછું વધતું પ્રમાણ હોય છે પણ મગજ, કરોડરજ્જુ, એડ્રિનલ ગ્લેન્ડ અને લીવરમાં એ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. સ્વાદ અને ગંધરહિત તેમજ સ્ફટિકરૂપ રચના ધરાવતો આ પદાર્થ ૧૪૯ ભ જેટલા ઊંચા તાપમાને ઓગળે છે, તથા પાણી, તેજાબ જેવા અમ્લ દ્રવ્યો અને ક્ષારોમાં એ ઓગળતો ન હોવાને કારણે જ શરીરમાં જમા થયેલો જોવા મળે છે. એ પ્રોટીન સાથે સંયોજીત થઈને લીપોપ્રોટીન સ્વરૂપે રહેલો હોય છે એમાં પણ એચ.ડી.એલ એટલે હાઈ ડેન્સીટી લીપોપ્રોટીન, એલ.ડી.એલ. એટલે કે લો ડેન્સીટી લીપોપ્રોટીન અને વી.એલ.ડી.એલ. એટલે વેરી લો ડેન્સીટી લીપોપ્રોટીન જેવા પેટા વિભાગોમાં વહેંચાયેલો જોવા મળે છે. શરીર માટે એચ.ડી.એલ. એ સારૂ કે ઉપયોગી કોલેસ્ટેરોલ ગણાય છે. જ્યારે એલ.ડી.એલ. અને વી.એલ.ડી.એલ એ ખરાબ કોલેસ્ટેરોલ ગણાય છે. સારા કોલેસ્ટેરોલ શરીર માટે ઘણાં ઉપયોગી છે, જે કોષોની દિવાલ, એડ્રીનલ ગ્લેન્ડ હોર્મોન, મગજ અને જ્ઞાનતંતુની મેમ્બ્રેન બનવા માટે મહત્વનો ભાગ ભજવે છે.
તદુપરાંત ચરબીને પચાવનારા પિત્ત (BILE) ના નિર્માણ માટે પણ એની જરૂર પડે છે.
ખરાબ કોલેસ્ટેરોલ શરીરમાં વધવાથી લોહીની નળીઓની કઠીનતા વધી એથરોસ્કલેરોસીસની સ્થિતિ સર્જાય જેથી બ્લડપ્રેશર વધે અને એની સાથે હૃદયને લગતાં રોગો જેમાં માયોકાર્ડિઅલ ઈસ્કેમિયા, હાર્ટ એટેક તથા મસ્તિષ્કને લગતા રોગો જેમાં પેરાલીસીસ અને સ્ટ્રોક થઈ શકે છે.
શરીરમાં કોલેસ્ટેરોલ વધવાના કારણો આ પ્રમાણે છે. (૧) વારસાગત કે અનુવાંશિક કારણો, (૨) કીડનીની રોગજન્ય સ્થિતિ, (૩) ડાયાબીટીસ, (૪) થાઈરોઈડ ગ્રંથીની વિફળતા, (૫) ગાઉટ, (૬) પ્રાણીજ ચરબી જેમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધારે હોય એવાં ઘી, માખણ, ક્રીમ, ચીઝ તથા ઈંડા, મટનટેલો, માછલી, કોડ લીવર ઓઈલનું વધુ પડતું સેવન, (૭) વનસ્પતિ ઘી અને નાળિયેરના તેલનો વધુ ઉપયોગ, (૮) આલ્કોહોલ, કોફી, પોટેટો ચીપ્સ, તળેલી વેફર્સ, ગ્રેવી કે સોસવાળો ખોરાક, ચોકલેટ, પેસ્ટ્રી અને માવાની મીઠાઈ જેવા વધુ પડતી શર્કરાયુક્ત પદાર્થોનો ખોરાકમાં ઉપયોગ, (૯) બેઠાડુ જીવન, વ્યાયામનો અભાવ અને માનસિક તનાવ કોલેસ્ટેરોલ વધારી શકે છે.
કોલેસ્ટેરોલને નિયંત્રિત કરવા માટે ઉપર જણાવેલા કારણભૂત આહારદ્રવ્યોનો ત્યાગ કરવો ઉપરાંત રોજના ખોરાકમાં લસણ, ગાજર, આદુ, મૂળા, દ્રાક્ષ, આમળા, લીલી ચા તથા હિંગનો માપસર ઉપયોગ કરવો. કરડીનું તેલ (સેફલાવર ઓઈલ), સૂર્યમુખીનું તેલ (સનફલાવર ઓઈલ), ઓલીવ ઓઈલ, સોયાબીન ઓઈલનો ઉપયોગ ખોરાકમાં કરી શકાય. વ્હીટ જર્મ ઓઈલ જેમાં વિટામીન ઈ રહેલું છે એનો ઉપયોગ તબીબી સલાહ અનુસાર કરી શકાય. બેઠાડું જીવન ત્યાગી, વ્યાયામ અપનાવવો તથા તનામુક્ત થઈ પ્રસન્નચિત્ત રહેવું.
કોલેસ્ટેરોલ નિયંત્રિત કરવા માટે સમયાંતરે સીરમ લીપીડ પ્રોફાઈલના રિપોર્ટ કરાવી તબીબી સલાહ લેવી આવશ્યક છે. આગળ જણાવેલ પરેજીનું કડક પાલન કરી સહાયક ઉપચારરૂપે નીચે જણાવેલો ઉકાળો દિવસમાં એક વખત સવારે નરણાં કોઠે લાંબા સમય સુધી લેવો. ચૂર્ણરૂપે મેથી તથા જેઠીમધ પાંચ-પાંચ ગ્રામ, હરડે, બહેડા, આમળા, તમાલપત્ર, તજ, તાલીસપત્ર, અર્જુન છાલ, અજમો બે-બે ગ્રામ, અને કાળા મરી, લીંડી પીપર તથા નમક એક-એક ગ્રામ લઈ આશરે એક ગ્લાસ ઉકળતા પાણીમાં ઉમેરી પાત્ર અગ્નિ પરથી ઉતારી લેવું. ઠંડુ પડે ત્યારે ગાળી, એમાં બે મી.લી. મધ ઉમેરી સેવન કરવું.