Get The App

ગૃહિણીઓની જીવનશૈલી અને રોગો

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
ગૃહિણીઓની જીવનશૈલી અને રોગો 1 - image

- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર

- ક્યારેક સ્ત્રીઓને આ વિષે જાણ હોતી નથી પણ રોગના કારણો એમના ઘરમાં જ રહેલા હોય છે.

ગૃ હિણીઓની દિનચર્યા, જીવન જીવવાની શૈલી અને રોજીંદી ટેવવશાત રોગો થવા સંભવી શકે છે. આવા રોગો પાછળ રોજબરોજના કામ કરવાની પદ્ધતિમાં પાયાની ભૂલ-ક્ષતિ જવાબદાર કારણ હોય છે. ક્યારેક સામાજીક માળખાગત સર્જાતી સંબંધોની વિષમ પરિસ્થિતિઓ માનસપટ પર ઊંડી અસરો છોડી જતી હોય છે અને તેમાંથી રોગનું નિર્માણ થતું હોય છે. ગૃહિણીઓને પોતાના જીવનકાળ દરમ્યાન સામનો કરવો પડતો હોય એવા શરીરગત અને મનોગત રોગોમાંનો એક બહુ પ્રચલિત રોગ 'હાઉસમેડસની' વિષે વાત કરીએ. ગુજરાતીમાં એનું ભાષાંતર કરીએ તો, રોગનું નામ થશે 'ગૃહિણીના ઘૂંટણ'. પહેલી નજરે રોગનું નામ જરા અટપટું જરૂર લાગે, પણ આ રોગ ગૃહિણીઓના ઘૂંટણમાં થતી સમસ્યાનું સૂચન કરે છે. તમે જુઓ રસોઈ કરતી કે કચરા-પોતા જેવું સફાઈ કામ કરતી અને ઘરની નાની મોટી વ્યવસ્થાઓ સંભાળવામાં કાર્યરત રહેતી સ્ત્રીઓ ઊઠવું, બેસવું, ઉભડક બેસી રહેવું અને કમરથી વળવા જેવી શારીરિક ક્રિયાઓ રોજીંદા ક્રમે કરતી હોય છે. આ બધી ક્રિયાઓ લાંબા સમય સુધી વારંવાર થવાથી અંતે પગના ઘૂંટણ પર બોજો વધી ઘસારો થતો હોય છે અને ઘૂંટણમાં રહેલી ગાદી જેવું કામ કરતી રચનાની ક્ષમતા ઓછી થાય છે તથા ઘસારાને પહોંચી વળવા તેમાં રહેલું ચીકણું પ્રવાહી પણ ઘટે છે. ગૃહકામના આવા ઉપક્રમો થકી અંતે ઘૂંટણનો સોજો અને અસહ્ય વેદનાનું પરિણામફળ મળે છે. ઊઠતાં-બેસતા કડાકા સાથે ઘૂંટણમાં અવાજ આવવો એ સમસ્યાની શરૂઆતનું લક્ષણ છે. સમસ્યાની આ યાત્રા પેઈનકિલર્સ જેવી ઔષધિથી શરૂ થઈ ની-રિપ્લેસમેન્ટ સુધીના તબક્કે પહોંચે તો છે પણ અટકતી નથી. ઘરકામમાં વ્યસ્ત રહેતી સ્ત્રીઓ પોષણયુક્ત આહાર પ્રત્યે દુર્લક્ષ સેવી ઠંડુ, વાસી અને અનિયમિત ભોજન કરવાની ટેવ કેળવી લેતી હોય છે જે આ પ્રકારના રોગ થવાની ક્રિયાને વધુ વેગ આપે છે.

ઉપચાર સંદર્ભે આટલી બાબતો બહેનોએ ધ્યાનમાં રાખવી.

(૧) ઊભા-ઊભા સફાઈ કામ-કચરા-પોતા થઈ શકે એવા ઉપકરણોનો ઉપયોગ કરવો. બને ત્યાં સુધી ખુરશી પર બેસી કામ થઈ શકે એવી કાર્યપદ્ધતિ અપનાવવી.

(૨) ઊઠતાં, બેસતાં અને કમરથી વળતાં પહેલાં આધાર લેવાની ટેવ કેળવવી.

(૩) લાંબો સમય પલાંઠી વાળી બેસી રહેવું નહિ.

(૪) કામ કરતી વખતે ની-કેપ, રિસ્ટ બેન્ડ પહેરી રાખવા.

(૫) ચઢ-ઉતર રહેતી હોય અને સાંધા પર આંચકા (જર્ક) આવે એવાં કામ વધારે રહેતાં હોય ત્યારે કામ દરમ્યાન સ્પોર્ટસ શૂઝ પહેરી રાખવા.

(૬) વજન વધારે હોય તો શરીરને સપ્રમાણ કરવાના ઉપાયો યોજવા.

(૭) કેલ્શિયમની પૂરતી માટે રોજનું બે ગ્લાસ દૂધ પીવું અને ફળફળાદિયુક્ત સમતોલ આહાર લેવો. આ પ્રકારની સભાનતા કેળવવાથી રોગ થવાની સંભાવના ઘટી જાય છે.

ગૃહિણીઓના ઘરમાં રહેતાં બીજા એક રોગનું નામ છે 'હાઉસવાઈફસ ડર્મેટાઈટીસ.' રોગના લક્ષણો છે - આખા શરીરે ખંજવાળ, ચામડી પર સોજો તથા બારે માસ રહેતાં શરદી-ઉધરસ. ઘરની સફાઈ વખતે ઉડતી ધૂળની રજકણો, દાળ-શાકના વઘાર દરમ્યાન નાક દ્વારા ફેફસામાં દાખલ થતી તેજાના-મસાલાની ગંધ, તો ક્યારેક ફિનાઇલ, ડિટર્જન્ટ પાવડર જેવા કેમીકલયુક્ત પદાર્થોનો 

સંપર્ક આવી સમસ્યાનું કારણ બનતું હોય છે. ક્યારેક સ્ત્રીઓને આ વિષે જાણ હોતી નથી પણ રોગના કારણો એમના ઘરમાં જ રહેલા હોય છે. કામ કરતી વખતે નેસલ માસ્ક પહેરવાથી અથવા નાક-મોં આગળ કોટનનું કપડું બાંધવાથી સમસ્યા નીવારી શકાય છે.

સામાજીક માળખા અંતર્ગત લગ્નજીવનના પાછલા તબક્કામાં સર્જાતી એક વિશિષ્ટ સમસ્યાનું નામ છે 'રિટાયર્ડ હસ્બન્ડ સિન્ડ્રોમ' પંચાવનથી સાઇઠ વર્ષ પછીની સ્ત્રીઓમાં જોવા મળતી આ સમસ્યાનું કારણ બીજું કશું નહિ પણ રિટાયર્ડ થયેલા એમના પતિદેવો સ્વયં પોતે હોય છે. એટલે જ એને રિટાયર્ડ હસ્બન્ડ સિન્ડ્રોમ નામ અપાયું છે. નિવૃત્તિ બાદ પતિદેવોની આખો દિવસ ઘરમાં રહેતી ઉપસ્થિતિ અને ઘરેલું કામકાજમાં એમની દખલગીરીથી ગૃહિણીઓ કંટાળતી હોય છે. પરિણામે સ્વભાવમાં ચીડિયાપણું, માનસિક તાણ, વ્યગ્રતા, માથાનો દુ:ખાવો, ઉદાસીનતા, હતાશા, પેટમાં ફાળ પડવી, સ્નાયુગત દુ:ખાવા, હૃદયના ધબકારા વધવા જેવી અસંખ્ય ફરિયાદો કરતી જોવા મળે છે. ક્યારેક ગૃહિણીઓની ઋતુ સમાપ્તિ જેવી અવસ્થા આવી સમસ્યામાં વધારો કરતી હોય છે. પતિ-પત્નિએ પોતાના પરસ્પરના સંબંધોમાં સમજણ કેળવી, જીવનમાં આવતો ખાલીપો-અવકાશ પૂરવા દિનચર્યામાં હળવો વ્યાયામ, ધ્યાન, મનગમતી રચનાત્મક અને કળાત્મક પ્રવૃત્તિને સ્થાન આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.