''આપણી ભાષાની પ્રથમ રાસકૃતિ 'ભરતેશ્વર - બાહુબલિ રાસ'
- ક્રિએટીવ પર્સન લાગણીનું ઉર્ધ્વીકરણ કરી નિરાશાને દૂર ધકેલે છે. મૂઢમાર અને લોહીના ટશિયા એમનું સૌંદર્ય છે
અ પ્રભંશમાંથી ગુજરાતી ભાષા તરફ ગતિ કરતી સાહિત્ય - કૃતિઓમાં ઇ.સ. ૧૧૮૫માં જૈન કવિ શાલિભદ્રસૂરિ દ્વારા રચાયેલ 'ભરતેશ્વર - બાહુબલિ રાસ'- એ આપણી 'રાસ' સાહિત્ય સ્વરૂપની સૌથી જૂની અને મધ્યકાળની કદાચ સૌથી પ્રથમ રચના હશે. અઠ્ઠાવન કડીનો આ ઉપદેશપ્રધાન રાસ તેના ભાષાસામર્થ્ય, અલંકાર વૈભવ અને સુંદર વૈવિધ્યસભર વર્ણનોથી સુશોભિત હોવાને કારણે મધ્યકાળમાં પોતાનો આગવો પ્રભાવ ઊભો કરે છે.
આ રાસ પણ અન્ય જૈન રચનાઓની જેમ જ સંયમ, ત્યાગ કે ધર્મના ઉપશમમાં અંત પામે છે. જૈન ધર્મ અને કવિઓમાં ખુબ જ પ્રચલિત ભરત અને બાહુબલિની કથા એનું વિષયવસ્તુ બને છે. એની કથા ટૂંકમાં આ પ્રમાણે છે કે -
જૈન ધર્મના સૌ પહેલા તીર્થંકર ઋષભદેવને ભરત અને બાહુબલિ નામે બે પુત્રો હતા. એમને એ સિવાય અન્ય અઠ્ઠાણું પુત્રો પણ હતા. ઋષભદેવે પોતાના જયેષ્ઠ પુત્ર ભરતને રાજગાદી સોંપી ત્યારે ભરતના મનમાં ચક્રવર્તી થવાની ઇચ્છા જાગી અને એટલે એણે ચારેય દિશાઓમાં વિજયયાત્રા આરંભી. ઋષભદેવના બીજા અઠ્ઠાણું પુત્રોએ ભરતનું આધીપત્ય સ્વીકારી લીધું પરંતુ, એકમાત્ર તેના નાના ભાઈ બાહુબલિએ તેને પડકાર ફેંક્યો, ભરતે ભાઈ બાહુબલિના આ પડકારને ઝીલીને તેની સાથે યુદ્ધ જાહેર કર્યું.
બંને પક્ષે વિનાશકારી એવું આ યુદ્ધ લગભગ સાત-આઠ મહિના જેટલું લાંબું ચાલતા અંતે બંનેએ દ્વંદ્વયુદ્ધ દ્વારા એનો અંત લાવવાનું નિશ્ચિત કર્યું. બંને વચ્ચેના આ દ્વંદ્વયુદ્ધમાં બાહુબલિનું પલ્લું ભારે જણાતાં ભરતે બાહુબલિ ઉપર પોતાનું ચક્ર ફેંક્યું. બાહુબલિએ આ ચક્રને ઝીલી લઇને એ ચક્ર દ્વારા જ એના સમગ્ર કુળનો વિનાશ કરવાનું વિચાર્યું. છેવટે ભરતે ક્ષમા માંગતા બાહુબલિએ પણ તેના પ્રાયશ્ચિત રૂપે સંસાર ત્યાગી સંયમનો માર્ગ સ્વીકારી, ઘોર તપશ્ચર્યા કરી.
પરંતુ બાહુબલિને એની તપશ્ચર્યાનો અહંકાર હોવાથી તેને કેવળજ્ઞાાનની પ્રાપ્તિ ન થઈ. આ દરમ્યાન બ્રાહ્મી તથા સુંદરી નામની તેની બે બહેનોએ આવીને તેને કહ્યું કે - 'વીરા ! ગજ થકી ઉતરો, ગજ ઉપર કેવલ ન હોય'. અંતે એનો મર્મ સમજીને બાહુબલિએ અહમનો ત્યાગ કરતાં, તેને અંતે કેવલજ્ઞાાનની પ્રાપ્તિ થઈ.
આ રાસમાં મનુષ્યએ સંસારમાં રહીને કેવી રીતે જીવન વ્યતિત કરવું જોઇએ કે અન્ય વ્યક્તિઓ પ્રત્યે પણ પરસ્પર કેવા પ્રકારનો વ્યવહાર કરવો જોઈએ - એવો એના સર્જકનો પ્રધાન સૂર રહ્યો છે. અને એટલે જ તે જૈનકવિઓ અને ભક્તોમાં વિશેષ પ્રિય બન્યો હતો.
વળી, બાહુબલિના ત્યાગ, સંયમ, તપની કઠોરતા અને કેવળજ્ઞાાનની પ્રાપ્તિના પ્રસંગોથી સભર આ કૃતિ અંતે જૈન ધર્મનો જયજયકાર કરતી ધર્મપ્રધાન બની છે. ટૂંકમાં આ રાસકૃતિ કથાપ્રધાન નહીં પણ મુખ્યત: ઉપદેશપ્રધાન હોવાથી તે ઉચ્ચ પ્રકારની સાહિત્યિકકૃતિ બની શકી નથી.
સમગ્ર કથાનો મુખ્ય પ્રસંગ યુદ્ધ હોવાથી આ વીરરસપ્રધાન કાવ્ય કુલ પંદર ખંડોમાં વિભાજીત છે. કવિએ અહીં ખંડ માટે 'ઠવણિ' જેવો શબ્દ પ્રયોજ્યો છે. ચક્રધર ભરતની દિગ્વિજયયાત્રા, વિજેતા થઇને આગળ વધતાં ભરતનો દૂત બાહુબલિના નગર તરફ જતાં તેને કંઇક અશુભ બનવાની ચેતવણી આપતાં સંકેતો, બાહુબલિ તથા તેની સેના અને નગરનું વર્ણન, બાહુબલિ તેમજ ભરતના દૂત વચ્ચે થતો સંવાદ, ભરતની સેનાનું વર્ણન તથા અંતે યુદ્ધનું ૧૧ મી થી ૧૩ મી ઠવણિમાં થયેલું વર્ણન સમગ્ર રાસરચનાનાં રસિક આકર્ષણ કેન્દ્રો છે.
આખીય રચનામાં કવિએ દોહરા અને સોરઠાની દેશી, વસ્તુ, અરણાકુળ અને ચોપાઈના સંયોજનવાળી ગેય દેશીઓનો સુંદર પ્રયોગ કર્યો છે. તો વર્ણાનુપ્રાસ જેવા શબ્દાલંકાર કે ઉપમા-ઉત્પ્રેક્ષા જેવા અર્થાલંકારોનો પણ કવિએ કુશળતાપૂર્ણ પ્રયોગ કરીને કવિએ પોતાની કાવ્યશક્તિનો પરિચય કરાવ્યો છે. વળી યુદ્ધનાં વર્ણનોમાં વીરરસનું અસરકારક નિરૂપણ કરવા કવિએ જે રીતે ડીંગળ અને વર્ણઘોષનો પ્રયોગ કરે છે તેનો પણ આબેહૂબ પ્રયોગ કર્યો છે. જેમ કે -
'ઘસઘસીય ધામઇં ધાર ધા, વલિ ધીર વીર વિહંડએ
સામંત સમહરિ સમુ ન લહઇં મંડલીક ન મંડએ.'
આમ, આખીય રચનામાં કવિનું અલંકારચાતુર્ય પણ દેખાય છે. તો રચનાના બંને પાત્રો ભરત અને બાહુબલિના ચરિત્રો પણ અદ્ભૂ અને આકર્ષક ઉપસી આવ્યાં છે. જો કે આ રાસ પણ મૂળમાં જૈન ધર્મના પ્રસારનું માધ્યમ બની જતાં તેનું મૂળ સ્વરૂપ જ બદલાઇને તે ગેયાત્મક કે ચરિત્રાત્મક કાવ્યપ્રકાર બની જાય છે. કવિ શાલિભદ્રસૂરિના આ 'ભરતેશ્વર - બાહુબલિ રાસ' અંગે મધ્યકાલીન સાહિત્યના અભ્યાસુ સ્વ. શ્રી કે.કા. શાસ્ત્રી નોંધે છે કે - 'આ રાસકાવ્ય સંદેશક રાસથી જુદો જ પ્રકાર આપી, ભવિષ્યના આખ્યાનકાવ્યોની માંડણી કરી આપે છે.' - ખરેખર આ રાસ અન્ય કવિઓ માટે પણ ખરા અર્થમાં માર્ગદર્શક રૂપ બની રહે છે, અને જેના અનુકરણ રૂપે જ 'સારશિખામણ રાસ', કે 'હિતશિક્ષા રાસ' જેવી રાસકૃતિઓ રચાઇ હોય એવું જણાય છે.
- ડૉ. ઋષિકેશ રાવલ