Get The App

'સંતોષી નર સદા સુખી' શાસ્ત્રોની આ ઉક્તિ છતાં માનવી શા માટે સદાય અસંતોષી રહ્યા કરે છે?

Updated: Jun 27th, 2023

GS TEAM


Google News
Google News
'સંતોષી નર સદા સુખી' શાસ્ત્રોની આ ઉક્તિ છતાં માનવી શા માટે સદાય અસંતોષી રહ્યા કરે છે? 1 - image


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- સંતોષી કોણ? જે અપ્રાપ્ય વસ્તુ માટેની ચિંતા નથી કરતો અને પ્રાપ્ત વસ્તુમાં સમદ્રષ્ટિ રાખે છે, સુખ અને દુ:ખમાં બન્નેમાં માનસિક સ્વસ્થતા જાળવી શકે છે, તે માણસ સંતોષી કહેવાય

'સંતોષી નર સદા સુખી'- શાસ્ત્રોની આ ઉક્તિ છતાં માનવી શા માટે સદાય તમામ પ્રકારે અસંતોષી રહ્યા કરે છે ?

પ્રશ્ની કર્તા : રમેશભાઇ આર. પંચાલ, ૧૪ય૮૫ વિષ્ણુનગર સોસાયટી, મિલન યોકિઝ રોડ, સરસપુર, અમદાવાદ-૧૮

સં તોષી એટલે સંતોષ રાખનારું. સંતોષ એટલે હોય તેનાથી રાજી રહેવું, તૃપ્તિ, સમાધાન સુખ. સંતોષ ન હોય તે માણસ 'સંતાપિત' એટલે કે કલેશ પામેલો રહે છે.

માણસ એટલે અસંતોષના ઘોડાપૂરમાં તણાતો માણસ. માણસનું મન ચંચળ હોવાને કારણે એની પાસે અપેક્ષાઓ, તૃષ્ણાઓ, વાસનાઓ, આકાંક્ષાઓ, મહેચ્છાઓનો અખૂટ ભંડાર છે. સંતોષની બાબતમાં માણસ 'અતિવાદી' છે. એક ઈચ્છા નહીં, તેની પેટા ઈચ્છાઓ પણ અનેક છે. અસંતોષ સંતતિ નિયમનમાં માનતું નથી. 'ઝીરો' 'હીરો' બનવા તડપતો હોય છે. નોકરી, ધંધો, વ્યવસાય પદ વગેરે બાબતોમાં માણસની તૃષ્ણાઓ તેને ઠરવા દેતી નથી. સંતોષી કોણ ? જે અપ્રાપ્ય વસ્તુ માટેની ચિંતા નથી કરતો અને પ્રાપ્ત વસ્તુમાં સમદ્રષ્ટિ રાખે છે, જે સુખ અને દુ:ખ બન્ને સ્થિતિમાં માનસિક સ્વસ્થતા જાળવી શકે છે, તે માણસ સંતોષી કહેવાય. જે જેવું છે તેવું સ્વીકારીને કોઈ પણ સ્થિતિમાં બળાપો વ્યક્ત કરતો નથી, તે સંતોષી છે. સંતોષ એટલે મનનું સ્વર્ગ. શ્રીમદ ભાગવતમાં દર્શાવ્યા મુજબ સંતોષી માણસનું મન પ્રત્યેક સ્થિતિમાં સંતુષ્ટ રહે છે. પૃથ્વી છે તો પલંગ માટેની તૃષ્ણા શું કામ. હાથ હોય તો ઓશિકાની શી જરૂર ? ખોબો હોય તો અનેક પાત્રોની શી આવશ્યકતા ? વલ્કલ હોય તો રેશમી વસ્ત્રોની ઝંખના શું કામ ? ગૃહસ્થ માણસોએ ધર્મ, અર્થ અને કામ માટે અપાર કષ્ટ નહીં વેઠવું જોઈએ. દેશ મુજબ, કાળ મુજબ અને ભાગ્યમાં જે મળી આવે તેમાં સંતોષની અનુભૂતિ કરવી જોઈએ. પુષ્કળ ધન-સંપત્તિ હોવા છતાં જે વધુ માટે વલખાં મારે છે, તે નિર્ધન છે અને ધન ન હોવા છતાં 'રામ રાખે તેમ રહીએ' નો મંત્ર જપનાર તવંગરોનો પણ તવંગર છે. 'ભોજપ્રબંધ'માં મોક્ષની પણ મનોકામના ન સેવનારને સંતોષી ગણ્યો છે. વનમાં હરણ પણ મિત્ર છે, પર્વતની ગુફાને પણ જે ઘર માને છે, શાન્તિ જેની પત્ની છે, જંગલની લતાઓ અને ફળને પોતાનું ભોજન માને છે. વૃક્ષોની છાલને જે શ્રેષ્ઠ માને છે એવા ચંદ્રરેખા રૂપી આભૂષણ ધારણ શિવની આરાધના કરનાર અને ધ્યાન રૂપી અમૃતના પ્રવાહમાં ડૂબેલા ચિત્તવાળા લોકો સંતોષી બની સ્વર્ગ કે મોક્ષની પણ આકાંશા નહીં :

બધાં જ સુખો ત્વરિત અને એક સામટાં મળે, જેને પ્રતીક્ષા કરવામાં કચવાટ હોય, જેનામાં ધીરજનો અભાવ હોય તે અસંતોષ પણ ઈચ્છા હોતી નથી. એક શેર મુજબ શાયર કહે છે

''બહુત ખુશ હું મુસીબતમેં

ખુદાકો યાદ કરતા હૂં,

મેરી કશ્તી કો એ તૂફાં

યૂંહી જેરો જબર રખના.''

'જેરો જબર' એટલે ઉપર-નીચે ડગમગતી. માણસ બીજાને સુખી જોઈને ઈર્ષ્યાની આગમાં જલતો રહે છે તેને કબીર કહે છે.

ગોધન, ગજ ધન, બાજિ (ઘોડા) ધન,

ઔર રતન ધન ખાન,

જબ આવે સંતોષ દાન,

સબ ધન ધૂરિ સમાન.

સંતોષી મન વાળા માટે દસે દિશાઓ સુખ દાયક હોય છે.

અસંતોષને ઇંધણ પૂરું પાડવાનું કામ લોભ કરે છે. લોભ, મોહ વગેરે માણસને પોતાના તરફ સદાય ખેંચતાં રહે છે. લોભીને જે હોય તેનાથી સંતોષ નથી થતો. લોભી માણસ ભિખારી છે. ભાગ્ય અને ઈશ્વર પાસે તે વધુ ધન, વધુ સુખ, પદોન્નતિ, વધુ ઊંચો હોદ્દો, વધુ સત્તાની ઝંખના રાખે છે. સિકંદર અને રસ્તામાં બેઠેલા એક મસ્ત સાધુનો પ્રસંગ જાણીતો છે. વિશ્વવિજેતા બનવા નીકળેલા સિકંદરે પેલા ઓલિયા જેવા માણસને કહ્યું કે હું વિજયવિજેતા તરીકે પંકાતો સિકંદર છું. બોલ, તું માગે તે આપું. પેલા ફકીર જ્યા સાધુએ કહ્યું : ''મારે કશું નથી જોઈતું. તું આખો ખસ, મારી પર તડકો આવવા દે.'' આવા કશાયની ખેવના ન રાખનારને કોણ દુ:ખી કરી શકે.

શાસ્ત્રોના શબ્દો માણસ સાંભળે છે, વાંચે છે પણ એક કાનેથી સાંભલી બીજા કાને કાઢી નાખે છે. 'સંતોષી નર સદા સુખી' એ જાણ્યા છતાં માણસ એટલા માટે અતૃપ્ત રહે છે કે સંતુષ્ટ રહેનારને અસાધારણ કષ્ટો સહન કરવા પડે છે. માણસ ગુલાબ શૈયા ઝંખે છે, પણ એના હાથ કાંટાથી ન વીંધાય એ રીતે.

માણસ મનોમન એવી દલીલ કરે છે. સંતોષી મન એ તૃપ્તિનું પૂર્ણ વિરામ છે. મનુષ્યને જિંદગી વારંવાર મળવાની નથી તેવી માણી શકાય એટલું આ જન્મમાં માણી લો. કાલ કોણે દીઠી છે. એટલે એ વધુ પ્રાપ્તિની ઝંખની કરતું નથી. ઘણીવાર લોકો એવી  દલીલ કરતાં હોય છે. જો સંતોષી બની માણસ બેસી રહે તો પ્રગતિ કેવી રીતે થાય ? અહીં સંતોષ પ્રત્યે નકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવવાની જરૂર નથી. સંતોષને સકારાત્મક દ્રષ્ટિથી મૂલવવો જોઈએ. પ્રગતિ કરવી પણ અત્યધિક ફળની આશાથી મુકત રહીને પ્રગતિ કરતાં ધાર્યું પરિણામ પ્રાપ્ત ન થાય તો નિરાશ-હતાશ ન બનવું અને જે મળ્યું છે તેને સ્વીકારીને આસક્તિ વગર કર્મયોગી બનવું એમાં જ શાણપણ છે. સંતોષને માણસ બાહ્ય દ્રષ્ટિએ કડવું વૃક્ષ માને છે પણ ઉડાણપૂર્વક વિચારતાં એને લાગે છે સંતોષનાં ફળ મીઠાં અને સુખદાયક હોય છે. બીજાના જેવું સુખ પોતાને ન મળ્યું એ માટે માણસ ભગવાન કે ભાગ્યને ફરિયાદ કરે છે. એવા લોકો ને બોધ આપતી કહેવત છે :-

''રુખી-સુખી ખાય કે

ઠંડા પાની પી,

દેખ પરાયી ઝૂંપડી

મત લલચાવે જી.''

બીજાને ઘીથી તરબોળ રોટલી ખાવાની સ્થિતિમાં જોઈને તેવા સુખની લાલચમાં શા માટે સપડાય છે. તું તારી આગવી મસ્તીમાં રહી જે ધી ચોપડયા વગરની સુકી રોટલી મળે તેનાથી સંતુષ્ટ રહે. ગૌતમ બુધ્ધ ભગવાને ઉચિત જ કહ્યું છે કે અસંતોષથી મોટું કોઈ દુ:ખ નથી અને સંતોષથી મોટું કોઈ સુખ નથી. એટલે માનસિક સુખ અને શાન્તિ ઈચ્છનારે સદાય સંતુષ્ટ રહેવું જોઈએ.

સંતોષ એ એક તપસ્યા છે. લોભીઆઓ તેવું તપ આદરી શકતા નથી કારણ કે તેમને નશીબના જોરે માત્ર સુખ જ મળે એવી જીવન પાસે અપેક્ષાને કારણે તૃપ્તિનો વિચાર પણ કરી શકતા નથી. જગતની દ્રષ્ટિએ સંતુષ્ટ રહેવું એ મુર્ખતા છે. ચાણક્યની નીતિ અપનાવીને દેવું કરીને પણ ઘી પીવું જોઈએ મતલબ કે સુખને જ જીવનનું પરમ લક્ષ્ય બનાવવું જોઈએ પણ માણસ એ વાત ભુલી જાય છે. જીવનનું વસ્ત્ર સુખ-દુ:ખના તારથી વણાએલું છે. આજે જેઓ સુખી દેખાય છે તેઓ કાલે સુખી ન પણ હોય. એટલે માતા કુંતીએ આ વાત સમજીને ભગવાન કૃષ્ણ પાસે સુખને બદલે દુ:ખ માગ્યું હતું જેથી ઈશ્વર સ્મરણમાં ચિત્ત તલ્લીન રહે. અસંતોષી માણસ સદાય ભયગ્રસ્ત રહે છે તેને એ વાતની ચિંતા હોય છે કે મારું સુખ છીનવાઈ જશે તો ? એટલે જ સદાય પ્રસન્ન રહેવાનો ઉપદેશ ભગવાને આપ્યો છે. 'પામ્યો પ્રસન્નતા તેનાં દુ:ખો સહુ નાશ પામતાં.'

માણસમાં રહેલી આસક્તિ તેને સંતુષ્ટ રહેવામાં વિધ્નરૂપ બને છે. 

ભોગવૃત્તિ માણસને અસંતુષ્ટ બનાવે છે. ભતૃહરિએ કહ્યું છે તેમ માણસ ભોગો નથી ભોગવતો પણ ભોગો માણસને ભોગવી જાય છે. અસંતોષ માણસને રોગી બનાવે છે. કારણ કે ધનસંપત્તિ માટે તે અપાર કષ્ટો વેઠતો હોય છે જ્યારે સંતોષી માણસ પરિશ્રમનું જેવું અને જેટલું ફળ મળ્યું તેનાથી સંતોષ અનુભવે છે. ભાવનાશૂન્ય માણસ સદાય સુખ વંચિત રહે છે જ્યારે દિલાવર માણસ સંતોષી રહી દુ:ખનું પણ હર્ષભેર સ્વાગત કરે છે.

શેખ સાદીના મતાનુસાર કામનાઓ તો આગ છે. એનાથી બચવું એ બહેતર છે. તું અસંતોષી રહીને નરકની અગ્નિને વધુ તેજ ન બનાવ. અસંતોષની આગમાં બળવાનું તારું ગજુ પણ નથી એટલે સંતોષ દ્વારા આજે જ તું ઠંડુ પાણી નાખી દે. 'કિંગ હેનરી સિક્રસ્થ' શેકસપિયરે સાચું જ કહ્યું છે. મારો મુગટ મારા હ્ય્દયમાં છે નહીં કે મસ્તક ઉપર. મારો મુગટ નથી, ભારતીય રત્નજડિત કે નથી હીરાજડિત... મારો મુગટ (બહારથી) જોવા પણ મળતો નથી મારા મુગટનું નામ છે 'સંતોષ.' રાજા લોકો ભાગ્યે જ તેને ધારણ કરે છે. સંતોષ સ્વાભાવિક સંપત્તિ છે જ્યારે ધન માટેનાં ફાંફાં એ નિર્ધનતા છે. એક સ્પેનીશ લોકોકિત છે કે આપણને જે પસંદ હોય તે ન મળી શકતું હોય તો આપણી પાસે છે તે પસંદ કરી લેવું તે ડહાપણ છે. પ્લુટો કહે છે તેમ ભલે તમારી પાસે કાંઈ ન હોય પણ તમારી પાસે સંતોષ હશે તો જિંદગી સચવાઈ જશે.

Tags :