Get The App

પુત્રને 'શ્રવણ' બનાવવા ઈચ્છતી સ્ત્રી, પોતાના પતિને 'શ્રવણ' બનતો જોઈ શકતી નથી - આમ કેમ?

Updated: May 23rd, 2023

GS TEAM


Google News
Google News
પુત્રને 'શ્રવણ' બનાવવા ઈચ્છતી સ્ત્રી, પોતાના પતિને 'શ્રવણ' બનતો જોઈ શકતી નથી - આમ કેમ? 1 - image


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- દામ્પત્ય એ યોગ છે, 'સુયોગ' છે, એવી સલાહ મોહ મુગ્ધ અને એકાધિકાર ભોગવવા ઈચ્છતાં યુગલોને ગળે ઉતારવી મુશ્કેલ છે

* દરેક સ્ત્રી પોતાના પુત્રને 'શ્રવણ' બનાવવા ઈચ્છે, પરંતુ કોઈ સ્ત્રી પોતાના પતિને શ્રવણ બનતો જોઈ શકતી નથી, આવું કેમ ?

પ્રશ્નકર્તા : નૈષધ દેરાશ્રી, ૨૦ નાલંદા સોસાયટી, ટી.બી. હોસ્પિટલ સામે, જામનગર (સૌરાષ્ટ્ર)

પો તાનામાં અસાધારણ સેવાવ્રત, કર્તવ્ય નિષ્ઠા, વિશુદ્ધ પ્રેમ અને ભક્તિભાવના ધરાવનારનાં ઉદાહરણો શાસ્ત્રો આપે છે. જેમકે લક્ષ્મણ, ભરત, હનુમાન, સીતાજી, સાવિત્રી વગેરે. એ જ શ્રેણીમાં માતૃ-પિતૃ ભક્ત શ્રવણનું નામ એક આદર્શ પુત્ર તરીકે સન્માન પૂર્વક લેવામાં આવે છે.

'શ્રવણ' માટે 'શ્રવણ' અને 'શ્રાવણ' બન્ને શબ્દનો પ્રયોગ જોવા મળે છે પ્રાચીન ચરિત્ર કોશ ભાગ-૨માં શ્રવણ માટે 'શ્રાવણ' શબ્દ પ્રયુક્ત કર્યો છે. શ્રવણ એક તપસ્વી હતો. વૈશ્ય પિતાનો પુત્ર હતો. એ બ્રાહ્મણ હતો એવો પણ ઉલ્લેખ મળે છે. એના પિતાનું નામ 'શ્રવણ' આપવામાં આવ્યું છે (બ્રહ્મ: ૧૨૩.૩૭). આ ઉપરથી ખ્યાલ આવે છે કે 'શ્રવણ' તેનું પૈતૃક નામ હતું. 'ભારતીય મિથક કોશ' (ડૉ. ઉષાપુરી)માં વર્ણવ્યા મુજબ બાલ્યકાળમાં શબ્દભેદી બાણ ચલાવવામાં નિપુણતા પ્રાપ્ત કરી લેવાને કારણે રાજા દશરથમાં બહુ જ ઘમંડ હતો. વર્ષા ઋતુનો સમય ૦ સાયંકાળે ધનુષ્ય-બાણ લઈને તેઓ સરયૂ નદી કિનારે ગયા. તેમનો ઇરાદો સાયંકાળે પાણી પીવા આવનાર કોઈ વન્ય પશુનો શિકાર કરવાનો હતો. અચાનક નદીના પાણીમાંથી કાંઈક અવાજ આવ્યો. દશરથે શિકાર માટે શબ્દભેદી બાણ ચલાવ્યું. આર્તનાદ સાંભળીને દશરથને ખ્યાલ આવ્યો કે શબ્દભેદી બાણ કોઈ મનુષ્ય માટે પ્રાણઘાતક બન્યું છે. નજીક જઈને જોયું તો એક તપસ્વી તડપી રહ્યો હતો. તેણે કહ્યું કે પોતે ઋષિ છે પણ સાંસારિકતા ત્યજીને પોતાનાં અંધ માતા-પિતાની સેવામાં સમર્પિત છે. એમને માટે પીવાનું પાણી લેવા પોતે નદી કિનારે આવ્યો હતો. તેણે દશરથને તીર કાઢવાનું કહ્યું અને પાણી લઈ પોતાના માતા-પિતાને પોતાના નિવાસ સ્થાને પહોંચાડવાનું કહ્યું. શ્રવણ માતાપિતાને કાવડમાં બેસાડી કાશીની જાત્રાએ જઈ રહ્યો હતો. પોતાની બેદરકારીને કારણે બ્રહ્મહત્યાનું પાપ લાગ્યાને કારણે દશરથ વિહવળ થઈ ગયા. શ્રવણનાં માતા-પિતાએ વ્યથિત થઈ દશરથ રાજાને શ્રાપ આપ્યો કે 'પુત્ર-પુત્ર' બોલતાં તેમનું મૃત્યુ થશે. શ્રવણનાં માતા-પિતાની ઈચ્છાનુસાર દશરથ તેના માતા-પિતાને શ્રવણના મૃતદેહ પાસે લઈ ગયા. એમ પણ વર્ણવાયું છે કે તેઓ થોડાક સમયમાં જ પુત્ર પાસે પહોંચી જશે. ત્યારે શ્રવણનાં માતા-પિતાએ એક ચિતામાં પ્રવેશ કરીને પ્રાણત્યાગ કર્યો. પ્રાચીન ચરિત્ર કોશમાં જોકે નોંધ મૂકવામાં આવી છે કે વાલ્મીકિ રામાયણમાં શ્રવણનો નામોલ્લેખ મળતો નથી. પણ એક મુનિરૂપે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અંધ માતા-પિતાની અનન્ય ભક્તિને કારણે શ્રવણને એક આદર્શ પુત્રનું ગૌરવ સાંપડયું છે.

કવિઓ લેખકો, સંતો, મહંતો, ધર્મોપદેશકો, ધર્મગુરૂઓએ આદર્શ પુત્ર તરીકે શ્રવણના આખ્યાનને લોકપ્રિય બનાવ્યું છે.

માતા-પિતાના પુત્ર પર અગણિત ઉપકારો છે. પેઢીને તારે તે સાચો પુત્ર. દરેક માતા ઈચ્છતી હોય છે કે પોતાનો પુત્ર માતૃ-પિતૃ ભક્ત બને. પોતાનાં મા-બાપની સારસંભાળ રાખે. એમની સેવા કરે. એમનું માન-સન્માન સાચવે. ઈચ્છે તો તેમને તીર્થયાત્રા કરાવે. માતા લાગણીવશ, પ્રેમવશ, વાત્સલ્યવશ જાણે-અજાણે પુત્ર પર એકાધિકારની ભાવના વિસરી શકતી નથી. સંસ્કૃતમાં એક સુભાષિતમાં કહ્યું છે તેમ પરિવર્તન પામતા આ સંસારમાં કયા મૃત્યુ પામેલ માણસે જન્મવું પડતું નથી ? પણ એનું જન્મવુંસાર્થક છે જેને કારણે વંશ ઉન્નતિ પ્રાપ્ત કરે છે. પુત્રનો મોહ પ્રકૃતિનું સૌથી મોટું આકર્ષણ છે. માતા-પિતાના વચનોને માથે ચઢાવી પુત્ર જીવે તેવી માતા-પિતાની ઈચ્છા હોય છે. એક આફ્રિકન કહેવત મુજબ હાથીને એની સૂંઢનો ભાર નથી લાગતો. માતાને એનાં સંતાનનો ભાર લાગતો નથી. એટલે જ માતાને મધુ અને મેહુલિયાથી મીઠી એવી અમૃતમયી અને અનન્ય માનવામાં આવે છે.

પુત્ર પ્રત્યે માતા-પિતાને આસક્તિ હોય એ સ્વાભાવિક છે પણ એમાં નિયંત્રણ રાખવું પડે છે. પુત્ર કે પુત્રી સોળ વર્ષનાં થાય એટલે તેમને આજ્ઞાંકિત બનાવવાને બદલે મિત્રવત્ આશાન્વિત બનાવવા જોઈએ. એમના પર અધિકાર લાદવાની કોશિશ કરવામાં આવે તો એ ક્યારે ઉદ્દંડ બની માતા-પિતાનું કાળજુ કપાય એવો ઉદ્ધત જવાબ આપે છે. તેમ છતાં માતા હંમેશાં ક્ષમાશીલ હોય છે. પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા નથી થતી. માતાનું કામ સંતાનનું સંસ્કાર ઘડતરનું છે પણ એનો અર્થ એ પણ નથી કે સંતાન સદાય માતા-પિતાના હાથનું રમકડું છે. પુત્ર-પુત્રી શ્રવણ જેવા આદર્શ બને એ એમની ફરજ છે પણ તેવો જ બને તેવો માતા-પિતાને અધિકાર નથી. પુખ્ત વયના સંતાનનું વ્યક્તિ પૂર બહારે ખીલવા ઉત્સુક હોય છે. તે ક્ષણે માતા-પિતા પોતાની ઈચ્છાઓ તેના પર લાદવાની કોશિશ કરે તો તે ગુસ્સો કરે છે. ઈમર્સને કહ્યું છે તેમ માણસ તેવો સામાન્ય રીતે બને છે જેવો તેની માતા બનાવે છે. આ જ વાત દાદાભાઈ નવરોજીએ પણ કરી છે. મુન્શી પ્રેમચંદે માતૃહૃદયની પ્રશંસા કરતાં ઉચિત જ કહ્યું છે કે માતાનું હૃદય એ દયાનો ભંડાર છે. એને બાળો તો પણ એમાંથી દયાની સુગંધ જ પ્રગટાશે. પીસશો તો દયાનો રસ નીકળશે. માતા દેવી છે. વિપત્તિની ક્રૂર લીલાઓ પણ માતાના નિર્મળ અને સ્વચ્છ સ્ત્રોતને મલિન કરી શકતી નથી. કવિ ખબરદાર કહે છે -

''જન્મીને જીવવું

તે નહીં જીવવું

જીવન સુંદર રીતે

જીવે તે નવાઈ

જગતનું જીવન

નિજ અમૃતથી પોષવું

જીવન પ્રતિભા ખરી

એ જ ભાસે.''

યુવા વયે વ્યક્તિમાં વિજાતીય આકર્ષણો જન્મે છે એને એ પ્રેમ માને છે પણ મહદ્અંશે તે મોહમુક્ત હોતો નથી. પરણ્યા પછી પત્ની પતિ પર એકાધિકાર ભોગવવા ઈચ્છતી હોય છે. મન-વચન-કર્મથી પતિ માતાનો બોલ ઉપાડે તે એને અસહ્ય લાગે છે. એમાં ઈર્ષ્યાનો નહીં, પણ પતિ પ્રત્યેની વધુ પડતી આસક્તિ કામ કરતી હોય છે. પતિ માતા-પ્રત્યે વધુ સમર્પિત રહે તો તે 'માવડીઓ' મનાય છે અને પત્ની પ્રત્યે વધુ પડતો સમર્પિત રહે તો 'કહયાગરો કંથ' ગણાય છે. માતા પ્રત્યે શ્રવણભક્તિ દેખાડનાર પતિ પર પત્નીને પોતાની ઉપેક્ષા કર્યાનો ભ્રમ પેદા થાય છે. અને એ ભ્રમ 'વાંકદેખ્યો' બને છે. એવું કહેવાય છે કે દામ્પત્ય વિશે માર્મિક ટકોર કરી છે કે દામ્પત્યને સુખમય બનાવવા બે વ્યક્તિઓના પ્રયત્નો જરૂરી છે પણ દુ:ખમય બનાવવા માટે એકના જ પ્રયત્નો પૂરતા છે.

આજે સંયુક્ત કુટુંબની ભાવના સમાપ્ત થતી જણાય છે. પતિ-પત્ની સમગ્ર ઘરની જવાબદારીમાંથી મુક્ત રહી સ્વતંત્ર, મનપસંદ અને આઝાદ જીવન જીવવા ઈચ્છે છે. ભૌતિકતાએ આધ્યાત્મિકતા અને જીવન મૂલ્યો પર ઘા કર્યો છે પરિણામે સ્વ. કવિ સુરેશ દલાલે કહ્યું છે તેમ આજનું દામ્પત્ય એટલે ડ્રોઈંગ રૂમમાં હસવાનું ને બેડરૂમમાં ભસવાનું સંતાનોમાં સહિષ્ણુતા અને વાત્સલ્યની કદર કરવાની વૃત્તિમાં ઓટ આવી રહી છે પરિણામે વૃદ્ધાશ્રમો વધ્યા છે. દામ્પત્ય એ યોગ છે, વડીલોની સેવાનો સુયોગ છે એવી સલાહ નવી જનરેશનને ગળે ઉતારવાનું સહેલું રહ્યું નથી !

આજની યુવાપેઢી લગ્ન અને દામ્પત્યને પોતાની આગવી સંપત્તિ માને છે. ભરપૂર સુખો માણી લેવાની અદમ્ય ચાહ છે. એટલે સંતાન પોતાનો સેવાર્થી બને એ અપેક્ષા માતાની સંતોષાતી નથી. જોકે દરેક કુટુંબમાં પુત્રવધૂઓનું વર્તન એક સમાન હોતું નથી. આજે પણ એવી પુત્રવધૂઓ છે જે પોતે તથા પોતાનો પતિ પતિનાં મા-બાપની સેવાને જીવનમાં અગ્રિમતા આપે તેવો આગ્રહ રાખે છે. પણ માતાઓએ જીવનમાં ત્યાગ ભાવનાનું મહત્વ સ્વીકારીને ચાલવાનો આ સમય છે.

યાંત્રિક પ્રગતિએ માણસને પણ યંગ બનાવી દીધો છે એની પાસે ત્રસ્તતાપૂર્ણ વ્યસ્તતા છે અને વ્યસ્તતાપૂર્ણ ત્રસતા. આદર્શો કહે છે :

''માનવી, તું શેરડીનો સાંઠો છે

કૂચા ભલે તારી પાસે રહે,

રસ તું જગતને પાજે.''

પતિ રૂપી મહેકતો ઉદ્યાન જે નારીએ મહેનત કરી જાળવી પત્નીને સોંપ્યો છે, તેને દુ:ખી કરવી એ પાપ છે. લાભશંકર ઠાકર કહે છે,

''દીપકના બે દીકરા

કાજળને અજવાશ

એ કપૂતર કાળું કરે

બીજો દિયે પ્રકાશ.''

Tags :