Get The App

સંસારમાં દુષ્ટ અને દંભી માણસો હંમેશાં નમ્ર અને લજ્જાશીલ માણસોને કેમ દબાવે છે?

Updated: Jul 23rd, 2024

GS TEAM


Google News
Google News
સંસારમાં દુષ્ટ અને દંભી માણસો હંમેશાં નમ્ર અને લજ્જાશીલ માણસોને કેમ દબાવે છે? 1 - image


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

'સદાચાર'ના ત્રણ આધાર છે

૧. અદમ્યતા

૨. સુકર્મ

૩. પવિત્રતા

સહિષ્ણુતા અને ક્ષમાને સજ્જનો પોતાનો જન્મસિધ્ધ અધિકાર માને છે

* સંસારમાં દુષ્ટ અને દંભી માણસો હંમેશાં નમ્ર અને લજ્જાશીલ લોકોને કેમ દબાવે છે ?

* પ્રશ્નકર્તા : મુકેશભાઈ સુરેશભાઈ બારોટ, ઠક્કરબાપા સોસાયટી, ઝબુબાં હાઈસ્કૂલ પાસે, મુ. બરવાળા (ઘેલાશા)

તુલસીદાસે કહ્યું છે તેમ ઇસ સંસારમેં ભાંતિ-ભાંતિ કે લોગ, સબસે હિલમિલ ચાલીયો નદી નાવ સંજોગ. આદર્શની દ્રષ્ટિએ આ સ્થિતિ ઉત્તમ કહેવાય પણ દુષ્ટ એક ગેરવર્તન, ઉધ્ધતાઈ, અનાચાર, દુરાચાર, હઠીલા, વેરવૃત્તિને વરેલા લોકો જેને આપણે 'ખલ' કહીએ છીએ એમને સુધારવાનું શક્ય નથી બનતું. નહીં તો ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, દુશાસન, રાવણ, કંસ, જેવા માણસો ક્યાંથી હોત ? જેનું મન પ્રદુષિત હોય તે દુષ્ટ.

દુષ્ટ લોકો સામી છાતીએ લડવા આવતા નથી. એમના હુમલા મોટે ભાગે કાવત્રારૂપે હોય છે. મતલબ કે જેની બુધ્ધિ ભ્રષ્ટ હોય તેને શાસ્ત્રો પણ કોઈ પણ સારપ દેખાડવાનો ઉપદેશ આપે છે તો તે વ્યર્થ જ જાય છે. મહાભારતે વ્યંગ્યમાં કહ્યું છે કે આ સંસારમાં એનાથી હાસ્યકારક બીજી કોઈ વાત હોઈ શકે નહીં જે દુર્જનો હોય છે તેઓ સજ્જન પુરુષોને દુષ્ટ કહે છે પાપી મનુષ્યો મૃદુ વચન બોલનારને શક્તિહીન માને છે.

'દર્પદલન'માં ક્ષેમેન્દ્રે ઉચિંત જ કહ્યું છે કે જેનામાં વિદ્યા વિવાદ માટે છે, ધન અભિમાન માટે, બુધ્ધિ બીજાને ઠગવા માટે આવા માણસોની ઉન્નતિ સંસારના તિરસ્કાર માટે છે. એવા લોકો માટે પ્રકાશ પણ અંધકાર માટે છે.

'શિશુપાલ વધ'માં કહ્યું છે તેમ દુષ્ટ લોકો પોતાના દોષની બાબતમાં જન્માંધ હોય છે. બીજાના દોષો જોવામાં દિવ્ય નેત્ર વાળા હોય છે. તેઓ પોતાના ગુણોની બાબતમાં ગળુ ફાડી-ફાડીને બોલે છે જ્યારે બીજાના વખાણની બાબતમાં મૌન ધારણ કરે છે. આવા દુષ્ટો સંસારને જ દુષ્ટ માને છે.

સજ્જન માણસ બીજાનું ભલું કરવા માટે હંમેશા જાગૃત રહે છે જ્યારે દુર્જન લોકો બીજાનું બૂરું કરવાની તક શોધતા હોય છે. 'હીતોપદેશ'માં એટલે જ કહ્યું છે કે દુર્જન સાથે ન તો બેસવું જોઇએ કે ન તો તેની સાથે ક્યાંય જવું જોઇએ.

દુર્જન મન-વચન-કર્મમાં દુષ્ટતા વ્યક્ત કરવાની તક જતી કરવામાં માનતા નથી. જો ગુણવાન વ્યક્તિ લજ્જાશીલ હશે તો દુષ્ટ કહેશે કે તે મૂર્ખ છે. વ્રત વગેરેમાં સજ્જન રુચિ દાખવતો હોય તો દુર્જન તેને દંભ કહેશે. શુધ્ધ આચરણ કરશે તો દુષ્ટ તેને ઢોંગી કહેશે. શૂરવીર હશે તો તેને નિર્દય કહેશે. પ્રિયભાવુક હશે તો તેને દીન (ગરીબડો) કહેશે. તેજસ્વી હશે તો તેને અભિમાની કહેશે, વક્તા હશે તો તેને બકવાસી અને સ્થિર હશે તો તેને શક્તિહીન -

આમ ગુણવાન વ્યક્તિનો કોય ગુણ હશે જેને દુષ્ટ દોષ નહીં ગણાવતો હોય. 'ઇશના રાજ્યની જેમ' દુષ્ટ માણસ માટે આખી દુનિયા નિંદા માટેનું વિશાળ ક્ષેત્ર છે. ત્યાગીને નહીં પણ બીજાને વખોડીને અન્યના ધનની તેઓ લાલચ રાખતા હોય છે. દુર્જનોની વાણીમાં કશુંક બીજું જ અને હોઠ પર કશું જુદુ જ અને વાણીમાં વળી દુષ્ટતાનું કોઈ ત્રીજું જ વાક્ય સમાયેલું હોય છે. દુર્જન માણસને જે દિવસે કોઇની નિંદા કરવાનો મોકો ન મળ્યો હોય તે દિવસ વ્યર્થ લાગે છે. દુષ્ટની ભલે તમે પૂજા કરો કે કલ્યાણ પણ તે ઉપકારનો બદલો અપકારમાં જ વાળવાનો.

''માણસનું મન પરમતીર્થ હૈ''માં શ્રી શિવકુમાર ગોયલે મનની પિવત્રતાનું મહત્વ પ્રસંગમાં રજૂ કર્યું છે મોટા-મોટા પંડિતો અને જ્ઞાનીઓ આદિ શંકરાચાર્ય પાસે તેમના પ્રશ્નો લઇને પહોંચી જતા શંકરાચાર્યજી સૌના પ્રશ્નો સાંભળતા અને યથાયોગ્ય જવાબ આપતા.

એક દિવસ એક જિજ્ઞાસુ પોતાના મનના પ્રશ્નો લઇને શંકરાચાર્ય પાસે પહોંચ્યો એણે વિનમ્રતાપૂર્વક પૂછ્યું : 'મહારાજજી, સંસારમાં દરિદ્ર કોણ છે ?'

શંકરાચાર્યજી કહ્યું :

'જેની તૃષ્ણા અસીમિત હોય તે દરિદ્ર છે' ત્યારે પેલા જિજ્ઞાસુએ બીજો પ્રશ્ન કર્યો : 'તો પછી સંસારમાં ધનિક કોણ છે ?' ઉત્તર કર્તા :

'જે સંપૂર્ણ સંતોષી છે, તે અમીર છે, સંતોષ કરતાં મોટું બીજું ધન કોઈ નથી.'

પેલી વ્યક્તિએ પૂછ્યું : 'જીવિત રહેવા છતાં કોણ મરેલો છે ?'

શંકરાચાર્યજીનો ઉત્તર હતો : 'જે ઉદ્યમહીન અને નિરાશ તથા દુષ્ટ વ્યક્તિ જીવિત હોવા છતાં મૃતક સમાન છે.'

તેમણે ઉમેર્યું કે વિશુધ્ધ મન જ પરમતીર્થ છે. સ્ત્રીઓ તથા ધન પ્રત્યેની આસક્તિ પતનનું કારણ બને છે. પ્રાણીઓનો જવર ચિંતા છે. વિવેકહીન વ્યક્તિ મૂર્ખ છે. જે બ્રહ્મની પ્રાપ્તિ કરાવે એ જ સાચી વિદ્યા છે.

સંત તુકારામજી કહે છે (તુકારામ અભંગ ગાથા) એવા દુષ્ટોની સંખ્યા ઘણી જ હોવી જોઇએ. આપણી પર તેમનો ઉપકાર છે. આપણા પાપો ધોવાનું કાર્ય કોઈ મૂલ્ય માગ્યા સિવાય કે વગર સાબુએ કરે છે. તેઓ મફતમાં મજદૂર છે. જે આપણો બોજો ઉપાડે છે. તેઓ આપણને ભવસાગર પાર કરાવી દે છે અને પોતે નર્કમાં ચાલ્યા જાય છે.

સજ્જનની વ્યાખ્યા શી ? જે સત્ય સમર્પિત હોય તે સંત જે કરુણાશીલ અને પરોપકારી હોય તે સંત પોતાનું બૂરું કરનાર પ્રત્યે પણ ક્ષમાશીલ રહે તેું ભલું કરે તે સંત, સહિષ્ણુતા જેમનો જીવન મંત્ર હોય, બીજાના દુ:ખોથી જે દ્રવિત થાય છે. પેલા 'માધવવાવ' લોકકથા મુજબ વાવમાં પાણી આવે એ માટે દીકરો અને વહુ પોતાનું બલિદાન આપે. રાગ નહીં ત્યાગ અને અનાસક્તિ જેનું જીવન વ્રત હોય આવી વ્યક્તિઓને વિનમ્ર હોય છે અને તેમનામાં વેરવૃત્તિનું નામ સુધ્ધાં હોતું નથી.

સજ્જન લોકો સ્વભાવે સંતપ્રકૃતિના હોય છે. 'નીતિશતક' આવા સંત પ્રકૃતિના માણસનું વર્ણન કરતાં કહે છે

'ન્યાયયુક્ત પ્રિય આજીવિકા માર્ગ પ્રાણ જાય તો પણ પાપકર્મમાં પ્રવૃત્ત ન થવું, દુર્જનો પાસે કાંઈ પણ માગવું નહીં. અલ્પધનવાળા મિત્ર પાસે કોઈ પણ વસ્તુની યાચના ન કરવી, વિપત્તિમાં પણ કોઈ પણ રીતે ઉચ્ચ રીતે રહેવું અને મહાપુરુષોને પગલે ચાલવું - તલવારની ધાર પર ચાલવા જેવું આ કઠિન વ્રત સંતો (સજ્જનો)ને કોણે શિખવાડયું હશે ?'

સહિષ્ણુતા અને ક્ષમાને સજ્જનો પોતાનો જન્મસિધ્ધ અધિકાર માને છે. એમના સદગુણોને સ્વાર્થી અને શોષણવાળા માટે હાથવગો શિકાર બને છે. દુષ્ટોને ખબર છે કે સજ્જન માણસો ગંગાસતીના પેલા ભજનના શબ્દોથી જેમ 'મેરુ તો ચળે પણ જેનાં મનડાં ચળે નહીં, ભાગીને પડે બ્રહ્માંડ જી' પોતાને ભયાનક ત્રાસ પહોંચાડનાર ગોવાળીઆનું મહાવીર સ્વામીએ ભલું ઇચ્છયું હતું. ઇશુ ખ્રિસ્તે પણ અસહ્ય વેદના પહોંચાડનારાઓ પ્રત્યે ઇશ્વર પાસે ક્ષમા માગી હતી.

સામવેદનો ઋષિ પ્રાર્થના કરે છે કે અમને પાપ કાર્યોમાં નાખશો નહીં. અમને હિંસાના કાર્યોમાં જોડાશો નહીં. નિંદા-કાર્યોથી પણ અમને અલગ રાખશો. અથર્વવેદ પણ સૌજન્યનાં વખાણ કરતાં કહે છે કે પરાજય, અપયશ, કુટિલ આચરણ અને દ્વેષ અમારી પાસે કદી ન ફરકે.

સદાચારનાં ત્રણ આધાર છે :

૧. અદમ્યતા

૨. સુકર્મ

૩. પવિત્રતા

દુર્જનો, દુષ્ટો, બુધ્ધિનો દુરૂપયોગ કરનારને ખબર છે સજ્જનનું શોષણ કરાવામાં કશું જોખમ નથી કારણ કે ઇંટનો જવાબ પથ્થરથી નહીં પણ શુભેચ્છાના ફૂલથી આપવાનો છે. એટલે પોતાના સ્વાર્થ માટે તેમનો ઉપયોગ કરવાનું સરળ છે. તેમને મન મહાન કે સજ્જન માણસનું કશું જ મહત્ત્વ હોતું નથી. સજ્જનનો સ્વભાવ ક્ષમાશીલ હોવાને કારણે તેઓ દુશ્મનનું પણ ભલું ઇચ્છતા હોય છે. અપમાનનો ઘૂંટડો ગળા જતા હોય છે. દુર્જનો કે દુષ્ટો બેશરમ હોય છે એટલે સજ્જનને સતાવવા બદલ સમાજ શું કહેશે તેની તેમને પરવા હોતી નથી. એમને માત્ર પોતાના સ્વાર્થમાં જ રસ હોય છે એટલે સજ્જનો સહકાર ન આપે તો તેમને લજ્જિત કરવા, નિંદિત કરવા અને સજ્જનતા ભોળપણ અને અનાસક્ત સ્વભાવને શોષણનો પરવાનો દુષ્ટ લોકો માની લેતા હોય છે.

દુષ્ટ લોકો મનુષ્ય પારખું હોય છે એટલે કોણ દબાવાપાત્ર છે અને દબાવવાનો પ્રતિકાર નહીં કરે તેની તેઓ ખાત્રી કરી લેતા હોય છે. સદાચારી કોણ ? જે શરીર, વાણી તથા મનથી સંયમી છે. મનથી પણ કોઈ પાપ કરતા નથી, તથા સ્વાર્થ માટે અસત્ય નથી બોલતા તથા અંદર અને બહારથી શાન્ત હોય છે.

Tags :