સંબંધો સુરક્ષિત સચવાઇ રહે, અતૂટ રહે એ માટે વ્યક્તિએ શું કરવું અતિ આવશ્યક છે ?
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- સંબંધ એ પ્રેમ અને લાગણીનું મંદિર છે. મંદિરમાં પ્રવેશતાં પહેલાં પગરખાં બહાર કાઢો છો તેમ સાચા સંબંધી બનવા માટે સ્વાર્થ, અહંકાર અને ક્રોધનાં પગરખાં 'સંબંધ મંદિર'ની બહાર કાઢીને જ સંબંધ દેવતાનાં દર્શને જવાય
* સંબંધો સુરક્ષિત સચવાઇ રહે, અતૂટ રહે એ માટે વ્યક્તિએ શું કરવું અતિ આવશ્યક છે ?
પ્રશ્નકર્તા : કલાવતી બરંડા, 'કળી', ૯૮/૨, 'ચ' ટાઇપ સરકારી ક્વાર્ટર, સેકટર-૨૮ ગાંધીનગર.
માણસ સામાજિક પ્રાણી ગણાય છે. એટલે સામાજિક જરૂરિયાતો અને સહયોગ માટે સમાજના ભિન્ન-ભિન્ન પ્રકારના લોકોના સંબંધમાં આવે છે તેમાંથી લાગણીના અને કાનૂની સંબંધો પણ આકાર લે છે. માણસ નોકરી કે ધંધો કરે એને લીધે પણ અનેક લોકો સાથે નિકટતા અને આત્મીયતા સધાય છે. મંડળો, સંસ્થાઓ, સંગઠનો વગેરેમાં જોડાવાને કારણે પણ નવા-નવા સંબંધો રચાતા હોય છે. ઘણી વાર પ્રાસંગિક મુલાકાત જેવી કે ટ્રેઇન, બસ, વિમાન દ્વારા થતી મુસાફરીમાંથી પણ ક્ષણિક સંબંધમાંથી કાયમી સંબંધો ઉદ્ભવતા હોય છે. ઘણીવારસંબંધો સ્વાર્થસિધ્ધિ માટે માણસ ઘણીવાર સંબંધો ગણતરીપૂર્વક બાંધતો પણ હોય છે અને સાંધતો પણ હોય છે. 'ઈશ્વર સાથેનો માણસનો સંબંધ પણ ક્યાં શુદ્ધ અને નિસ્વાર્થ હોય છે ! દુ:ખ પડે, આફત આવે ત્યારે માણસ ઈશ્વરને સ્મરી તેની મદદ માગે છે અને દુ:ખમાંથી ઉગર્યા બાદ ઈશ્વરને 'અલવિદા'' કહી દે છે. મોક્ષાર્થી લોકો મોક્ષ માટે આરાધ્ય સાથે ભક્તિનો સંબંધ રાખે છે.
ઘણા માણસો સંબંધને 'કલા' માને છે જ્યારે સંબંધમાં નિષ્ફળ ગએલા લોકો સંબંધને 'બલા' માને છે. જેમ સાધના માટે મનને શિક્ષિત અને દીક્ષિત્ બનવું પડે છે તેમ સંબંધને સમજવા, સ્વીકારવા અને શાનદાર બનાવવા માટે મન અને હૃદયને કેળવવું પડે છે. સંબંધ એ વણલખી પ્રતિજ્ઞાા છે, જેને વફાદાર રહેવાનું વ્રત લેવું પડે છે.
કારણ કે સંબંધને મન અને હૃદય સાથે ભાવાત્મક સંબંધ છે, માણસે એટલે પોતાની ભાવનાઓ અને ગણતરીઓ પર કાબૂ રાખવો પડે છે. આ બન્ને ક્ષેત્રો અતિ નાજુક છે. એને સિઝતાં પણ વાર નહીં અને નંદવાતાં પણ વાર નહીં. એટલેજ ક્ષણે-ક્ષણે કસોટીમાંથી પસાર થવું અને ઉત્તીર્ણ થવું એ સંબંધની જીત છે. 'હું ભલે હારું પણ મારો સંબંધ હારવો ન જ જોઇએ' - એવો દ્રઢાગ્રહ સંબંધનો રક્ષક બની શકે છે :
સંબંધના સાત શત્રુઓ છે :
૧. અહંકાર ૨. જીદ ૩. વટ અને હઠ ૪. અધિકારપ્રિયતા ૫. સ્વાર્થ ૬. ક્રોધ ૭ અસહિષ્ણુતા.
આ પૈકી એક યા અધિક કારણોસર સંબંધોને હાનિ પહોંચતી હોય છે.
સંબંધના આ સાત શત્રુઓ સામે સંબંધના સાત શુભચિંતકોને પણ યાદ રાખવા જોઇએ. એ સાત શુભચિંતકો છે : ૧. સહિષ્ણુતા ૨. સંયમ ૩. ક્ષમાભાવ ૪. સમાધાનવૃત્તિ ૫. ક્રોધ પર કાબૂ ૬. વાણી પર લગામ ૭. ઘસાઇ છૂટવાની તૈયારી. માણસ ફૂંકી ફૂંકીને દૂધ નથી પીતો. ગરમ દૂધથી દાઝે ત્યારે દૂધને જવાબદાર ઠેરવે છે. હકીકતમાં માણસ સુખ, સંબંધનો ઉષ્માભર્યો સત્વરે પ્રત્યુત્તર અને વફાદારીનાં વખાણ ઈચ્છતો હોય છે. સંબંધમાં શ્રદ્ધા અને વિશ્વાસ અનિવાર્ય છે.
શંકા અને સંશય સંબંધના મૂળમાં ઘા કરે છે. માણસ શંકાનો ગુલામ બને એટલે કુશંકા તેની બુદ્ધિને ગેરમાર્ગે દોરે છે. શંકાસ્પદ માણસ સ્વબચાવ માટે જાતજાતનાં બનાવટી કારણો આપતો હોય છે એમાંથી પણ ગેરસમજની ભૂતાવળ આકાર લે છે. માણસે સંબંધમાં શ્રેષ્ઠ વ્યવહારની 'આચાર સંહિતા' પાળવી જોઇએ એને બદલે 'વિચાર સંહિતા' પાળે છે. ઘટનાનું વિશ્લેષણ કેવળ બુદ્ધિને રવાડે ચઢીને વિચારે છે. પરિણામે સંબંધમાંથી શ્રદ્ધા સમાપ્ત થઇ જાય છે. અને અવિશ્વાસનું રજવાડુ શરૂ થાય છે.
જેમ વાવેલા છોડને સિંચતા રહેવું પડે છે એમ સંબંધને પણ લીલો રાખવા નિસ્વાર્થ પ્રેમનું જળ સિંચવું પડે છે અલબત્ત ધોધમાર વરસ્યા સિવાય. અતિ નિકટતા પણ નહીં અને અતિ દૂરત્વ પણ નહીં. સંબંધોમાં અપેક્ષાઓ જેટલી ઓછી તેટલો ચિરંજીવી. સંબંધમાં માણસ સકારાત્મકતાનો છેદ ઉડાડે છે અને નકારાત્મકતાને થાબડે છે. કોઇપણ અપ્રિય ઘટના બને ત્યારે સંબંધ તોડવાના ખ્યાલને બદલે અપ્રિયતાનાં કારણો શોધી સ્વસ્થ સંવાદ સાધવો એ ગેરસમજોનાં જાળાં દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. વિવાદ, દલીલબાજી, ભૂલો, ક્ષતિઓ, ભૂતકાળની દુ:ખદ ઘટનાઓને ચર્ચાનો વિષય બનાવવાથી સંબંધોમાં તિરાડ મોટી થતી જાય છે.
સંબંધ એ યાત્રા છે. એમાં તડકો-છાંયડો આવવાના જ. ક્યારેય તૂટયા ન હોય એવા સંબંધો ભાગ્યે જ જોવા મળે છે. સંબંધોનું સુરક્ષાકવચ બજારમાં વેચાતું મળતું નથી. એટલે સંબંધ તૂટવાનાં કારણો જાણી તેનું ઉદાર મનથી નિરાકરણ શોધવું અને બન્ને પક્ષે સ્વીકારવું એ તૂટતા સંબંધો જીવિત રાખવા માટેનો 'ઓક્સિજન' છે. સ્વાર્થ અને ક્રોધ એ સંબંધ માટે કાર્બનડાયોક્સાઇડ છે. એનો બને તેટલો ત્યાગ કરવો એ સંબંધની જીવાદોરી છે. સંબંધમાં અતિશય રાગ પણ હાનિકારક અને દ્વેષ પણ નુકસાનકારક. જેટલી નિકટતા વધારે, સંબંધમાં વાંકુ પડવાની શક્યતા વધારે. પતિ-પત્ની કે મૈત્રીના સંબંધોમાં નિકટતા હોવાથી અપેક્ષાઓ પણ મોટી હોય છે. અપેક્ષા એ આગ છે. તે પ્રબળ બનવા માટે હંમેશાં લાગ શોધતી હોય છે. એને ઠારવા માટે સમજણનું શીતળ જળ જોઇએ, સ્વાર્થનું ઘી નહીં. એટલે સંબંધમાં અપેક્ષાઓને બેલગામપણે મહાલવાની છૂટ નહીં આપવી જોઇએ.
દરેક ઈચ્છા પરિતૃપ્ત થવાને પોતાનો જન્મસિધ્ધ અધિકાર માને છે. એટલે માણસે સાચા સંબંધી બનવા માટે પોતાની અપેક્ષાઓનું બજેટ બનાવી વ્યર્થ, ઉડાઉ અને ખર્ચાળ અપેક્ષાઓની જાતે જ બાદબાકી કરી નાખવી જોઇએ. કેટલીક રાક્ષસી ઈચ્છાઓનું બાળમરણ એ પાપજનક ઘટના નથી પણ પુણ્યદાયક ઘટનાઓ છે. સાચા સંબંધને જીવી જાણવો એ પણ એક પુણ્યશાળી ઘટના છે. સંબંધમાં શું ગુમાવ્યું એનો વસવસો ન રાખવો અને શું મળ્યું એનો હિસાબ ન રાખવો એ સંબંધની શુદ્ધતાની પારાશીશી છે. માણસ દૂધની ફેટની ચિંતા રાખે છે તેટલી સંબંધની સાત્વિકતાની ચિંતા રાખે તો તેને સંબંધની વધતી - ઘટતી ઉષ્માનો અવશ્ય ખ્યાલ આવે. સંબંધને સાચવવા માટે માથા પર 'આઇસબેગ' રાખવી પડે, શેક કરવાની ગરમ પાણીની કોથળી નહીં.
બધા જ સન્નિષ્ઠ પ્રયત્નો કર્યા છતાં સંબંધ ન સચવાય એવી પરિસ્થિતિ ઊભી થાય તો ? તો સંબંધીનું લેશમાત્ર બૂરું થાય એવું મન-વચન-કૃત્યથી વાંછ્યા વગર એક સરસ વળાંક સાથે સંબંધથી મુક્ત થવું એ જ શ્રેષ્ઠ માર્ગ છે. આકરા શબ્દો, બેફામ આક્ષેપો અને મહેણાં-ટોણાં સાથે સંબંધ વિચ્છેદ કરવો એ અસંસ્કારિતાની નિશાની છે. વેરનું ઝેર ઓકતા રહેવું એ માણસાઇનું દેવાળું છે.
અવિચારી શબ્દો, કટુવચનો તિરસ્કારમાં વૃદ્ધિ કરે છે. વ્યક્તિને તેના દોષ ગણાવવા કે સારા કામનાં વખાણ ન કરવાં એ પણ સંબંધની શાનને વિપરીત ગણાય છે. એક માર્મિક દ્રષ્ટાન્ત અનુસાર ''હા, તેં આ કર્યું !''
''ના મેં હરગિઝ નહીં.''
આમ તકરાર શરૂ થઇ.
આવા થોડા કડવા શબ્દોની આપ-લે પછી બે દિલોજાન દોસ્તો છૂટા પડયા.
''હું દિલગીર છું.''
''હું પણ.''
આમ તકરાર ત્યાં જ પતી ગઇ. બે પ્રેમાળ બોલ અને બે હેતાળ હૈયાં જોડાઇ ગયાં. 'હું સદાય ફૂલ બનીશ, કાંટો કદાપિ નહીં' - એવું સાત્વિક વલણ ધરાવનારાઓ સાચા સંબંધી બની શકે !
સંબંધ એ પ્રેમ અને લાગણીનું મંદિર છે. મંદિરમાં પ્રવેશતાં પહેલા પગરખાં બહાર કાઢો છો, તેમ સાચા સંબંધી બનવા માટે સ્વાર્થ, અહંકાર અને ક્રોધનાં પગરખાં સંબંધ મંદિરના ઊંબરાની બહાર કાઢીને જ સંબંધ દેવતાનાં દર્શને જવાય. ભાવનાની ભેટ ધરાય, નમ્રતાનું નૈવેદ્ય થાય. અને સહિષ્ણુતા તથા ક્ષમાની દક્ષિણા અર્પીને કૃતકૃત્ય બનાય. માણસ સાચો સંબંધી બને એની તો ઈશ્વર પણ તરસી આંખે રાહ જોઇ રહ્યો છે.