Get The App

આપણે આદર્શો ઊંચા રાખીએ છીએ, પરંતુ આચરણ નહિ

Updated: Jun 17th, 2025

GS TEAM


Google News
Google News
આપણે આદર્શો ઊંચા રાખીએ છીએ, પરંતુ આચરણ નહિ 1 - image


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- જીવનને એક સરખા ઢાંચામાં જીવવાને બદલે જીવનમાં આવતા પરિવર્તનનો હસતા મોંઢે- પ્રસન્નતા પૂર્વક સ્વાગત કરવાનું મનોબળ કેળવવું જોઈએ

પ્રશ્નકર્તા : હારૂન ખત્રી, વોરાવાડ, જામ ખંભાળિયા : ૩૬૧૨૦૫ (સૌરાષ્ટ્ર)

મા ણસે દુનિયા અને જીવનદાતાની નજરમાં નીચા ઠરવું નથી, માણસ જીવનમાં મહાન આદર્શોની વાત કરતો હોય છે. વાસ્તવમાં મહાન આદર્શો 'કથની'નો નહીં. પણ કરણીનો વિષય છે. આદર્શાત્મક જીવન ત્યાગ માગી લે છે. જેઓ મહાન બન્યા એમણે આદર્શોના ભોગે જીવતા રહેવાની મનોવૃત્તિ રાખી નહોતી. એ ભગતસિંહ હોય કે મહાત્મા ગાંધી સત્ય ખાતર ગમે તેવી કુરબાનીને તેઓ મહત્વની માનતા હતા.

માણસ ગમે તેટલા ઊંચા આદર્શો રાખે પણ આદર્શો હંમેશાં આપણી આકરી કસોટી કરતા હોય છે. આદર્શોને 'હરિનો માર્ગ' એટલે સત્ય- પરમાત્માનો માર્ગ કહેવામાં આવ્યો છે. એમાં કાયર માણસનું કામ નથી. એ માટે રાજા હરિશ્ચંદની પત્ની-પુત્ર વગેરેને આદર્શોની સરાણે ચઢાવવાં પડે.

પ્રભુને રાજી રાખવા માટે નહીં, પણ માણસાઈ ન લજવાય એ માટે સારા બનવાનો આદર્શ સેવવો જરૂરી છે. પવિત્ર બનવા નદીએ સ્નાન માત્રની આવશ્યકતા નથી પણ આંતરિક શુદ્ધિ મહત્ત્વની છે.

આપણે ઘણીવાર જીવનનું બલિદાન આપી એમ વિચારતા હોઈએ છીએ કે મેં ઉતાવળમાં આવું પગલું શા માટે લીધું ? પણ આદર્શો ખાતર જીવનનું બલિદાન આપવું પડે તો એ મોંઘો સોદો નથી. આપણે ઊંચા આદર્શોની વાત પછી એના આચરણમાં કેમ નબળા પૂરવાર થઈએ છીએ ?

જીવન એ પરિવર્તનશીલ છે આપણી સામે જિંદગી કયારે અને કેવો પડકાર લાવી ખડો કરી દેશે એની કોઈ ગેરન્ટી નથી. એટલે જીવવા માટે મળેલી પ્રત્યેક પળને શુદ્ધ-વિશુદ્ધ આચરણથી ધન્ય બનાવવી એ જ એક માત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે. 

એક નાવિક પાસે પાંચ યાંત્રિક હોડીઓ હતી. છતાં એ પોતાના પુત્રને હલેસાં થકી હોડી હંકારવાનું શિક્ષણ આપી રહ્યો હતો. પોતાને અપાતી તાલીમનો વિરોધ કરતાં પુત્રએ કહ્યું કે આપણી પાસે પાંચ યાંત્રિક હોડીઓ છે છતાં આપ મને હલેસાં થકી હોડી હંકારવાનું શિક્ષણ શા માટે આપી રહ્યા છો ?

ખલાસીએ પોતાના પુત્રને સમજાવ્યું કે દીકરા જીવન એક અકસ્માત છે. કેવો અકસ્માત આપણા જીવનને ક્યારે ઊંચાઈમાંથી નીચે પટકાવી દે એની શી ખાત્રી ? યંત્ર દગો દઈ શકે પણ હાથ દગો દઈ શકતા નથી. એટલે જ શાસ્ત્રોમાં 'પ્રભાતે કર દર્શનમ્' નો ઉપદેશ આપ્યો છે. હાથના અગ્રભાગમાં લક્ષ્મી છે. હાથના મધ્યભાગમાં સરસ્વતી વસે છે. અને હાથના મૂળમાં પરમાત્માનો વાસ છે માટે પ્રભાતે કરદર્શન કરવું જરૂરી છે. એક પિતા પોતાના પુત્રને સાદગીનું શિક્ષણ આપી રહ્યા હતા. પોતાની પાસે ત્રણ- ચાર કાર હોવા છતાં સ્કૂલે ચાલતા જવાનો બોધ અને સાદાં વસ્ત્રો - પહેરવાનો - ઉપદેશ આપતા હતા.

પતિની વાત સાંભળી તેમની વૈૈૈભવશાળી જીવનમાં માનતી પત્નીએ કહ્યું : આપણી પાસે અઢળક ઘન છે પછી છોકરાને શું કામ ઉપદેશ આપી પજવો છો ?

શેઠે કહ્યું કે ઉત્તમ આચરણ જેવું શ્રેષ્ઠ બીજું કોઈ જ ઘન નથી. મારે મારા દીકરાને લક્ષ્મીના હાથનું પરાધીન રમકડું નથી બનાવવો પણ આદર્શોનું પરિપાલન કરનાર ઉત્તમ માનવી બનાવવો છે.

આપણે એ વાત યાદ રાખવી જોઈએ કે પાનખર વસંતનો પીછો કરવા તત્પર જ હોય છે એટલે કવિ મૈથિલી શરણ ગુપ્ત જીએ કહ્યું છે તેમ:

'સંસારમેં કિસકા સમય

એક-સા રહતા સદા,

હૈ નિશિ (રાત) દિવા (દિવસ) સી ધૂમતી 

વિપદા સદા જો આજ ઉત્સવ મગ્ન હૈં કલ શોક સે રોયા વહી.'

આદર્શોને જીવનમાં ઉતારવા માટે દૃઢ મનોબળ ઉદાત્ત લક્ષ્ય, લક્ષ્યની પરિપૂર્તિ માટે પવિત્ર સાધનો અને આત્મબળ તથા સંયમની શક્તિ જરૂરી છે. પરિવર્તન તો જિંદગીમાં પાઠ ભણાવનાર શિક્ષક છે. પણ માણસ સ્વાર્થ ખાતર 'ઠોઠ' નિશાળિયો રહેવા ઇચ્છે છે. સત્ય કદી હારતું નથી પણ અસત્યના આચરણનો આશરો લેનાર આખરે બરબાદ થાય છે એ વાત યાદ રાખવા આપણે તૈયાર નથી.

જીવનને એક સરખા ઢાંચામાં જીવવાને બદલે જીવનમાં આવતા પરિવર્તનનો હસતા મોંઢે- પ્રસન્નતા પૂર્વક સ્વાગત કરવાનું મનોબળ કેળવવું જોઈએ. શ્રીમદ્ ભગવદ્ગીતામાં સાચું જ કહ્યું કે 

પામ્યો પ્રસન્નતા તેના દુ:ખો સહુ નાશ પામતાં. જીવનમાં આદર્શોના અમલ માટે જરૂરી સાત બાબતોનું પાલન કરીએ.

૧. પરિવર્તન આવે ત્યારે, ક્ષુબ્ધ-વિક્ષુબ્ધ બનવાને બદલે માનસિક સ્વાસ્થ્ય જરૂરી છે. એ વાત યાદ રાખીએ.

૨. સાગરમાં જેમ ભરતી-ઓટ આવે તેમ જીવનમાં પણ અનેપક્ષિત ઘટનાઓ બનાવાની શક્યતા રહેલી છે, એ વાત ન ભૂલીએ.

૩. પરિવર્તનની ક્ષણોમાં નકારાત્મક અભિગમ રાખવાને બદલે સહિષ્ણુતા, ક્ષમાભાવ અને અનુકૂલનને આવકારીએ.

૪. પરિવર્તન એ અભિશાપ બનશે એવી શંકા-કુશંકાને સ્થાન ન આપીએ.

૫. પરિવર્તન સમયે પ્રાપ્ત ક્ષણિક સુખોથી ફૂલાવું નહીં. અને દુ:ખ કે વેદના આવે ત્યારે પરમાત્માના ફરિયાદી ન બનવું.

૬. સહકર્મચારીઓ કે સગાં-વહાલાંના વર્તનમાં પરિવર્તન આવે ત્યારે તેમના ગુણો ભૂલી દોષોની યાદી ન બનાવવી.

૬. જૂની વ્યવસ્થા બદલવાની જ છે અને નવી વ્યવસ્થા તેનું સ્થાન લેવાની જ છે. એ યાદ રાખી પરિવર્તનની ક્ષણે આત્મ વિશ્વાસને વધુ અડગ બનાવવાની ઉચ્ચ આદર્શો માટે મન અને હૃદયને મજબૂત બનાવી શકાશે.

Tags :