Get The App

માણસ બધું ભૂલે છે, પણ પોતાનું અભિમાન કેમ ભૂલતો નથી?

Updated: Mar 15th, 2022

GS TEAM

Google News
Google News
માણસ બધું ભૂલે છે, પણ પોતાનું અભિમાન કેમ ભૂલતો નથી? 1 - image


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- ખોબો ધૂળનો કૂબો બનાયોને બહુત હુઆ ખુશ બંદા, એક ધણીએ લગાયા ધક્કા, ચૂર-ચૂર ''મકરંદા''

માણસ બધુ ભૂલે છે, પણ પોતાનું અભિમાન કેમ ભૂલતો નથી ?

પ્રશ્નકર્તા : મહેશભાઈ એન. શાહ, ૨ ગુજરાત સોસાયટી, કાંકરીઆ, અમદાવાદ.

અ ભિમાન શબ્દ 'અભિ' એટલે કે 'વિશેષ'. મને એટલે કે માનવું પરથી બનેલો છે. લગભાગ આજ અર્થમાં ગર્વ, ઘમંડ, દર્પ, અહંકાર શબ્દો પણ પ્રયોજવામાં આવે છે.

આ અભિમાન એક અજ્ઞાાન છે, નમ્રતાનું દુશ્મન છે, વેરનું પોષક અને સત્યનું શોષક છે એ વાત પણ આપણે સ્વીકારતા નથી. પ્રશંસા એ અભિમાનનો ખોરાક છે અને નિંદા એની સહનશીલતાનું કવચ છે. એટલે અભિમાનને નર્કનું મૂળ ગણવામાં આવ્યું છે. અભિમાની માણસ પોતાના સિવાય અન્ય સહુને તુચ્છ માને છે એટલે અભિમાની માણસની અપકીર્તિની વૃદ્ધિ અને કીર્તિનો ક્ષય થાય છે. માણસ અભિમાનને વરદાન માને છે પણ હકીકતમાં અભિમાન એ અભિશાપ છે.

'મહાભારત'માં ઉદ્યોગ પર્વમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે વૃધ્ધાવસ્થા રૂપનો, આશા ધૈર્યનો, મૃત્યુ પ્રાણનો, બીજા તરફની દોષદ્રષ્ટિ ધર્માચરણનો, કામ લજ્જાનો, નીચ માણસોની સેવા સદાચારનો નાશ કરે છે, ક્રોધ લક્ષ્મીનો વિનાશ કરે છે. માણસને સાત પ્રકારનું અભિમાન નચાવતું હોય છે : કુળ, ધન, જ્ઞાાન, રૂપ, પરાક્રમ, દાન અને તપ. અભિમાન જાત પ્રત્યેનો વિવેકહીન મોહ છે. એટલે મોહજનક વસ્તુઓ પ્રત્યેનું અભિમાન પણ મિથ્યા છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે, હજાર ઘણું ઝેર હોવા છતાં વાસુકિનાગ અભિમાન કરતો નથી પરંતુ એક ટીપાં જેટલું વિષ હોવા છતાં વીંછી ઊંચી પૂંછડી રાખીને અભિમાનપૂર્વક ચાલે છે. અધૂરો ઘડો છલકાય છે, પૂર્ણ કુંભ નહીં. ઓછું દૂધ આપનારી ગાયો ચંચળ હોય છે, અલ્પવિદ્યા વાળો માણસ મહા અભિમાની હોય છે. ઓછી સુંદરતાવાળો માણસ પોતાની સુંદરતાનો ડોળ કરતો હોય છે.

અભિમાનની બાબતમાં જ્ઞાાની કે અજ્ઞાાની, મૂર્ખ કે પંડિતનો ભેદ પાડી શકાય નહીં. પોતાને જ્ઞાાની માનીને માણસ અહંકારી બને છે. સાચો માણસ મબલખ ધન, પુષ્કળ વિદ્યા કે અખૂટ ઐશ્વર્ય પામ્યા છતાં ગર્વ રહિત આચરણ કરે છે. એટલે તે વંદનીય છે. કબીર ચેતવે છે કે :

''કબીરા ગર્વ ન કીજિયે,

હાલ ગહે કર કેશ,

ન જાનૂં હિત મારિહે,

ક્યા ઘર ક્યા પરદેશ.''

કાળના હાથમાં માણસની ચોટલી છે. લીધેલો શ્વાસ ક્યાં, ક્યારે અને કયા ઠેકાણે અટકી જશે અને જીવનનો અંત લાવશે તેની કોઇનેય ખબર નથી.

''લાખ રાજા ઔર સિકંદર હો ગયે

આજ બોલો હૈ કહાં ખો ગયે ?

આઈ હિચકી મૌત કી ઓર ખો ગયે.

દંભની વ્યાખ્યા આપતાં મહાત્મા ગાંધીજી કહેતા કે દંભ એટલે પોતાનામાં ન હોય તે હોવાનો ડોળ કરવો, દર્પ એટલે પોતાનામાં ઓછું હોય છતાં તેની બડાઈ મારવી અને અભિમાન એટલે પોતાનામાં ગુણ હોય પણ તેનો ફાંકો રાખવો.

અભિમાની માણસ અંદરથી સમજતો હોય છે. અમુક વસ્તુ ખોટી છે, છતાં હઠ, જીત કે અહંકારવશ પોતે તે કબૂલ કરવામાં નાનમ અનુભવે છે એટલે અભિમાન ત્યજી શકતો નથી. અભિમાન એટલે અંદરનો ખાલીપો. અભિમાની પોતાને 'ફાંકડો' માને છે પણ વાસ્તવમાં તે 'રાંકડો' જ હોય છે. મને અભિમાન નથી, એમ માનવું એ પણ એક પ્રકારનું અભિમાન જ છે. બનાવટી સોનામાં અધિક ચળકાટ હોય છે. આત્મપ્રેમને કારણે માણસ પોતાને બિનજરૂરી મહત્વ આપે છે. અભિમાન પોતાના દોષોને ઢાંકવાનું મહોરું છે. જયશંકર પ્રસાદે 'સ્કંદગુપ્ત'માં એટલે જ કહ્યું છે કે ભૂલો પડેલો માણસ પાછો ફરી શકે છે, ખોવાએલું ધન પાછું મળી શકે છે પરંતુ જાણી-જોઇને અભિમાનના ચક્રવ્યૂહમાં પ્રવેશે છે તે જાતે મરે છે અને બીજાને પણ મારે છે. રાવણ, દુર્યોધન, કંસ વગેરે તેનું ઉદાહરણ છે. અભિમાની એમ માને છે કે પોતે તરી રહ્યો છે, પણ વાસ્તવિકરીતે તે ડૂબી રહ્યો હોય છે. માયા ત્યજનાર ઋષિઓ કે સાધકો પણ માનવૃત્તિ એટલે કે અભિમાન ત્યજી શકતા નથી. એ વાત સમજાવતાં કહેવામાં આવ્યું છે કે :

''માયા તજી તો કયા ભયા,

માન તજા નહી જાએ,

જે હિ માને મુનિવર ઠગે,

માન સબન કો ખાય.''

'ત્યાગ' પણ માણસને અભિમાની બનાવે છે. ત્યાગનું અભિમાન ધનના અભિમાન કરતાં પણ ખતરનાક છે. રાજવિદ્યા કેન્દ્રના પ્રાણ સમા પૂ. પ્રેમરાવત એક વિશ્વવંદ્ય વિભૂતિ છે. કાશ્મિરથી કન્યા કુમારી અને આસામથી ગુજરાત સહિત ભારત વર્ષમાં રાજવિદ્યા કેન્દ્ર સક્રિય છે. સેટેલાઇટ પ્રસારણ દ્વારા વિશ્વભરમાં તેઓ પ્રેમ અને સાન્તિનો સંદેશ પાઠવે છે. શ્રી મહેશભાઈ શાહ અને તેમનાં ૬૦૦થી વધુ સાથીઓ અમદાવાદ-ગુજરાતમાં રાજવિદ્યા કેન્દ્રોને સક્રિય રાખે છે. 'સ્વાસ કી તાકત' શાન્તિ સંભવ હૈ પહચાનો સ્વયં કો હિયર યોર સેલ્ફ જેવાં પઠનીય પુસ્તકો શાન્તિ, પ્રેમ, કરુણા અને આત્મદર્શનના સંદેશાથી ભરપૂર છે. 'સ્વાંસ કી તાકત'માં પ્રેમ રાવતજીએ ''અભિમાન બોલતા હૈ'' શીર્ષકથી એક પ્રેરક બોધકથા રજૂ કરી છે. સદનુસાર એક વૈદ્ય હતો. તેને લાગ્યું કે હવે પોતાનો અંતકાળ નજીક આવી રહ્યો છે, એટલે એણે પોતાના જેવાં ત્રણ પૂતળાં બનાવ્યા : આબેહૂબ પોતાના જેવા જ લાગે. જ્યારે તેનો અંતકાળ નજીક આવ્યો ત્યારે તેણે પેલાં ત્રણે પૂતળાંને પોતાની પાસે સૂવાડીને પોતે પણ સુઈ ગયો.

મૃત્યુ આવી પહોંચ્યું. મૃત્યુદેવનો આદેશ હતો કે કોઇ એકને લઇ આવવું, ચારને નહીં. મૃત્યુએ જોયું કે અહીં તો ચાર જણ સૂતેલા છે. આમા અસલી કોણ અને નકલી કોણ ? પણ એવી સરસ રીતે ચારે જણ ગોઠવાએલા છે કે અસલીનો નિર્ણય કરવો મુશ્કેલ છે. મૃત્યુને માણસના સ્વભાવની એક વાત સમજાઈ. મૃત્યુએ કહ્યું '' વેદ્યરાજજી, આપે તો કમાલ કરી નાખી. હું પણ અચંભામાં પડી ગયો. મને સમજાતું નથી કે આપનામાં અસલી કોણ છે અને નકલી કોણ છે. હું તમને ધન્યવાદ પાઠવું છું. પરંતુ તમે એક વાત ભૂલી ગયા.'' વૈદ્ય તો ચૂપચાપ સુતેલો હતો પરંતુ મૃત્યુએ કહ્યું કે ''તમે ધન્યવાદપાત્ર કામ કર્યું છે.'' ત્યારે તે અંદરથી ખુશ થયો કે મેં મૃત્યુને પણ છેતર્યું છે. સુતાં-સુતાં તે અંદરથી ખૂબ જ ગર્વ અનુભવવા લાગ્યો, પણ મૃત્યુએ કહ્યું કે, ''આપ એક વસ્તુ ભૂલી ગયા'' તો એનાથી રહેવાયું નહીં : એ વિચારવા લાગ્યો કે હું તો બહુ મોટો વૈદ્ય છું. હું કેવી રીતે કશું ભૂલી શકું ? મેં તો મૃત્યુને પણ છેતર્યું છે ! હું કશુંક ભૂલી ગયો, તો શું ભૂલી ગયો ?

મૃત્યુએ ફરીથી કહ્યું : ''તમે કમાલનું કામ કર્યું છે, પરંતુ વૈદ્યરાજજી તમે એક વાત ભૂલી ગયા!''

હવે વૈદ્યને ધીરે-ધીરે એના મનમાં ધૂન (ઝનૂન) ઉપડી કે ''હું શું ભૂલી ગયો ?'' પહેલી વાર તો એક ચૂપચાપ પડયો રહ્યો, હાલ્યો-ચાલ્યો નહીં પણ જ્યારે મૃત્યુએ ત્રીજી વાર 

કહ્યું કે ''તમે કામ તો કમાલનું કર્યું છે, પણ એક વાત ભૂલી ગયા !''

ત્યારે વૈદ્યજીથી રહેવાયું નહીં. તેમણે સૂતાં-સૂતાં કહ્યું : ''શું ? હું શું ભૂલી ગયો ?'' કારણ કે વૈદ્યને અભિમાન હતું. એણે ફરી કહ્યું : ''હું શું ભૂલી ગયો ?'' ત્યારે મૃત્યુએ કહ્યું : ''બસ આ જ. આજ વાત તું ભૂલી  ગયો. હવે ચાલ અમારી સાથે.''

વૈદ્યરાજ મૃત્યુ સમયે પણ પોતાનો ગર્વ ત્યજી ન શક્યા. આપણને પોતાના ઉપર પોતાનાં બધાં કાર્યો પર ઘમંડ હોય છે પણ એક વાત ભૂલી જઇએ છીએ કે એક દિવસ આપણે બધું છોડીને જવાનું છે. મનુષ્ય જન્મ વારંવાર મળવાનો નથી !

અભિમાન એ પાપનું મૂળ છે. આ અભિમાન 'ગૃહયુદ્ધ' કરાવે છે, અને 'વિશ્વયુદ્ધ' પણ. અહંકારી કે અભિમાનીને એમ લાગતું હોય છે કે હું નહીં તો જગત કેમ ચાલશે ? કોઇ પણ માણસ સર્વથા અહંકારમુક્ત હોતો નથી. તફાવત માત્ર તેની અભિવ્યક્તિની રીતમાં હોય છે. પ્રો. નટવરલાલ શાહે 'પંચામૃત'માં સ્વ. મકરન્દ દવેની ચાર પંક્તિઓ ટાંકી છે, જે અત્યંત માર્મિક છે.

''ખોબો ધૂળનો કૂબો બનાયો ને

બહુત હુવા ખુશ બંદા,

એક ધણીએ લગાયા ધક્કા,

ચૂર-ચૂર મકરન્દા.''

અભિમાની વ્યક્તિની શાન અને તેની અપકીર્તિ વચ્ચે માત્ર એક કદમનું અંતર  હોય છે. અભિમાની બીજાને મૂર્ખ માને છે અને પોતાને શાણો. એટલે એ પોતાના 'ભ્રમ'માં રાચે છે, ગર્વમાં ડોલે છે અને પોતાને ખોટાં ત્રાજવાથી તોલે છે.

Tags :