ભક્તિ વગર યોગ, જપ, તપ વગેરેથી ચિત્ત શુદ્ધ થતું નથી, ચિત્ત મોહ-માયા મોહથી કેમ મુક્ત થતું નથી ?
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- મનને હજારો ગંગા-યમુનાઓમાં સ્નાન કરાવો છતાં પોતાના મૂળ સ્વભાવને છોડી શકતું નથી, મનઃ શુદ્ધિ માટે અંતઃકરણની શુદ્ધિ, સંયમ, વિવેક અને ઈન્દ્રિયો પરનો કાબૂ જરૂરી છે, મન માણસને ચંચળતાના શસ્ત્રથી ઘાયલ કરી મોહનો વિજય વાવટો ફરકાવે છે
ભક્તિ વગર યોગ, જપ, તપ વગેરેથી ચિત્ત શુદ્ધ થતું નથી, ચિત્ત મોહ-માયા મોહથી કેમ મુક્ત થતું નથી ?
મોંઘીબેન મોહનભાઈ ચુંધવા, ઠક્કરબાપા સોસાયટી, ઝબુબા હાઈસ્કૂલ પાસે, મુ. બરવાળા (ઘેલાશા)
મા ણસ આત્મોધ્ધાર માટે યોગ, જપ, તપ વગેરે સાધનોનો આધાર લે છે. જપ ઈષ્ટદેવનું નામસ્મરણ, રટણ. યોગ એટલે ચિત્ત વૃત્તિનો નિરોધ. યોગનાં આઠ અંગ છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ સાધનનો આધાર લઈ પરમાત્મા સાથે જોડાણ કરવામાં આવ્યું હોય તે પ્રકારનો યોગ બને છે. જેમ કે જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ, લયયોગ, મંત્રયોગ વગેરે. યોગના રાજયોગ અને હઠયોગ એવા બે પ્રકાર પણ વર્ણવવામાં આવ્યા છે. તપ એટલે તપવું, પોતાના દોષોને ભષ્મીભૂત કરવાની પ્રવૃત્તિ. ઉપનિષદો કહે છે મનનું સત્ય સંકલ્પ છે, સત્ય તપ છે, શાસ્ત્ર શ્રવણ તપ છે. શાન્તિ તપ છે, દાન તપ છે. આચાર્ય મહાબાહુ તપનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે જેમ જળ વગેરે પદાર્થોથી મેલું વસ્ત્ર ધોવાઈને સ્વચ્છ બને છે, શુદ્ધ બને છે, તેવી રીતે આધ્યાત્મિક તપ સાધના દ્વારા આત્મા જ્ઞાનાવરણ વગેરે આઠ પ્રકારનાં કર્મોથી મનનો મેલ મુક્ત થઈ જાય છે. તપનું આચરણ સરળ નથી, તલવારની ધાર પર ચાલવા જેવું છે.
તપને બ્રહ્મતુલ્ય માનવામાં આવ્યું છે, સાધક જન્મજન્માંતરનાં એકઠાં થયેલા કર્મોનો નષ્ટ કરનાર અગ્નિ છે. મનની પ્રસન્નતા, શાન્તભાવ, સઘળાં કષ્ટો સહી લેવાની વૃત્તિ અને ધૈર્ય ઈષ્ટદેવનું ચિંતન કરવાની મનોવૃત્તિ, અંતઃકરણના ભાવોની સુપેરે પવિત્રતા એ બધાંનો તપમાં સમાવેશ થાય છે. ભગવાન કૃષ્ણ કહે છે કે જે તપ, સત્કાર, માન, પૂજા માટે અથવા પાખંડ માટે કરવામાં આવે છે એવું તપ અનિશ્ચિત અને ક્ષણિક ફળ રાજસ તપ ગણાય છે. જયદયાલ ગોયન્દકાએ સ્વાનુભવ પર આધારિત નિવેદન કરતાં કહ્યું છે કે શાસ્ત્રોનું અવકોલન અને મહાપુરુષોનાં વચનો સાંભળી હું એ નિર્ણય પર આવ્યો છું કે શ્રીમદ્ ભગવદ્ગીતાની તોલે આવે એવો કોઈ પણ ઉપયોગી ગ્રંથ નથી. ગીતામાં ધ્યાનયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ વગેરે જેટલાં સાધનો જણાવવામાં આવ્યાં છે એમાંથી કોઈપણ સાધન શ્રદ્ધા, રુચિ અને યોગ્યતા અનુસાર કરવાથી મનુષ્યનું શીઘ્ર કલ્યાણ થઈ શકે છે.
ભક્તિ એટલે પોતાના સ્વરૂપનું અથવા ઈષ્ટદેવનું ધ્યાન કે જોડાણ. પોતાના ઈષ્ટદેવ ઉપર અને વાસ્તવિક સ્વરૂપ પર પ્રીતિ એ જ ભક્તિ. ભગવાન એટલે કોણ ? 'ભગ' એટલે ઐશ્વર્ય અને વાન એટલે વાળો. જેનામાં છ ઐશ્વર્ય હોય તે ભગવાન. ૧. સમગ્ર વૈભવ, ૨. સમગ્ર વીર્ય (શક્તિ, બળ), ૩. સમગ્ર યશ ૪. સમગ્ર શ્રી ૫. સમગ્ર જ્ઞાન ૬. વૈરાગ્ય
ભક્ત ભગવાનના આ ગુણોને વંદન-પૂજન કરી પોતાનો ભક્તિભાવ વ્યક્ત કરે છે.
ઈષ્ટદેવ કે ભગવાનની ભક્તિ કરે તે ભક્ત. ભક્તોના ચાર પ્રકાર વર્ણવવામાં આવ્યા છે. ૧. આર્ત એટલે કે અધ્યાત્મ આદિ દુઃખોથી વ્યાકુળ ૨. જિજ્ઞાસુ એટલે કે પરમ તત્વને જાણવાની ઈચ્છાવાળો ૩. અર્થાથી એટલે કે આ લોક અને પરલોકના ભોગની ઈચ્છાવાળો ૪. જ્ઞાની મતલબ કે જીવન મુક્ત. ભક્તો જુદાં-જુદાં કારણોસર ભગવાનની ભક્તિ કરે છે તેમાં મુક્તિ કે મોક્ષ પ્રાપ્તિ અગ્રિમતા ધરાવે છે. વિવિધ દુઃખોની નિવૃત્તિ અને પરમાત્મા પ્રાપ્તિની ઈચ્છા ધરાવનારને 'મુમુક્ષુ' કહેવામાં આવે છે.
'ભક્તિયોગ'માં રસ ધરાવનારે શ્રીમદ્ ભગવદગીતામાં બારમા અધ્યાયનું-અધ્યયન કરવું જોઈએ. તે ભક્તિયોગપ્રધાન છે. અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે: કેટલાક લોકો સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્ત નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે એ બન્ને પ્રકારના ઉપાસકોમાં વધુ ચઢિયાતા યોગવેત્તા કોણ ?
જવાબમાં ભગવાન કૃષ્ણ કહે છે મારામાં મનને પરોવીને મારા ધ્યાન-ભજનમાં નિરંતર રચ્યા-પચ્યા રહેનારા જે ભક્તજનો અત્યંત અડગ શ્રદ્ધાભાવથી યુક્ત થઈ મુજ સગુણુ સ્વરૂપ પરમાત્માને ભજે છે તેઓ મને યોગીઓમાં વધુ ચઢિયાતા યોગીરૂપે માન્ય છે. નિરાકારની સાધના દુષ્કર છે પણ માસમાં ચિત્ત પરોવનાર એ પ્રેમી ભક્તનોતો હે પાર્થ હું સત્વરે મૃત્યુરૂપી સંસાર-સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું એ માટે કર્મફળ ત્યાગ જરૂરી છે. મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતાં જ્ઞાન ચઢિયાતું છે. જ્ઞાન કરતાં મુજ પરમેશ્વરનું ધ્યાન ચઢિયાતું છે અને ધ્યાન કરતાં સર્વ કર્મોના ફળનો ત્યાગ ચઢિયાતો છે.
ભગવાનને કેવો ભક્ત પ્રિય છે એની સ્પષ્ટતા શ્રીમદ્ ભગવદ્ગીતાના ૧૨માં અધ્યાયમાં કરવામાં આવી છે. શ્રીકૃષ્ણ કહે છે સર્વ પ્રાણીઓમાં દ્વેષભાવ વિનાનો, વિના સ્વાર્થે સૌને ચાહનારો, કોઈપણ હેતુ વગર દયાભાવ રાખનારો, મમત્વ વગરનો, અહંકાર વિનાનો સુખ-દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે, તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે, મન-ઈન્દ્રિયો સહિત શરીરને નિશ્ચયવાળો- મારામાં મન-બુદ્ધિ અર્પણ કરનાર ભક્ત મને પ્રિય છે. ઉપરાંત કોઈ જીવ ઉદ્વેગ નથી પામતો તથા જે હર્ષ, અમર્ષ (બીજાની ઉન્નતિ જોઈને સંતાપ થવો) ભય અને ઉદ્વેગ આદિથી રહિત છે એ ભક્ત મને પ્રિય છે. શત્રુ કે મિત્રમાં માન કે અપમાનમાં સમ રહે છે, ગરમી, ઠંડી અને સુખ દુઃખ આદિ દ્વંદ્વોમાં સમાન રહે છે અને આસક્તિ વિનાનો છે, જે નિંદા, પ્રશંસાને સમાન સમજનાર, મનનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતાં સદા સંતુષ્ટ છે તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માણસ મને પ્રિય છે. પરંતુ જે શ્રદ્ધાળુ માણસો મારે પરાયણ થઈને ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમભાવે સેવે છે એ ભક્તો મને સૌથી પ્રિય છે.
મનુષ્યને ધર્મકાર્યો કે ઉપાસના-ભક્તિમાં કોઈ બાધક તત્વ હોય તો મન છે. મન એટલે અંતઃકરણની સંકલ્પ-વિકલ્પ કરવાની વૃત્તિ. મન ચંચળ છે અને માણસમાં જાત જાતના ભાવો-દુભાવો ઉત્પન્ન કરે છે. ધરતી પર જન્મ ધારણ કર્યા પછી માણસ પોતાના મૂળ સ્વરૂપને ભૂલી જાય છે. આવરણ અને વિક્ષેપ એ માયાની શક્તિઓ છે. માયા મનુષ્યોને ઈન્દ્રિય સુખો માટે લલચાવે છે મનના સંકલ્પ-વિકલ્પો તેને તૃષ્ણાઓનો આશિક અને ગુલાબ બનાવે છે. તૃષ્ણાઓ જાતજાતની આસક્તિઓ જન્માવે છે પરિણામે મનોવિકારો જન્મે છે અને મન ખેંચીને જ્યાં લઈ જાય ત્યાં જાય છે. મનુષ્યનો સ્વભાવ પૂર્વજન્મના સંસ્કારોની અસરથી મુક્ત થઈ શકતો નથી. આ ઉપરાંત વર્તમાન જન્મની અનેક કુપ્રવૃત્તિઓનો પ્રભાવ તેના પર પડે છે. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મત્સર જેવા દુર્ગુણો પર વિજય મેળવવા જે પ્રબળ મનોબળ, સંકલ્પ શક્તિ, સંયમ શક્તિ અને ત્યાગ-વૈરાગ્યની આવશ્યક્તા છે તેમાં સાંસારિક આકર્ષણોને સર્વસ્વ માનનાર માણસ તેને જ સાચું સુખ માને છે.
માયાને એટલે જ ઠગિની કહેવામાં આવી છે. વર્ષોના જપ, તપ, સાધના, ઉપાસના કર્યા છતાં મનુષ્ય એક ક્ષણમાં માયાની જાળમાં ફસાઈ વિવેક વિસરી જાય છે અને ઋષિ વિશ્વામિત્રની જેમ મેનકાના મોહમાં ફસાય છે.
શ્રીમદ્ ભગવદ્ગીતાના ચૌદમા (૧૪) અધ્યાયમાં સત્વ, સજસ્ અને તમસ એમ ત્રણે ગુણો અવિનાશી જીવાત્માને બાંધે છે. આ ત્રણે ગુણોમાં સત્વગુણ નિર્બળ હોવાને કારણે તેજ પ્રગટાવનાર અને વિકાર વિનાનો છે. જ્યારે રાગ સ્વરૂપના રજોગુણ આસક્તિ તથા લાલસામાંથી ઉદ્ભવે છે. જ્યારે દેહાભિમાનીઓને મોહિત કરનાર તમોગુણ અજ્ઞાનમાંથી જન્મે છે. જે વખતે દેહમાં તથા અંતઃકરણ અને ઈન્દ્રિયોમાં ચેતનના અને વિવેકશક્તિ સત્વગુણમાંથી જ્ઞાન જન્મે છે અને રજોગુણમાંથી નિઃશંકપણે લોભ અને તમોગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે છે. માણસો દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ- એમ બે પ્રકારની સંપત્તિઓવાળા છે. ક્ષમા, ધૈર્ય, બાહ્યશુદ્ધિ, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો, પોતાના પ્રત્યે પૂજ્યતાનું અભિમાન ન હોવું - આ સઘળાં દૈવી સંપદાને લઈને જન્મેલા માણસનાં લક્ષણો છે, જ્યારે દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન - આ સઘળાં લક્ષણો આસુરી સંપત્તિને લઈને જન્મેલા હતા. રાવણ, કંસ, દુર્યોધન, શકુનિ વગેરે આસુરી સંપત્તિ લઈને જન્મેલાં હતાં જ્યારે પ્રહલાદ, ધુ્રવ, નચિકેતા, મીરાંબાઈ, નરસિંહ મહેતા જેવા દૈવી સંપત્તિ લઈને જન્મેલા ભક્તજનો હતા. મનની એકાગ્રતા, અનાસક્તિ, સંયમ, વિવેક અને વૈરાગ્ય એ મન પર વિજયનાં સાધનો છે એના અભાવે મન માયામુક્ત કે મોહમુક્ત થઈ શકતું નથી. કાશી નિવાસી વ્યાઘ્ર તુલાધાર, માતા-પિતાની સેવા કરીને જ્ઞાની બની ગયો હતો. એટલે કર્મની કુશળતા, કર્મમાં પવિત્રતા અને નિષ્ઠા જ સાચી ભક્તિ છે.
મોહ એટલે સત્ય-અસત્ય, આત્મા-અનાત્માના સ્વરૂપનો વિવેક ન હોવો તે. કર્તા-ભોક્તા રૂપ બુદ્ધિ અજ્ઞાન અથવા ભ્રાન્તિ.
મનને હજારો ગંગા-જનનાઓમાં સ્નાન કરાવવામાં આવે છતાં પોતાના મૂળ સ્વભાવને છોડી શકતું નથી. મનઃશુદ્ધિ માટે અંતઃકરણની શુદ્ધિ, સંયમ, વિવેક અને ઈન્દ્રિયો પરનો વિજય જરૂરી છે. મન માણસને ચંચળતાના પ્રબળ શસ્ત્ર વડે ઘાયલ કરી મોહનો વિજય વાવટો ફરકાવે છે. મન મારણહાર પણ છે અને તારણહાર પણ.