શું ભગવાન જ માણસને પીડાઓ આપે છે?
- ગુફતેગો - ડો.ચંદ્રકાન્ત મહેતા
- માણસને જીવન પીડાદાયક લાગે, તેનાં છ કારણો કયાં? જીવનમાં બધું જ પૂર્વ નિર્મિત હોય છે. પરમાત્મા તો તમારાં કર્મોનો દ્રષ્ટા બને છે
ઇશ્વરની ઇચ્છા વગર પાંદડું પણ હલી શક્તું નથી તો કર્મના ફળ રૂપે ભગવાન શા માટે માણસને પીડાઓ આપે છે?
* પ્રશ્નકર્તા ઃ સુભાષભાઈ બોસમીઆ, ૪૦૧૬ વૃંદાવન સોસાયટી, ભરતનગર, ભાવનગર (સૌરાષ્ટ્ર)
માણસમાં ભગવાન બે સ્વરૂપે રહેલો છે. એક જીવાત્મા રૂપે અને બીજો પરમાત્મા રૂપે. જીવાત્મા કર્મફળથી બંધાએલો છે. જ્યારે પરમ ચૈતન્યશક્તિ દ્રષ્ટા રૂપે બધું જુએ છે પણ માણસના કર્મોમાં ભાગ લેતી નથી. ઇશ્વર માણસને જે ફળ આપે છે તે તેના કર્મોને અધીન જ હોય છે. કર્મોના ત્રણ પ્રકાર છે ઃ
૧. ક્રિયમાણ કર્મ
૨. અંચિત કર્મ
૩. પ્રારબ્ધ કર્મ
માણસનું જીવન ક્યારેય કર્મવગરનું હોતું નથી. જિંદગીભર માણસ કર્મો કરતો રહે છે. એ કર્મો સત્કર્મ પણ હોઈ શકે અને દુષ્કર્મ પણ. માણસ પરલોક પ્રયાણ કરે છે ત્યારે ચૈતન્યશક્તિ તેનાથી અલગ થઇ જાય છે. જીવાત્મા તેની સાથે નવજીવનમાં પણ નિર્ણાયક બને છે.
જીવન વેદનાકારક છે જ નહીં. આપણી વિવેકશક્તિ, ખોટા નિર્ણયને રોકવાની બિન આવડત, ધૈર્યનો અભાવ અને સંયમહીનતા વેદનાઓને નોંતરે છે. જીવનને વેદનાકારક બનાવનાર તત્ત્વો ક્યાં ? અહીં એક પ્રસંગ નોંધવા જેવો છે. એક શ્રદ્ધાળુ સંતને કહે છે ઃ મહારાજ મેં ઘણાં યજ્ઞાો કર્યા પણ મારું અંતઃકરણ શુધ્ધ થયું નથી. મને લાગે છે કે મારી પત્ની સાથે મારો તાલમેલ નથી. અમે આખો દિવસ એકબીજા સાથે ઝઘડતા જ હોઇએ છીએ. શ્રદ્ધાથી યજ્ઞા કર્યો પણ ફળ દૂર રહ્યું. આખરે જીવન છે શું ? યજ્ઞા છે, ઉત્સવ છે, કલા છે કે બલા ?
સંતે એ માણસને ગાડે જોડાયેલા બે બળદનું ચિત્ર બતાવ્યું. બન્નેના ચહેરા પર ઉશ્કેરાટ હતો. એમાંનો એક બળદ માનતો હતો કે એનો સાથી બળદ નકામો છે. પોતે એકલાએ જ ભાર ખેંચવો પડે છે. 'બોલો, આ ચિત્રનો શો અર્થ કરશો તમે ?' ચિત્રની નીચે લખવામાં આવ્યું હતું.
પેલો માણસ એ ચિત્રનું અર્થઘટન ન કરી શક્યો. એટલે સંતે કહ્યું ઃ 'આ દ્રષ્ટાંતમાં આગળ વર્ણવવામાં આવ્યું છે કે બન્ને બળદ એક બીજા સાથે ઝગડતા રહેતા હતા. એ પૈકી એક બળદનું અવસાન થયું. એટલે બાકીનો એક બળદ એકલો પડી ગયો. પેલા મરેલા બળદને યાદ કરીને તે પશ્ચાતાપ કરતો હતો. મનોમન વિચારતો હતો કે મારી એ ભૂલ હતી કે મારો સાથી જીવિત હતો ત્યારે મેં શા માટે વાંધાવચકા પાડયા ?'
પેલા મૃત બળદની જગાએ ખેડૂતે નવો બળદ ખરીદ્યો. પરંતુ પહેલાના બળદે પેલા મૃત બળદની સાથે પૂર્વવત્ ઝઘડવાનું શરૂ કરી દીધું.
એક રાત્રે પેલા જૂના બળદના મનમાં વિચાર આવ્યો કે જૂના સાથી બળદ સાથે લડવાનો સંબંધ રાખવાને બદલે લાગણીનો સંબંધ રાખ્યો હોત તો અમે બન્ને સુખી થાત.
બળદની ગમાણ પાસે જ ગધેડાં બાંધવાનો વાડો હતો. એમાં એક ડાહ્યો ગધેડો રહેતો હતો. પેલા બળદે મનની મુંઝવણ તેને કહી સંભળાવી. વૃધ્ધ ગધેડાએ કહ્યું ઃ હૃદયની ઉદારતા કેળવવા માટે એટલું યાદ રાખો કે તમારે પણ એક દિવસ મરવાનું છે. મરણ ક્યારે આવશે કોને ખબર ? બસ સહનશક્તિ અને સંયમ કેળવવાથી મન શાન્ત થશે.
જીવનને સુખી બનાવવા માટે કોઈ મંત્ર-તંત્ર કે ક્રિયાકાંડની જરૂર જ નથી. જીવન પોતે જ યજ્ઞા છે. યજ્ઞા એટલે યજન કરવું, હોમવું, સ્વાહા કરવું. માણસ જીવનને પણ યજ્ઞા માને. એણે પરમાત્માને પુરોહિત પદે સ્થાપિત કરી તેની કૃપાના યાચક બની તેના સુપુત્ર તરીકે જીવો એ જ જરૂરી છે.
ઇશ્વર તમારા કર્મોમાં દખલ કરતો નથી. એની ઇચ્છા વગર પાંદડું પણ હલી શક્તું નથી પણ એનો અર્થ એ નથી કે આપણે જિંદગીનો બધો ભાર ઇશ્વર પર નાખી દઇએ. ઇશ્વર વિશ્વનાં કેટલાં બધાં કામો કરે છે છતાં તે ગણી બતાવવાની વૃત્તિ રાખતો નથી. એમ આપણે પણ આપણા કર્મો માટે જવાબદાર છીએ, ઇશ્વર નહીં, એવી દ્રષ્ટિ કેળવીએ તો આપણાં દુઃખો શમી જાય. ઇશ્વરનું કામ પીડા આપવાનું છે જ નહીં. પીડાઓ તો શરીરનો ધર્મ છે.
'દેહ ધરે કા રોગ હૈ,
સબ કાહુકો હોય,
જ્ઞાાની ભુગતે જ્ઞાાનસે
મૂરખ ભુગતે રોય'
માણસ કર્મફળથી મુક્ત રહી શકવાનો નથી. એ સજાગતા સાથે જીવે તો ઇશ્વરને વચ્ચે લાવ્યા સિવાય પોતાનાં કર્મો માટે પોતાને જ જવાબદાર માને. કર્મનો સિધ્ધાંત માણસને કાયર બનાવવા માટે નથી. એક માણસ કાર ચલાવતો હોય અને બીજો માણસ પેડલ રીક્ષા, તો પેડલ રીક્ષા ચલાવનારને એમ કહેવું કે તારાં ગત જન્મનાં પાપોનું ફળ તું ભોગવી રહ્યો છે તે સરાસર અન્યાય છે. માણસનાં સુખ-દુઃખો પારિવારિક, સામાજિક, આર્થિક રાજકીય વગેરે અનેક પરિબળો પર અવલંબે છે એને માટે ઇશ્વર પર દોષારોપણ કરવું એ ઇશ્વર સાથેનો અન્યાય છે. બધું જ પૂર્વ નિયત છે. નરસિંહ મહેતાના શબ્દોમાં
કહીએ તો ઃ
જેહના ભાગ્યમાં
જે સમે જે લખ્યું
તેહને તે સમે
તે જ પહોંચે.
એટલે આપણો ચિંતવ્યો અર્થ સરવાનો નથી એમ માની 'આવવું હોય તેને આવવા દો, મૂલવશું નિર્ધાર'ની ખુમારી દાખવવી જોઇએ. જીવન જીવવું એ પણ એક કળા છે. માણસને જીવન કેમ પીડાદાયક લાગે છે ?
૧. આપણે ઇચ્છતા હોઇએ છીએ બધું અણગમતું બદલાઈ જાય.
૨. આપણે માગીએ તેટલું મળવાથી સંતુષ્ટ રહેવાને બદલે વધુને વધુ માગવાની અપેક્ષાઓ.
૩. વાસનાઓની સતત અભિવૃધ્ધિ કરવાની આદત.
૪. શું મેળવ્યું ને શું ગુમાવ્યું એની ચિંતામાં રહેવાનું મનોવલણ.
૫. સમજણનો અભાવ. જાતને નહીં બદલવાની વૃત્તિ.
૬. ઇશ્વર પર અશ્રધ્ધા
ઇશ્વર દુઃખ આપતો જ નથી એવી મનોવૃત્તિ જ માણસને સુખી બનાવી શકે.