બાળક ઈશ્વરનું રૂપ છે, એમ કહેવામાં આવે છે, પરંતુ મનુષ્ય ઈશ્વરનું રૂપ છે, એમ કેમ કહેવામાં આવતું નથી?
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- ''તારું હૃદય ખુલ્લું કર, તારી ઈચ્છાઓને વિશાળ કર, અને મહાનતાના સુખને અંદર પ્રવેશવા દે. શૂન્યથી ઈશ્વર સુધીના વિચારોનો જે અમર્યાદ સમૂહ છે, તેને હૃદયમાં દાખલ કર. આથી જ તું ખરો મનુષ્ય બની શકીશ.''
* બાળક ઈશ્વરનું રૂપ છે, એમ કહેવામાં આવે છે, પરંતુ મનુષ્ય ઈશ્વરનું રૂપ છે, એમ કેમ કહેવામાં આવતું નથી ?
* પ્રશ્નકર્તા : રાજાભાઈ રામજીભાઈ પડાયા, પંકજ સ્ટેશનરી, મોદી હાઈસ્કૂલ પાસે, મુ. સાવરકુંડલા (સૌરાષ્ટ્ર)
બા ળક એટલે ઈશ્વરનો તાજો ફોટોગ્રાફ. ભગવાનને પણ 'ભગવાન' કેમ માનવામાં આવે છે ? કારણ કે એ 'ભાગ્યવાન' છે. ક્યા અર્થમાં ? કારણ કે એ નિર્દોષ છે, બિનપક્ષપાતી છે, એનામાં ઈર્ષ્યા-દ્વેષ નથી. એનામાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે અને હિંસા પ્રિયતા કે વેરવૃત્તિ નથી ! ભગવાન બાળકને પોતાનો પ્રતિનિધિ બનાવી આ દુનિયામાં મોકલે છે કે આ મારી થાપણ છે, એને જાળવજો, જીરવજો પણ કૃપા કરી એને તમારા જેવો ન બનાવશો. એનામાં છલ-કપટ નથી, એનું શિક્ષણ તમે આપશો નહીં. એને જૂઠ્ઠું બોલતાં આવડતું નથી એટલે એ અસત્ય ન શીખવશો.
બચપણ કેવું મજાનું ! આગવી મસ્તી, આગવો મિજાજ ! મન મૂકીને હસવાનો અધિકાર, મન મૂકીને રડવાનો અધિકાર, કિલકારી કરવાનો અધિકાર, ખુશ રહેવાનો અને ખુશીનો સંદેશ બીજાને આપવાનો અધિકાર ! બાળપણ એટલે પ્રેમ, બાળપણ એટલે વિશ્વાસ. ચક્રવર્તી રાજગોપલાચારીએ બાળકમાં શ્રદ્ધા વ્યક્ત કરતાં કેવી સરસ વાત કરી છે ! ''બાળક એ ચમકતા એવા તારલાઓ છે, જે ભગવાનના હાથમાંથી ધરતી પર પડયા છે !''
બાળકમાં પોતાનાં કાર્યોમાં અખૂટ શ્રધ્ધા હોય છે એટલે પોતાની કાગળની હોડી પાણીમાં તરાવતાં એને સંકોચ થતો નથી. એને જીવનમાં શ્રધ્ધા છે, મોતમાં નહીં. રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં ''પ્રત્યેક બાળક એ સંદેશો લઈને દુનિયામાં આવે છે કે ઈશ્વર હજી મનુષ્યોથી નિરાશ થયો નથી ! ઈશ્વર પણ કહે છે કે મને મળવું હોય તો બાળક બનીને આવો. બાળકમાં મોટા ભાગે સાત્વિક ગુણોની અધિકતા હોય છે. સાત્વિકતા એ પરમેશ્વરના દેશમાં પ્રવેશવાનો વીઝા છે. બુદ્ધિ નહીં પણ હૃદય શુદ્ધિ પરમાત્માને ખપે છે. બાળકનું અંત:કરણ પવિત્ર છે એટલે જ એને બ્રહ્મ સ્વરૂપ કે ભગવાન સ્વરૂપ માનવામાં આવે છે.''
બાળકનું ઘડતર પરિવાર, શિક્ષણ, સમાજ અને દુનિયાના વાતાવરણમાં થાય છે. મા-બાપ માને છે કે મારો પુત્ર કે પુત્રી જલ્દી મોટાં થાય અને દુનિયાદારી શીખે. આવી સંકુચિત વૃત્તિથી બાળકનું બાળકત્વ છીનવાય છે. હજી કક્કો કે એ.બી.સી.ડી. શું છે એની એને કલ્પના પણ નહીં હોય ત્યારથી એની નિર્દોષતા છીનવીને પ્લેગૂ્રપ શિશુગૃહ જેવા રૂપાળા શબ્દોવાળી સંસ્થાઓમાં એને ધકેલી દેવામાં આવે છે. જેમ-જેમ બાળક મોટું થાય તેમ-તેમ શિક્ષણના નામે એની સ્વતંત્રતા છીનવાતી જાય છે. એને પોતાની રીતે રમવું છે, પણ રમવાની છૂટ નહીં !
આપણે આદર્શ માતા-પિતા બની શકતાં નથી, પણ બાળકને આદર્શ બનાવવાના કોડ સેવીએ છીએ. ઘરના વાતાવરણમાં જેટલી સંવાદિતા, પવિત્રતા, પ્રેમ અને લાગણીનું વાતાવરણ હશે તેટલા જ અંશે બાળકના મન અને હૃદયની પવિત્રતા હશે. માણસ જેમ-જેમ મોટો થતો જાય છે તેમ તેમ વય વધવાની સાથે કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર, આસક્તિ, સ્વાર્થપ્રિયતા અને મહત્ત્વાકાંક્ષાઓ વધતી જાય છે. એનામાં અર્થલોભ અને સ્વાર્થવૃત્તિ વધતી જાય છે પરિણામે નિર્દોષતા, નિર્મળતા, સદાચાર, નિસ્વાર્થતા ઘટતાં જાય છે. ઈશ્વરીય ગુણોની અલ્પતા અને સાંસારિક બાબતોની અધિકતા વધતી જાય છે ! પરિણામે મનુષ્ય જીવનની દુર્લભતા સમજવાને બદલે ભોગ-વિલાસ, વૈભવ અને પાર્થિવ સુખોને વધારે ચાહે છે. એનામાં અહંકાર જન્મે છે. દુર્વૃત્તિઓ વકરવા માંડે છે.
મનુષ્ય દેવ અને દાનવ બન્ને બની શકે છે. એટલે જ કહેવાય છે કે દાનત્વને દાબીને દેવત્વની પ્રતિષ્ઠા કરવી એ માનવજીવનનું પરમ લક્ષ્ય છે.
માણસ આત્મદર્શન કરવાને બદલે બીજામાં રહેલા દોષો, અવગુણો, દાનવત્વ વગેરે જુએ છે પરિણામે એના પ્રત્યે અવિશ્વાસ સેવે છે. માણસમાં દેવત્વનું દર્શન કરવું હોય ત્યારે માણસે પોતાની દ્રષ્ટિમાં પણ દેવત્વ વિકસાવવું પડે. સંતો મનુષ્ય માત્રમાં, પ્રાણી માત્રમાં દેવત્વનું દર્શન કરે છે. એટલે પાપી પ્રત્યે પણ નફરત દાખવવાને બદલે ક્ષમાવૃત્તિ દાખવે છે. સંતોને મન મનુષ્ય એટલે મૂળ સ્વરૂપ ભૂલી ગએલો ઈશ્વર છે. એનામાં ઈશ્વરોપમ ગુણો વિકસે તો વળી પાછો દેવત્વની દિશામાં આગળ વધી શકે !
માણસ બીજાને બાળક જેવો નિર્દોષ જોવા ઈચ્છે છે, પણ પોતાનામાં બાળક જેવી નિર્દોષતા હેમખેમ રાખવી નથી. એટલે એની ભ્રમિત, દ્વેષયુક્ત અને અહંકાર વૃત્તિ એને શુદ્ધ રહેવા દેતી નથી. માણસ ઈશ્વરનું રૂપ છે, એમ માનવા માટે કે માણસમાં ઈશ્વરનું દર્શન કરવા માટે બુદ્ધિનાં કાટલાં ન ચાલે. ભાવનાનો માપદંડ ચાલે. માણસ મનુષ્યોમાં રહેલી શોષણવૃત્તિ, ઈર્ષ્યાવૃત્તિ, હિંસાવૃત્તિ, મન-વચન અને કર્મમાં રહેલી નીચતા જુએ છે એટલે એનામાં રહેલા દુર્ગુણોને જ મહત્વ આપે છે.
રવિશંકર મહારાજ જેવા નિર્મળ દ્રષ્ટિ ધરાવતા સંતો બહારવટીઓમાં પણ માનવત્વનું દર્શન કરી એને સદાચારને માર્ગે લાવવાની કોશિશ કરે છે. રજોગુણ અને તમોગુણને કારણે માણસની વિવેકશક્તિ દબાઈ જાય છે અને દાનવી શક્તિને મોકળું મેદાન મળે છે. સ્વામી વિવેકાનંદ માનવમાં દેવત્વનું દર્શન કરવાનો સંદેશ આપતાં કહે છે કે એમ ન કહો કે મનુષ્ય તું પાપી છે. એને એ વાતનું ભાન કરાઓ કે તું બ્રહ્મ છે. જો કોઈ શેતાન હોય તો આપણું કર્તવ્ય એ છે કે આપણે તેને બ્રહ્મનું સ્મરણ કરાવીએ, શેતાનનું નહીં. પોતાના જીવનનો આદર્શ અભિવ્યક્ત કરતાં સ્વામી વિવેકાનંદ ઉમેરે છે ! મારો આદર્શ થોડાક શબ્દોમાં કહી શકાય છે, અને તે એ છે કે મનુષ્ય જાતિને તેના દિવ્ય સ્વરૂપનો ઉપદેશ આપવો અને જીવનના પ્રત્યેક ક્ષેત્રમેં એ દિવ્યત્વ અભિવ્યક્ત કરવાનો ઉપાય ચીંધવો.
માણસ અજ્ઞાાનને કારણે પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી ગયો છે એટલે તે નથી પોતાને યોગ્ય રીતે સમજી શકતો કે નથી બીજાનું યોગ્ય મૂલ્યાંકન કરી શકતો. મનુષ્ય જ્યાં સુધી પોતાના મનને 'ભગવદીય' મન, શુદ્ધ મન, પરમાત્મામય મન નહીં બનાવે ત્યાં સુધી બીજા માણસમાં ઈશ્વરનું દર્શન કરવાની વૃત્તિ નહીં પ્રગટે. બાળકને ઈશ્વર સ્વરૂપ એટલા માટે જ માનવામાં આવે છે કે બાળપણ સુધી એનામાં અધિકાંશત: ઈશ્વરદત્ત મહાન ગુણો સલામત છે. શ્રી અરવિંદ એટલે જ કહેતા કે સ્વભાવમાં શક્તિ, મનમાં બુદ્ધિ અને હૃદયમાં પ્રેમ આ ત્રણ ગુણો જ માણસમાં ભવ્ય માનવતાનું નિર્માણ કરી શકે.
માણસ કેવળ દેહધારી રહે અને પોતાનામાં ઈન્સાનિયતના મહાન ગુણો પ્રગટાવવાની કોશિશ ન કરે તો તેનામાં શુદ્ધ દ્રષ્ટિનો આવિર્ભાવ થતો નથી. મમત્વ ઘટે તો જ સમત્વ વિકસે અને 'ઘટ ઘટમાં રમતા ઈશ્વર'નાં દર્શન એ મનુષ્યમાં કરી શકે. પશુત્વથી મનુષ્ય જેટલા અંશે મુક્ત રહી શકે, તેટલા અંશે તેનામાં દૈવી ગુણો પ્રગટે. બાળકની નિર્દોષતા જો સમાજ હેમખેમ રાખી તેને સ્વાર્થી દુનિયાદારીમાં વ્યસ્ત મનુષ્ય ન બનાવી દે તો જ માણસ પવિત્ર રહી શકે. મનુષ્ય મનોમન વિચારે છે કે હું સારો નથી તો તું પણ ક્યાંથી સારો હોઈ શકે.
બીજાને સારા નહીં માનવાની વૃત્તિને કારણે જ માણસ બીજામાં ઈશ્વર જોતો નથી. મનુષ્ય સ્વભાવમાં રહેલી પારાવાર ક્ષતિઓ, મર્યાદાઓ અને અપવિત્રતાને કારણે જ એને ઈશ્વરનું રૂપ ગણતો નથી ! ખરો મનુષ્ય જ બીજામાં ઈશ્વરનું દર્શન કરી શકે. યંગ નામના ચિંતકના શબ્દોમાં કહીએ તો : ''તારું હૃદય ખુલ્લું કર, તારી ઈચ્છાઓને વિશાળ કર અને મહાનતાના સુખને અંદર પ્રવેશવા દે. શૂન્યથી ઈશ્વર સુધીના વિચારોનો જે અમર્યાદ સમુહ છે, તેને તારા હૃદયમાં દાખલ કર. આથી જ તું ખરો મનુષ્ય બની શકીશ.''