Get The App

કોણ મહાન ગણાય? માતા કે પિતા?

Updated: Sep 6th, 2022

GS TEAM


Google News
Google News
કોણ મહાન ગણાય? માતા કે પિતા? 1 - image


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- જેમ મૂર્તિ પથ્થર નથી, પણ પથ્થરમાં વિરાજિત પરમાત્મા છે, તેમ હાડમાંસ નિર્મિત માતા-પિતાની કાયા પણ શરીરમાં વિરાજિત પરમાત્મા છે. 'આ દુનિયામાં ઈશ્વરરૂપે, સઘળે ફરતી માતા પુત્ર-પુત્રીના જીવન કેરા પિતા ભાગ્ય વિધાતા'

કોણ મહાન ગણાય ? માતા કે પિતા

પ્રશ્નકર્તા: જીવણભાઈ હરિભાઈ ચાવડા, ૩૧ ધાભરનગર સોસાયટી, સિવિલ કેમ્પ રોડ, શાહીબાગ, અમદાવાદ-૪.

સાં સારિક જિંદગી આખરે શું છે ? માનવ-સબંધો અને ઉપકારક-અપકારક વ્યક્તિઓના વર્તનનો સરવાળો. માણસની જિંદગી મહાન છે અને ધરતી પર માણસને જીવવાનો મોકો આપનાર માતા-પિતા ને એટલે જ દેવોપમ ઉપમા આપી છે. પુનિત મહારાજનું ''ભૂલો ભલે બધું પણ મા-બાપને ભૂલશો નહી'' ભજન માતા-પિતાના અગણિત ઉપકારોનું સ્મરણ કરાવે છે. ભગવાન ગણેશે પણ માતા-પિતાની પ્રદક્ષિણા કરી આખી પૃથ્વીની યાત્રા પરિપૂર્ણ કર્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

માતા-પિતા શબ્દ બે માત્ર શબ્દો નથી પણ બે શબ્દોનું એકત્વ છે. બન્નેના વાત્સલ્યનું પરમેશ્વરદત્ત નજરાણું એટલે માતા-પિતા. માતા-પિતાની મહાનતા સ્વીકારીને જ ભગવાને તેમને પોતાના મુલ્ય ગણ્યાં છે. અને તેમની સેવા દ્વારા તેમના પ્રત્યેનું ઋણ ઉતારી દેવાની સલાહ આપી છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે જેમ મૂર્તિ પથ્થર નથી પણ પથ્થરમાં વિરાજિત પરમાત્મા મનાય છે. તેમ હાડ-માંસ નિર્મિત માતા-પિતાની કાયા પણ માત્ર હાડ-માંસ નથી પણ શરીરમાં વિરાજિત પરમાત્મા છે.

વર્ષો પહેલા મેં માતા-પિતાની સેવા એજ ભગવદ્ ભક્તિ શીર્ષકથી માતા-પિતાની સેવાનો સંદેશો આપતાં લખ્યું હતું:-

''સંતાનો પર માતા-પિતાના

છે અગણિત ઉપકાર

વહાલનો દરિયો માતા સાથે,

પિતા તારણ હાર.

આ દુનિયામાં ઈશ્વરરૂપે

સઘળે ફરતી માતા

પુત્ર-પુત્રીના જીવન કેરા

પિતા ભાગ્ય વિધાતા

માતા-પિતાની સેવા કરજો,

એ છે ભગવદ્ ભક્તિ,

ભવસાગર તરશો એનાથી

એ જ ખરી છે ભક્તિ''

કોઈ પણ માણસ વિશ્વ વિજેતા બને, તો પણ માતાના ઉપકારો કરતાં મહાન બની જતો નથી ગોસ્વામી તુલસીદાસે વર્ણવ્યું છે ''કૌશલ્યાજી રામને કહે છે ''હે પુત્ર માત્ર પિતાએ તને વનગમન કરવાનું કહ્યું હોય તો તુ પોતાની માતા મને પિતા કરતાં મહાન ગણીને વનમાં ન જઈશ, પરંતુ માતા (કૈકેયી) તથા પિતા બન્નેએ તને વનમાં જવાનું કહ્યું હોય તો વન એ સેંકડો અયોધ્યા સમાન છે એમ માની તું અવશ્ય વનગમન કર. મુન્શી પ્રેમચંદે ઉચિત કહ્યું છે માતા સંતાન દ્વારા થતું અપમાન, કડવાં વેણ, પુત્ર દ્વારા ઝાટકણી બધુ જ સહન કરે છે. સંતાન ઠારવું એને માતા-પિતા સાંસરિક ધર્મ માને છે. માતા-પિતાનું હ્ય્દય દયા અને કૃપાનો ભંડાર છે ? પુત્ર કુ પુત્ર થઈ શકે પણ માતા કુમાતા થઈ શકતી નથી. માતા ઘરમાં રહીને સંતાનોને ઠારવાનું તપ ગૃહિણી બનીને કરે છે જ્યારે પિતા કમાઈને સંતાનોને સંતૃપ્ત કરવા માટે કર્મ ક્ષેત્રમાં પરસેવો પાડે છે. માતા-પિતા બન્ને તપસ્વી છે. સંતાનના ચહેરાનું હાસ્ય એ જ માતા-પિતા માટે દેવદર્શન તુલ્ય બની જતું હોય છે.''

રામાયણના અયોધ્યાકાંડમાં વાલ્મીકિએ કહ્યું છે: ''પોતાની શક્તિ મુજબ ઉત્તમ ખાદ્ય પદાર્થ આપવા, સારી શૈયા પર સંતાનને સુવાડવું, સદા પ્રિય વચનો બોલવાં, તથા પાલન-પોષણ (ઉછેર) કરવો અને સદાય સ્નેહપૂર્ણ વર્તન કરવું, એમ માતા-પિતા દ્વારા સંતાન પર જે ઉપહાર કરવામાં આવે છે તેનું ઋણ સરળતાથી ચુકવી શકાય તેમ નથી. વિષ્ણુ પુરાણમાં પણ આ જ વાત કરવામાં આવી છે.

અબ્રાહમ લિંકના દાદાભાઈ નવરોજી, સુભાષચંદ્ર બોઝએ પણ ઉમંગભેર માતાની મહાનતા વર્ણવતા કહ્યું છે કે હું જે કાંઈ છું તે મારી માતાને કારણે છું.''

પુત્ર ક્રુર સ્વભાવનો હોય તો પણ પિતા તેના પર નિર્દય થઈ શકતા નથી, કારણ કે સંતાન ખાતર પિતાએ અનેક કષ્ટદાયક વિપત્તિઓનો સામનો કરવો પડે છે. એટલે માતાની જેમ પિતા પણ દેવતા છે. 'ચાણક્ય નીતિમાં વર્ણવ્યા મુજબ પાંચ વ્યક્તિઓ પિતા સ્વરૂપ ગણવામાં આવ્યા છે જન્મદાતા, યજ્ઞાોપવીત (જનોઈ) કરાવનાર, વિદ્યાદાન આપનાર, અન્નદાતા અને ભય વખતે બચાવનાર. આ પાંચેયની સેવાને ધર્માચરણ માનવામાં આવ્યું છે. તેવી જ રીતે મોટાભાઈ, પિતા અને વિદ્યાદાતા ગુરૂ એ ત્રણે ધર્મમાર્ગ પર ચાલનાર મહાપુરુષોને પિતા તુલ્ય માનવામાં આવે છે. અથર્વવેદમાં પતિ-પત્નીના સંબંધ વિશે કહેવામાં આવ્યું છે કે હું (પુરુષ) સામ (ગીત) છું અને તું ઋચા છે. હું આકાશ છું અને તું પૃથ્વી. પરબ્રહ્મે પોતાના દેહને બે ભાગમાં વિભાજિત કરી દીધો: એમાંથી પતિ-પત્ની બન્યાં.'

માતા વિશે એટલે જ કહેવામાં આવ્યું છે કે કોમળતામાં જેનું હ્ય્દય ગુલાબની કળીઓ કરતાં પણ અધિક કોમળ તથા દયાળુ છે, જેનામાં રહેલી પવિત્રતા યજ્ઞાના ધૂમાડા સમાન છે, જે કર્તવ્યમાં વજ્ર સમાન કઠોર છે એ દિવ્ય નારી એટલે માતા.

માતા-પિતા સંતાન માટે અભિન્ન છે, ભક્તિ માટે શિવ અને શક્તિ અભિન્ન છે એટલે જ એ અભિન્નતા સૂચક શબ્દો તરીકે રાધેકૃષ્ણ, સીતા-રામ, ગૌરી-શંકર જેવા  શબ્દો શાસ્ત્રોમાં પ્રયુક્ત થયા છે.

માતા-પિતાની લાગણી અને પ્રેમ એ ત્રાજવાં કે મહાનતા માપક યંત્રનો વિષય નથી પણ સમાનતાની ઉષ્મા માપતું થર્મોમીટર છે. બન્નેને જુદાં સમજ્યાં એને માનસિક પાપ ગણવામાં આવ્યું છે. તેમના વ્યક્તિત્વને તુલનાના ત્રાજવે તોળવાના વિચાર સુધ્ધાં થઈ ન શકે. કવિ દલપત રામે માતા-પિતા માટે જે ઉદ્દગારો વ્યક્ત કર્યા છે, તે આભારની ચરમસીમા છે.

માતૃવંદના

''હતો હું સુતો પારણે પુત્ર નાનો

રડું છેક તો રાખતું કોણ છાનો ?

મને દેખી દુઃખી કોણ થાતું ?

મહા હેતવાળી દયાળી જ માતું.''

પિતૃવંદના

છડો હું હતો છોકરો છેક છોટો,

પિતા પાળી પોષી મને કીધો મોટો,

રૂડી રીતથી રાખતા રાજીરાજી

ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

માતા પ્રત્યેનું ઋણ ફેડવા કવિ દલપતરામ કહે છે

''અરે એ બધું શું

ભલુ જૈશ ભૂલી

લીધી ચાકરી આકરી

જે અમૂલી

સદા સાદ થૈ

વાળી આપીશ સારું

મહા હેતવાળી દયાળી જ

મા તું''

એવી જ રીતે પિતાની સેવાનો સંદેશો આપતાં દલપતરામે વિસ્તારપૂર્વક પ્રેરક પંક્તિઓ આલેખી છે. અંતમાં પિતા વિશે 

કહે છે 

''જગન્નાથજી જીવતો રાખશે જો

હયાતી-તમારી અમારી હશે જો

કરો સેવના દિલ સાચે સદાજી

ભલા કેમ આભાર ભૂલું પિતાજી''

જ્યારે પગમાં ચાલવાની તાકાત નહોતી, પગ ડગ-મગ થતા હતા, અન્નનો કોળિયો મોંમાં મૂકવાની સૂઝ નહોતી જાતે ઊભો થઈ ઊઠી શક્તો નહોતો ત્યારે વાત્સલ્ય સભર માતાએ અનેક દુઃખો વેઠી તેને ઉછેર્યો તે આખી ઉમ્મર સંતાને યાદ રાખવું જોઈએ.

એટલે માતા-પિતા બંન્ને અતુલ્ય છે. એમના વિશે નાના-મોટા ગણવાનો પ્રશ્ન જ અસ્થાને છે. સંસારમાં એ બન્નેના સંયુક્ત પ્રયત્નોથી જ બાળક સાંસારિક જીવન માટે તૈયાર થાય છે.

આજકાલ યુવાપેઢીમાં ભારતમાં પણ માતા-પિતાના ઉપકારોના વિસ્મરણ થવાથી ઘટનાઓ અને ઉપેક્ષાનાં દશ્યો જોવા મળે છે. વધતાં-જતાં વૃદ્ધાશ્રમો એ વાતની શાખ પૂરે છે કે સંતાનો માત-પિતા પ્રત્યેની જવાબદારી નિભાવવામાં ઊણાં ઉતરી રહ્યાં છે. ક્યાંક માતા-પિતાની સ્વભાવ ગત મર્યાદાઓ હોઈ શકે પણ આખી દુનિયાને સોરી કહેનાર સંતાન મા-બાપ માટે અનુદાર બની તેમના પ્રત્યે અસહિષ્ણુતા દાખવે તો ભવિષ્યનો સંસાર કેવો હશે તેની કલ્પના જ ન કરી શકાય. ચાણક્ય સુત્રમાં ગુણવાન પુત્રએ પરિવાર માટે સ્વર્ગ તુલ્ય છે એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

ઈન્સાન તરીકેનો જન્મ થેંકલેસ એટલે કે આભાર શૂન્ય બનવા માટે નથી મળ્યો. તમે કોઈની સેવાનું મૂલ્ય ચુકવીને જ માણસાઈને લાયક બની શકો. એટલે માતા-પિતામાં કોણ મહાન ? એવી કુશંકા કરવી અને તુલનાત્મક દષ્ટિકોણ રાખવો એ પાલનહાર અને પાલન કર્તાનું અપમાન છે.

પરદેશની એક યુનિવર્સિટીના દરવાજે એક પ્રેરક સંદેશ લખેલો છે: ''હું જાણું છું, મને ખબર છે કે હું ખાસ વિશિષ્ટ છું કારણ કે ઈશ્વરની ફેક્ટરીમાં કચરો પેદા થતો નથી. ?''

મા-બાપ એટલે બીજમાં વાત્સલ્યનું ખાતર ઉમેરી માતા-પિતા સંતાનને વૃક્ષ બનાવનાર ઈશ્વર દત્ત માળી. બન્ને કરે સંતાનના જીવન બાગથી રખેવાળી.

Tags :