ક્રોધ એ ક્ષણજીવી છે, પરંતુ તેનાં પરિણામો ચિરંજીવી કેમ હોય છે?
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- ક્રોધ એ મનોવિકાર છે. ક્રોધ સંબંધિત ઘટના કે પ્રસંગનું સ્મરણ થતાં તાજો થાય છે. વેર એ ક્રોધનું અથાણું કે મુરબ્બો છે. નવું કારણ ક્રોધ માટે પ્રાણવાયુનું કામ કરે છે
* ક્રોધ એ ક્ષભજીવી છે, પરંતુ તેનાં પરિણામો ચિરંજીવી કેમ હોય છે ?
* પ્રશ્નકર્તા : નૈષધ દેરાશ્રી, 20 નાલંદા સોસાયટી, ટી.બી. હોસ્પિટલ પાસે, જામનગર (સૌરાષ્ટ્ર)
ક્રો ધ કે ગુસ્સો એ માણસમાં તત્કાળ ઉદ્ભવેલી માનસિક નિયંત્રણની સ્થિતિનું ઘાતક પરિણામ છે. એટલે જ ક્રોધને કામ, લોભ, મોહ વગેરેની જેમ અધઃપતનનું કારણ માનવામાં આવ્યું છે. ક્રોધહીન સ્થિતિ એ સ્થિતપ્રજ્ઞાતાનું સંતાન છે. ભગવદગીતાના બીજા અધ્યાયના શ્લોક ૬૨-૬૩માં સ્થિતપ્રજ્ઞાનાં લક્ષણો સમજાવતાં શ્રીકૃષ્ણ કહે છે ઃ ''વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે. આસક્તિથી તેને વિષયની કામના ઉત્પન્ન થાય છે. અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે.''
ક્રોધનાં દુષ્પરિણામો સમજાવતાં શ્રીકૃષ્ણ કહે છે ઃ અર્જૂનના ક્રોધથી બુદ્ધિ બહેર મારી જાય છે મતલબ કે ક્રોધથી મૂઢતા આવે છે. મૂઢતાથી ભ્રમ ઉભો થાય છે. સ્મૃતિમાં ભ્રમ ઉભો થવાથી બુદ્ધિ અર્થાત્ જ્ઞાાન શક્તિનો નાશ થાય છે. પરિણામે બુદ્ધિનો નાશ થવાથી માણસનું પોતાની સ્થિતિથી પતન થાય છે.
માણસ મનનો વિજેતા બની શકતો નથી એટલે ઇન્દ્રિયો તેને વશ કરી લે છે. ઇન્દ્રિયો વશ થતાં કામને છૂટું મેદાન મળે છે. દેવો અને મહર્ષિઓ પણ કામના કુપ્રભાવથી મુક્ત થઈ શકતા નથી. ઋષિઓ પણ પોતાના અહંકારને વશ થાય ત્યારે તેમનામાં ક્રોધ જન્મે છે.
માણસ અહંકારને વશ થઈને એવું માને છે કે પોતે પોતાનું ધાર્યું કરવામાં સમર્થ છે પરંતુ જ્યારે તેની ગણતરી ખોટી પડે છે ત્યારે તેનો અહં ઘવાય છે. પરિણામે એ ક્રોધ કરે છે.
ક્રોધ ઘણીવાર ફાવતું ને ભાવતું ન મળે ત્યારે જન્મે છે અને ઘણીવાર ફાવતું ને ભાવતું મળે છતાં તે વિપરીત લાગે તો પણ મનુષ્યમાં ક્રોધ જન્મે છે. ક્રોધ માણસનું પતન કરાવે છે એટલે જ શાસ્ત્રોમાં પણ તેનાં દુષ્પરિણામોની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે.
રાજા પરીક્ષિતને ક્રોધ કેટલો ભારે પડયો તેનું વર્ણન મહાભારતમાં આપવામાં આવ્યું છે. શિકાર કરવા પરીક્ષિત જંગલમાં ગયા અને ત્યાં એક મૃગને બાણ મારી તેનો પીછો કરવા લાગ્યા. હરણ તો ભાગી ગયું પરંતુ પરીક્ષિત ભૂખ્યા-તરસ્યા હતા. એમણે માર્ગમાં મળેલા મુનિનાં ગળામાં એટલા માટે મરેલો સાપ પહેરાવી દીધો કે મુનિએ તેમને મૃગ વિશે પૂછેલા પ્રશ્નનો ઉત્તર નહોતો આપ્યો. એ મુનિને શ્રૂંગી નામનો એક અત્યંત તેજસ્વી પુત્ર હતો. તેના એક મિત્રે તેને કહ્યું ઃ ''શ્રૂંગિન્, તારે અભિમાન કરવા જેવું કશું જ નથી ! તારા પિતાના ગળામાં તો એક મૃત સાપ લટકી રહ્યો છે.'' એ સાંભળી શ્રૂંગીએ શાપ આપતાં કહ્યું કે જે નરાધમે મારા નિર્દોષ પિતાના ગળામાં સાપ લટકાવ્યો છે તે આજથી સાતમા દિવસે તક્ષક નાગના ડસવાથી મૃત્યુ પામશે. શાપની વાત શ્રૂંગીના પિતાએ સાંભળી ત્યારે તેમણે શ્રૂંગીનો શાપ અનુગ્રહપૂર્વક પાછો વાળી લેવા સમજાવ્યો પણ શ્રૂંગીને માટે તૈયાર ન થયો. શ્રૂંગી ઋષિના પિતાએ ગૌરમુખ નામના એક શિષ્ય દ્વારા શાપનું વૃત્તાંત પરીક્ષિત રાજાને કહેવડાવ્યું અને તક્ષક નાગથી સાવધાન રહેવા જણાવ્યું....પરીક્ષિતને પશ્ચાતાપ થયો અને શ્રીમદ્ ભાગવદ્ ભાગવતની કથા સાંભળી આત્મોદ્ધારની સાધના કરતાં તક્ષક નાગના કરડવાથી પ્રાણત્યાગ કર્યો.
ક્રોધ કરનાર માટે રાજા પરીક્ષિતની કથા ચેતવણીરૂપ છે.
મહર્ષિ વાલ્કમિકીજીએ પણ રામાયણમાં ક્રોધનાં દુષ્પરિણામો વર્ણવતાં કહ્યું છે ઃ ''એ મહાપુરુષો ધન્યવાદ પાત્ર છે, જેઓ પોતાનામાં જન્મેલા ક્રોધને પોતાની બુદ્ધિ દ્વારા એવી રીતે રોકી રાખે છે, જેવી રીતે સળગતા અગ્નિને પાણી દ્વારા રોકી રાખવામાં આવે છે.'' એમણે એ પણ ઉમેર્યું છે કે કોપાવિષ્ટ વ્યક્તિ એ વાત પણ સમજતી નથી કે શું કહેવું જોઈએ અને શું ન કહેવું જોઈએ. ક્રોધ પ્રાણહારી શત્રુ છે. ક્રોધ ઉપરથી મિત્રવત્ પણ અંદરથી શત્રુ છે. ક્રોધ એ મહાતીક્ષ્ણ તલવાર છે. અને તે બધું જ પોતાના તરફ ખેંચી લે છે.
'વનપર્વ'માં વેદવ્યાસે પણ ક્રોધનું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે ''ક્રોધી મનુષ્ય પાપ કરી શકે છે, ક્રોધી મનુષ્ય ગુરૂજનોની હત્યા કરી શકે છે. ક્રોધી મનુષ્ય કટુવાણી દ્વારા શ્રેષ્ઠ માણસોનું પણ અપમાન કરી શકે છે. ક્રોધી માણસ માટે કશું અકરણીય કે ન બોલાય તેવું હોતું નથી.''
''પ્રિયદર્શિકા''માં હર્ષે પણ ક્રોધના પ્રભાવનું માર્મિક વર્ણન કર્યું છે. 'પ્રબોધ ચંદ્રોદય'માં શ્રીકૃષ્ણ મિશ્ર ક્રોધ વિશે કહે છે ઃ ''ક્રોધ કહે છે હું માણસને આંધળો અને બહેરો બનાવી દઉં છું. ધૈર્યવાન અને ચેતવાનને પણ અચેતન બનાવી દઉં છું.''જેના કારણે માણસ કરવા યોગ્ય કામ જોતો નથી અને હિતની વાત સાંભળતો નથી ! માણસ બુદ્ધિશાળી હોવા છતાં પોતાનું વાંચેલું જ્ઞાાન પણ યાદ કરી શકતો નથી.
ક્રોધયુક્ત માણસ પોતાને તથા અન્યને હણે છે. ધર્મ ત્યજી દે છે. પાપાચરણ કરે છે અને યોગ્ય વસ્તુને હડસેલી દે છે. પૂજ્યને પૂજતો નથી અને નિંદાયુક્ત વચનો બોલે છે. કોપાવિષ્ટ શું-શું નહીં કરે તેની શી ખાત્રી ?
કોનો ક્રોધ કેટલી સમય મર્યાદા માટે ? એનો જવાબ આપતાં કહેવામાં આવ્યું છે કે ઉત્તમ વ્યક્તિનો ક્રોધ ક્ષણજીવી હોય છે. મધ્યમ માણસનો ક્રોધ બે ઘડીનો હોય છે જ્યારે અધમ વ્યક્તિનો ક્રોધ એક દિવસનો જ્યારે અતિ નીચ વ્યક્તિનો ક્રોધ જીવનભર ચાલતો હોય છે. રાવણ, દુર્યોધન, કંસ વગેરે તેનાં ઉદાહરણો છે. પાંચ મિનિટનો ક્રોધ આજીવન દોસ્તીનો પણ ખાત્મો બોલાવી શકે છે.
'રંગભૂમિ'માં મુનશી પ્રેમચંદજી સમજાવે છે કે ક્રોધ અત્યંત કઠોર છે. તેને એ જોવું ગમે છે કે મારું એક-એક વાક્ય નિશાન તાકે છે કે નહીં. ક્રોધ મૌન સહન કરી શકતો નથી. ક્રોધની શક્તિ અપાર છે. એવું ઘાતક કે અતિઘાતક કોઇ શસ્ત્ર નહીં હોય, જે ક્રોધના શસ્ત્રાગારમાં ન હોય.
ક્રોધ તપસ્યા અને પ્રતિષ્ઠાનો નાશ કરે છે. ક્રોધ અનેક અનર્થોનું મૂળ છે. રામનરેશ ત્રિપાઠી કહે છે ઃ
''ક્રોધ તુમ્હારા પ્રબલ શત્રુ હૈ,
બસા તુમ્હારે ઘર મેં
હો સકે તો ઉસે જીતકર
વિજયી તુમ જગભર મેં''
ક્રોધ માણસની લાગણી પર ઘા કરે છે અને તે વેરવૃત્તિ જન્માવે છે. એવી વેરવૃત્તિ ઘણી વાર વંશવારસો સુધી પણ ટકતી હોય છે એટલે જ ક્રોધને યમરાજ કહેવામાં આવે છે. કામ, લોભ, મોહ એ બધું જલ્દી અદ્રશ્ય થઇ
શકે છે, પણ માણસ ક્રોધને ભૂલી શકતો નથી. એટલે બહાનું મળતાં ક્રોધમાં ઉમેરણ થાય છે. ક્રોધ ચિરંજીવી હોય છે, કારણકે ક્રોધનું રાજ્ય થતાં બુદ્ધિ, સંયમ અને સહિષ્ણુતા ઉચાળા ભરે છે. ક્રોધ વિવેકના દીવાને બુઝાવી દે છે એટલે માણસ બદલો લેવાની વૃત્તિ માટે સતત મોકો શોધતો હોય છે. વિશ્વમાં જે ભયાનક યુદ્ધો થયાં, એમાં રાજનૈતિક સત્તાધારીઓનો ક્રોધ જ જવાબદાર હોય છે. સત્તા-ભૂખ ક્રોધ અને વેરવૃત્તિને શમવા દેતી નથી ! મહાત્મા ગાંધીજીએ ઉચિત જ કહ્યું છે કે ક્રોધ એક પ્રચંડ અગ્નિ છે. જે મનુષ્ય આ અગ્નિને વશ કરી શકે છે તે ક્રોધની આગને ઠારી શકે છે જે માણસ ક્રોધના અગ્નિ પર કાબૂ રાખી શકતો નથી તે અંતે પોતાની જાતને જ ભસ્મીભૂત કરી બેસે છે. ક્રોધે ભરાએલો માણસ ક્રોધ ઠારવાને બદલે ક્રોધની આગમાં ઘી નાખી તેને વધુ તીવ્ર કેમ બનાવી શકાય તેની વ્યૂહરચના કરતો હોય છે એટલે ક્રોધ દીર્ઘાયુ હોય છે. ક્રોધ એક મનોવિકાર છે. અને એ મનોવિકાર ક્રોધ સંબંધિત ઘટના કે પ્રસંગનું સ્મરણ થતાં તાજો થાય છે. એટલે જ પં. રામચંદ્ર શુકલે વેરને ક્રોધનું અથાણું કે મુરબ્બો કહ્યો છે.
જો ક્રોધને ચિરંજીવી ન બનાવવો હોય તો ક્રોધ કરવામાં વિલંબ કરવો જોઇએ. એટલે જ કહેવત છે કે 'બદલે કી પ્લેટ કો ઠંડી કરકે ખા'. ક્રોધ પાગલપણાથી શરૂ થાય છે અને ઘણી વાર પશ્ચાતાપ કે ક્ષમા બાદ પણ અટકતો નથી. નવું કારણ ક્રોધ માટે પ્રાણવાયુનું કામ કરે છે. ક્રોધ શમે તો પણ એણે સર્જેલા સર્વનાશના પડઘા શમતા નથી. ક્રોધ માણસને અવિચારી અને અવિવેકી બનાવી દે છે એટલે ક્રોધને વારંવાર જીવતદાન મળે છે.