Get The App

આજનો માનવી દિવસે-દિવસે દંભી કેમ બનતો જાય છે?

Updated: Apr 4th, 2023

GS TEAM


Google News
Google News
આજનો માનવી દિવસે-દિવસે દંભી કેમ બનતો જાય છે? 1 - image


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- દંભીઓ લોકમાનસના જાણકાર હોય છે. લોકોની મનોવૃત્તિ જાણી પોતાની જાળ બિછાવતા હોય છે. સોનાનું વાસણ અવાજ નથી કરતું પણ પિત્તળનું વાસણ અવાજ કરે છે. દંભીઓ પિત્તળિયા હોય છે

* આજનો માનવી દિવસે-દિવસે દંભી કેમ બનતો જાય છે ?

* પ્રશ્નકર્તા: કિયાન ભાવેશ કાનાબાર, મંગલ્મ એપાર્ટમેન્ટ, ગોંડલ રોડ, રાજકોટ, (સૌરાષ્ટ્ર)

દં ભ એટલે ડોળ કે ઢોંગ. શબ્દકોશોમાં દંભને એક ૬૪ માહેનું વિજ્ઞાાન એવો અર્થ પણ દર્શાવ્યો છે. પિંગળ શાસ્ત્ર મુજબ એક માત્રા મેળ છંદ. તેમાં ૨૨ લઘુ અને ૩૭ ગુરૂ મળી ૫૯ વર્ણ અને ૯૬ માત્રા થાય છે. ખોટો દેખાવ કરનાર કપટી, શઠ અને લુચ્ચાઈ કરનારના પાંચ પ્રકાર વર્ણવામાં આવ્યા છે.

૧. દેહદંભ: જેમ કે શરીરને રંગવું, અથવા દુર્બળ બનાવવું, ભૃકુટી ચડાવી ભયાનક દેખાવ કરવો, ગંભીરતા દેખાડવા ધીમે સાદે બોલવું વગેરે. દંભ પ્રકાર: ૨. રંગિત કે મેલાં જૂનાં કપડાં પહેરવાં, મૃગચર્મ ઓઢવું. ૩. ભજનમાં એકાગ્રતા દેખાડવા મૌન ધારણ કરવું, ભજન કરે છે એમ દેખાડવા મૌન ધારણ કરવું, શાસ્ત્રોનાં પ્રમાણે આપી પોતાને જ્ઞાાની જણાવવો, અનેક સંતોની વાતો કરી પોતે સત્ય સંગી છે. એમ બનાવવું. ૪. લોકોના દેખતાં માથું નીચું રાખી ચાલવું, કોઇ તરફ દ્રષ્ટિ ન કરવી, માર્ગમાં ગંભીરતાનો દેખાવ કરી ધીમેથી ચાલવું, લોકોને દેખાડવા દાન કરવું, ૫. પોતાના શિષ્યો કે અનુયાયીઓ વધારવાનો પ્રયત્ન કરવો, જેમ કે અમુક રાજા મારા સેવક છે એમ જાહેર કરવું. મહાત્મા ગાંધીએ ઉચિત જ કહ્યું છે કે આપણા દંભનું તો હું શું લખું ? દરેક ક્ષેત્રમાં દંભ વધી પડયો છે. નબળાઈની સાથે દંભ હંમેશાં રહેલો જ છે. વળી જ્યાં લોકો નીતિવાન થવા ઇચ્છતા હોય છતાં ન થઇ શકે તો દેખાવાની લાલચે તણાઈ આપણી એક અનીતિમાં બીજીનો ઉમેરો કરીએ છીએ. એટલે સુધી કે બનાવટી લોકો ટીલાં-ટપકાં પવિત્રતાની નિશાની હોઈ તે અપવિત્રતાની સંજ્ઞાા થઇ પડયો છે. આમ ધર્મમાં પણ દંભે સંપૂર્ણતાએ પ્રવેશ કર્યો છે. દંભમાં એક પ્રકારનો ગર્વ કે અભિમાન સમાએલું છે. દંભના અર્થમાં ઢગબાજી, ઢગવિદ્યા, છળ, કપટબુદ્ધિ વગેરે સમાએલાં છે (ભગવત્ ગોમંડલ)

આજનો માણસ સ્વાર્થી છે. બુદ્ધિનો દુરૂપયોગ કરીને, બીજાને આંજીને પોતાનું કપટ સિદ્ધ કરે છે. રાજકારણમાં શોકપ્રદર્શન વખતે દંભી આંસુ સારવા, મૃત વ્યક્તિના પરિવારને શાબ્દિક આશ્વાસન આપતી તસ્વીરો ખેંચાવવી, ચૂંટણીમાં દંભી પ્રલોભનો આપવાં, પોતાનાં વખાણ કરવા ભાડુતી માણસો કે પ્રશંસાત્મક લખાણો લખાવવાં એ બધું સસ્તી લોકપ્રિયતા પ્રયત્ન છે. અધૂરો ઘડો છલકાય વાત આવા દંભીઓને સો ટકા લાગૂ પડે છે. શિક્ષણ ક્ષેત્રમાં પણ વહીવટ, સંચાલન અને ઉચ્ચ સ્થાને 'વિરાજિત' લોકો દંભનો અચંબો ત્યજવાનું છોડતા નથી. સરકારી અધિકારીઓ પણ આવા જ આશયથી પ્રેરાઈ મુલાકાતીઓ સીધી રીતે મળવાને બદલે ઠીક-ઠીક લાંબા સમય સુધી પ્રતીક્ષા કરાવે છે.

ધર્મમાં જાત જાતના ફાંટા અને સંપ્રદાય છે. પોતે જ સાચા અને મોક્ષ માર્ગના પથદર્શક છે. એવા દંભી વર્તનથી અનુયાયી કે શિષ્યો ભોળવે છે. એકના ડબલ કરી આપવાની લાલચમાં ઘણાં લોકો ફસાઈને પોતાનું મૂળ ધન પણ ગુમાવી બેસે છે. જાહેરાતોથી અંજાઈ ખરીદી સાથે એક ભેટની જાળમાં સપડાય છે.

આમ દંભમાં મોટા દેખાવાની અને કીર્તિ પ્રાપ્ત કરવાનું આકર્ષણ, પોતે પૂજનીય કે વંદનીય છે એવા અહંકારને સંતુષ્ટ કરવાની વૃત્તિ, 'રેવડી'ની લાલચ આપી મત પ્રાપ્તિનો દંભી પ્રયત્ન, કોઇ ધાર્મિક કે મોટા માણસ સાથે ફોટો પડાવી પોતાનું મહત્વ વધારવાની મનોવૃત્તિ, ધનનો લોભ, પ્રેમનું નાટક કરી પ્રિયતમ કે પ્રેયસીને છેતરવાની પ્રવૃત્તિ, ગણ્યાં ગણાય.  નહીં એટલા ઠેકાણે દંભનું પ્રભુત્વ જામેલું છે. 'ઇશના રાજ્ય'ની જેમ 'દંભનું રાજ્ય' પણ આ જગતમાં અત્ર-તત્ર સર્વત્ર છવાએલું છે. 'ત્યાગીને ભોગવી જાણો' એમ નહીં પણ ઠગીને ભોગવી જાણો એ દંભનું સૂત્ર છે. દંભમાં અંદરનો ખાલીપો અને નીતિ તથા પરમશક્તિના ડરની ધરાર ઉપેક્ષા છે. આજના માણસ પર ધન અને અસંયમ તથા વિલાસવૃત્તિનું વર્ચસ્વ છે. બેઇમાનીથી ધન કે સત્તા કમાઈ લેવાની બદનિયત છે. ભૌતિક સુખોની અનિયંત્રિત લાલસા છે. આજનો માણસને અંદરથી 'અસંતુષ્ટ' છે અને પોતાની ઇચ્છાઓ વાસનાઓ સંતુષ્ટ કરવા દંભ એને માટે હાથવગૂ સાધન છે. દંભીઓ લોકમાનના જાણકાર હોય છે અને લોકોની મનોવૃત્તિ જાણી પોતાની જાળ બિછાવતા હોય છે. સોનેરી પાત્ર અવાજ નથી કરતું પણ પિત્તળનું વાસણ અવાજ કરે છે. એટલે દંભી માણસ પણ 'પીતળિયો' હોય છે. આજનું જીવન નૈતિક અને આધ્યાત્મિક જીવનને ગૌણ અને પૈસો, નામના અને અધિકારોને સર્વસ્વ માને છે. પહેલાંના માણસો વધુ સંયમી અને સંતોષની મનોવૃત્તિને વરેલા હતા. ભોગવૃત્તિ વધે ત્યાં ત્યાગવૃત્તિ ખતમ થઇ જાય છે. માણસને પાપ કે દુષ્કૃત્યનો ડર નથી. કર્મનું ફળ ભોગવવું જ પડશે એની ચિંતા નથી એટલે પાર્થિવ જીવનને જ આજનો માણસ સર્વસ્વ માને છે. કબીર જેવા ઉચ્ચકોટિના સંતોનો જીવનમંત્ર હતો.

''સાંઇ ઇતના દીજિયે,

જા મેં કુટુંબ સમાય

મૈં ભી ભૂખા ના રહું,

સાધૂ ન ભૂખા જાય.''

આજનો માણસ પોતાને ચતુર માને છે પણ વિવેકી બનવામાં થાપ ખાઈ જાય છે. દંભને પ્રોત્સાહન એટલા માટે વધારેને વધારે મળી રહ્યું છે કે માણસ વગર મહેનત પ્રાપ્ત થઇ શકે એવું પ્રાપ્ત કરવામાં રસ છે. ઠગોની પણ ટોળકી હોય છે. તેઓ 'વહેંચી'ને 'ખાવામાં' માને છે અને એવા સાગરિતો એકઠા થઇ ઠગાઇનો ધંધો પૂર બહારમાં ચલાવે છે. આજના માણસને અપાતા શિક્ષણમાં પણ નૈતિક શિક્ષણને બદલે બિનતંદુરસ્ત સ્પર્ધા કરીને પણ વિજયી કે છાત્રને તેજસ્વી દેખાડવામાં રસ છે. ચારિત્ર્યનું મહત્વ કેન્દ્ર સ્થાને નથી પણ 'ગુણ' (માર્ક્સ) પ્રાપ્તિ મહત્વની બની છે. મોટું દાન આપનારને ધર્મસભાઓ કે કથાઓમાં અગ્રિમ અને ઉચ્ચ સ્થાન અપાય છે.

એક પૌરાણિક કથા મુજબ દંભોદ્ભવ નામનો એક રાજા દરરોજ પોતાની દરબારી સભામાં દંભપૂર્વક બ્રાહ્મણોને પૂછતો કે આ પૃથ્વી પર મારા કરતાં વધારે અથવા મારા  જેવો કોઇ બળવાન છે ? આમ વારંવાર આ પ્રકારનો પ્રશ્ન પૂછવાથી બ્રાહ્મણો કંટાળી ગયા. તેથી એક દિવસ બ્રાહ્મણોએ ગુસ્સે થઇને કહ્યું કે ગંધમાદન પર્વતના શિખર પર નરનારાયણ ઋષિ રહે છે તે આપના કરતાં વધારે બળવાન છે. માટે આપ ત્યાં જાઓ. બ્રાહ્મણોની વાત સાંભળી પેલો અહંકારી અને દંભી રાજા ગંધમાદન પર્વત પર ગયો અને નરનારાયણ ઋષિને યુદ્ધ કરવા માટે પડકાર્યા. ઋષિએ કહ્યું: અમારામાં ક્રોધ જ નથી યુદ્ધ કેવી રીતે કરીએ ? પણ અહંકારી રાજા દંભોદ્ભવે ઋષિની વાત સાંભળી જ નહી અને લડવાનો આગ્રહ કરતો રહ્યો. ઋષિએ મૂઠી ભરી દર્ભ તેની સેના પર ફેંક્યો. એની અસરથી સેના કાન, નાક, આંખો વગેરે અવયવો વગરની થઇ ગઇ. આને કારણે રાજાનું અભિમાન ઓગળી ગયું અને નરનારાયણ દેવની ક્ષમા માગી. ઋષિએ ક્ષમા આપી અને સેના પૂર્વવત્ સ્વસ્થ થઇ ગઇ. ઋષિએ નૈતિક બોધ આપ્યો અને રાજા 

ઋષિની આજ્ઞાા લઇ પોતાના નગરમાં આવ્યો અને દંભ તથા અભિમાન ત્યજી નીતિપૂર્વક રાજ્ય કરવા લાગ્યો.

આજે જ્ઞાાનીજનો કરતાં 'દંભાચાર્ય'ની સંખ્યા વધી ગઈ છે. સાચા અને સારા ઇન્સાન બનવાના કોઇ 'ક્લાસ' ચાલતા નથી. દરેક બાબતમાં ધંધાદારી વાત જ અગ્ર સ્થાને છે. 'મીઠા જળના લોટા' કરતાં 'ખારા જળ'નો દરિયો પોતાની સીમા વટાવી રહ્યો છે. દંભ રાજા રાવણનો પણ નથી ટક્યો કે કંસ અથવા દુર્યોધનનો પણ નથી ટક્યો. 'ગર્વ કિયો સો નર હાર્યો' એ વાતનો ઇન્કાર કરી શકાય નહીં.

પોતાની શક્તિ પ્રદર્શનના મોહ અને દંભમાં વિશ્વની મહાશક્તિઓ સત્ય, માનવતા અને વર્તનની પવિત્રતાને સ્વાર્થની હોળીમાં ખત્મ કરવા બાંહ્યો ચઢાવી રહ્યા છે. આજના માણસોએ એ વાત સમજી લેવી જોઇએ કે તેઓ દંભ વિનાશ સર્જી આ રુડા-રૂપાળા વિશ્વને બરબાદ કરી દેશે તો માનવ અને દાનવ વચ્ચે ફેર કેવી રીતે રહેશે ?

Tags :