કઈ બેંક રોજ તમારા ખાતામાં વગર માગ્યે રૂ. 86,400 જમા કરે?
- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- 'દિલ મિલા અપાર પ્રેમ સે ભરા તુઝે, ઇસ લિયે કિ પ્યાસ જીવ માત્ર કી બુઝે, ફિર મહાન બન, મનુષ્ય ફિર મહાન બન.'
* પવિત્ર એવા સેવા શબ્દને લોકોએ શા માટે 'અપવિત્ર' અને 'ભ્રષ્ટાચારી' બનાવી દીધો છે ?
* પ્રશ્નકર્તા : રમેશભાઈ આર પંચાલ, ૧૪/૮૫, વિષ્ણુનગર સોસાયટી, મિલન ટોકિઝ રોડ, અમદાવાદ-૧૮
સે વા શબ્દ 'લોકસેવા', નોકરી, મહેનત-મજૂરી વગેરે અર્થમાં વપરાય છે. ભગવાનની પૂજા ના અર્થમાં વગેરે સંદર્ભમાં પણ સેવા શબ્દ વપરાય છે. દાન અને પ્રશસ્તિ માટે પણ સેવા શબ્દ પ્રયુક્ત થાય છે. નોકરીમાંથી માણસ નિવૃત્ત થાય ત્યારે સેવા નિવૃત્તિ શબ્દ પણ ઉપયોગમાં લેવાય છે. રાજકીય ક્ષેત્રે કામ કરનાર પોતે 'સેવક' છે એવી વૃત્તિનો પ્રચાર કરતો હોય છે. સેવા શબ્દને લોકોએ ઘસીઘસીને દમ વગરનો બનાવી દીધો છે. 'નીતિશતકમાં' રાજકવિ, ભર્તૃહરીએ ઉચિત જ કહ્યું છે કે સેવા કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. યોગીજન પણ તેને પાર પામી શકતા નથી. કારણ કે ચૂપચાપ રહેનારને લોકો મૂંગો, બોલવાનો પ્રયત્ન કરે તો બકવાસી, નજીક રહેનારને ઘૃષ્ટ, દૂર રહેનારને અકુશળ, ક્ષમાશીલ હોય તો તેને કાયર અને અસહિષ્ણુ હોય તો તેને સામાન્ય રીતે ખરાબ પરિવારનો કહેતા હોય છે.
જેની સેવા કરવામાં આવે તે કદરદાન હોવો જોઈએ. મૂર્ખ સ્વામીની સેવા એ પ્રકારે નિરર્થક છે, જે પ્રકારે 'અરણ્યરુદન', શબ પર સુગંધિત પુષ્પોની માળા વગર પાણીના સ્થળે કમળ ઉગાડવાની પ્રવૃત્તિ, ઉજ્જડ ધરતી પર મૂસળધાર વરસાદ, કૂતરાની પૂંછડીને સીધી કરવાનો પ્રયત્ન બહેરાના કાનમાં સંગીતની ધૂન અને અંધને દર્પણ દેખાડવાનો પ્રયત્ન.
સેવા સંદર્ભે મુન્શી પ્રેમચંદના કેટલાક ઉધ્ધરણો પ્રેરક છે.
* સાચો આનંદ, સાચી શાન્તિ, માત્ર સેવામાં છે તે જ અધિકારનું મૂળ અને તે જ શક્તિનું ઉદ્ગમ સ્થાન છે. સેવા એ એવો સિમેન્ટ છે જે દંપતિને આજીવન સ્નેહ અને સાહચર્યથી જોડાયેલો રાખે છે. જ્યાં સેવાનો અભાવ છે ત્યાં જ વિવાહવિચ્છેદ છે. પરિત્યાગ છે અને અવિશ્વાસ છે (ગોદાન નવલકથા)
* જો સમાજને એ વાતનો વિશ્વાસ થાય કે તમે તેના સાચા સેવક છો, તમે તેનો ઉદ્ધાર કરવા માગો છો તો તે તમને અનુસરવા તૈયાર થશે. પરંતુ એવો વિશ્વાસ સાચા સેવાભાવ વગર પ્રાપ્ત થતો નથી. (સેવાસદન)
* આપણામાં કેટલાય એવા સજ્જનો છે, જેમના દિમાગમાં રાષ્ટ્રની સેવા કરવાનો વિચાર જન્મે છે, પરંતુ મોટે ભાગે એવો વિચાર 'ખ્યાતિલાભ' પ્રેરિત જ હોય છે. આપણે તેવું કામ કરવા ઇચ્છતા હોઈએ છીએ જે લોકોના મોઢે સેવાની પ્રશંસાનું નિમિત્ત બને. આપણે તેવું પુસ્તક કે લેખ લખવા ઇચ્છતાં હોઈએ છીએ, જેના લોકો મુક્ત કંઠે વાહવાહી કરે. આપણા આવા પ્રયત્નનો કોઈને કોઈ બદલો તો મળી જાય છે પણ લોકહૃદયમાં આપણે વસી શકતા નથી. (સેવાસદન)
જેણે સાચા સેવક બનવું છે તેણે અહંભાવથી મુક્ત રહેવું જોઈએ. સેવા એ પ્રચાર કે ભ્રષ્ટાચારનું સાધન નથી પણ પવિત્ર ઉદ્દેશ છે. સાચા સેવકે સ્વાર્થ મુક્ત રહી પોતાની ઉત્તમ ભાવનાનું લોકાર્પણ કરવું જોઈએ. સાચી લોકસેવાને પ્રચારની જરૂર હોતી નથી.
સ્વામી વિવેકાનંદના મતાનુસાર પ્રાણીમાત્રની સેવાથી મોટો કોઈ ધર્મ નથી. પ્રામાણિકપણે સેવા કરવાથી સાંસારિક બંધનો સરળતાથી છિન્ના થઈ જાય છે. હકીકતમાં પ્રાર્થનાના શબ્દો કરતાં સેવાકાર્યમાં જોડાયેલા હાથ સર્વોત્તમ છે કારણ કે તેમાં ત્યાગ અને નમ્રતા રહેલા છે.
લોકોએ અને વિશેષતઃ રાજકારણીઓ તથા ધનલોલુપોએ સેવાને શોષણનો વિષય બનાવી દીધો છે. આપણી સંસ્કૃતિનો આદર્શ છે નિઃસ્વાર્થ સેવા અને ત્યાગ.
'જીવનપ્રેરક ચિંતન રત્નો'માં રોજના રૂપિયા '૬૪૦૦' શીર્ષકથી એક પ્રેરક વિચાર પ્રસ્તુત કરવામાં આવ્યો છે. તદનુસાર માની લો કે કોઈ એવી બેંક છે, જે રોજ સવારે તમારો હિસાબ ૮૬,૪૦૦ રૂપિયાથી માંડે છે. આજની બચત એ કાલ પર રાખતી નથી. રોજ ન વપરાયેલી રકમ એ રદ કરી નાખે છે અને તમારો તેના પર કોઈ હક્ક દાવો રહેતો નથી. આવી બેંક સાથે તમે કેવો વ્યવહાર રાખશો ?
રોજ સવારે દિવસની બેંક તમને ૮૬,૪૦૦ સેકન્ડ આપે છે. આખા દિવસનું સરવૈયું રોજ રાત્રે નીકળી જાય. દિવસમાં જે કાંઈ બાકી રહી ગયું તેની ખોટ તમારી. એમાં ન પાછળ જઈ બચત માગી શકાય ન આવતી કાલ પાસેથી ઉધાર લઈ શકાય. આજનો હિસાબ આજે ચૂકતે એટલે એને એ રીતે કામે લગાડો કે જેથી તમારું આરોગ્ય અને સફળતા ઉત્તમ રીતે જળવાઈ રહે.
મનુષ્ય માત્રમાં દૈવી અંશ રહેલો છે પણ સ્વાર્થી અને હલકટ વિચારસરણી તેને ભ્રષ્ટાચારી બનાવે છે. મહાત્મા ગાંધીના શબ્દોમાં મનુષ્ય જાતિની સેવા કરવી એ ઇશ્વરની સેવા કરવા બરાબર છે. જો તમે ઇશ્વરનો સાક્ષાત્કાર કરવા માગતા હો તો દરિદ્રનારાયણની સેવા કરો.
સમાજનો અર્થ કેવળ નર કે નારી નહીં પણ બન્નેના કર્તવ્યમાં સમાવિષ્ટ છે. સમાજમાં ક્ષય એકાએક પ્રતીત થતો નથી પણ જેમ-જેમ સમાજમૂલ્ય નિષ્ઠા અને પવિત્રતા મૂકે છે તેમ તેમ ક્ષય કે પતનનું નિમિત્ત બને છે.
સમાજ સેવાના પતનનું કારણ માણસમાં ઘટી રહેલી ઇશ્વરના ડરની વાત છે. માણસને માત્ર આજમાં રસ છે. 'આજનો લહાવો લીજિયે'માં રસ છે. એ માટે માણસ વિવેકદ્રષ્ટિ અને સંચયનો ભોગ આપવા પણ તૈયાર છે. મનુષ્ય જ્યારે 'અર્થ' એટલે કે પૈસાનો દાસ બની જાય ત્યારે તેને દુનિયાના તમામ આદર્શો નિરર્થક લાગે છે. આજનો યુગ ભૌતિકવાદી વધારે છે અને અધ્યાત્મવાદી અલ્પ છે. એટલે સેવા કરતાં 'મેવા'માં ઉત્સુકતા છે. એટલે જ માણસે યાદ રાખવું પડશે કે -
'દિલ મિલા અપાર
પ્રેમ સે ભરા તુઝે,
ઇસ લિયે કિ
પ્યાસ જીવ માત્ર કી બુઝે,
ફિર મહાન બન, મનુષ્ય
ફિર મહાન બન.'