Get The App

અમેરિકન અભિનેત્રી શેરોન ટેટને તેની હત્યા થતા પહેલાં તેનો પૂર્વાભાસ થયો હતો!

Updated: Jun 17th, 2025

GS TEAM


Google News
Google News
અમેરિકન અભિનેત્રી શેરોન ટેટને તેની હત્યા થતા પહેલાં તેનો પૂર્વાભાસ થયો હતો! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- તે બેડરૂમ છોડી પગથિયા ઊતરી નીચે આવી. ત્યાં અચાનક તેની સામે એક યુવતી આવીને ઊભી રહી. તેણે એની સામે નજર કરી તો તેના અચરજનો પાર ના રહ્યો!

મા નવીનું અચેતન મન અકલ્પ્ય શક્તિઓ ધરાવે છે. તેમાં સ્વપ્ન પ્રક્રિયા અત્યંત જટિલ અને રહસ્યમય છે. ભાવિ ઘટનાનો સંકેત આપનારા સ્વપ્નઓ પર ઘણા અભ્યાસો અને સંશોધનો થયા છે. યુનિવર્સિટી ઑફ ફ્રાઈબર્ગના જર્મન પરામનોવિજ્ઞાની ડૉ. હાન્સ બેન્ડરે પ્રિકોગ્નિટિવ ડ્રીમ્સ વિશે બે સંશોધનાત્મક અભ્યાસો રજૂ કર્યા છે. તેમાંનો એક બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લોકોને થયેલા આવા પૂર્વાભાસી સ્વપ્નોના અનુભવોને લગતો છે અને બીજો ક્રિસ્ટિન માઇલીસ (Christine Mylius) નામની અભિનેત્રીને લગભગ ૨૦ વર્ષ સુધી આવેલા ૨૦૦૦ જેટલા સ્વપ્નોનાં અનુભવોને લગતો છે. ક્રિસ્ટિન માઈલીસના સ્વપ્નો પ્રિકોગ્નિશનને લગતા હોવાથી ડૉ. બેન્ડરે તેમનો સૂક્ષ્મ અને વિસ્તૃત અભ્યાસ કર્યો હતો.

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક, મનોવિજ્ઞાની ચાર્લ્સ ટાર્ટે સ્વપ્નો વિશે રિસર્ચ કર્યા બાદ એવો નિષ્કર્ષ આપ્યો છે કે સ્વપ્નો અર્થ વગરના અને નકામા નથી હોતા. તે અકારણ નથી આવતાં. તે કોઈ મહત્ત્વની ઘટનાની સૂચના આપવા આવતાં હોય છે.

અમેરિકાની એક સુદંર, વિખ્યાત અભિનેત્રી, મોડલ, ટેલિવિઝન સ્ટાર શેરોન મેરી ટેટ પોલેન્સ્કી (૧૯૪૩-૧૯૬૯)ની ૧૯૬૯ના ઓગસ્ટ મહિનાની નવમી તારીખે કેલિફોર્નિયાના લોસ એન્જિલસના બેનિડિક્ટ કેન્યોન ખાતે નિર્દયીપણે હત્યા કરાઈ એ ઘટનાએ વિશ્વભરમાં ચકચાર મચાવી દીધી હતી અને તે ગર્ભવતી પણ હતી. એની પ્રસૂતિને માત્ર બે અઠવાડિયા બાકી હતા. શેરોન ટેટ (Sharon Tate) થકી 'વેલી ઓફ ધ ડોલ્સ', ડોન્ટ મેક વેવ્ઝ, ફિયરલેસ વેમ્પાયર કિલર્સ, ધ રેકિંગ ક્રૂ અને આઈ ઑફ ધ ડેવિલ નામના મૂવિઝમાં મહત્ત્વપૂર્ણ, નોંધપાત્ર અભિનય અપાયો હતો. શેરોન ટેટના લગ્ન ફિયરલેસ વેમ્પાયર કિલર્સના ડિરેકટર રોમન પોલેન્સ્કી સાથે થયા હતા.

નવમી તારીખની વહેલી સવારે ટેટ તેના ઘરમાં તેના ત્રણ મિત્રો સેબ્રિંગ, વોજસિક ફ્રાઈકોવ્સ્કી અને એબિગેઇલ ફોલ્ગર સાથેહતી. એના પતિ પોલેન્સ્કી લંડન હતા ત્યારે તે દિવસે ચાર્લ્સ મેન્સન કલ્ટ લિડેર ટેટ અને તેના મિત્રોની હત્યા કરી નાંખી હતી. એમના મૃતદેહ સવારે ટેટના હાઉસકીપર વિનીફ્રેડ ચેપમેનને મળી આવ્યા હતા. પોલીસ હત્યાના સ્થળે પહોંચી તો તેણે જોયું કે ઘરની અંદર ટેટ અને સેબ્રિંગના મૃતદેહ એક લાંબી દોરી સાથે બંધાયેલા હતા જેમને એક બીમ પર ફેંકવામાં આવ્યા હતા અને પછી તેમના ગળાને ચારેબાજુ બાંધી દેવામાં આવ્યા હતા જેને લીધે તે એકબીજા સાથે જોડાઈ ગયા હતા. સામેની લોનમાં ફ્રાઈકોવ્સ્કી અને ફોલ્ગરના શબ પડેલા હતા. તે બધાને અનેકવાર ચપ્પાના ઘા મારવામાં આવ્યા હતા. કોરોનરના રિપોર્ટમાં ઉલ્લેખ હતો કે ટેટના શરીરમાં ૧૬ વાર ચાકૂના ઘા મારવામાં આવ્યા હતા અને તેમાં ૫ ઘા એકદમ ઘાતક, જીવલેણ હતા. તે રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ હતો કે ટેટને લટકાવવામાં આવી ત્યારે તે જીવતી હતી પણ પછી ભારે રક્તસ્ત્રાવથી તે તરત મરી ગઇ હતી.

પોલીસે હત્યારાને પકડવા તે વખતના વિખ્યાત ક્લેરવોયન્ટ અને સાઇકોમિટ્રિસ્ટ ચૈતસિક ડિટેક્ટિવ પીટર હરકોસની મદદ લીધી હતી. પીટરે શેરોન ટેટના ઘેર જઇ હત્યાના સ્થળે જઇ તેની સાઈકોમિટ્રીની શક્તિથી હત્યારાનું હૂબહૂ વર્ણન કર્યું હતું. તેના આધારે કલ્ટ લિડર ચાર્લ્સ મેન્સનને પોલીસે શોધી કાઢ્યો હતો.

અભિનેત્રી શેરોન ટેટની હત્યા થઇ તેના ૨ વર્ષ પહેલાં એને આ ઘટનાની અચાનક ઝાંખી થઇ ગઇ હતી. એને એવો પૂર્વાભાસ થઇ ગયો હતો કે તેની સ્ટેબિંગથી હત્યા થઇ જશે. ૧૯૬૧માં તે તેના એક બોયફ્રેન્ડના ઘરના બેડરૂમમાં સૂતી હતી. તેને એક પૂર્વાભાસી સ્વપ્ન આવ્યું. તેને જોઈ તે જાગી ગઈ. તેના બોયફ્રેન્ડે તેને જણાવ્યું કે તે ઘરમાં તે રહેવા આવ્યો તેની પહેલાં પોલ બર્ન એમાં રહેતો હતો. તેની પ્રેયસી અને ગર્લફ્રેન્ડ જીની કાર્લો તેને (પોલ બર્નને) છોડીને જતી રહી હતી તેને લીધે તે ખૂબ વિષાદ અને દુ:ખ અનુભવવા લાગ્યોહતો. આવા શોક અને વિષાદના પ્રભાવ હેઠળ તે માનસિક રીતે ભાંગી પડયો હતો અને તેણે આત્મહત્યા કરી નાંખી હતી. પેલા પૂર્વાભાસી સ્વપ્નમાં પણ તેને આત્મહત્યા અને હત્યા જેવા ભયંકર દ્રશ્યો દેખાયા હતા. તે વખતે તેને કોઈ વિચિત્ર અનુભૂતિ થતી હોય એવું લાગવા માંડયું હતું. તેનું આંતર મન જાણે કે કંઇક બતાવવાં અને કહેવા માંગતું હતું એવો તેને અહેસાસ થતો હતો. તે બેડરૂમ છોડી પગથિયા ઊતરી નીચે આવી. ત્યાં અચાનક તેની સામે એક યુવતી આવીને ઊભી રહી. તેણે એની સામે નજર કરી તો તેના અચરજનો પાર ના રહ્યો ! એ યુવતી બિલકુલ તેના જેવી જ લાગતી હતી. વધારે ધ્યાનથી જોયું તો તે તેની કાર્બન કોપી હોય એવી જ દેખાતી હતી. જાણે તેનું જ બીજું રૂપ, તેની પ્રતિરૂપ ત્યાં આવીને ઊભું ના રહી ગયું એવું લાગતું હતું. એના એ પ્રતિરૂપની આંખમાં અપાર ભય અને ચહેરા પર વિષાદ અને વેદના દેખાતા હતો. એની ગરદન અને શરીરના જુદા જુદા ભાગો પર ચપ્પાંના ઘા પડેલાં હતાં જેમાંથી લોહીના રેલાં નીકળી રહ્યા હતા. પછી તેને લાગ્યું કે જાણે કોઇએ તેને લટકાવી દીધી છે.

આવા દ્રશ્યો જોઇને તે બેભાન થઇ ગઈ. થોડીવાર પછી તેના બોયફ્રેન્ડે તેને હોશમાં લાવી દીધી અને શું બન્યું તે પૂછ્યું. શેરોન ટેટે તેને બધા અનુભવ જણાવી જે ઝાંકી થઇ હતી તેની વાત કરી. તેણે કહ્યું કે આવા બિહામણા સ્વપ્નો અને અર્ધજાગૃત અવસ્થામાં થતી ઝાંકી કેવળ ભ્રમણા (hallucination) જ હોય છે. તેણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મન ભયભીત થઇ ખરાબ અને ખોટી કલ્પનાઓ કરવા લાગે તો આવું થતું હોય છે. જો કે શેરોનને થતું હતું કે તે કોરી કલ્પનાઓ નહોતી. તેણે તેના પૂર્વાભાસી સ્વપ્ન અને વિચિત્ર ઝાંખીના અનુભવની વાત તેના મિત્રો અને સ્વજનોને પણ કરી હતી અને તેમને કહ્યું હતું કે મારા જીવનમાં પણ આવું જ બનશે એવું મને અંદરથી લાગ્યા કરે છે. તે માનવા લાગી હતી કે તેને દાદરની નીચે થયેલી ઝાંખી જેમાં તેણે પોતાની જાતને ચપ્પાના ૪ ઘાથી લોહી નિતરતી જોઈ એ ભવિષ્યની ઘટનાનું પૂર્વદર્શન જ હતું. બે વર્ષ બાદ તેનું મૃત્યુ તે રીતે જ શરીર પર ચપ્પાના ૧૬ ઘા વાગવાથી અને શરીરમાંથી પુષ્કળ લોહી નીકળી જવાથી જ થયું. પૂર્વાભાસી સ્વપ્ન અને જાગૃત કે અર્ધજાગૃત અવસ્થામાં થતી પૂર્વાભાસી ઝાંખી ભવિષ્યમાં બનનારી ઘટનાનું યથાર્થ દર્શન કરાવી દેતી હોય છે એ હકીકત આ ઘટના પરથી જાણી શકાય છે.

Tags :