માનવીના રહસ્યમય અચેતન મનની વિલક્ષણ શક્તિઓ
- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- સામૂહિક અચેતન માનવ જાતિના વિકાસનો પૂર્ણ આધ્યાત્મિક વારસો છે જે દરેક વ્યક્તિની મસ્તિષ્ક સંરચનામાં નવી રીતે પ્રગટે છે
મ નોવિશ્લેષણ અને અન્ય મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોમાં અચેતન મન (Unconscious Mind)મનસ્ (માનસ)નો એ ભાગ છે જે આત્મનિરીક્ષણ માટે ઉપલબ્ધ નથી. જો કે આ પ્રક્રિયાઓ ચેતન જાગરૂકતાની સપાટીની નીચે હાજર હોય છે અને તે એવું માનવામાં આવે છે કે ચેતન વિચાર પ્રક્રિયાઓ અને વ્યવહાર પર પ્રભાવ ઉત્પન્ન કરે છે. મનોવિજ્ઞાનમાં અચેતનની અવધારણાનો ઉદ્ભવ મુખ્યરૂપે ઓસ્ટ્રિયાના ન્યૂરોલોજિસ્ટ અને મનોવિશ્લેષક સિગ્મંડ ફ્રોઈડ (Sigmand freud) ના કાર્યો થકી થયું. મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંતમાં અચેતન મનમાં આવે વિચાર અને ડ્રાઈવ હોય છે જે દમન (Repression) ના તંત્રને અધીન હોય છે.
અચેતન મનને સ્વપ્નો અને સ્વચાલિત વિચારો, જે કોઈ સ્પષ્ટ કારણ વગર પ્રગટ થઈ જતા હોય છે એના ભ્રોત રૂપે જોઈ શકાય છે, તે ભૂલાઈ ગયેલી યાદોનો ભંડાર છે જે પાછળથી ગમે તે સમયે ચેતના માટે સુલભ થઈ શકે છે. તે અંતર્નિહિત જ્ઞાનનું સ્થાન પણ છે. તે બાબતો જે આપણે એટલી સારી રીતે શિખેલા હોઈએ છીએ કે આપણે તેમને સમજ્યા-વિચાર્યા વગર પણ કરતા હોઈએ છીએ. અર્ધ-ચેતન( Semi-consiousness) સાથે સંબંધિત ઘટનાઓમાં જાગૃતિ (Awakening) અંતર્નિહિત સ્મૃતિ (Implicit memory) ટ્રાન્સ (Trance) અને હિપ્નાગોગિયા ( Hypnagogia) અને સંમોહન (Hypnosis) સમાવિષ્ટ થાય છે. જ્યારે નિદ્રા, નિદ્રામાં ચાલવાની ક્રિયા સ્વપ્નો જોવા, પ્રલાપ અને કોમા અચેતન પ્રક્રિયાની ઉપસ્થિતિનો સંકેત આપી શકે છે,આ પ્રક્રિયાઓને અચેતન મનને બદલે તેના લક્ષણો (Symptoms) ના રૂપે જોવામાં આવે છે.
સ્વિસ મનોચિકિત્સ મનોવિશ્લેષક અને મનોવિજ્ઞાની કાર્લ ગુસ્તાવ યુંગ (Car/Gustav Jung)દ્વારા દર્શાવાયું કે અચેતનને બે વિભાગોમાં વિભાજિત કરી દેવું જોઈએ- વ્યક્તિગત અચેતન અને સામૂહિક અચેતન. વ્યક્તિગત અચેતન સામગ્રીને એક ભંડાર છે જે ક્યારેક સચેત હતો પણ ફ્રોઈડની ધારણા પ્રમાણે જ વિસ્મૃત કરી દેવાયો કે દબાવી દેવાયો. સામૂહિક અચેતન માનસ તંત્રનું સૌથી ગાઢ સાર છે. જેમાં વારસાગત રીતે આવેલી માનસિક સંરચનાઓ અને આદિરૂપ અનુભવોનો સંચય થયેલો હોય છે. આદિરૂપ (મૂળરૂપ) કે આદર્શ રૂપ (archetypes) સ્મૃતિઓ નથી પણ ઊર્જા કેન્દ્રો કે મનોવૈજ્ઞાનિક કાર્યવાહીઓ છે. જે સંસ્કૃતિના પ્રતીકોના ઉપયોગમાં સ્પષ્ટ થાય છે. એટલે સામૂહિક અચેતનને વારસામાં મળેલું કહી શકાય છે. અને એમાં કોઈ એક વ્યક્તિને બદલે આખી પ્રજાતિના જ્ઞાન, અનુભવ, સંસ્કાર વગેરેની સામગ્રી હોય છે. કાર્લ યુગ કહે છે - The collective unconscious is the whole Spiritual heritage of mankind’s evolution, born anew in the brain structure of every individual- સામૂહિક અચેતન માનવ જાતિના વિકાસનો પૂર્ણ આધ્યાત્મિક વારસો છે જે દરેક વ્યક્તિની મસ્તિષ્ક સંરચનામાં નવી રીતે પ્રગટે છે.
અર્વાચીન સમયમાં ઘણા લોકો અચેતન મન માટે અવચેતન મન શબ્દનો પ્રયોગ પણ કરે છે. ઘણા લોકો અવચેતન મન માટે જીેમર્બહજર્બૈેજ સૈહગ શબ્દનો પ્રયોગ કરે છે. માનવ મન અત્યંત રહસ્યમય કોયડા રૂપ છે. એનામાં અગણિત ચમત્કારિક લાગે તેવી ક્ષમતાઓ વિદ્યમાન હોય છે. ધ લો ઓફ સાઈકિક ફિનોમિના (The law of psychic phenomena) પુસ્તકના લેખક થોમસન જે.હડસને આ પુસ્તકમાં અચેતન મનની શક્તિની વિસ્તૃત છણાવટ કરી છે અને તેની અસાધારણ ક્ષમતા દર્શાવતા પ્રસંગો નિરૂપતિ કર્યા છે. તેમાં તેમણે પોતાનો સ્વાનુભવ દર્શાવ્યો છે તે લખે છે. વોશિંગ્ટનના પ્રોફેસર કોર્પેન્ટરે મારી સામે જ એક યુવાનને સંમોહિત કરી જાહેર પ્રયોગ કર્યો હતો. તે યુવાન એક વિખ્યાત કોલેજની ડીગ્રી ધરાવતો હતો અને તત્વચિંતનનો અભ્યાસી હતો. આ વખતે બીજા વિદ્વાન પ્રાધ્યાપકો પણ ઉપસ્થિત હતા. એ યુવાનને ગ્રીક તત્વચિંતકો બહુ ગમતા હતા. એટલે પ્રો. કાર્પેન્ટરે તેને હિપ્નોટાઈઝડ કર્યા પછી કહ્યું- હું તારો મેળાપ સોક્રેટિસના આત્મા સાથે કરાવું? તો તેણે હા પાડી. પ્રોફેસરે તેને કહ્યું- જો હું તારી સામે એમના આત્માને પ્રગટ કરું છું.
આ સાંભળતાં જ તે યુવાન એ તરફ જોવા લાગ્યો. અને ત્યાં જાણે સોક્રેટિસ ઉભા હોય તેમ એમની સાથે વાતો કરવા લાગ્યો. તેણે તેમને થોડા પ્રશ્નો પૂછ્યા. પછી જાણે તેને તેના ઉત્તર મળી ગયા હોય તેમ તેનાથી પ્રસન્નતા અને સંતોષ અનુભવી તેમની સાથે આગળ ચર્ચા-વિચારણા કરવા લાગ્યો. આ રીતે લગભગ બે કલાક વાર્તાલાપ કરતો રહ્યો. તે જ બોલે તે બધાને સંભળાય પણ સામે હકીકતમાં તો સોક્રેટિસનો પ્રેતાત્મા કે કોઈ વ્યક્તિ હતી જ નહીં એટલે એ તરફથી તો કોઈ અવાજ આવતો જ નહોતો પણ સંમોહિત અવસ્થામાં તેને એમ લાગતું હતું કે ત્યાં સોક્રેટિસનો આત્મા છે અને તેની સાથે ચર્ચા-વિચારણા કરી રહ્યો છે. પછી સોક્રેટિસ પાસેથી તેને જે જાણવા મળ્યું તે બધું તે કડકડાટ બોલી ગયો. એના એ વક્તવ્યમાં નીતિશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ઈશ્વરનું સ્વરૂપ, વિશ્વની ઉત્પત્તિ જેવા અનેક વિષયોનું ગહન જ્ઞાન પ્રગટ થયું હતું. તે એટલે ગહન,ગૂઢ, અર્થગંભીર હતું કે બધાને એમ લાગ્યું કે જાણે સોક્રેટિસને ના સાંભળી રહ્યા હોય ? તે યુવાન ગ્રીક તત્ત્વચિંતનથી માહિતગાર હતો એટલે આવું બોલી ગયો હોય એવી શંકા થાય એટલે પ્રો.કાર્પેન્ટરે બીજા એક પ્રયોગ કર્યો.
તેમણે તે યુવકને સંમોહિત (hypnotised) કરીને કહ્યું - હવે હું તારી મુલાકાત અનેક ભાષાઓ જાણનારા વિદ્વાન અને તત્ત્વચિંતનમાં નિપુણ એવા એક હિંદુ પંડિત સાથે કરાવું છું. એ વિદ્વાન અત્યારે એક પશુ યોનિમાં જન્મેલ છે. પશુ દેહમાં પણ તેમને પૂર્વજન્મનું જ્ઞાન પ્રગટ છે. પ્રોપેશર કાર્પેન્ટરની સૂચના મળી એટલે એ યુવક જાણે એની સામે કોઈ પશુ ઊભું હોય એમ અનુભવી એની સાથે વાતો કરવા લાગ્યો. વાસ્તવમાં ત્યાં કોઈ હિંદુ પંડિતના પુનર્જન્મ રૂપ પશુ ઊભેલું નહોતું પણ તે યુવકનું અચેતન મન એ ત્યાં હોય તેમ જોઈ સાંભળી રહ્યું હતું. તે યુવકને સંમોહનની દશામાં અનુભવાતા તે પશુ રૂપ વિદ્વાન પાસેથી એવી વાતો જાણવા મળી જે ત્યાં ઉપસ્થિત કોઈ જ જાણતું નહોતું. હિંદુ ધર્મની અનેક વિશિષ્ટ બાબતો, પૂર્વજન્મ-પુનર્જન્મના સિદ્ધાંતો, વેદ-ઉપનિષદ-ગીતાના શ્લોકો એવી કેટલીય બાબતો તે અસ્ખલિત વાગ્ધારામાં બોલી ગયો. વિસ્મય ઉપજાવે તેવી બાબત એ હતી કે તેને વેદ-ઉપનિષદ-ગીતાનો એક શ્લોક પણ આવડતો નહોતો ! વૈદિક ત્ત્વચિંતનની કોઈ બાબતની જાણકારી નહોતી. બીજું હિંદુ વિદ્વાન પંડિતના પુનર્જન્મ રૂપે કાલ્પનિક રીતે કેવળ વૈચારિક સૂચનથી એક પશુ ત્યાં છે અને તે વૈદિક જ્ઞાન આપશે એવું કહેવાયું હતું. વાસ્તવમાં તો ત્યાં કોઈ હતું જ નહીં તો બધું જ્ઞાન તેને કેવી રીતે પ્રાપ્ત થયું ? પ્રોફેસર હડસન કહે છે કે આ તમામ જ્ઞાન અને આવડત તેના રહસ્યમય અચેતન મનમાંથી પ્રગટ થયાં હતાં. સંમોહનની સ્થિતિમાં તેના સામૂહિક અચેતનનું સ્તર અનાવૃત થતાં તેનામાં આવી ક્ષમતા આવી ગઈ હતી.