Get The App

દુષ્ટ આત્માને દૂર રાખવાના હેતુથી લગ્નમાં સંગીતનો ઉપયોગ થતો...

Updated: Jun 17th, 2025

GS TEAM


Google News
Google News
દુષ્ટ આત્માને દૂર રાખવાના હેતુથી લગ્નમાં સંગીતનો ઉપયોગ થતો... 1 - image


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- ઋગવેદમાં એ વાતનો ઉલ્લેખ છે કે, લગ્નપ્રસંગમાં તબલાં, વાંસળી જેવા સંગીતના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો

- 21 જૂન

- વિશ્વ સંગીત દિવસ

સા મવેદની ઋચાઓમાંથી પ્રગટેલા ભારતીય સંગીતનો દિવ્ય વારસો અઢી ત્રણ હજાર વર્ષ પુરાણો અને તેથી જ અત્યંત સમૃદ્ધ છે. પાશ્ચાત્ય સંગીતના ધુરંધર સંગીતજ્ઞા યહૂદી મેન્યુહીને કહેલું કે દુનિયાનાં સાત મહાસાગરોમાં છે એેનાથી પણ વધુ ઊંડાણ ભારતીય સંગીતમાં છે. દેશના જુદા જુદા પ્રદેશો અને જુદી જુદી સંસ્કૃતિ વચ્ચે પાંગરેલા સંગીતના સાધકોમાં પણ તેથી જ પ્રાદેશિક ખૂબી-ખામીઓ વિકસિત થઇ હતી. ભારતીય સંગીત ગુરુમુખ વિદ્યા છે એટલે કે ગુરુની સામે બેસીને અભ્યાસ કરવો પડે.

ભારતીય સંગીતના ત્રણ મુખ્ય અંગો છે- ગાયન વાદન અને નૃત્ય. એક સમયે એેમ કહેવાતું કે ઉત્તમ ગાના, મધ્યમ બજાના ઔર કનિષ્ઠ નાચના. જો કે આજે સંગીતના ત્રણે અંગોનું મહત્ત્વ લગભગ સમાન થઇ ગયું છે. સાત્ત્વિક અવસ્થામાં હોય ત્યારે મુખ દ્વારા અથવા વાદ્ય વગાડવાથી પ્રગટ થનારો નાદ સાત્ત્વિક હોય છે. આ સાત્ત્વિક નાદને જ 'ભારતીય શાસ્ત્રીય સંગીત', આ રીતે સંબોધવામાં આવે છે.સંગીત એ દિવ્યત્વ સાથે સંબંધિત કલા છે અને સંગીતની ઉપાસના, અર્થાત્ ભગવાનને કરેલી પ્રાર્થના છે. ભારતીય શાસ્ત્રીય સંગીતમાંથી સારી શક્તિ, ભાવ, ચૈતન્ય, આનંદ અને શાંતિની અનુભૂતિ જીવને થાય છે. સર્વ રાગોનો એકબીજા સાથે સંબંધ હોય છે. આ સંબંધને માનવીરૂપ આપીને તેમનું વિભાજન 'પુરુષ રાગ, સ્ત્રીરાગ અને પુત્ર રાગ' આ પ્રમુખ ત્રણ જૂથમાં કર્યું છે. રાગોને દેવ માનીને તેમનાં કુટુંબો નિશ્ચિત કર્યા છે. સંગીતમાંના પ્રમુખ ૬ રાગ પુરુષવાચક છે જ્યારે રાગિણીઓ આ રાગોની પત્ની છે અને ઉપરાગોને રાગોના પુત્ર માનવામાં આવે છે. આ પ્રમાણે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં કુલ ૮૪ રાગરાગિણીઓ છે.

વર્ષ ૧૯૨૨ થી ૧૯૪૩ આ બે દસકા ઇટલી પર અધિરાજ્ય ગજવનારો અને વિશ્વમાં કુપ્રસિદ્ધ રહેલો હુકુમશાહ બેનિટો મુસોલિની ! એવું કહેવાય છે કે, એકવાર તેને અનિંદ્રા નો રોગ થયો. તેણે ઘણી ઔષધિઓ કરીત પણ તેને સમાધાનકારક નિદ્રા આવતી નહોતી. તેની અનેક પ્રેમિકાઓમાંથી એક પ્રેમિકા બંગાળી હતી. તેને સંગીતનું સારું જ્ઞાન હતું. તેણે જ્યારે મુસોલિનીને ભારતીય સંગીતમાં નિદ્રારોગ માટે ઉપચાર હોવાનું  કહ્યું, ત્યારે તેણે તે હસી કાઢયું. એ જ સમયગાળા વર્ષ ૧૯૩૩માં ભારતના મહાન શાસ્ત્રીય સંગીતકાર પંડિત ઓમકારનાથ ઠાકૂર યુરોપના પ્રવાસે હતા. તેઓ રોમમાં પહોંચ્યા ત્યારે મુસોલિનીની આ પ્રેમિકાએ ઠાકૂર સાથે મુલાકાત કરી અને મુસોલિનીની બીમારી વિશે તેમને કહ્યું.   પંડિત ઠાકૂર મુસોલિનીના ઘરે ગયા. ત્યાં મુસોલિની પાસે ગાયન પ્રસ્તુત કરવાની અનુમતિ માગી. તેમણે મુસોલિનીને તે રાત્રે શાકાહારી ભોજન કરવાની વિનંતિ કરી. ભોજન થઈ ગયા પછી પંડિત ઠાકૂરે રાગ 'પૂરિયા'ના આલાપ લેવાનું ચાલુ કર્યું. આ રાગમાં એક ચમત્કારિક પ્રકાર હતો. પંદર મિનિટમાં નાના બાળક જેમ મુસોલિની ઊંઘી ગયો હતો.

બીજા દિવસે ઠાકૂરને મુસોલિની નો આભાર માનતો પત્ર લખ્યો અને તેમની  વિશ્વ વિદ્યાલયના સંગીત વિભાગના સંચાલક તરીકે નિમણૂક કરી હોવાનું કહેવડાવ્યું હતું. પંડિત ઓમકારનાથ ઠાકૂરે મુસોલિનીનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં; કારણકે તેમને પોતાની માતૃભૂમિમાં પાછું જવું હતું. ત્યાર પછી મુસોલિનીએ ઠાકૂરને મહેમાન તરીકે કેટલાક દિવસ રોકી લીધા. ઠાકૂરે પ્રસ્તુત કરેલા જુદા જુદા રાગના સમયે મુસોલિનીને વિવિધ અનુભૂતિઓ પણ થઈ. એક દિવસ ઠાકૂરે મુસોલિની સામે રાગ 'છાયાનટ' ગાયો. ત્યારે મુસોલિનીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. મુસોલિનીને કહેવું પડયું, 'મારા જીવનમાં આટલું સારું મેં કદીપણ અનુભવ્યું નહોતું.'

ભારતમાં વસેલા આર્યો ભારતમાં જ આગળથી આવીને વસેલી અન્ય પ્રજાઓના સંગીતના પરિચયમાં આવ્યા. આમ થતાં મૂળ આર્યધારાનું સંગીત ભારતીય આર્યધારાનું બન્યું. કેટલેક અંશે માળખામાં - પાયામાં તો નહિ જ  એ યુરોપના સંગીતથી જુદું પડયું. વેદોમાં તથા સંલગ્ન ઉપનિષદોમાં તથા વેદોત્તર ્રબ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો વગેરેમાં પ્રાચીનતમ ભારતીય સંગીતના પાયાના અને સામગ્રીના અનેક ઘટકો જળવાયા છે. આ સંગીત કેવળ પ્રારંભિક કક્ષાનું નથી, પરંતુ સિદ્ધ કક્ષાનું છે; કારણ કે વેદ અને વેદોત્તર સાહિત્યમાં તંતુ, સુષિર, ઘન અને અવનદ્ધ - એ બધાં જ પ્રકારનાં વાદ્યોના ઉલ્લેખ ઉપરાંત તેમાં વીણાના પ્રકારો તેમજ તેને સ્વરમાં મેળવવાની પદ્ધતિ છે. સાત સ્વરો જ નહિ; પરંતુ એનાં સ્વરૂપો, મંદ્ર-મધ્ય-તાર એવાં સપ્તકો, શ્રુતિ અને મૂર્ચ્છના જેવી સંગીતની પાયાની વિભાવનાઓ અને તેની ક્રિયાઓ, પદ્ધતિઓ છે. શતપથ બ્રાહ્મણમાં વીણાના તારને ઉત્તર મન્દ્રામાં મેળવવાનું સૂચન છે. આરણ્યકોમાં દુંદુભિ, ભૂમિ દુંદુભિ, વીણા, કર્કરી, તૂણવ જેવાં વાદ્યોનો ઉપયોગ યજ્ઞા-વિધિમાં તેમજ લગ્નાદિ સંસ્કારવિધિમાં થતો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. 

વાત લગ્નપ્રસંગની જ થઇ રહી છે તો આપણે ત્યાં સંગીત વિનાના લગ્નની કલ્પના પણ થઇ શકતી નથી. તેમાં પણ વરઘોડામાં બેન્ડવાજા અને તેમાં નાચવાનો એક અનોખો લુત્ફ હોય છે. અલબત્ત, લગ્નમાં બેન્ડવાજાનો ઈતિહાસ આજકાલનો નહીં સદીઓ પુરાણો છે. ઋગવેદમાં એ વાતનો ઉલ્લેખ છે કે, લગ્નપ્રસંગમાં તબલાં, વાંસળી જેવા સંગીતના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો. આ પ્રકારના સંગીતવાદ્ય વગાડવા પાછળનો ઉદ્દેશ અનિષ્ટ તત્વનો દૂર રાખવાનો અને નવદંપતિને આશિર્વાદ મળે તેવો હતો. નવવધુ લગ્નની ચોરીમાં આવે ત્યારે શરણાઇ અને ઢોલથી સ્વાગત કરાતું.  સમય વીતતો ગયો તેમ લગ્ન પ્રસંગમાં સંગીતના નવા સાધનો ઉમેરાતા ગયા. મુઘલ અને બ્રિટિશ પ્રભાવમાં વિદેશી સંગીત સાધનો પણ ઉમેરાવવા લાગ્યા.  ૧૯મી સદીના અંતિમ દાયકામાં લગ્નપ્રસંગમાં બ્રાસ બેન્ડના ઉપયોગનું પ્રમાણ વધ્યું હતું. જેમાં ટ્રમ્પેટ્સ, સેક્સોફોન જેવા સંગીતવાદ્યો સામેલ થયા. હવે હાલના સમયમાં વરઘોડામાં ડીજેનું પ્રમાણ વધારે જોવા મળે છે. એકતરફ લગ્નમાં બેન્ડવાજાએ તેનું સ્થાન ટકાવી રાખ્યું છે જ્યારે લગ્નગીતમાં ફટાણાનું તેના અસ્તિત્વ માટે જજૂમી રહ્યા છે. ફટાણા લગ્ન ગીતનો આ એક એવો પ્રકાર છે કે, જેમાં વર વધુ અને જાનૈયાઓની તીખી અને આકરી ટીખળ કરીને લગ્નની મજા માણવામાં આવે છે આમ તો લગ્ન ગીતના અનેક પ્રકારો છે. પીઠીથી શરૂ કરીને કન્યા વિદાય સુધીના આઠથી દસ પ્રસંગો એવા છે કે, જે પ્રસંગને અનુરૂપ લગ્ન ગીતો ગવાતા હોય છે. આજે લગ્ન ગીતની આ પ્રાચીન પરંપરા ખૂબ ઓછી થતી જોવા મળે છે. પહેલાના સમયમાં વર અને કન્યા પક્ષના જાનૈયાઓ લગ્નના દિવસો દરમિયાન આયોજિત અલગ અલગ પ્રસંગને અનુરૂપ મહિલાઓ લગ્ન ગીતો ગાતી હતી. અશ્લીલતાની હદ વટાવી જતાં હોવાથી ફટાણાંને ઝવેરચંદ મેઘાણીએ કુરૂઢિ તરીકે ઓળખાવીને એમને રસસાહિત્યની બહાર મૂક્યાં છે. ૨૧ જૂને સંગીત દિવસની સાથે યોગ દિવસ પણ છે. સંગીત અને યોગ બંનેનું કામ એક જ છે, એકાકાર કરવાનું....

Tags :