- સેલિબ્રેશન-ચિંતન બુચ
- ગુજરાતી ભાષા જેમની કાયમી ઋણી રહેશે તેમાં નર્મદ શિર્ષ સ્થાને છે
- 21 ફેબ્રુઆરી
- આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ
'નિ શાળનાં કામમાં દિલ ન લાગ્યાથી મેં મારા બાપને પૂછયા વિનાં જ નવેમ્બરની ૨૩મીએ સ્કૂલની નોકરી છોડી દીધી.મેં ઘેર આવીને કલમની સામું જોઈ આંખમાં તેને ઝળઝળિયાં સાથે અરજ કરીને કે 'હવે હું તારે ખોળે છઊં'. કોઈ પણ રીતેની પેદાશની ગોઠવણ ન કરેલી તેથી મારા બાપ મનમાં તો બહુ દાઝયા પણ પછી મને કહ્યું કે 'ભાઈ, ઉતાવળ કરવાની શી જરૂર હતી' મેં વિચાર કીધો કે કવિતા તરફ મારું મન છે- નીતિ ભક્તિ તરફ મારું મન છે ને બીજા કોઈ ઉદ્યોગથી મારું મન માનતું નથી, માટે હરદાસનું કામ કરું કે જેથી પેટને પણ મળે ને મારો લખવા ભણવાનો ઉદ્યોગ કાયમ રહે- ગુજરાતીમાં કથા કરનાર કોઈ હરદાસ છે નહીં ને મારી વાણી સારી છે. માટે સંસ્કૃત અભ્યાસ વધારીને ગુજરાતીમાં આખ્યાનો બનાવી એ ઉદ્યોગે રહું...' કવિ, નાટયકાર, નિબંધકાર, વક્તા, શબ્દકોશકાર, સમાજ સુધારક જ નહીં આધુનિક ગુજરાતી સાહિત્યના સ્થાપક એવા નર્મદના આ શબ્દો છે.
દોઢસો વર્ષ પહેલાના નર્મદ એના સમયથી સવાસો વર્ષ આગળ હતા. ગુજરાતી ભાષાના દરેક પ્રથમ કામ જેમ કે, પહેલો કોશ-પહેલી આત્મકથા-પહેલું વ્યાકરણ તેમના દ્વારા લખવામાં આવેલા હતા. 'વીર સત્ય અને રસિક ટેકીપણું' તો નર્મદના આખા જીવનનું પાંચ શબ્દમાં અદભૂત વર્ણન છે. આજે નર્મદની વાત એટલા માટે કેમકે દર વર્ષે ૨૧ ફેબ્રુઆરીની ઉજવણી 'આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ' તરીકે કરવામાં આવે છે. ગુજરાતી ભાષા જેમની કાયમી ઋણી રહેશે તેમાં નર્મદ શિર્ષ સ્થાને છે.
૨૪ ઓગસ્ટ ૧૮૩૩ના લાલશંકર અને નવદુર્ગાના ઘરે તેમનો જન્મ થયેલો. ૬ જાન્યુઆરી ૧૮૪૫ના રોજ તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયૂટની અંગ્રેજી શાળામાં અભ્યાસ શરૂ કર્યો અને જૂન ૧૮૫૦માં કોલેજમાં પ્રવેશ મેળવ્યો. તે જ વર્ષે તેમણે પોતાનું પ્રથમ જાહેર પ્રવચન 'મંડળી મળવાથી થતા લાભ' આપ્યું. નર્મદે ઈ.સ. ૧૮૫૧માં બુદ્ધિવર્ધક સભા અને જ્ઞાનસાગર નામના સામાયિકના નીડર તંત્રી તરીકે ભૂમિકા અદા કરી. ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા તેમજ દંભ, જુઠાણાને કાયમી તિલાંજલિ આપવા સપ્ટેમ્બર ૧૮૬૪માં 'દાંડિયો' પાક્ષિક દ્વારા કલમ ચલાવી. એટલું જ નહીં તેમણે વક્તવ્ય, કાવ્ય, લખાણો તથા સભાઓ ભરીને સમાજ સુધારા ઉપરાંત લોકોમાં સ્વદેશાભિમાનની ભાવના જાગૃત કરી.
એ જમાનામાં વિદેશગમન પર નાત દ્વારા પ્રતિબંધ હતો. મહીપતરામ નીલકંઠ ઇંગ્લન્ડ જવાની તૈયારી કરતા હતા ત્યારે નાતમાં ખટપટ શરૂ થઈ. નાતે એક લખાણ તૈયાર કર્યું. તેમાં બધાની સહીઓ ઉઘરાવાતી હતી.એ સહીઓ ઉઘરાવનારા નર્મદ પાસે આવ્યા ત્યારે નર્મદે સુણાવી દીધેલું કે ' એ દસ્તાવેજ પર હમે સહી કરી શકતા નથી.' નાતથી અલગ પડી નર્મદ મહીપતરામને ઇંગ્લન્ડ જવામાં સાથ આપવાના ભાગરૂપ વિજ્ઞાપ્તિ કરતું ચોપાનિયું પણ છપાવ્યું. મહીપતરામ ઇંગ્લન્ડથી પાછા આવ્યા ત્યારે એમને સત્કારવા પણ નર્મદ ગયા હતા.
સ્ત્રી કેળવણી અનસ્ત્રી ઉદ્ધાર માટે જીવન સમપત કરનાર નર્મદ વિધવા પુન:વિવાહ માટે વૈષ્ણવ ધર્માચાર્ય જદુનાથ મહારાજ સામે એલાને જંગ કરતાં કહે છે કે 'લ્યુથરે તો એમ કહ્યું હતું કે મોહોલના જેટલાં નળિયાં છે. તેટલાં મારા દુશ્મન હશે તો પણ હું મારો મત કદી છોડવાનો નથી, પણ હું તો કહું છું કે તે નળિયાં ભાંગ્યાથી ન્હાની ન્હાની જે કકડીઓ થાય તેટલા મારા દુશ્મનો હશે તો પણ હું મહારાજની દરકાર રાખવાનો નથી'. લોકજાગૃતિ અર્થે સમાચારપત્રનો આવો ઉપયોગ કરનાર નર્મદ જેવા નીડર પત્રકારોની આજે તાતી જરૂરિયાત છે. નર્મદે પોતાના સમયની દરેક સુધારક પ્રવૃત્તિમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી.
ઈ.સ. ૧૮૫૫થી નર્મદ કાવ્યક્ષેત્રે પદાર્પણ કરે છેનર્મદની કવિતાની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ તો પ્રકૃતિવર્ણન, માનવપ્રેમ, જોસ્સો અને સ્વદેશપ્રેમ છે.નર્મદની કવિતા વિષયની દ્રષ્ટિએ મધ્યકાળની કવિતાથી જુદી પડે છે. અર્વાચીન અંગ્રેજી શિક્ષણને પરિણામે નર્મદની કવિતા માત્ર ભક્તિ-વૈરાગ્ય જેવા વિષયોમાં સીમિત ન રહેતાં સમાજસુધારો, પ્રકૃતિ, પ્રેમ, સ્વદેશાભિમાન, વ્યક્તિગત લાગણીમાં વિહાર કરે છે. 'લાગણી', 'જોસ્સો', 'દેશાભિમાન' વગેરે શબ્દોનો પરિચય તે પહેલી વાર કરાવે છે. 'પ્રેમ-શૌર્ય' જાણે નર્મદનો મુદ્રાલેખ હતો.
સાંપ્રત સમયમાં પણ પ્રસ્તુત જણાતું ૧,૫૦૦ પંક્તિમાં લખાયેલું કાવ્ય 'હિન્દુઓની પડતી' આપણી, આપણા લોકોની મર્યાદાઓ સામે અંગુલીનિર્દેશ કરે છે. જેમાં એક પંક્તિ છે કે, 'હિંદુદેશના હાલ, થયા છે ભૂંડા આજે, સત્તા મોટી ખોઈ, નીચું તે જોએ લાજે. ઉડાવતો જે બ્હાર, થયો છે તે લાચારે, ખાને જે આબાદ, ખરાબીમાં તે ભારે.'
આજે કિશોરવયના કે યુવાનો ઝડપથી હતાશામાં આવી જતા હોય છે ત્યારે દરેક શાળા-કોલેજમાં નર્મદના આ કાવ્યનું નિયમિત અવશ્યપણે ગાન કરાવવું જોઇએ...જુસ્સાનું ઈન્જેક્શન આપતા આ કાવ્યના શબ્દો છે કે, 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે. કેટલાંક કર્મો વિષે,
ઢીલ નવ ચાલે,શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે. હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળેતસાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને, તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને, સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે, સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણેતસાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં, સાહસે નિપોલિયન ભીડયો યૂરપ આખામાં, સાહસે લ્યુથર તે થયો પોપની સામાં, સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં, સાહસે સિકંદર નામ અમર સહુ, સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો, સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો, સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો, સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો, સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે...'


