Get The App

'જત જણાવવાનું કે....'

- સેલિબ્રેશન- ચિંતન બુચ

- 9 ઓક્ટોબર : વર્લ્ડ પોસ્ટ ડે

Updated: Oct 6th, 2020

GS TEAM

Google News
Google News
'જત જણાવવાનું કે....' 1 - image


સ મય બદલાય છે તેમ જૂની પેઢીનું સ્થાન નવી પેઢી લે છે. પરિવર્તનનો આ નિરંતર ક્રમ પેઢીઓમાં જ નહીં ટેક્નોેલોજીમાં પણ લાગુ પડે છે. કોમ્યુનિકેશન ટેક્નોેલોજીમાં પોસ્ટકાર્ડ-ઇનલેન્ડ લેટર-ટેલિગ્રામ-મની ઓર્ડર એટલે વિસરાઇ ચૂકેલી જૂની પેઢી અને જેનું સ્થાન હવે વોટ્સએપ-ટેલિગ્રામ-ફેસબૂક-ટ્વીટર જેવી નવી પેઢી દ્વારા લેવામાં આવ્યું છે.

આજે કોઇપણ વ્યક્તિ આપણાથી માત્ર એક ક્લિક જ દૂર છે. પરંતુ વર્ષો અગાઉ દૂર રહેતી અન્ય વ્યક્તિ સુધી પહોંચવા માટે પત્રવ્યવહાર આશિર્વાદ સમાન હતો. આજથી ૧૪૬ વર્ષ અગાઉ ૯ ઓક્ટોબર૧૮૭૪ના સ્વિત્ઝર્લેન્ડ ખાતે યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી. આ નિમિત્તે ૧૯૬૯ના વર્ષથી ૯ ઓક્ટોબરની ઉજવણી 'વર્લ્ડ પોસ્ટ ડે' તરીકે કરવામાં આવે છે. 

 ભાષાનો જન્મ થયો તેની સાથે જ એક વ્યક્તિ દૂરના અંતરની અન્ય વ્યક્તિ સુધી પહોંચાડે તે સંદેશાની પણ શરૂઆત થઇ છે. વન્સ અપોન એ ટાઇમ, ખાસ એક માણસને રૂબરૂ એક ગામથી બીજા ગામ મોકલી સમાચાર કે વાવડ મોકલવામાં આવતા અને મોઢા મોઢ સમચારની આપ-લે થતી. રાજા રજવાડાના સમયમાં ખાસ પૈગામી માણસો રાખવામાં આવતા જે માત્ર સંદેશા પહોંચાડવાનું જ કામ કરતા. આ દરમિયાન જ અત્યંત દૂરના વિસ્તારમાં ઝડપથી સંદેશા પહોંચાડવા માટે કબૂતરને ખાસ તાલીમ આપવાની પણ શરૂઆત થઇ.

જેમાં સંદેશો લખીને કબૂતરની ડોક કે પગમાં બાંધીને ઉડાડવામાં આવે એટલે આવા તાલીમબદ્ધ કબૂતરો તે નિર્ધારીત સ્થળે જ ઉતરતા અને સંદેશો તે વ્યક્તિને પહોંચાડતા. કાળક્રમે સંદેશા મોકલવાની પદ્ધતિમાં ફેરફાર થતો ગયો અને મોરપીછમાંથી બનાવવામાં આવેલી કલમને કાળા કે લાલ રંગના પ્રવાહીમાં જબોળીને કાગળ-કાપડમાં પત્ર લખવાની પદ્ધતિ વિકસી હતી. અગત્યના દસ્તાવેજો હોય તો તેનું લખાણ તાંબાના પતરાં ઉપર કરવામાં આવતું હતું.

કેટલાક રાજાઓ સંદેશા પહોંચાડવા માટે ખાસ દોડવીરો રાખતા, જેનું કામ પ્રજાના સંદેશાને અન્ય ગામમાં દોડીને પહોંચાડવાનું રહેતું. આમ, રાજા-રજવાડાના સમયથી જ આપણે ત્યાં 'પોસ્ટમેન'ની શરૂઆત થઇ ગઇ હતી. ઈ.સ. ૧૬૮૮માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બોમ્બે ત્યારબાદ કલકતા, મદ્રાસમાં પોસ્ટ ઓફિસની શરૂઆત કરી. લોર્ડ ક્લાઇવે ઈ.સ. ૧૭૬૬માં વધુ શહેરમાં પોસ્ટ ઓફિસ વિકસાવી, જેમાં ૧૦૦ માઇલ સુધીના અંતરમાં સંદેશા પહોંચડવા માટે ૨ આનાનો ચાર્જ લેવામાં આવતો. ૧ ઓક્ટોબર ૧૮૩૭માં ભારતમાં પદ્ધતિસરના ટપાલવ્યવહારની શરૂઆત થઇ હતી. 

જેની સાથે જ લગભગ ૧૬૫ વર્ષ સુધી ટપાલ સેવાનો દબદબો રહ્યો હતો. ટપાલ લખવાની પણ કળા -એક આગવી ઢબ હતી. ટપાલના ઉપરના ભાગમાં 'ઓમ્' કે 'જય શ્રી કૃષ્ણ' લખવામાં આવતું. આ પછી 'એતાન ગામ અમદાવાદ મધ્યેથી ધીરુભાઇના રામ-રામ વાંચશો...' એ પ્રકારે મથાળું બાંધવામાં આવતું અને પછી જે કંઇ વિગત જણાવવાની હોય તે વિગતવાર લખવામાં આવતું. પત્ર પૂરો થવામાં આવે એટલે 'તા.ક.' લખીને 'પત્ર લખતી વેળાએ કંઇ ભૂલચૂક હોય તો સુધારીને વાંચશો...' તેવું વાક્ય અવશ્ય મૂકવામાં આવતું. આ ઉપરાંત શુભ પ્રસંગે લખાતી ટપાલ હંમેશા લાલ શાહી દ્વારા લખાતી અને તેને 'શુકનિયો' કહેવામાં આવતી.

અશુભ પ્રસંગે લખાતી ટપાલો હંમેશાં કાળી શાહી દ્વારા લખવામાં આવતી અને તે 'કાળોતરી' કહેવામાં આવતી જે ટપાલ વાંચીને તુરંત જ ફાડી દેવાતી. ઇમરજન્સીમાં કોઇ સંદેશો પહોંચાડવો હોય તો ટેલિગ્રામની સેવાનો ઉપયોગ થતો. જોકે, મોટાભાગના મનુષ્યનું મગજ સૌપ્રથમ નકારાત્મક વિચારને આવકારવા વધારે ટેવાયલું છે. આ કારણે, ટેલિગ્રામ એમ પોસ્ટમેન બોલે તે સાથે જ ઘણાને પહેલા તો ધ્ર્રાસ્કો જ પડતો. અલબત્ત, ટેલિગ્રામમાં સારા સમાચાર કે મની ઓર્ડરમાં પુત્ર પ્રથમ પગારના નાણા મોકલે તો ટપાલીનું મોઢું ચોક્કસ મીઠું કરાવવામાં આવતું. પત્ર જો લાંબોલચક હોય તો ઇનલેન્ડ લેટરનો ઉપયોગ થતો.

દિવાળી આવવાની હોય તેના દોઢ મહિના અગાઉ ગ્રીટિંગ કાર્ડની ખાસ ખરીદી કરવામાં આવતી. આટલું જ ખાસ સમય ફાળવીને ગ્રીટિંગ કાર્ડમાં પોતાનું પણ લખાણ મોકલવામાં આવતું. બર્થ ડે કાર્ડ પણ ખાસ પોસ્ટથી મોકલવામાં આવતા. પત્રની વાત પ્રેમપત્ર વિના અધૂરી જ ગણાશે. જેમાં પ્રેમીઓ કે નવી સગાઇ થઇ હોય તે પોતાના પ્રિયતમને પત્ર દ્વારા હૃદયની લાગણી મોકલતા હતા. ફિલ્મસ્ટાર સાથે હવે ટ્વિટર દ્વારા સંપર્ક સાધી શકાય છે.

પરંતુ થોડા વર્ષો અગાઉ ફિલ્મ સ્ટારને ખાસ પત્ર લખવામાં આવતા. આ ફિલ્મસ્ટાર પણ જેની સામે તેના ચાહકને ઓટોગ્રાફ મોકલતો. અખબાર, મેગેઝિનમાં ખાસ લેટર ક્લબ ચાલતી. જેના દ્વારા જે વ્યક્તિ સાથે રુચિ મળતી હોય તેની સાથે પત્ર લખીને મિત્રતા કેળવી શકાતી.  એ જમાનામાં કોઇ આગંતુકની રાહ જોવાતી હોય તેમ દરેક ટપાલની રાહ જોતા હતા. ટપાલી પણ જાણે સુખ-દુ:ખનો સાથી બની જતો. હવે આપણા ઘરે ટપાલી કોણ આવે છે તે પણ દિવાળી વખતે બોણી લેવા આવે ત્યારે જ માલૂમ પડે છે. 

વર્તમાન સમયે આંખના પલકારામાં હજારો કિલોમીટર દૂર સંદેશા તો પહોંચી જાય છે પણ તેની સાથે ધીરજનો ગુણ પણ ગાયબ થતો જાય છે. ટપાલનો ઈંતેજાર શું કહેવાય તેની વેદના ગુજરાતી નવલિકા 'પોસ્ટમેન'માં કોચમેન અલી ડોસા દ્વારા હૃદય સોંસરવી ઉતરી જાય તેમ વર્ણવાઇ છે. ટપાલસેવા સાથે હવે આપણામાંથી ઈંતેજાર કરવાનો ધીરજનો ગુણ પણ લુપ્ત થઇ રહ્યો છે.

Tags :