Get The App

સિર સાટે, રુંખ રહે, તો ભી સસ્તો જાણ... .

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
સિર સાટે, રુંખ રહે, તો ભી સસ્તો જાણ...                           . 1 - image


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- ચિપકો આંદોલને આપણા દેશને પર્યાવરણ વિભાગ આપ્યો અને આગળ જતાં એમાંથી પર્યાવરણ મિનિસ્ટ્રીની પણ રચના થઈ.

- 5 જૂન -પર્યાવરણ દિવસ

હિ ન્દુ ધર્મમાં પ્રકૃતિ સંરક્ષણનો મહિમા છેક સનાતન કાળથી ગવાતો આવ્યો છે. ઋગ્વેદની એક ઋચા અનુસાર 'આકાશ અને પૃથ્વી અમને આશીર્વાદ આપો, વાતાવરણ અમારા માટે સોગાદસમાન હો.' માનવ જીવન અને પ્રકૃતિનો આવો સંબંધ આપણી સંસ્કૃતિમાં જોવા મળે છે. આપણી સંસ્કૃતિમાં વૃક્ષ-છોડ, નદી-પર્વત, ગ્રહ-નક્ષત્ર, અગ્નિ-વાયુ સહિત પ્રકૃતિનાનાં વિભિન્ન રૂપો સાથે માનવસંબંધોને જોડવામાં આવ્યાં છે. વાયુને દેવ, નદીને માતા અને પર્વતોને પિતાને દરજ્જો આપવામાં આવ્યો છે. આપણા ઋષિ-મુનિઓએ એ વાતથી વાકેફ હતા કે માનવ પોતાના ક્ષણિક લાભ માટે પ્રકૃતિને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે પ્રકૃતિને માનવસંબંધ સાથે જોડી દીધી. જે કરવાથી મનુષ્ય પ્રકૃતિને ગંભીર નુકસાન પહોંચાડતો અટકે. વિક્રમાદિત્ય અને અશોકના શાસનમાં તો વનની રક્ષા સર્વોપરી હતી. ચાણક્યે પણ આદર્શ શાસન વ્યવસ્થામાં વન રક્ષકોની ફરજિયાત નિયુક્તિ કરવાની પણ વાત કરી છે. હાલના સમયમાં વૃક્ષોને બચાવવા માટે આંદોલન કે આ કૃત્યનો વિરોધ કરવા માટે ભલે ઓછી સંખ્યામાં લોકો એકત્ર થાય ત્યારે એટલી તો ટાઢક જરૂર થાય કે વૃક્ષોની હત્યા માટે જીવ બાળનારા કોઈ તો આપણી વચ્ચે છે. પરંતુ વૃક્ષોને બચાવવા માટે આંદોલન કે આ કૃત્યનો વિરોધ કરવા માટે ભલે ઓછી સંખ્યામાં લોકો એકત્ર થાય ત્યારે એટલી તો ટાઢક જરૂર થાય કે વૃક્ષોની હત્યા માટે જીવ બાળનારા કોઈ તો આપણી વચ્ચે છે. પરંતુ વૃક્ષોને બચાવવા માટે એક મોટો સમુદાય આગળ આવીને મોતનું વહાલું કરે તો ?

ઈ.સ. ૧૭૩૦નું વર્ષ. રાજસ્થાનના જોધપુરની આ વાત છે. જોધપુરના મહારાજા અભયસિંહે પોતાના મહેલના નવ-નિર્માણ માટે સૈનિકોને તાજા જ કપાયેલા લાકડાની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો. રાજાનો આદેશ મળતાં જ સૈનિકો રણપ્રદેશમાં મળતા ખીજડાના વૃક્ષને જમીનદોસ્ત કરીને તેના લાકડા લઇ જવા જોધપુરથી ૩૦ કિલોમીટરના અંતરે આવેલા ખેજડલી ગામે પહોંચ્યા. ખેજડલી ગામમાં અમૃતાદેવી પોતાની ત્રણ પુત્રીઓ આસૂ, રત્ની અને ભાગૂ બાઈ સાથે ઘર પર હતાં. એ જ વખતે તેમણે જાણ થઈ કે સૈનિકો વૃક્ષ કાપવા માટે ગામમાં આવ્યા છે. કોઈ વ્યક્તિ વૃક્ષને હાથ પણ લગાવે તે વાત સાંભળતા જ તેમનો રોષ ભભુકી ઉઠયો. અમૃતાદેવીએ રાજાના સૈનિકો વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. કેમકે, બિશ્નોઈ પરંપરામાં લીલા વૃક્ષને કાપવાની મનાઈ છે. એટલે અમૃતા દેવી વૃક્ષને બચાવવા માટે જીવ આપવા પણ તૈયાર થઈ ગયાં. તેમણે કહ્યું. 'સિર માટે, રુંખ રહે, તો ભી સસ્તો જાણ.' જેનો અર્થ છે, 'જો કોઈ વ્યક્તિના જીવની કિંમતે પણ એક વૃક્ષને બચાવવું પડે તો પણ તે યોગ્ય છે. 'સૈનિકો વૃક્ષને કાપવા માટે આગળ આવ્યા તો તેઓ વૃક્ષના રક્ષણ માટે વૃક્ષની આગળ ઊભી ગયા. નિર્દયી સૈનિકોએ અમૃતાદેવી પર કુહાડીનો પ્રહાર કર્યો. જેની સાથે જ વૃક્ષની રક્ષા કાજે જીવ આપનારાં તેઓ પ્રથમ મહિલા બની ગયાં. આ બલિદાનની વાત અન્ય ગ્રામવાસીઓ સુધી પહોંચી. તેઓ પણ વૃક્ષને ચોંટીને ઊભા રહી ગયા. આ સંઘર્ષ ૨૭ દિવસ સુધી ચાલ્યો અને તેમાં અમૃતા દેવી, તેમની ત્રણ પુત્રીઓ, ૬૯ મહિલા સહિત ૩૬૩ લોકોએ જીવ આપ્યો હતો. આ વાતની જાણ રાજા અભયસિંહને થઇ ત્યારે તેમણે વૃક્ષને નહીં કાપવાનો આદેશ કર્યો અને'' સૈનિકોને સજા આપી તેમજ બિશ્નોઈ સમાજને આશ્વાસન આપ્યું કે તેમના વિસ્તામાં હવે ક્યારેય વૃક્ષની હત્યા નહીં થાય.

આ ઘટના વન સંરક્ષણના ઇતિહાસમાં અમર બની ગઇ. શહીદોનું સ્મારક અને અમૃતાદેવીનું મંદિર ખેજરલીમાં છે. રાજાએ ખીજડા એટલા માટે કપાવ્યા કે તેને મહેલ બનાવવાનો હતો. હવે સરકારી તંત્ર ખીજડો (અને બીજાં ઝાડ) એટલા માટે કાપે છે કે તેને રોડ-બ્રિજ બનાવવો છે. રાજાની સામે પડવા માટે અમૃતાદેવી અને તેમનાં સાથીઓ હતાં. પરંતુ સરકારી તંત્ર સામે પડવા માટે કોઈ નથી...

૧૯૭૦ના દાયકામાં બનેલી આવા જ પ્રકારની એક ઘટના પર્યાવરણ સંરક્ષણની લડાઇમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હિમાલયના ગઢવાલ વિસ્તારમાં આવેલા લાઠા નામના ગામમાં પહાડી મહિલાઓ ઘરમાં ચૂલો પેટાવવા માટે બળતણ તરીકે ઝાડની ડાળખીઓ અને પાંદડાંઓ ભેગાં કરવા જંગલમાં જતી. બાળપણમાં પોતાની માતા સાથે જંગલમાં જમીન પર પડેલી સૂકાં ઝાડની ડાળખીઓ અને પાંદડાંઓ વીણતી મમ્મીને જોઈને દીકરીએ પ્રશ્ન પૂછેલો 'શું કામ આપણે જમીન પર પડેલી આ ડાળખીઓ વીણીએ છીએ ? એના કરતાં આ ઝાડને જ કાપી લઈએ તો ?' એ વખતે માતાએ તેની પુત્રીને સમજાવતા કહેલું કે, 'બેટા, આ ઝાડ છેને એનાં મૂળિયાં હાથ જેવાં હોય છે, જેણે આપણી જમીનને પકડી રાખી છે. વધુ વરસાદ પડે કે પહાડ પીગળીને ત્યાંથી પાણીનો ધોધ આવે ત્યારે એ પાણીને પણ સાચવી લે છે અને સાથે જ માટીને પણ પકડી રાખે છે. જો કોઈ આ ઝાડને કાપી લે તો આપણી પાણી સાથે વહી જઈએ.' માતાને આ સવાલ કરનારા અને ત્યારબાદ પોતાને મળેલા આ જવાબને આજીવન ગાંઠે બાંધનારાં આ મહિલા એટલે ગૌરા દેવી. ૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ પછી સૈનિકોને સરહદ પર આવાગમન માટે સરળતા રહે એટલા માટે એક માર્ગ બનાવવાનું સરકારે નક્કી કર્યું. એ માર્ગ બનાવવા અંતર્ગત જ હિમાલયનો બોર્ડર વિસ્તાર ગણાતા ચમૌલી જિલ્લાના રેણી ગામ અને એની નજીક આવેલાં જંગલોનાં લગભગ ૨,૪૫૦ વૃક્ષો કાપવાની 

તૈયારી વનવિભાગે કરી લીધી હતી. આમાં કેટલાક તકવાદી લોકોએ પોતાના અંગત લાભ માટે પણ વૃક્ષો અને એનાં લાકડાંઓનો ઉપયોગ કરવા આ કાર્ય પાર પડે એવા પ્રયત્નો કર્યા હતા. ગઢવાલ વિસ્તારના લોકોએ તેનો વિરોધ નોંધાવ્યો. પરંતુ સરકારી તંત્રે તો વૃક્ષ કાપવાનું નક્કી જ કરી દીધેલું. ૨૬ માર્ચ ૧૯૭૪ના ગામના પુરૂષો સરકાર દ્વારા જમીન માટે આપવામાં આવનારા વળતરને લેવા માટે ચામોલી ગામે જતા રહ્યા હતા. ગામમાં મહિલાઓ અને બાળકો જ હતાં. એ તકનો લાભ લઈને વન વિભાગના અધિકારીઓ વૃક્ષ કાપવા માટે પહોંચી ગયા. અધિકારીઓ વૃક્ષ કાપવા આવ્યા છે તેવી જાણ થતાં જ ગૌરા દેવી ગામની અન્ય મહિલાઓને લઈને ત્યાં પહોંચ્યા. અધિકારીઓએ દમદાટી કરીને તેમને ભગાડવાના પ્રયત્નો કર્યા, તેમની સામે બંદૂક તાકીને તેમને ડરાવવાની કોશિશ કરી, અપશબ્દો બોલીને અને તેમના પર થૂંકીને તેમને ડગાવવાના પ્રયત્ન કર્યા, પણ ગૌરાદેવી અને તેમની સાથે રહેલી મહિલાઓ અને બાળકો નીડર રહ્યાં. એક પછી એક બધી જ મહિલાઓ જંગલમાં વિખેરાઈ ગઈ અને વૃક્ષોને ભેટીને ઊભી રહી ગઈ ઃ 'વૃક્ષને કાપતાં પહેલાં તમારે અમને કાપવાં પડશે.' આટલો મક્કમ નિર્ધાર અને મહિલાઓની આ અડગતા જોઈને વન-અધિકારીઓએ હથિયાર નાખીને ત્યાંથી ચાલતી પકડવી પડી. વૃક્ષોને ચોંટીને, ચીપકીને તેમને બચાવનારી આ મહિલાઓનું અનોખું આંદોલન દેશભરમાં જ નહીં, આખા વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું. ચિપકો આંદોલને આપણા દેશને પર્યાવરણ વિભાગ આપ્યો અને આગળ જતાં એમાંથી પર્યાવરણ મિનિસ્ટ્રીની પણ રચના થઈ. આ એક આંદોલન ફોરેસ્ટ કન્ઝર્વેશન ઍક્ટને જન્મ આપવામાં પણ નિમિત્ત બન્યું. કલ્પના કરો તો કરો કે એક સાવ અભણ અને આદિવાસી મહિલાની દ્રઢ ઇચ્છાશક્તિ અને લડી લેવાની નીડરતા કેટલી કારગત નીવડી...

આપણે એક-એક વૃક્ષની જાળવણી કરીશું, ધ્વનિ પ્રદૂષણ ફેલાવતો અટકાવીશું, નદીમાં કચરો નહીં ફેંકીએ અને ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ કરીશું ત્યારે જ સાચો પર્યાવરણ દિવસ ઉજવ્યો કહેવાશે. પર્યાવરણ મજબૂત હશે તો આપણી વર્તમાન જ નહીં આવનારી પેઢી પણ સશક્ત બની રહેશે...

Tags :