Get The App

મેદસ્વી કાયા ઘટાડવાની માયાજાળનો મોહક ધંધો

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
મેદસ્વી કાયા ઘટાડવાની માયાજાળનો મોહક ધંધો 1 - image

- વિશ્વના વિકસિત દેશોની જેમ ભારતમાં પણ ડાયાબીટીસનાં મેદસ્વી દર્દીઓને અપાતી ડ્રગ અને ઇન્જેક્શન જેમને આવી બીમારી નથી તેવા લોકો પણ તબીબી સલાહ વગર લેતા થયા હોઈ એક ચિંતાજનક પડકાર ઊભો થયો છે 

- વિવિધા-ભવેન કચ્છી

- આડ અસરની પરવા કર્યા વગર ખોટા દાવા કરતી કે પછી ઓવર ધ કાઉન્ટર દવા લેવાનો ટ્રેન્ડ : 2035 સુધીમાં વિશ્વનું  100 અબજ ડોલરનું અને ભારતમાં 5000 કરોડ રૂપિયાનું બજાર હશે 

'વેઈટ લોસ' દવાઓ ફાર્મા કંપનીઓ માટે સોનાની ખાણ 

આ જકાલ, તમે જ્યાં જુઓ ત્યાં વજન ઘટાડવાની વાતો ચાલી રહી છે. ટીવી પર જાહેરાતો, સોશિયલ મીડિયા પર પ્રભાવકો અને મિત્રોના વર્તુળોમાં પણ વજન ઘટાડવાની નવીનતમ રીતો વિશે ચર્ચાઓ સામાન્ય બની ગઈ છે. સ્થૂળતા  એ માત્ર દેખાવની સમસ્યા નથી, પરંતુ તે ડાયાબિટીસ, હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર અને સાંધાના દુખાવા જેવી અનેક ગંભીર બીમારીઓનું મૂળ છે. આ સમસ્યાથી પીડાતા લોકો માટે, વજન ઘટાડતી દવાઓ અને ઇન્જેક્શને  ઘેલછાનું સ્વરૂપ ધારણ કર્યું છે . ભારતમાં તો નાના ગામોથી માંડી મોટા શહેરોમાં ઘણા  મેડીકલ સ્ટોરમાંથી એમ જ પ્રિસ્ક્રીપ્શન વગર કે ઓળખીતા ડોક્ટર જેઓની આ તબીબી શાખા નથી તેઓ પાસે પણ પ્રિસ્ક્રીપ્શન લખાવાય છે અને મેડીકલ સ્ટોર ગ્રાહકને તે દવા આપી પણ દે છે. સેલીબ્રિટીઓની ઉતરી ગયેલી ચરબી અને પાર્ટી કલ્ચરમાં તે માટે આવી ડ્રગ કે ઇન્જેકશનને અપાતો જશ મીડિયામાં પણ સ્થાન પામે છે અને હવે તો ચરબી ઉતારવાની દવા અને ઇન્જેક્શન જાણે ફેશન અને લાઈફ સ્ટાઈલ ડ્રગ બની ચુકી છે. આ એક ખુબ જ ભયજનક ટ્રેન્ડ છે.

સોનાની ખાણ

વજન ઘટાડતી દવાઓનું વૈશ્વિક બજાર હાલમાં ધૂમ મચાવી રહ્યું છે. ભારતમાં પણ આ દવાનું બજાર એન્ટી બાયોટીક દવાના  વેચાણ કરતા વધુ થઇ ગયું છે. ગ્લુકાગોન-લાઇક પેપ્ટાઇડ-૧ એગોનિસ્ટ નામની દવાઓ, જે પહેલા ડાયાબિટીસની સારવાર માટે ઉપયોગમાં લેવાતી હતી, તે હવે વજન ઘટાડવા માટે જેઓને મેદસ્વી કાયા સાથે ડાયાબીટીસ નથી તેઓ પણ લઇ રહ્યા છે. . સેમાગ્લુટાઇડ  અને ટિર્ઝેપેટાઇડ જેવી દવાઓ, જે બ્રાન્ડ નામો જેમ કે વેગોવી અને  ઓઝેમ્પિક  અને ઝેપબાઉન્ડ  હેઠળ ઓળખાય છે, તેની વિશ્વભરમાં ગજબની માંગ છે.ભારતમાં અત્યારે ૧૦૦૦ કરોડ રૂપિયાનું બજાર છે પણ ૨૦૩૫માં આ આંક ૬૦૦૦ કરોડ રૂપિયાનું થઇ જશે તેવો અંદાજ છે.ભારતમાં અત્યારે ૨૨ કરોડ પુરુષો અને ૨૪ કરોડ મહિલાઓ મેદસ્વી કાયા  ધરાવે છે.આ આંક વધતો જ જવાનો.તેવી જ રીતે હાલ ભારતમાં જુદી જુદી આરોગ્ય સંસ્થાઓના અંદાજ મુજબ ૧૨ કરોડથી માંડી  ૨૧ કરોડ લોકોને ડાયાબીટીસ છે અને ૨૫ ટકા પ્રી ડાયાબીટીક હોઈ આટલી સંખ્યા નજીકના ભવિષ્યમાં ઉમેરાશે.આમ ચરબી ઉતારવાની દવાઓનું બજાર ફાર્મા કંપનીઓ માટે સોનાની ખાણ મનાય છે.

આ દવાઓ ભૂખ ઘટાડીને અને પેટ ખાલી થવાની પ્રક્રિયાને ધીમી પાડીને વજન ઘટાડતી હોય છે પણ જેઓ માટે આ દવા બની છે તે દર્દીઓ કરતા તેનું બજાર વજન ઉતારવા માટે ખતરો વહોરીને દવા લેનારાઓનું વધુ છે.  હાલમાં, આ બજારનું કદ અબજો ડોલરમાં છે અને નિષ્ણાતો આગાહી કરી રહ્યા છે કે ૨૦૩૫ સુધીમાં તે ઇં૧૦૦ બિલિયન (અંદાજે ૮.૩ ટ્રિલિયન) ને પાર કરી જશે. 

મુખ્ય ખેલાડીઓ :  નોવો નોર્ડિસ્ક  અને એલી લીલી  જેવી ફાર્માસ્યુટિકલ કંપનીઓ આ બજારમાં મોખરે છે. તેમની દવાઓની માંગ એટલી વધારે છે કે તેઓ ઉત્પાદન અને સંશોધન  વધારવા માટે અબજો ડોલરનું રોકાણ કરી રહ્યા છે.

ભારતમાં વધતો જતો ક્રેઝ 

ભારત પણ સ્થૂળતાના બોજ હેઠળ દબાઈ રહ્યું છે. શહેરી વિસ્તારોમાં ફાસ્ટ ફૂડ, બેઠાડુ જીવનશૈલી અને તણાવને કારણે વજન વધવાની સમસ્યા  ઝડપથી વધી રહી છે. ભારતમાં ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે, અને આ બંને રોગો સ્થૂળતા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. ભારતમાં વજન ઘટાડતી દવાઓની માંગ વધી રહી છે, વેગોવી જેવા ઇન્જેક્શનનો માસિક ખર્ચ હજારો રૂપિયામાં છે તો પણ દેવું કરીને કે અન્ય મહત્વના ઘર ખર્ચમાં ઘટાડો કરી પરિવારને તનાવમાં મુકવાનું પણ પસંદ કરાય છે.ભારતમાં ઘણી કોર્પોરેટ અને ગ્લેમર, ફેશન કે સેલીબ્રીટી સ્ટેટસ ધરાવતી વ્યક્તિઓ દુબઈ સહીત વિશ્વના કેટલાક દેશોમાં જઈને આવી દવા કે ઇન્જેક્શનના શોટ લઇ આવે છે .તેવી જ રીતે શ્રીમંત પરિવારના લગ્ન અગાઉના કેટલાક મહિનાઓ અગાઉથી વર કે વધુ આવી ટ્રીટમેન્ટ શરુ કરી દે છે. કેટલાક છુટાછેડાનાં કિસ્સા લગ્ન બાદ દવા છોડી દેતા ફરી મેદસ્વી કાયા ધારણ થાય તેના લીધે સર્જાયા છે.પાત્ર તેને છેતરપીંડી તરીકે જુએ છે. ઓનલાઈન આવી ડ્રગ ખરીદવાની પણ ચેઇન ચાલે છે.

ચિંતાજનક આડઅસરો

વજન ઘટાડતી દવાઓ સંપૂર્ણપણે જોખમમુક્ત નથી. કોઈપણ દવાની જેમ, તેની પણ પોતાની આડઅસરો હોય છે, જે કેટલીકવાર ગંભીર બની શકે છે.

ઉબકા અને ઉલટી, ઝાડા અથવા કબજિયાત થઇ શકે તેવો ભય છે જેને પાચન તંત્રના અંગો પર નુકસાન થઇ શકે છે.માથાનો અને પેટમાં દુખાવો પણ થાય છે જેના લીધે દિવસ દરમ્યાન થાક અનુભવાય છે.ગંભીર આડઅસરો જોઈએ તો સ્વાદુપિંડમાં સોજો આવવો, જે અત્યંત પીડાદાયક અને જોખમી હોઈ શકે .  વજન ઘટવાને કારણે પિત્તાશયમાં  પથરી અથવા સોજો થવાનું જોખમ વધી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, ગંભીર ઉલટી અને ઝાડાને કારણે ડિહાઇડ્રેશન થઈ શકે છે, જે કિડનીને અસર કરી શકે છે. પ્રયોગશાળાના પ્રાણીઓ પરના અભ્યાસોમાં  થાઇરોઇડ કેન્સર (ખાસ કરીને મેડયુલરી થાઇરોઇડ કાસનોમા) ના જોખમમાં વધારો જોવા મળ્યો છે. જોકે, મનુષ્યોમાં આ જોખમ કેટલું છે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ વ્યક્તિગત અને પારિવારિક ઇતિહાસ ધરાવતા લોકોએ સાવચેતી રાખવી જોઈએ.. ખાસ કરીને જો આ દવાઓ ડાયાબિટીસની અન્ય દવાઓ જેમ કે ઇન્સ્યુલિન અથવા સલ્ફોનીલ્યુરિયા સાથે લેવામાં આવે તો લો બ્લડ સુગરનું જોખમ વધી શકે છે. માનસિક સ્વાસ્થ્ય પર અસરથી કેટલાક  કિસ્સાઓમાં, મૂડ સ્વિંગ, ચિંતા અથવા ડિપ્રેશનના વિચારો સાથે સંબંધ હોવાનું નોંધાયું છે,  આ અંગે વધુ સંશોધનની થઇ રહ્યું છે.. ઓઝેમ્પિક સૌથી પ્રચલિત ઇન્જેક્શન હોઈ આ લેનારનાં ચહેરામાં જે બદલાવ આવે છે તે'ઓઝેમ્પિક ફેસ' કહેવાય છે. ઝડપી વજન ઘટાડવાને કારણે ચહેરા પરની ચરબી ઓછી થવાથી ત્વચા ઢીલી પડી શકે છે અને ચહેરો વૃદ્ધ દેખાઈ શકે છે. આ એક સૌંદર્યલક્ષી આડઅસર છે. સ્નાયુ ઢીલા પડવાથી માંડી અંધત્વ પણ જુજ દર્દીઓને આવી શકે છે.

ઓવર-ધ-કાઉન્ટરનો પ્રસાર 

વજન ઘટાડવાની ગોળીઓ અને સપ્લિમેન્ટ્સનું બજાર વિશાળ છે, અને તેમાંના ઘણા ઓવર-ધ-કાઉન્ટર  વેચાય છે, એટલે કે તેમને ખરીદવા માટે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી.હવે તો  હર્બલ સપ્લિમેન્ટ્સ, ફેટ બર્નર્સ, એપેટાઇટ સપ્રેસન્ટ્સ અને ડિટોક્સ ટી જેવી ખોટી દવાઓનો રાફડો ફાટયો છે..તેઓ  'કુદરતી' હોવાનો દાવો કરતા હોવા છતાં, તેમાં હાનિકારક રસાયણો અથવા અનિયંત્રિત માત્રામાં સક્રિય ઘટકો હોઈ શકે છે.. મોટાભાગના ઓવર ધ કાઉન્વટર વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન  અથવા ભારતની ડ્રગ પરીક્ષણ  નિયમનકારી સંસ્થાઓ દ્વારા સખત પરીક્ષણમાંથી પસાર થતા નથી. આનો અર્થ એ છે કે તેમની ગુણવત્તા, શુદ્ધતા અને સલામતીની કોઈ ગેરંટી નથી આવી  સપ્લિમેન્ટ્સને કારણે હૃદયના ધબકારા વધી શકે છે, બ્લડ પ્રેશર વધી શકે છે, અનિદ્રા, ચિંતા અને યકૃતને નુકસાન જેવી ગંભીર આડઅસરો થઈ શકે છે. કેટલાકમાં તો પ્રિસ્ક્રિપ્શન દવાઓના છુપાયેલા ડોઝ પણ હોય છે, જે અન્ય દવાઓ સાથે પ્રતિક્રિયા કરી શકે છે.

 સોનાની ખાણ જેવો ધંધો 

વજન ઘટાડવાના બજારનું વ્યવસાયિક મૂલ્ય આશ્ચર્યજનક રીતે ઊંચું છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓ, સંશોધન સંસ્થાઓ, ક્લિનિક્સ, અને હવે તો ટેલિમેડિસિન પ્લેટફોર્મ પણ આ ક્ષેત્રમાં સક્રિય છે.

ફાર્મા જાયન્ટ્સ  નોવો નોર્ડિસ્ક અને એલી લીલી જેવી કંપનીઓ માટે આ દવાઓ આવકનો મોટો સ્ત્રોત બની ગઈ છે. તેમના શેરના ભાવ આકાશને આંબી રહ્યા છે.

નવી સ્ટાર્ટઅપ્સ 

ઘણા બાયોટેક સ્ટાર્ટઅપ્સ નવા મોલેક્યુલ્સ અને ડિલિવરી સિસ્ટમ્સ (જેમ કે ઇન્હેલર્સ અથવા પેચ) પર કામ કરી રહ્યા છે, જે ભવિષ્યમાં આ બજારને વધુ વિસ્તૃત કરી શકે છે.

આરોગ્ય સંભાળ ઇકોસિસ્ટમ 

ડોકટરો, ડાયેટિશિયન, ફિટનેસ ટ્રેનર્સ અને ક્લિનિક્સ પણ આ બજારનો એક ભાગ છે, જે દર્દીઓને સંકલિત સંભાળ પૂરી પાડે છે.

રોકાણકારો માટે આકર્ષણ : રોકાણકારો આ ક્ષેત્રને  અત્યંત આકર્ષક માને છે કેમ  કે સ્થૂળતાની વૈશ્વિક સમસ્યા વધતી જતી હોવાથી, આ દવાઓની માંગ ભવિષ્યમાં પણ ઊંચી જ રહેશે તેવી અપેક્ષા છે. જો કે, આ વ્યવસાયિક મૂલ્યની સાથે, નૈતિક અને સામાજિક જવાબદારી પણ આવે છે. દવા કંપનીઓએ તેમની દવાઓ સલામત અને અસરકારક છે તેની ખાતરી કરવી જોઈએ અને ડોકટરોએ દર્દીઓને યોગ્ય માહિતી અને દેખરેખ પૂરી પાડવી જોઈએ.

સંતુલીત દ્રષ્ટિકોણ જરૂરી 

આ દવાઓ માત્ર એક સાધન છે, સંપૂર્ણ સમાધાન નથી. સ્વસ્થ આહાર, નિયમિત વ્યાયામ અને જીવનશૈલીમાં કાયમી ફેરફારો વગર આ દવાઓ બંધ કર્યા પછી વજન ફરી વધવાની સંભાવના રહે છે.આ દવાઓ હંમેશા લાયકાત ધરાવતા ડૉક્ટરની સલાહ અને નજીકની દેખરેખ હેઠળ જ લેવી જોઈએ પણ ભારતમાં તે મેદસ્વી કાયા ધરાવતી વ્યક્તિ તેની રીતે જ દવા કે ઇન્જેક્શન લેતી હોઈ ડોકટરની સલાહ લેવાનું ટાળે છે કેમ કે તેઓ ડોક્ટર પાસે 'તમારે દવા ન લેવી' તેવું સાંભળવા માંગતા નથી.  ખરેખર તો તમારી તબીબી ઇતિહાસ, અન્ય દવાઓ અને સંભવિત આડઅસરોની ચર્ચા કરવી અનિવાર્ય છે. એટલી જ સલાહ આપવાની કે ઓવર ધ કાઉન્ટર આવી દવા ન લો. વજન ઘટાડવું એ એક લાંબા ગાળાની યાત્રા છે. ઝડપી પરિણામોની લાલચમાં આવવાને બદલે, ટકાઉ અને સ્વસ્થ પદ્ધતિઓ અપનાવવી વધુ ફાયદાકારક છે.આખરે, આપણા સ્વાસ્થ્યની જવાબદારી આપણી પોતાની છે. વજન ઘટાડવાના કોઈ ટૂંકા રસ્તા નથી. વિજ્ઞાન આપણને મદદ કરવા માટે નવા સાધનો આપી રહ્યું છે, પરંતુ તેનો સમજદારીપૂર્વક અને તબીબી સલાહ હેઠળ ઉપયોગ કરવો એ જ સાચી દિશા છે.