Get The App

'પ્લીઝ, મને પ્રસિદ્ધિ ન આપશો...' .

Updated: Jun 17th, 2025

GS TEAM


Google News
Google News
'પ્લીઝ, મને પ્રસિદ્ધિ ન આપશો...'                                        . 1 - image


- સમાજમાં છવાઈ જવા હવાતિયા મારતા નાગરિકોને ચેનાબ બ્રીજમાં નિર્ણાયક  પ્રદાન આપનાર ડો.જી.માધવી લતાની લપડાક

- વિવિધા-ભવેન કચ્છી

- એક અનોખું ઉદાહરણીય ડિસક્લેઇમર : 'કૃપા કરીને અતિ પડકારજનક બ્રીજ નિર્માણનો જશ મને ન આપશો. હજારો વ્યક્તિઓનો પરિશ્રમ તેમાં રેડાયો છે.

ડિ જિટલ યુગમાં પબ્લિસિટી માટેના હવાતિયા હવે નવી વાત નથી. જેઓ બિકાઉ છે, વેચાવા માટે તૈયાર છે  અથવા તો પ્રસિદ્ધિથી દામ કમાવવા માંગતા હોય તેઓ માટે તો કહેવત બની છે કે  'જો દિખતા હૈ વો બિકતા હૈ.' વળી આવા લોકો જેઓ કીર્તિની ભૂખથી દૂર રહેવા માંગે છે તેઓને પણ આવી કહેવત સંભળાવીને સલાહ આપતા હોય છે કે 'યાર તમારા અસ્તિત્વનો એહસાસ તો કરાવો. બાકી રેસમાંથી ફેંકાઈ જશો' 

નાની અમથી સફળતા કે સોસાયટીના કોઈ કાર્યક્રમમાં ફુલનો બુકે આપવામાં આવ્યો હોય તો પણ જાણે લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો હોય તે રીતે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવે છે. ઘણી પોસ્ટ એવી પણ હોય છે કે જેમાં સાવ સામાન્ય સફળતા કે જેની ખાસ નોંધ લેવાની જરૂર નથી હોતી અને પોસ્ટ મૂકનાર તેમજ  નિકટજનો પણ જાણતા હોય છે કે આવી સફળતા  તો તેના પાડોશીઓ પણ મેળવી ચૂક્યા છે પણ તેને સિફતતાથી  શબ્દોના શણગાર સાથે એવી રીતે ફોટા સાથે  પોસ્ટ કરાય કે જાણે સહેજ માટે નેશનલ એવોર્ડ ચૂક્યા.

માની લો કે ઉલ્લેખનીય સિદ્ધિ હોય તો તેમાં પડદા પાછળ કે અત્યાર સુધીના મુકામમાં કોનું યોગદાન છે તેના નામ કે ટીમ વર્ક પર ચાલાકીથી કાતર ફેરવી નાંખવામાં આવતી હોય છે. 

સ્ટેજ પર એવોર્ડ સ્વીકારતી વખતે કોના પ્રદાનની નોંધ લેવી તેના કરતાં આ વ્યક્તિ કે વ્યક્તિઓના નામનો તો ઉલ્લેખ ભૂલથી ન થઈ જાય તેવી સ્ક્રિપ્ટ લખી તે બોલવાની વધુ પ્રેક્ટિસ થતી હોય છે.

આપણો જશ કે આપણી સિદ્ધિમાં અન્ય ઘણાનું યોગદાન છે તેમ કહેવાથી આપણી  સિદ્ધિની મહત્તા ઘટી જશે તેવા ભયંકર અસંસ્કાર આપણામાં આરોપિત થયા હોય છે.

ટીમ ગેમ કે ટીમ પર્ફોર્મન્સમાં  પણ આપણા યોગદાનને વિશેષ  વ્યક્તિગત એવોર્ડથી સન્માનિત કરાય છે ત્યારે પણ મનમાં પાકો એવો અહંકાર ઘડાઈ જાય છે કે  'ટીમ  મારા કારણે જીતી.' કદાચ જાહેરમાં એવોર્ડ લેતી વખતે  ટીમના યોગદાનની નોંધ  એક વખત લેવાતી હોય છે પણ તે પછી આજીવન ઘમંડ તો એવું જ ધારણ કરાતું હોય છે કે એકલે હાથ ટીમને વિજેતા બનાવી.

આપણે સમૂહમાં હોઈ અને  કોઈ વ્યક્તિ  કંઈકની પ્રસંશા કરે ત્યારે તેના જશનો હકદાર કોણ છે તે જાણતા હોવા છતાં તેના નામનો આપણે ઉલ્લેખ નથી કરતા. આ હદની તો આપણી ચાલાકી અને ઉછેર છે. બે વ્યક્તિ વધુ નજીક આવે તે માટે નહીં પણ દીવાર વધેલી જ રહે તેવી તો આપણી માનસિકતા છે.

આવા કલુષિત  જગત વચ્ચે બેંગલોરની પ્રોફેસર ડો.જી.માધવી લતાએ રણમાં મીઠી વીરડી સમાન એક ઉદાહરણ પૂરું પાડયું છે.

જમ્મુ અને કાશ્મીરને રેલ માર્ગે જોડતો ચેનાબ બ્રીજ તેની એન્જિનિયરિંગ  અદભૂત સિદ્ધિ (માર્વેલ)માટે આજકાલ ખાસ્સો ચર્ચામાં છે.થોડા દિવસો પહેલા જ વડાપ્રધાન મોદીએ  હાથમાં ત્રિરંગો લહેરાવતા આ બ્રિજને  ખુલ્લો મૂક્યો હતો. ૧૭ વર્ષની જહેમત બાદ  પર્વતમાળા પર આ બ્રીજ બનાવાવનું  સ્વપ્ન સાકાર થયું.  આ પ્રોજેક્ટનું નિદર્શન કરાવતી વિડિઓ યુ ટયુબ પર પ્રાપ્ત છે તેમાં પણ ડો.જી.માધવી લતાને બ્રીજ માટે જશ અપાયો છે. યુ ટયુબ પર વિડિઓ  જોઈને તમે દંગ થઈ જશો કે આટલી ઉંચાઈએ કુદરતી પડકારો વચ્ચે આ રીતે રેલ બ્રીજ અને આર્ક બનાવવાનો પ્રોજેક્ટ  કઈ રીતે પાર પડી શક્યો હશે. પેરિસના એફિલ ટાવર કરતા પણ વધુ ઊંચાઈએ આ આર્ક બન્યો છે. કેબલ્સથી તેની પકડ અને મજબૂતાઈ વધારાઈ છે. ્રબ્રીજથી   જમ્મુ અને કાશ્મીરની કાયાપલટ થઈ જાય તેવો આ રેલ પ્રોજેક્ટ છે.

આ બ્રીજના મેકિંગ અંગેની વિગતોએ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ખાસ્સી ચાહના પ્રાપ્ત કરી પણ દેશ વિદેશમાં બ્રીજની જેમ કે કદાચ તેના કરતા વધુ છવાઇ ગયા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ, બેંગલોરના સિવિલ એન્જિનિયરિંગ નિષ્ણાત પ્રોફેસર ડો. જી. માધવ લતા.

ડો.માધવ લતાએ કલ્પના પણ નહીં કરી હોઈ તેમ વાયુવેગે વિશ્વભરમાં તેના પ્રદાનની સ્ટોરી વાયરલ બની.બીજું કોઈ હોય તો ફુલાઈને ફાળકો થઈ જાય. જ્ઞાતિથી માંડી શૈક્ષણિક સંસ્થાઓ અને દ્વારા સન્માન સમારંભો યોજવા પડદા પાછળ વ્યસ્ત બની જાય. એવોર્ડના નોમિનેશન માટે પણ તગડી પ્રોફાઈલ  પ્રોફેશનલ પાસે લખાવે પણ ડો.માધવ  લતાએ તેને જે જશ મળ્યો તેના કારણે ભારે વ્યથા અનુભવી. તેણે મનોમન વિચાર્યું કે આટલા ભગીરથ પ્રોજેક્ટમાં જેઓએ નાનું મોટું પ્રદાન આપ્યું છે તેઓ  સંપૂર્ણ જશ મને અપાય છે તેથી કેવી હતાશા અનુભવતા હશે. કદાચ તેઓ હતાશ ન હોય તો પણ સત્ય તો એ જ છે કે નિષ્ણાતોની ટીમથી માંડી ખીણમાં પડી મોતને ભેટે તેવી શક્યતા હોવા છતાં જે શ્રમિકોએ દેશ સેવા માનીને ધ્યેય પાર પાડયો તેઓને લીધે આ પ્રોજેક્ટ શક્ય બન્યો છે. 

સાચો જશ અને પ્રસિદ્ધિ આમ પણ વિજ્ઞાનીઓ, સંશોધકો અને નિજાનંદ માટે સર્જન કરનારાઓને અકળાવતો હોય છે. ડો.મ ાધવ લતાએ તેને મળેલ જશનો જશ્ન મનાવવાની જગ્યાએ 'લિંકડીન'માં પોસ્ટ  મૂકી કે  'મહેરબાની કરીને મને ખોટી રીતે પ્રસિદ્ધ ન બનાવો. દેશ વિદેશથી મને મારા યોગદાન બદલ અભિનંદન આપવામાં આવ્યા છે જેમાં મેં જ આ અશક્યને શક્ય બનાવ્યું હોય તે રીતે મને નવાજવામાં આવી છે.  કોઈએ મને  મિશનની કેપ્ટન બનાવી છે.મને ચમત્કાર સર્જતી દેવી તરીકે પણ ઓળખાવાઈ છે. આ વાત સાચી અને યોગ્ય નથી. આટલો મોટો અને આ હદનો પડકારજનક પ્રોજેક્ટ કોઈ એક વ્યક્તિથી શક્ય જ નથી. તેનો જશ મને મળે છે તેનાથી વ્યથિત છું. હું મારા પરત્વે લાગણી દર્શાવનાર તમામનો આભાર માનું છું પણ ખરેખર આ પ્રોજેક્ટમાં હજારો વ્યક્તિઓનું આટલા વર્ષોમાં યોગદાન રહ્યું  છે.આપવો જ હોય તો  ખરો જશ ભારતીય રેલવે  અને 'એફકોન્સ' (મહાકાય બ્રીજ અને પડકારજનક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની)ને આપવો જોઈએ જેઓએ આ પ્રોજેક્ટ પાર પાડવાનું બીડું ઝડપી બતાવ્યું.'

ડો.માધવ લતાની આવી ખેલદિલી અને ખાનદાની બાદ નાગરિકોનું તેના માટેનું માન વધી ગયું.

સોશિયલ મીડિયા પર એવા પ્રતિભાવ જોઈ શકાયા કે  'મેડમ, તમારા જેવી દિલેરી માટે જીગર જોઈએ. આજકાલ જ્યારે કોઈ પોતાની સફળતાના જશમાં જેનું નિર્ણાયક પ્રદાન હોય તો પણ તેનો ઉલ્લેખ નથી કરતા ત્યારે અમે તો જાણીએ છીએ કે તમારી ભૂમિકા ચેનાબ બ્રીજમાં કઈ હદે નિર્ણાયક છે.આમ છતાં તમે ઉદાહરણીય નમ્રતા બતાવી છે.'

ડો.માધવ લતા વર્ષ ૧૯૯૨માં જવાહર નહેરુ ટેકનોલોજિકલ યુનિવર્સિટી,  કાકિંડાથી સિવિલ એન્જિનિયરિંગ સાથે બી.ટેક. થયા તે પછી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (આઈ. આઇ. ટી.), વારાંગલમાંથી એમ.ટેક.ની ડિગ્રી ભૂસ્તર શાસ્ત્ર ( જીયોટેકનીકલ) સાથે પ્રાપ્ત કરી. વર્ષ ૨૦૦૦માં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોેલોજી, મદ્રાસમાંથી ભૂસ્તર શાસ્ત્ર અને ટેક્નોલોજી પર તેમણે પી.એચ. ડી.કર્યું. ચાર વર્ષઆઈ. આઈ. ટી., ગુવાહાટીમાં પ્રોફેસર રહ્યા બાદ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ,  બેંગલોરમાં તેઓ છેલ્લા ૨૧ વર્ષથી પ્રોફેસર છે.

૧૭ વર્ષ પહેલા ચેનાબ બ્રીજનો પ્રસ્તાવ મુકાયો ત્યારથી જ તેઓ ભારતના અગ્રણી ભૂસ્તર ટેક્નોલિજિસ્ટ હોઈ બ્રીજ નિર્માણની ટીમમાં હતા.પણ પ્રોજેક્ટ વચ્ચેના વર્ષો ઠપ્પ કે ધીમો ચાલતો હતો. મોદી વડાપ્રધાન બન્યા પછી તેમાં વેગ આવ્યો અને મોદીજીએ બ્રીજ પૂરી કરવાની ડેડ લાઇન પણ આપી અને તેમાં શુષ્કતા ન આવી જાય એટલે સતત અપડેટ લેતા હતા.

ડો.માધવ લતા અને તેની ટીમની મુખ્ય ભૂમિકા બ્રીજના નિર્માણ માટે અતિ નિર્ણાયક હતી કેમ કે ભારતમાં આ પ્રકારનો બ્રીજ ક્યારેય બન્યો જ નહોતો જે ખીણ પરના બંને બાજુના વિશાળ પર્વતોને રેલના પાટાથી જોડે. વચ્ચે ખીણ અને સામસામે બે પર્વતો વચ્ચે રેલવેના  પાટા તો હજુ પણ બને પણ તેના પરથી ટ્રેન પસાર થાય તો બે ખીણ વચ્ચે ઝૂલતા પાટા ટ્રેનના વજનથી ઝૂકી જઈ તૂટી પડે અને ટ્રેન ખીણમાં અલોપ થઈ જાય.આ માટે પાટાને સપોર્ટ આપવા આર્ક બનાવાયો. આર્કને બંને પર્વતની બાજુએ જોડવા ખડકની આયુ,મજબૂતાઈ અને ધરતીકંપ સામે ઝીંક   ઝીલી શકે એવી સ્થિતિનું પરીક્ષણ અત્યંત નિર્ણાયક હોય છે. ખડકને તો બદલી શકાય નહીં આથી આર્કની ડિઝાઇન એવી બનાવવી પડે કે જે ખડકની તાકાતને અનુરૂપ પુરવાર થાય.

યાદ રહે આ રેલ બ્રીજ ચેનાબ નદીના ગ્રાન્ડ લેવલથી ૩૫૯ મીટર ( ૧,૧૭૮ ફૂટ) ઊંચાઈએ છે. એફિલ ટાવર કરતા ૩૫ મીટર વધુ તેની ઊંચાઈ છે. બ્રીજ ૧,૩૧૫ મીટર લંબાઈ ધરાવે છે. ઉધમ પૂર - શ્રીનગર - બારામુલ્લાનો ૨૪૬ કિલોમીટરનો રેલ રસ્તો ખીણ, પહાડોને વીંધીને પસાર થાય છે. જો આ બ્રીજ શક્ય ન બન્યો હોત તો જમ્મુ કાશ્મીર એક બન્યા ન હોત.

ખડકના બંધારણ, સંભવિત ધરતીકંપ, ભારે તેજ પવન,વરસાદ , બરફ, ઉનાળો જેવી બદલાતી સીઝનમાં રેલના પાટા અને આર્ક બ્રીજ ખડકો સાથે સદી સુધી જોડાઈ શકે તેવી રીતનું નિરીક્ષણ નજરમાં રાખીને ડિઝાઇન થઈ છે. ડિઝાઇન ટીમનું નેતૃત્વ ડો.માધવ લતાએ સાંભળ્યું હતું. જો કે ડો. માધવ લતાની વાતમાં તથ્ય છે કેમ કે આટલી ઉંચાઈએ, આટલા વિષમ હવામાન પર આવો રેલ ટ્રેક અને બ્રીજ નિર્માણ માટે હજારો નિષ્ણાતો અને શ્રમિકોનો પુરુષાર્થ યજ્ઞા તેમાં સામેલ છે. આટલી ઉંચાઈએ વિરાટ માત્રામાં લોખંડ લઈ જવું, પાટા બનાવવા, તે ટકી રહે તે રીતે ચકાસણી કરતા તેનું જડતર કરવું તે માર્વેલ જ કહી શકાય.

ડો. માધવ લતા સ્પેનમાં કોન્ફરન્સમાં ભાગ લેવા ગયા હતા ત્યાં તેમને ખબર પડી કે મીડિયાએ પ્રોજેક્ટનો જશ તેમને આપ્યો છે ત્યારે તરત જ કોન્ફરન્સમાંથી થોડો સમય મળતા જ તેણે પોસ્ટ મૂકી કે  'મહેરબાની કરીને મને પ્રસિદ્ધિ ન આપો .. આ બ્રીજ હજારો વ્યક્તિઓના શ્રમને લીધે બન્યો છે.'

બીજું કોઈ વ્યક્તિ  હોત તો તે સ્પેનની કોન્ફરન્સને સંબોધતી હોય તેવો વિડિઓ કે ફોટો પોસ્ટ કરે પણ ડો.માધવ લતાએ અનોખું ઉદાહરણ પૂરું પાડયું.

ડો. માધવ લતાને અસંખ્ય વાલીઓએ એવા મેસેજ પણ પોસ્ટ કર્યો કે 'અમે પણ અમારા સંતાનને અભ્યાસમાં સિવિલ એન્જિનિયરિંગની શાખા લેવા પ્રોત્સાહિત કરીશું.'

આને કહેવાય ટ્રેન્ડ સેટર. થેન્ક યુ ડો. માધવ લતા તમે નમ્રતા અને સજ્જનતાને જોડતા બ્રીજ બન્યા છો.

Tags :