વિદ્યાર્થીઓ પછી યુવા શ્રીમંતોની પણ વિદેશ તરફ ઉડાણ
- વિવિધા - ભવેન કચ્છી
- દર વર્ષે ભારતના દસ લાખ વિદ્યાર્થીઓ વિદેશ જઈ ત્યાં જ સ્થાયી થાય છે ઃ હવે ૪૩૦૦ જેટલા અલ્ટ્રા સુપર શ્રીમંતો પણ વિદેશની વાટ પકડી રહ્યા છે.. દર વર્ષે આ આંક વધશે
- રૂ. ૨૫ કરોડની નેટ વર્થ ધરાવતા અલ્ટ્રા શ્રીમંતો ભારત ક્યા કારણોસર છોડી રહ્યા છે તે જાણો : યુ.એ.ઇ.નો ગોલ્ડન વીઝા, ટ્રમ્પ વીઝા અને કેનેડાનો સ્ટાર્ટ અપ વીઝા નવી પેઢીના શ્રીમંતોને આકર્ર્ષે છે
કે ન્દ્ર સરકાર 'આત્મનિર્ભર ભારત', 'મેક ઇન ઇન્ડિયા', અને ભારતમાં જ બનેલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરો તેનો પ્રચાર કરવા 'વોકલ ફોર લોકલ'નો પ્રચાર કરે છે.આવા પણ બીજા કેટલાક સૂત્રો છે. આવા સંકલ્પોને લીધે દેશના નાગરિકોમાં ચોક્કસ એક વાતાવરણ બન્યું છે પણ આશ્ચર્યની વાત છે કે દર વર્ષે ભારતના ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા અમેરિકા, કેનેડા અને બ્રિટન અને દેશોમાં જાય છે. એકલા અમેરિકામાં જ આ આંક ચાર લાખનો છે અને તે પછી ત્યાં જ સારા પગાર સાથે નોકરી મળતા સ્થાયી થઈ જાય છે. દર પાંચ વર્ષે આ આંકમાં ૫૫ ટકાની વૃદ્ધિ થવાની છે. હવે વિચારો દસ વર્ષમાં ૨૦ લાખ વિદ્યાર્થીઓ દર વર્ષે જતા હશે.
વીઝાનું વળગણ
આ વિદ્યાર્થીઓ તેમની પ્રતિભાથી અમેરિકા, કેનેડા અને યુરોપની કંપનીઓને વિશ્વમાં અગ્રક્રમે મૂકવામાં યોગદાન આપે છે.આ 'બ્રેઇન ડ્રેઇન' અટકાવા માટે સરકાર પાસે કોઈ નક્કર આયોજન અને સુત્ર નથી.
વિદેશમાં જઈને જે તે દેશોને ટેક્નોલોજીમાં અને હવે એ.આઈ.માં ટોચના દેશ તરીકે મુકવામાં ત્યાં નોકરી કરતા ભારતીયોનું
યોગદાન છે.
માત્ર એન્જિનિયરો જ નહીં લેબરથી માંડી તમામ સેક્ટરમાં અભ્યાસ અને નોકરી કરવા ભારતના યુવાઓ વિદેશાગમન કરે છે અને તેઓ થોડા સ્થાયી થાય તે પછી તેમના પરિવારને પણ તેમની સાથે રહેવા વિદેશ બોલાવી લેતા હોય છે.
ભારતના શહેરોના પાસપોર્ટ કેન્દ્રોમાં પાસપોર્ટ મેળવવા કે રિન્યુ કરવા વહેલી સવારથી લાઇન લાગી જાય છે બરાબર તે જ રીતે દુબઇ, અબુ ધાબી, કેન્યા, ઘાના, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અમેરિકાની એમ્બેસીની બહાર વીઝાનો સિક્કો લાગે તેવી પ્રાર્થના સાથે વિદ્યાર્થીઓ અને નોકરી માટે જનારાની ભીડ જામી હોય છે. આ બધા લાઇનમાં ઉભા હોય અને બહાર તેમના પરિવારજનો જે ભગવાન કે સદ્દગુરુમાં શ્રદ્ધા હોય તેની સ્તુતિ, ચાલીસા કે બાવનીની પુસ્તિકા વાંચીને તેમના સંતાનને કે પરિવારના સભ્યને વીઝા મળી જાય તે માટે પ્રાર્થના કરતા જોઈ શકાય છે.
૯.૨૬ કરોડ પાસપોર્ટ ધારક
પાસપોર્ટ કેન્દ્રમાં જે દ્રશ્ય રોજેરોજ જોવા મળે છે તેના પરથી એવો વિચાર આવે કે આ બધા નાગરિકો પણ નજીકના ભવિષ્યમાં અભ્યાસ કે નોકરી માટે વિદેશ જવાના હોય તો આગળ જતાં ભારતમાં 'રહેશે કોણ?' ભારતમાં ૯.૨૬ કરોડ નાગરિકો પાસપોર્ટ ધરાવે છે.ગુજરાતમાં અંદાજે ૭૫ લાખ નાગરિકો પાસે
પાસપોર્ટ છે.
એક જમાનામાં ગામ કે શહેરની કોઈ વ્યક્તિ વિદેશ જાય તો તેમનો ફોટો અખબારમાં જાહેરાત તરીકે 'વિદેશગમન' હેડિંગ સાથે ગૌરવ સાથે પરિવારજનો આપતા અને આવા એકલ દોકલ ફોટા રહેતા તે પણ સાઈઠ અને સિત્તેરના દાયકામાં. તેવી જ રીતે જેઓ થોડા વર્ષો વિદેશમાં અભ્યાસ કરીને કે નોકરીમાં રજા લઈને ભારત પરત આવતા તેઓનો ફોટો 'સ્વદેશાગમન' પ્રકાશિત થતો હતો.
આજે જો આ રીતે વિદેશ જનારાના ફોટા તો શું માત્ર નામ પ્રકાશિત થાય તો પણ નાની ડિરેક્ટરી બહાર પાડવી પડે. આજે તો સંતાનો કે પરિવાર ખરેખર વિદેશમાં સુખી છે કે દુઃખી તેની પરવા કરવા કરતા સંતાન વિદેશમાં હોય તે જાણે જીવન સાફલ્ય હોય તેમ દર ત્રણ ચાર વાલીઓમાંથી એક વાલી કહેતા હશે કે 'દીકરો અમેરિકા છે અને દીકરી કેનેડા છે.' ઘણા વાલીઓ તો સંતાનો જાણે વયમાં મોટા જ ન થયા હોય તેમ ગૌરવ સાથે કહેતા હોય છે કે 'બાબો દુબઇ છે, બેબી પણ નસગમાં અભ્યાસ કરવા કેનેડા જવાની તૈયારી કરે છે.'
સરકારનો અભિગમ
કેન્દ્ર સરકારનો અત્યાર સુધીનો અભિગમ એવો રહ્યો છે કે ભારત જેવા વિશાળ અને વિકસી રહેલ દેશમાં બધા માટે રોજગારી તો શક્ય નથી તેથી યુવાધન વિદેશમાં જાય તો ખોટું શું છે? ભારતમાં તે રીતે બેકારીના દરમાં ઘટાડો થાય. યુવા પેઢીમાં આ કારણે હતાશા, તનાવની માત્રા પણ ઘટે તેમ સરકાર માને છે. વિદેશમાં સ્થાયી થયેલા ભારતમાં મોટી માત્રામાં રકમ મોકલે છે તેનાથી પરિવાર અને સમાજનું અર્થતંત્ર મજબૂત બને છે તે રીતે પણ સરકાર હકારાત્મક અભિગમ અપનાવે છે. એકંદરે એમ કહી શકાય કે સરકાર 'બ્રેઇન ડ્રેઇન' પ્રત્યે ગંભીર નથી. તેના લીધે ભારત તેની મહેનતકશ અને બૌદ્ધિક તેમજ ટેકનોલોજીની રીતે શ્રેષ્ઠ યુવા પેઢીને ભયજનક રીતે ગુમાવી રહ્યું છે.
ભારતની અગ્રણી કંપનીઓના માલિકો વેદના ઠાલવે છે કે 'વિદેશમાં મહત્તમ પ્રતિભા ચાલી જતી હોઈ ભારતમાં જે યુવાનો રહે છે તેમાંના મહત્તમ તો જે તે નોકરી માટેનું જ્ઞાાન અને કૌશલ્ય નથી ધરાવતા. પરિણામે ભારતની કંપનીઓની ગુણવત્તા પર પણ અસર થાય છે.'
તેની સામે ભારતમાં જ રહેવાનું પસંદ કરનાર બહોળો વર્ગ એવું મંતવ્ય પણ આપે છે કે 'યુવાઓ મોટી સંખ્યામાં વિદેશ જતા હોવાથી ભારતમાં રહેતી યુવા પેઢીને ઓછી હરીફાઈનો સામનો કરવો પડે છે અને જેઓ ભારતમાં રહેવાનું નકકી કરે છે તેઓને સરકારની જુદી જુદી પ્રોત્સાહક યોજનાઓની કે સ્ટાર્ટ અપ ફાળવણીની તકો વધે છે.
ડોલરની તાકાત
એક વર્ગ યોગ્ય દલીલ કરે છે કે ભારતના રૂપિયાની તુલનામાં ડોલર, પાઉન્ડ, યુરો અને દીરહામ ખાસ્સા મજબૂત હોવાના એકમાત્ર કારણસર ભારતના યુવાઓ વિદેશમાં નોકરી અને વ્યવસાય કરવાનું પસંદ કરે છે. તેઓ ભલે વિદેશમાં જ રહેતા હોય પણ એક ડોલરની કમાણીને નેવું રૂપિયા તરીકે અને એક દીરહામ બરાબર રૂપિયા ત્રેવીસ કમાણી તરીકે જુએ છે. આ દલીલમાં દમ છે. આજે ભારતમાં કેટલાયે પરિવારો સંતાન કે ભાઈ બહેન દ્વારા વિદેશથી મોકલાતી રકમની મદદથી ટકી રહ્યા છે અને સમૃદ્ધ પણ બન્યા છે. હા, એક વર્ગ એવો છે કે જેઓ માત્ર ડોલર,પાઉન્ડ કે અન્ય દેશના ચલણી નાણાંની રૂપિયા સામે સંગીન સ્થિતિ છે એટલે વિદેશ નોકરી,ધંધો નથી કરતા પણ તેઓને તેમના ક્ષેત્રમાં વિશ્વ શ્રેષ્ઠ અભ્યાસ અને સંશોધન કરવું છે. ભારતમાં જે ટેકનોલોજી આવતા અમુક વર્ષો લાગે તે જ ટેકનો જ્ઞાાન તેઓ અત્યારે ધરાવે છે અને વિદેશ જાય છે.વિદેશમાં ખીલી ઉઠવાનું જે વાતાવરણ મળે છે તે સ્તરની ભારતની શિક્ષણ અને સંશોધન સંસ્થા જૂજ છે. જે આવી સંસ્થાઓ કે યુનિવર્સિટીઓ છે ત્યાં અનામતની જોગવાઈ હોઇ તકથી વંચિત રહેવાય છે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓમાં રાજકારણ ખેલાય છે. લાગવગીયો અને આવડત ઓછી ધરાવતો સ્ટાફ તેવી જ ફેકલ્ટી જેવી બદીઓ છે. ભારતમાં જો ઇવેન્ટ હોય તો તેનો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મળે તેવી ટાંટિયા ખેંચ પ્રવૃત્તિનો ભોગ પણ તમામ ક્ષેત્રોમાં બનવું પડે છે. શિક્ષણ સંસ્થા રાજકારણ અને ધર્મ યુદ્ધનો અખાડો બન્યું છે. આ કોઈ ભાજપ કે બીન ભાજપ સરકારની તુલના નથી. દાયકાઓથી આવી માનસિકતા અને વ્યવસ્થા પ્રવર્તે છે.
ભારતમાં બેરોજગારી
આની તુલનામાં વિદેશમાં થોડી ઘણી બદીઓ હોય તો પણ જેઓને તેમના ક્ષેત્રમાં આગળ આવવું છે તેઓને માટે વિશ્વ શ્રેષ્ઠ વાતાવરણ છે.
બીજું એક કારણ તેવું બહાર આવ્યું છે કે ભારતમાં ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાંથી ઉચ્ચ ડિગ્રી મેળવીને વિદ્યાર્થીઓ બહાર આવે છે તો પણ વર્ષોત્તર ઊંચા પગાર સાથે નોકરી મળતી હોય એટલે કે પ્લેસમેન્ટ થતું હોય તે ઘટયું છે. હવે તો ટોચની સંસ્થાઓના માસ્ટર ડિગ્રીધારીઓ પણ નોકરી વગરના છે. જેઓ નોકરી મેળવે છે તેઓને ખૂબ જ ઓછો પગારથી સંતુષ્ટ રહેવું પડે છે અને બાકીનું જીવન હતાશાપૂર્ણ વીતવવું પડે છે.
હવે અલ્ટ્રા શ્રીમંતોની વાત
યુવા ધન વિદેશ તરફ આકર્ષણ ધરાવે છે તેની ચિંતા કરતા હોઈએ ત્યાં જ વધુ એક સમાચાર થોડા દિવસો પહેલા વહેતા થયા. હવે ભારતના ૩૬થી૪૫ વર્ષની વયના જે પણ અલ્ટ્રા હાઈ નેટ વર્થ નાગરિકો છે તેમાંથી ૨૦ ટકા આવા નાગરિકો ભારત છોડીને અમેરિકા, કેનેડા, દુબઇ, ઓસ્ટ્રેેલિયા અને બ્રિટનમાં સ્થાયી થવા તૈયાર છે.જેમની નેટ વર્થ રૂ. ૨૫ કરોડ કે વધુ હોય તેઓને અલ્ટ્રા હાઈ રીચ કહેવાય.
ટ્રમ્પ દ્વારા બહાર પડાયેલ ઇ બી - ફાઇવ વીઝા, યુ.એ.ઇ. અને પોર્ટુગલનો ગોલ્ડન વીઝા, કેનેડાનો સ્ટાર્ટ અપ વીઝા આવા શ્રીમંતોમાં ખાસ્સા લોકપ્રિય બન્યા છે. યુ.એ.ઇ.માં શૂન્ય કરવેરો છે અને પાંચ ટકા જ વેલ્યુ એડેડ ટેક્સ પ્રવર્તે છે.
૨૦૨૫ના અંત સુધીમાં આવા ત્રણ લાખ શ્રીમંતો પૈકી દસ હજાર વિદેશમાં શિફ્ટ થઈ ગયા હશે. હાલનો આ આંક ૪,૩૦૦ છે. આવા શ્રીમંતોની કુલ વર્થ ૨૩૨ ટ્રિલિયન ડોલર્સ છે. ૨૦૨૮ સુધીમાં ૪.૩૦ લાખ આવા શ્રીમંતો વિદેશ વસવાટ કરવા પહોંચી ગયા હશે.
જો કે તેનો અર્થ એવો નથી કે આ બધા અલ્ટ્રા શ્રીમંતો ભારતનું કમાયેલું કે તેમનો કારોબાર સમેટીને વિદેશ ચાલ્યા જાય છે. તેઓ ભારતનું તો નાગરિકત્વ ધરાવે જ છે તેથી કાયદા પ્રમાણે વર્ષે ૨,૨૫,૦૦૦ ડોલરથી વધુ બીજા દેશમાં ટ્રાન્સફર નથી કરી શકતા. એન.આર.આઇ. માટે આ લિમિટ વર્ષના દસ લાખ ડોલર છે.
પણ આવા વિદેશમાં શિફ્ટ થયેલા શ્રીમંતો તેમના બીઝનેસનું કેન્દ્ર તેઓ જ્યાં વસે છે ત્યાં રાખે છે.
આ રહ્યા કારણો
વિદેશમાં સ્થળાંતર કરવાના કારણો પૈકી વિદેશમાં અનુકૂળ એવું કરવેરા માળખું તેઓને સ્પર્શે છે. આ ઉપરાંત ભ્રષ્ટાચાર, રાજકીય ઓળખ હોય તો જ જમીન અને અન્ય ક્લિયરન્સ સહેલાઈથી મળે. ઉત્પાદન કે ધંધાનો ઓર્ડર પણ તો જ પ્રાપ્ત થતો હોય છે તે પણ કારણ છે. અમલદારોને ખુશ રાખવા કે પ્રોક્સી ભાગીદારી આપવાની બદી પણ ભારતમાં વ્યાપેલી જ છે.
ભારતમાં બેફામ ટ્રાફિક અને તેનો તનાવ, પ્રદૂષિત હવા, ઘોંઘાટ, બીનઆરોગ્યપ્રદ વાતાવરણ, ગંદકી, આડેધડ શહેરનું આયોજન, બગીચા, પાર્ક કે મુક્ત વાતાવરણનો અભાવ , ભેળસેળ યુક્ત આહાર અને આહાર સામગ્રી જેવા કારણો આ શ્રીમંતો ભારત છોડવાના આપે છે. શ્રીમંતો એમ પણ માને છે કે તેમના વારસો માટે વિદેશ વધુ અનુકૂળ બની રહેશે. ભારતમાં સંપત્તિની જાળવણી માટેના પરિબળો તેઓને અનુકૂળ નથી જણાતા. એમ કહી શકાય કે વ્યક્તિ કરોડોપતિ હોય તો પણ ગુણવત્તાસભર જીવન ભારતમાં શક્ય નથી.પરિસ્થિતિ કથળતી જાય છે.
શ્રીમંતો ભારત છોડે છે તેનું એક મહત્વનું કારણ એ પણ જાણવા મળ્યું કે તેઓ તેમના સંતાનોને ઉચ્ચતમ સ્તરનો અભ્યાસ કરાવવા માંગે છે. ભારતમાં સર્જનાત્મક અને પારદર્શક વાતાવરણને હજુ અવકાશ છે.ચીન અને બ્રિટનમાં પણ શ્રીમંતોમાં એવો જ ટ્રેન્ડ જોઈ શકાય છે..
કેન્દ્ર સરકારે ભારતમાં જ યુવા ધન અને નવી પેઢીના શ્રીમંતો સ્થાયી થાય તે માટે નક્કર યોજના બનાવવી જોઈએ. ભારત ભલે વિશ્વનું ચોથા ક્રમનું અર્થતંત્ર બનતું પણ ભારત હજુ જીવન ધોરણની રીતે વિકસી રહેલ કે અવિકસિત દેશ જેવો જ લાગે છે.
નાગરિકોનું જીવન ધોરણ ગુણવત્તાસભર નથી જ તે તો કેન્દ્ર સરકારે સ્વીકારવું જ રહ્યું.