- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- મનથી સંપૂર્ણ ધ્યેયને સમર્પિત થાય છે તેને કુદરત પણ મદદ કરે છે
ક ર્ણાટકના નીલગીરી પર્વતની તળેટીમાં, આવેલા ગામના અત્યંત નાના ઘરના બારણે, ૨૩ વર્ષિય શુજાના કામ પરવારીને ઊભી રહી હતી. થોડી યુવતીઓ અને મહિલાઓને હાથમાં ચોપડીઓ લઈ જતા જોઈ રહી. હંમેશા ભણવાને ઉત્સુક શુજાના આ યુવતીઓ મહિલાઓને પૂછ્યા વગર ના રહી શકી કે ''તેઓ ચોપડીઓ લઈને ક્યાં જઈ રહ્યાં છે ? તે પણ સંધ્યાકાળે ?''
આ યુવતીઓ/મહિલાઓએ જવાબ આપ્યો કે, તેઓ એડલ્ટ લીટરસી ક્લાસીસમાં સાંજના સમયે ભણવા જઈ રહ્યાં છે. શુજનાએ પૂછ્યું કે તે આ સાંજના સમયના એડલ્ટ લીટરસી ક્લાસીસમાં જોડાઈ શકે ?' તરત જ આ સ્ત્રીઓના ગુ્રપે તેને સરનામું આપ્યું અને સંધ્યાના આ લીટરસી ક્લાસીસમાં જોડાઈ જવાની પ્રેરણા આપી.
શુજના, ને નાનપણથી ભણવાની ખૂબ ઈચ્છા હતી. ૬ ભાઈબહેનોમાં તે સૌથી નાની હતી. તેના ભાઈબહેનોને ભણવામાં કોઈ રસ ન હતો. પરંતુ શુજનાની આંખો હંમેશા બીજા ભણવા જતા બાળકોને શાળાએ જતા જોઈ, હંમેશા તેની આંખોમાં જ્ઞાાનની ભૂખ અને શાળાએ જવાની ઈચ્છા ડોકાઈ રહેતી. તેના મન અને હૃદયમાં શિક્ષણ માટેની અદમ્ય ભૂખ હતી.
પરંતુ તેની કૌટુમ્બિક સ્થિતિ ખૂબ ગરીબ હતી. તેના પિતા નીલગીરીના ચ્હા, કોફીના બગીચાઓમાં મજૂરી કરતાં. આથી શાળાનો ખર્ચો પોસાઈ શકે તેમ ન હતો. ઉપરાંત, આ બેટા કુરુમ્બા નામની પછાત જાતિની વસ્તી હતી. આ પહાડી જાતિને શિક્ષણનું કોઈ મહત્વ ન હતું. તેના પિતાના પણ આવા જ જૂનવાણી વિચારો હતા. આ જાતિમાં તે ખાસ કરીને શુજનાના પિતા વારંવાર માદા પડતા. તેમની ઘણી બધી કમાણી, ડોક્ટરોમાં જતી રહેતી. પરંતુ શુજનાના પિતા અને કુરુમ્બા જાતિના લોકો માનતા કે આ અંધશ્રદ્ધાને લીધે વારંવાર માંદગી આવે છે. આટલા પછાત વિસ્તારમાં રહેતી દીકરી શુજના ભણી કેવી રીતે શકે ?
જ્યારે તેણીએ સ્ત્રીઓના ગુ્રપને ભણવા જતા જોયા ત્યારે તેને તો તેને શિક્ષણના અક્ષયપાત્રની ખોજ થઈ તેવું લાગ્યું. શુજનાએ તેની માની પરવાનગી લીધી અને તે સાંજે એડલ્સ લેટરસી ક્લાસીસમાં જવા માંડી. તેના આનંદનો કોઈ પાર ન હતો, વર્ષોનું એટલે બાળપણનું શિક્ષણ મેળવવાનું સ્વપ્ન પૂરું થઈ રહ્યું હતું.
જોતજોતામાં શુજના લખતા વાંચતા શીખી ગઈ અને ક્લાસમાં ખૂબ સરસ પરિણામ લાવવા માંડી. આ ઘટનાની તેના પિતા જાણ થઈ કે, શુજના સાંજના એડલ્ટ લીટરસી શાળામાં ભણવા જાય છે. તરત જ તેમણે શુજનાને એડલ્ટ લીટરસી શાળામાં જવાનું બંધ કરાવી દીધું. તેના પિતાની દલીલ હતી, ''ભણીને શું કરવું છે ? શુજનાની ઊંમર તો પરણવાની છે. શિક્ષણ ક્યારેય કોઈનો ઉદ્ધાર કરી શકતું નથી.''
જ્ઞાાનપિપાસુ શુજના ના જીવનમાં મોટો વજ્રાઘાત થયો. તેન ફરી પાછું રુટીન ઘરકામ, માતાને મદદ કરવાની, રસોઈ વગેરે.
પેનને બદલે ફરી હાથમાં વેલણ, સાણસી ને કપડા ધોવાનો ધોકો આવી ગયા. એજ પાછું ગૃહકાર્ય માને મદદ કરાવવાનું વગેરે.
શુજના નિરાશ થઈ ગઈ, 'તે લખે છે કે, મારી જિંદગીમાં ઘોર અંધારું વ્યાપી ગયું. આ ઘોર અંધારામાં ક્યાંથી પ્રકાશ આવશે, તે મને સમજાતું ન હતું. મને થયું મારું શિક્ષણ ને ભણવાની તમન્ના અધૂરા રહી જશે કારણ કે મારા માતા-પિતાએ તો મારા લગ્ન માટે મૂરતીયો શોધવા માંડેલો.'
પણ કહે છે ને મનથી સંપૂર્ણ ધ્યેયને સમર્પિત થાય છે તેને કુદરત પણ મદદ કરે છે.
અને શુજનાના અંધકારમય શિક્ષણની જિંદગીમાં એડલ્ટ લીટરસી ક્લાસના ટીચર અમીયાના સ્વરૂપમાં પ્રકાશ ફેલાયો.
શુજના, એડલ્ટ લીટરસી ક્લાસની ખૂબ હોંશિયાર વિદ્યાર્થીની હતી. આથી જ્યારે તે ગેરહાજર રહેવા માંડી ત્યારે તેની શિક્ષિકા અમીથા, તેને ઘેર ખાસ મળવા આવ્યા અને શુજનાને ગેરહાજર રહેવાનું કારણ પૂછવામાં આવ્યું.
આ શિક્ષકા સાથે શુજનાના પિતાએ એ જ દલીલો કરી કે, યુવતીના જીવનમાં શિક્ષણનું કોઈ મહત્વ હોતું નથી. તેના જીવનનું અત્યંબિંદુ એટલે લગ્ન. લગ્ન કરીને એ યુવતીએ ગૃહકાર્ય, સંતાનોના ઉછેરની જવાબદારી સંભાળી લેવાની. તેની સામે શિક્ષિકા અમીથાએ ઘરમાં એક વ્યક્તિ શિક્ષિત બને તો તેના આર્થિક, કૌટુમ્બિક, સામાજિક અને આખી જાતિ માટેના ફાયદાઓ બતાવ્યા. તેમણે તેમના બહોળા અનુભવના, ભણી ગણેલી વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓના દાખલાઓ આપ્યા. જે વિદ્યાર્થીઓને ભણવાને લીધે, આર્થિકને સામાજિક શું ફાયદાઓ થયા, તેમજ આખા કુટુંબને કઈ રીતે તેઓ મદદરૂપ બન્યા. શિક્ષિકા અમીથાએ શુજનાના પિતા દીલપી સાથે બધી દલીલો અને શંકાઓના જવાબો આપ્યા અને સમાધાન કર્યું.
અંતે શુજનાના પિતા દીલીપભાઈ શુજનાને ફરી શાળાએ ભણવા જવા માટે સંમ્મત થયા અને શુજનાની એડલ્ટ લીટરસી ક્લાસની શૈક્ષણિક સફર ફરી શરૂ થઈ.
શુજના એડલ્ટ લીટરસી ક્લાસમાં ભણી, બારમા ધોરણની પરીક્ષા પાસ કરી. પછી કોલેજનું શિક્ષણ લઈ સ્નાતક થઈ. તેની જ્ઞાાન પીપાસા, શિક્ષણની સચોટ ભૂખે, સાચા અર્થમાં તેનું શિક્ષણ મેળવવાનું સ્વપ્ન સફળ કર્યું અને તેણે બીએ પાસ કરી નોકરી મેળવી. ઉપરાંત ડીજીટલ સ્કીલમાં પણ તેણીએ નીપૂણતા મેળવી.
શુજનાએ પોતાના અસ્તિત્વ અને કુટુંબનો આર્થિક તેમજ સામાજીક અને માનસિક, શિક્ષણ દ્વારા બદલાવ આણ્યો. શુજનાના કુટુંબીજનો ખૂબ માંદા પડતા હતા, તેઓ અંધશ્રદ્ધાની વીચારસરણીને લીધે, નસીબને દોષ દેતા હતા. શુજનાએ શિક્ષણ મેળવ્યા પછી ખ્યાલ આવ્યો કે, ઘરની માંદગી, ઘરમાં સ્વચ્છતાનો અભાવ, ખોરાકની અસ્વચ્છ જાળવણી તેમજ વ્યક્તિગત અને કુટુંબના સભ્યોની કુટેવોને લીધે બગડતું આરોગ્ય છે. આથી તેણે સ્વચ્છ ઘર, હાથ ધોવા વગેરે રોજીંદી સારી ટેવો, તેમજ ખોરાકની યોગ્ય જાળવણી વગેરેના સુધારાને લીધે કૌટુમ્બિક માંદગીઓ ઓછી થઈ ગઈ. શિક્ષણે અંધશ્રદ્ધાવાળી કુટુંબીઓની વિચારસરણી પર પ્રકાશ ફેલાવ્યો, જે અનેક અંધશ્રદ્ધાવાળી માન્યતાઓ દૂર થઈ. શુજનાના કુટુંબની તેની નોકરીને લીધે આર્થિક પરિસ્થિતિ પણ સુધરી.
શુજનાએ શિક્ષણનો વ્યાપ કુટુંબથી ના અટકાવ્યો. તેણીએ, પોતાની વસતીની યુવતીઓ/મહિલાઓ અને અન્યને શિક્ષણ મેળવવાની પ્રેરણા આપી એટલું જ નહિ, શિક્ષણના વ્યક્તિગત, કૌટુમ્બિક, જાતીય અને સામાજીક ફાયદાઓ સમજાવ્યા. શુજનાની શિક્ષણ પ્રત્યેનું સમર્પણ અને ઊંડા લાગવે. આખી તેની કોમ્યુનીટી (જાતિ)નો ઉદ્વાર કર્યો. ધીરે ધીરે આખી કુરુમ્બા જાતિમાં શિક્ષણના ફાયદા જણાયા. અંધશ્રદ્ધા દૂર થઈ. શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે, તેની જાતીના લોકો સચેત બન્યા. તેમજ આગલી પેઢી શિક્ષણ મેળવવા માટે તૈયાર થઈ. શિક્ષણનો વ્યાપ પ્રચાર થાય અને તેના ગામના તેમજ આસપાસના ગામડાની યુવતીઓ/મહિલાઓ માટે એક બીજી યુવતીની મદદથી પ્રાથમિક શાળા ખોલી. તેમજ તે શાળામાં સાંજે એડલ્ટ લીટરસી ક્લાસ પણ શરૂ થયા.
આમ શુજનાની વિદ્યા મેળવવાની અદમ્ય પીપાસાને લીધે તેના જીવન તેમજ આખી કોમ્યુનીટીના જીવનમાં અંધશ્રદ્ધાનો સૂર્યાસ્ત થયો અને જ્ઞાાનનો સૂર્યોદય થયો.


