Get The App

માંહ્યલાનું રૂપાન્તર સગર્ભાવસ્થા જેવું છે

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
માંહ્યલાનું રૂપાન્તર સગર્ભાવસ્થા જેવું છે 1 - image

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

- દિવ્યત્વનાં જોડાણની અવસ્થા દેહ પડે તો પણ સૂક્ષ્મ ભાવ રૂપે, બીજે જન્મે પણ સાથે આવે છે

મ હિલા સગર્ભા બને એટલે એનામાં રોજેરોજ બદલાવ આવવા લાગે. શરીરમાં રાસાયણિક કે દૈહિક બદલાવ સાથે એનામાં માનસિક બદલાવ પણ આવે. એની ખાવાપીવાની પસંદગી પણ બદલાય. અમુક મહિના પછી તો સ્ત્રી સગર્ભા છે એ બાહ્ય દેખાવથી પણ જાણી શકાય.

વ્યક્તિના માંહ્યલામાં બદલાવ આવે, એનું જીવન પ્રત્યેનું વલણ બદલે એ પણ સગર્ભાના બદલાવ જેવી પ્રક્રિયા છે. કોઈ ક્ષણે એને તમામ ભૌતિક સુખદુ:ખની જય-પરાજયની ક્ષણિકતા-વિષે પાકી સમજ જાગે, કોઈ ક્ષણે એને સમજાય કે એ માત્ર ઢોર નથી, એની અંદર કોઈ દિવ્ય હાજરી કે સભાનતા છે જે એને ટકોરા મારે છે ! આ ક્ષણ એના સગર્ભ થવાની ક્ષણ હોય ને પછી એ જાગૃતિનું બીજ એના સમગ્ર વ્યવહાર, સમગ્ર જીવનવલણમાં ફેલાઈ જાય !

સગર્ભા સ્ત્રી અને આંતરિક જાગૃતિથી સગર્ભ બનેલ વ્યક્તિ વચ્ચે બહુ મોટો ફરક એ છે કે સગર્ભા સ્ત્રી બાહ્ય બદલાવથી ઓળખી શકાય, પણ માંહ્યલામાં આવેલ બદલાવ ન પણ દેખાય. આન્તરિક બદલાવ ઓળખવા આન્તરિક ઓળખ કે દ્રષ્ટિ જોઈએ- ભગવાન કૃષ્ણે ગીતામાં અર્જુન માટે 'અભિજાત' વિશેષણ વાપર્યું છે. અભિજાત એટલે અંદરથી જ બદલેલો દિવ્યત્વ પામેલો ! કમાલ જુઓ : ભગવાન અર્જુનને કહે છે : ''તને જીવનનું સૌથી ગૂઢ રહસ્ય કહું છું, તને દિવ્ય દ્રષ્ટિ આપું છું (દિવ્યં દદામિ તે ચક્ષુ:, પશ્યમે યોગ મૈશ્વરમ્) એટલા માટે કે તું માંહ્યલાથી મારી સાથે જોડાયેલો છે (ભક્તો સિમે - સખા ચેતિ). માણસ અંદરથી પોતાને ઢોર-માનવાને બદલે, દિવ્યતાનો અંશ છે એમ-અનુભવવા લાગે, એટલે ઉદારતા અનુકંપા, સુખ-દુ:ખ વચ્ચે સમતા આ બધી વિશેષતાઓ એક સાથે પ્રગટે. આ બધી વિશેષતાઓ-દિવ્યત્વનું બીજ રોપાય, એનાથી વ્યક્તિ સગર્ભ બને એટલે આપોઆપ પ્રગટે. પછી એનામાં સ્વકેન્દ્રી ઢોરવૃત્તિ ન રહે એટલે અહિંસા, અનુકંપા, સંયમ એણે અપનાવવા ન પડે, એ ગુણો આખા લશ્કર જેમ આવી પહોંચે.''

ગીતામાં એવો ઈશારો છે કે આવી દિવ્યત્વનાં જોડાણની અવસ્થા દેહ પડે તો પણ સૂક્ષ્મ ભાવ રૂપે, બીજે જન્મે પણ સાથે આવે છે. એ ભાવ-બીજ, બીજે જન્મે, વ્યક્તિત્વનાં કેન્દ્રમાં, આધાર કે ગુરુત્વમધ્યબિન્દુ જેમ રહે છે. આ દશા ને જ ગીતા ''યોગભ્રષ્ટ'' દશા કહે છે.

માંહ્યલામાં બદલાવની આ પ્રક્રિયા માત્ર બૌદ્ધિક ઘટના નથી. એ સૂક્ષ્મ અનુભૂતિ છે. વ્યક્તિ ભૌતિક જગતમાં હોય, તમામ વ્યવહારો કરતો હોય, છતાંય એ પોતાને અલગ મહેસૂસ કરતો હોય છે. એ સુખ-દુ:ખના ઉતાર ચઢાવ વચ્ચે સતત કોઈ દિવ્ય સાથની ઊષ્મા અનુભવતો હોય છે.